Home Blog Page 58

NEET Re-Exam પહેલા સરકારનો મોટો નિર્ણય: ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ, 22 જૂન સુધી સેવાઓ બંધ

0

કેન્દ્ર સરકારે મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. NEET 2026ની પુનઃપરીક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (UG) 2026ની રિ-એગ્ઝામ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY)એ નિર્દેશ આપ્યા છે કે ભારતમાં ટેલિગ્રામની સેવાઓ પર 22 જૂન, 2026 સુધી અસ્થાયી પ્રતિબંધ રહેશે. 21 જૂને યોજાનારી NEET (UG) 2026 પુનઃપરીક્ષાની નિષ્પક્ષતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

NTAએ ટેલિગ્રામ પર પ્રતિબંધનું કારણ જણાવ્યું
NTAનું માનવું છે કે આ નિર્ણય પરીક્ષાના પ્રશ્નપત્રો, અફવાઓ અને ખોટી માહિતીના પ્રસારને રોકવામાં મદદરૂપ થશે. એજન્સીએ જણાવ્યું કે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવી તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

NTAના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ મારફતે ખોટી માહિતી તેમજ પરીક્ષા સામગ્રીના કથિત પ્રસારના બનાવો સામે આવ્યા હતા. આવી સ્થિતિમાં સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પુનઃપરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોને NTAએ અપીલ કરી છે કે તેઓ માત્ર અધિકૃત વેબસાઇટ અને સત્તાવાર માહિતી સ્ત્રોતો પર જ વિશ્વાસ કરે તેમજ કોઈપણ અપ્રમાણિત માહિતી કે અફવાઓથી દૂર રહે.

ટેલિગ્રામની Edit સુવિધા પર પણ 30 જૂન સુધી રોક
NTA દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000ની કલમ 69A હેઠળ ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે 22 જૂન, 2026 સુધી અમલમાં રહેશે.

અન્ય એક આદેશ હેઠળ ટેલિગ્રામને ભારતમાં અગાઉ મોકલાયેલા સંદેશાઓને સંપાદિત (Edit) કરવાની સુવિધા 30 જૂન, 2026 સુધી બંધ રાખવી પડશે. આ નિર્ણયનો હેતુ એવી સુવિધાના દુરુપયોગને અટકાવવાનો છે, જેના મારફતે રાષ્ટ્રીય પરીક્ષાઓ બાદ નકલી પેપર લીકના પુરાવા તૈયાર કરવામાં આવતા હોવાના આક્ષેપો હતા. આ બંને પગલાંનો મુખ્ય ઉદ્દેશ જાહેર વ્યવસ્થા જાળવવાનો અને NEET (UG) 2026ની પુનઃપરીક્ષા આપતા વિદ્યાર્થીઓને છેતરવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કરતી સંગઠિત ટોળકીઓ પર રોક લગાવવાનો છે.

NEET Re-Examને સુપ્રીમ કોર્ટમાં પડકાર
21 જૂને યોજાનારી NEETની પુનઃપરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. આ મામલે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર 17 જૂને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ સુનાવણી કરશે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કથિત પેપર લીક અને પરીક્ષા અનિયમિતતાઓના આધારે દેશભરના અંદાજે 22 લાખ ઉમેદવારો માટે 21 જૂને પુનઃપરીક્ષા યોજવાનો નિર્ણય મનસ્વી, અસંગત અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોના વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે આ અરજી ડૉ. મંગલા કોહલીએ દાખલ કરી છે. તેમણે અદાલતને NTAના તે નિર્ણયને રદ કરવાની માંગ કરી છે, જેના હેઠળ NEET-UG 2026 ફરીથી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. અરજદારનું કહેવું છે કે દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ લાખો નિર્દોષ વિદ્યાર્થીઓને સામૂહિક રીતે સજા કરવી યોગ્ય નથી.

પ્રયાગરાજમાં ત્રિપલ મર્ડરથી ખળભળાટ: એક જ પરિવારના ત્રણ સભ્યોની નિર્દયતાથી હત્યા

0

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં વધુ એક રક્તરંજિત સામૂહિક હત્યાકાંડની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યમુનાનગર ઝોનના મેજા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કુકુરકટવા ગામમાં સોમવારે રાત્રે અજાણ્યા શખ્સોએ એક જ પરિવારના ત્રણ સભ્યોની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. મંગળવારે સવારે આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઘટનાની વિગતો જાણો
મૃતકોની ઓળખ 70 વર્ષીય શ્યામ લાલ ઉર્ફે કલ્લુ, તેમની પત્ની મંજુ દેવી અને શ્યામ લાલની ભાભી તરીકે થઈ છે. ત્રણેય સોમવારે રાત્રે પોતાના માટીના કાચા મકાનમાં સૂતા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.

મંગળવારે સવારે ઘરના પ્રવેશદ્વાર પાસે ત્રણેયના લોહીલુહાણ મૃતદેહો મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવીને પીડિતોના માથા ઈંટો અને પથ્થરોથી કચડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડીસીપી (યમુનાનગર) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

હત્યા પાછળનું સંભવિત કારણ
પોલીસના જણાવ્યા મુજબ, પરિવાર અત્યંત ગરીબ હતો અને ઘરની પરિસ્થિતિ જોતા લૂંટફાટના કોઈ સંકેતો મળ્યા નથી. તપાસ દરમિયાન એક મહત્વની માહિતી સામે આવી છે કે પરિવારની એક યુવતી લગભગ એક મહિના પહેલા કોઈ વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી, જેને લઈને લાંબા સમયથી કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હતો.

પોલીસને આશંકા છે કે જૂની અદાવત અથવા પારિવારિક વિવાદના કારણે આ ત્રિપલ મર્ડરની ઘટના બની હોઈ શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને હત્યાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે.

ઇન્ડોનેશિયામાં 6.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

ફરી એકવાર ધરતી ધણધણી છે. સવારના સમયમાં જ શક્તિશાળી ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપને કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.

ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર આજે વહેલી સવારે 6.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ઇન્ડોનેશિયાની ભૂ-ભૌતિક એજન્સી (BMKG) અને વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મધ્ય સુલાવેસીના પાલુ શહેરથી આશરે 42 કિલોમીટર દક્ષિણપૂર્વમાં અને લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 8:57 વાગ્યાની આસપાસ આવ્યો હતો. NCSએ ભૂકંપનું કેન્દ્ર 1.073 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ તથા 120.263 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હોવાનું જણાવ્યું હતું.

ભૂકંપના જોરદાર આંચકાઓ પાલુ, સિગી, ડોંગગાલા અને તોજો-ઉના-ઉના સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ધ્રુજારી અનુભવાતા જ લોકો ગભરાઈને પોતાના ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળી ખુલ્લા સ્થળોએ પહોંચ્યા હતા. અધિકારીઓ હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. જોકે આ અહેવાલ લખાય ત્યાં સુધી કોઈ જાનહાનિ, ઇજા અથવા મોટા પ્રમાણમાં મિલકતી નુકસાનના તાત્કાલિક અહેવાલ પ્રાપ્ત થયા નથી. તેમ છતાં, આફ્ટરશોક્સની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર સતર્ક છે.

દક્ષિણપૂર્વ એશિયામાં બીજો મોટો ભૂકંપ
ઉલ્લેખનીય છે કે દક્ષિણપૂર્વ એશિયામાં આ મહિનામાં નોંધાયેલો આ બીજો મોટો ભૂકંપ છે. અગાઉ 8 જૂને ફિલિપાઇન્સમાં પણ શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા વધી હતી. આ દરમિયાન, ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ નજીક પણ તાજેતરમાં રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

સુમાત્રા અને સુલાવેસી સહિતનો વિસ્તાર પ્રશાંત મહાસાગરના પ્રખ્યાત “રિંગ ઓફ ફાયર” વિસ્તારમાં આવેલો છે, જ્યાં અનેક ટેક્ટોનિક પ્લેટો મળતી હોવાથી ભૂકંપ અને જ્વાળામુખી પ્રવૃત્તિ વારંવાર જોવા મળે છે. એક્સપર્ટનું માનવું છે કે આવા શક્તિશાળી ભૂકંપ બાદ કેટલાક દિવસો સુધી આફ્ટરશોક્સ આવી શકે છે. તેથી સ્થાનિક રહેવાસીઓને સાવચેત રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

‘ટ્રમ્પની ડીલ અમને માન્ય નથી, ઇઝરાયલ અમેરિકાનો ગુલામ નથી’; નેતન્યાહૂના મંત્રીના નિવેદનથી ખળભળાટ

0

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે થંભી ગયું છે. બંને દેશોએ સમજૂતીની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ઈરાન સાથે સમજૂતી થઈ ગઈ છે. ત્યારબાદ ઈરાને પણ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અમેરિકા સાથે ઘણા મહિનાઓ સુધી ચાલેલી લાંબી અને મુશ્કેલ વાટાઘાટો બાદ બંને દેશોએ યુદ્ધવિરામ (Ceasefire) માટેના MoUને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ જાહેરાત બાદ મધ્ય પૂર્વ વિસ્તારમાં શાંતિની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે બીજી તરફ ઇઝરાયલના દક્ષિણપંથી નેતા અને વડાપ્રધાન નેતન્યાહૂ સરકારમાં મંત્રી બેન ગ્વેરે એવું નિવેદન આપ્યું છે, જેના કારણે ફરી એકવાર આ વિસ્તારના દેશોમાં તણાવ વધી ગયો છે.

યહૂદી લોકો પ્રત્યે અમારું કર્તવ્ય છે – બેન ગ્વેર
ઇઝરાયલી મંત્રી બેન ગ્વેરે કહ્યું, “ટ્રમ્પની સમજૂતી અમારા પર લાગુ પડતી નથી. ઇઝરાયલ અમેરિકા હેઠળ નથી અને અમે એક સ્વતંત્ર તથા સાર્વભૌમ દેશ છીએ. અમારું કર્તવ્ય ઇઝરાયલના નાગરિકો, IDFના સૈનિકો અને યહૂદી લોકો પ્રત્યે છે. સાથે જ હજારો વર્ષોના નિર્વાસન દરમિયાન સતામણી અને હત્યાનો ભોગ બનેલા યહૂદીઓ પ્રત્યે પણ અમારું ઐતિહાસિક કર્તવ્ય છે કે અમે ઇઝરાયલની ધરતી પર તેમને સુરક્ષા આપીએ.

જ્યારે પણ અમે ઇઝરાયલની સુરક્ષાની કિંમત પર આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂક્યા છીએ, ત્યારે અમારે ભારે કિંમત ચૂકવવી પડી છે. ઓસ્લો સમજૂતી દરમિયાન આવું જ બન્યું હતું, 2006ની લેબનોન સમજૂતીમાં પણ આવું જ બન્યું હતું અને ગાઝા પર નિયંત્રણ સ્થાપિત કરવાની દરેક કોશિશમાં પણ આવું જ બન્યું, જે પછી અમારા માટે મોટી મુશ્કેલી સાબિત થઈ.”

અમે આ સમજૂતીનો ભાગ નથી – બેન ગ્વેર
બેન ગ્વેરે વધુમાં કહ્યું, “અમે અમેરિકાને પ્રેમ કરીએ છીએ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના આભારી છીએ. છતાં પણ ઇઝરાયલ કોઈ ‘બનાના રિપબ્લિક’ (નબળો અથવા અસ્થિર દેશ) નથી. હું હંમેશા વડાપ્રધાનને આ વાત કહું છું અને દરેક મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણે બંધ દરવાજાઓ પાછળ પણ આ વાત પુનરાવર્તિત કરું છું.

ઐતિહાસિક ક્ષણોમાં ઐતિહાસિક નિર્ણય લેવો જરૂરી હોય છે. મારું વલણ સ્પષ્ટ છે – અમે આ સમજૂતીનો ભાગ નથી કારણ કે તે અમારી સુરક્ષાની ગેરંટી આપતી નથી અને અમારા પર કોઈ પણ રીતે લાગુ પડતી નથી.

હિઝબુલ્લાહનો સંપૂર્ણ અંત લાવવા કરતાં ઓછા કોઈ પણ વિકલ્પ પર સમજૂતી થઈ શકે નહીં. અમારા સૈનિકોએ જે વિસ્તારો પર કબજો કર્યો છે અને જ્યાંથી આતંકવાદી માળખું દૂર કરવામાં આવ્યું છે, ત્યાંથી પાછા હટવું જોઈએ નહીં. અમે ફરી એવી સ્થિતિમાં જવા માંગતા નથી જ્યાં હજારો આતંકવાદીઓ ઉત્તર ઇઝરાયલની વસાહતોની સરહદો પર બેસેલા હોય. અને નિશ્ચિતપણે, ઇઝરાયલ પર થતા હુમલાઓ સામે અમે એક ક્ષણ માટે પણ મૌન રહી શકતા નથી.”

અમે 3,000 વર્ષ જૂના લોકો છીએ – બેન ગ્વેર
બેન ગ્વેરે કહ્યું, “જો લેબનોનમાંથી ઇઝરાયલ તરફ ડ્રોન, UAV અથવા મિસાઇલ છોડવામાં આવશે તો ઇઝરાયલ ‘દાહિયા’ વિસ્તારમાં જવાબી કાર્યવાહી કરશે. થોડા મહિના પહેલાં સુધી આ જ ‘ડિટરન્સ બેલેન્સ’ (શક્તિ સંતુલન) હતું અને આપણે તેને કોઈ પણ સંજોગોમાં છોડવું જોઈએ નહીં.

સૌથી મહત્વની વાત એ છે કે આપણે સૌને સ્પષ્ટ કહી દેવું જોઈએ કે ઇઝરાયલના લોકો 3,000 વર્ષ જૂના લોકો છે – એક એવો શાશ્વત સમુદાય જે લાંબી સફરથી ડરતો નથી. અમને બ્રહ્માંડના સર્જનહાર પર વિશ્વાસ છે. અમે એક મજબૂત અને ગૌરવશાળી લોકો છીએ, જે પોતાની માતૃભૂમિ પર ગૌરવ સાથે પાછા ફર્યા છે અને હવે દુશ્મનો સામે માથું ઝુકાવવાનો અમારો કોઈ ઈરાદો નથી. તે દિવસો વીતી ગયા જ્યારે યહૂદીઓ માર સહન કરતા અને ચૂપ રહેતા. હવે આવું ક્યારેય નહીં બને.”

ટ્રમ્પ-ઈરાન શાંતિ સમજૂતીથી ભારતને મળશે 5 મોટા ફાયદા

0

અમેરિકા અને ઈરાન વચ્ચે હવે યુદ્ધનો અંત આવી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું એલાન કરતા શાંતિ સમજૂતી પર સહમતિ જાહેર કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે લાંબા સમયથી બંધ રહેલી હોર્મુઝ જળસંધિ (Hormuz Strait) પરની અમેરિકન નાકાબંધી હટાવી દેવામાં આવી છે અને તેને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી આ શાંતિ સમજૂતી ભારત માટે અનેક રીતે રાહતરૂપ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે તેનાથી ભારત અને ભારતીયોને શું ફાયદા થઈ શકે છે?

હોર્મુઝથી લઈને તેલ સુધી, યુદ્ધે વધારી હતી ચિંતા
ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે પ્રથમ વખત ઈરાન પર હુમલાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઈરાનના વળતા પ્રહારે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધારી દીધો હતો. આ યુદ્ધની અસર વિશ્વના અનેક દેશો પર પડી હતી. યુદ્ધ દરમિયાન ઈરાને હોર્મુઝ જળસંધિ બંધ કરી દીધી હતી, જે વિશ્વની કુલ તેલ જરૂરિયાતના આશરે 20 ટકા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. આ કારણે વૈશ્વિક કાચા તેલના ભાવમાં ભારે વધારો થયો હતો.

ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઉછાળાએ અનેક દેશોમાં મોંઘવારી વધારી દીધી હતી. અમેરિકા સહિત પાકિસ્તાન, બ્રિટન, બાંગ્લાદેશ અને ભારતમાં પણ તેલ-ગેસની તંગી જોવા મળી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો અને LPG સિલિન્ડર પણ મોંઘો બન્યો હતો. હવે જો હોર્મુઝ જળસંધિ ફરીથી ખુલે છે અને તેલ-ગેસનો પુરવઠો સામાન્ય બને છે, તો તે ભારત માટે મોટી રાહત બની શકે છે.

પ્રથમ ફાયદો: તેલ અને ગેસની તંગી ઓછી થશે
અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીની અસર કાચા તેલના ભાવ પર પણ જોવા મળી રહી છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 5 ટકા ઘટીને પ્રતિ બેરલ 83 ડોલર આસપાસ પહોંચ્યો છે. WTI ક્રૂડ પણ 5.5 ટકા ઘટીને 80 ડોલર પ્રતિ બેરલ થયો છે. જ્યારે મર્બન ક્રૂડમાં લગભગ 7 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તેનો ભાવ 77 ડોલર પ્રતિ બેરલ આસપાસ રહ્યો છે. ભારત પોતાની જરૂરિયાતનું આશરે 85 ટકા કાચું તેલ આયાત કરે છે. તેથી આ સમજૂતી દેશની ઓઈલ અને ગેસ સપ્લાયને સ્થિર બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

બીજો ફાયદો: પેટ્રોલ-ડીઝલ અને LPG થઈ શકે છે સસ્તા
હોર્મુઝ જળસંધિ ખુલવાથી અને તેલ-ગેસ સપ્લાય ચેઇન સુધરવાથી ભારતનો આયાત પુરવઠો વધશે. જેના કારણે તંગી દૂર થશે. કાચું તેલ સસ્તુ થવાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. LPG ગેસની સપ્લાયમાં પણ સુધારો આવશે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સિલિન્ડરના ભાવ ઘટાડે તેવી શક્યતા છે. તેનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળશે. ઉપરાંત પરિવહન ખર્ચ ઘટવાથી ખાદ્યપદાર્થો અને અન્ય જરૂરી વસ્તુઓની કિંમતો પર પણ સકારાત્મક અસર પડશે.

ત્રીજો ફાયદો: શેરબજારમાં વધશે તેજી
વૈશ્વિક તણાવ, યુદ્ધ અને ભૂરાજકીય સંકટોનો સીધો પ્રભાવ શેરબજાર પર પડે છે. ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ, રશિયા-યુક્રેન સંઘર્ષ અને અમેરિકા-ઈરાન તણાવ દરમિયાન ભારતીય શેરબજારે પણ ભારે દબાણ અનુભવ્યું હતું. પરંતુ ટ્રમ્પ દ્વારા શાંતિ સમજૂતીની જાહેરાત થયા બાદ સોમવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મજબૂત ઉછાળો નોંધાયો હતો. ખાસ કરીને તેલ અને ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં સારો વધારો જોવા મળ્યો હતો.

ચોથો ફાયદો: રૂપિયો મજબૂત બનશે
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ભારતીય રૂપિયાને પણ મોટો ફાયદો થશે. તાજેતરમાં વૈશ્વિક તણાવ વચ્ચે રૂપિયો ડોલર સામે સતત નબળો પડી રહ્યો હતો. તેલના ભાવ ઘટવાથી ભારતનું આયાત બિલ ઓછું થશે અને વેપાર ખાધમાં ઘટાડો આવશે. જેના કારણે રૂપિયાની સ્થિતિ મજબૂત બનવામાં મદદ મળશે.

પાંચમો ફાયદો: ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીયોને રાહત
મધ્ય પૂર્વના યુદ્ધની અસર માત્ર વેપાર અને આયાત-નિકાસ સુધી મર્યાદિત રહી નહોતી. ખાડી દેશોમાં કામ કરતા લાખો ભારતીયો માટે પણ આ સંકટ ચિંતાજનક બન્યું હતું. અહેવાલો અનુસાર લગભગ 90 લાખ ભારતીયો ખાડી દેશોમાં રોજગાર મેળવી રહ્યા છે. શાંતિ સમજૂતીથી તેમની સુરક્ષા અને રોજગાર અંગે ઉભી થયેલી અનિશ્ચિતતા ઘટશે. આ રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી ભારત માટે આર્થિક તેમજ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી સાબિત થઈ શકે છે.

સુરતમાં ફર્નિચર કોન્ટ્રાક્ટરનો શંકાસ્પદ મોત, પરિવાર અને મિત્રોમાં શોક

0

સુરતના સિટી લાઇટ વિસ્તારમાંથી 40 વર્ષીય ફર્નિચર કોન્ટ્રાક્ટરનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે તેમના મિત્રોએ સમગ્ર ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ, સિટી લાઇટ સ્થિત નવમંગલ સોસાયટી પાસે 40 વર્ષીય મંગેશભાઈ સુતારનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મંગેશભાઈ મૂળ રાજસ્થાનના રહેવાસી હતા અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં કૈલાશનગર ચોકડી નજીક પરિવાર સાથે રહેતા હતા.

મંગેશભાઈ ફર્નિચરના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને પત્ની તથા બે સંતાનો સાથે પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના માતા-પિતા હાલમાં વતનમાં રહે છે. અચાનક થયેલા તેમના મોતના સમાચારથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના મિત્ર કલ્પેશ બાફનાએ જણાવ્યું કે, “અમારા ખાસ મિત્ર મંગેશભાઈનું ગત રોજ મોત થયું છે, પરંતુ તેમનું મોત કેવી રીતે થયું તે હજુ સુધી સ્પષ્ટ નથી. સિટી લાઇટની નવમંગલ સોસાયટી નીચે તેમનો મૃતદેહ મળ્યો હતો. સાંજે લગભગ 6 વાગ્યે અમને ફોન આવ્યો હતો કે મંગેશભાઈને કંઈક થયું છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે તેમનો મૃતદેહ પડ્યો હતો.”

કલ્પેશ બાફનાએ વધુમાં આક્ષેપ કર્યો કે જ્યાં મંગેશભાઈ કામ કરતા હતા તે સાઇટનો માલિક પણ ઘટનાસ્થળે હાજર નહોતો. તેમના જણાવ્યા મુજબ, મંગેશભાઈને એવી કોઈ વ્યક્તિગત કે આર્થિક સમસ્યા નહોતી કે તેઓ કોઈ ખોટું પગલું ભરે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “સામે પક્ષના કેટલાક લોકો ઘણા સમયથી તેમને હેરાન કરતા હતા, જેના કારણે તેઓ પરેશાન રહેતા હતા. અમે તેમને કહ્યું હતું કે આ મામલે યોગ્ય નિરાકરણ લાવીશું, પરંતુ મંગેશભાઈએ કહ્યું હતું કે સામે પક્ષ રાજકીય પ્રભાવ ધરાવે છે અને વારંવાર ધમકીઓ આપે છે, જેથી તેઓ કોઈ મોટું પગલું ભરી શકે છે.” હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને મોત પાછળનું સાચું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

NEET પેપર લીકનો ફરી ભંડાફોડ: ટેલિગ્રામ પર ફરતું અસલી પ્રશ્નપત્ર, ચાર આરોપી ઝડપાયા

0

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા, NEET, ફરી એકવાર હેડલાઇન્સમાં છે. ગયા મહિને, એક પેપર લીક થવાથી પરીક્ષા પ્રણાલી પર પ્રશ્નો ઉભા થયા હતા. આ મામલો એ હદ સુધી વધી ગયો કે પરીક્ષાની મોટા પાયે તપાસ શરૂ કરવામાં આવી, જેમાં અનેક રાજ્યોમાં અનેક ધરપકડો અને દરોડા પાડવામાં આવ્યા. હવે, 21 જૂને ફરીથી પરીક્ષા યોજાવાની છે તે પહેલાં, બિહારમાં બનેલી એક ઘટનાએ ઉમેદવારો અને વાલીઓની ચિંતામાં વધુ વધારો કર્યો છે.

મુઝફ્ફરપુરમાં, પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે NEET પરીક્ષાના કથિત પ્રશ્નપત્ર આપવાના નામે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ઓનલાઈન છેતરતી હતી. આ ટોળકી ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવાનોને ફસાવતી હતી. પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આ પહેલા પણ ગેંગના મુખ્ય આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા ગ્રુપ અને ચેનલો ચલાવતા હતા જે NEET ના અધિકૃત પ્રશ્નપત્રો પૂરા પાડવાનો દાવો કરતા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપવામાં આવી હતી કે પરીક્ષા પહેલા પેપર પહોંચાડવામાં આવશે, અને બદલામાં, તેમની પાસેથી મોટી રકમ માંગવામાં આવી હતી. પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો, સારા ભવિષ્યની આશામાં, આવા કૌભાંડોનો ભોગ બન્યા. આરોપીઓએ આ માનસિક નબળાઈનો લાભ લીધો અને છેતરપિંડીનું આખું નેટવર્ક સ્થાપ્યું.

એક ગુપ્ત માહિતી સમગ્ર સત્યનો ખુલાસો કરે છે
મુઝફ્ફરપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કંતેશ કુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર, 2 જૂનના રોજ, પોલીસને એક ગુપ્ત માહિતી મળી હતી કે સિકંદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાર્યરત એક ગેંગ નકલી NEET પ્રશ્નપત્રો તૈયાર કરી રહી છે અને તેને ટેલિગ્રામ દ્વારા વેચી રહી છે. માહિતી મળતાં, પોલીસ ટીમે બાલુઘાટમાં એક ભાડાના મકાનમાં દરોડો પાડ્યો અને ગેંગના મુખ્ય આરોપી મનીષ ઝાની ધરપકડ કરી. શોધ દરમિયાન, તેના કબજામાંથી ચાર મોબાઇલ ફોન અને એક લેપટોપ મળી આવ્યો. પ્રારંભિક તપાસમાં ઘણા મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા મળી આવ્યા, જેનાથી કેસની ગંભીરતામાં વધારો થયો.

વિશેષ તપાસ ટીમની રચના
કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, SSP ના નિર્દેશ પર એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. શહેરના પોલીસ અધિક્ષકની દેખરેખ અને ASP સિટી-1 ના નેતૃત્વ હેઠળ, ટીમે ટેકનિકલ દેખરેખ અને માનવ ગુપ્ત માહિતીના આધારે તપાસ આગળ ધપાવી. મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને બેંકિંગ વ્યવહારોની તપાસ કર્યા પછી, પોલીસ ગેંગના અન્ય સભ્યોને ઓળખવામાં સફળ રહી. સતત કાર્યવાહી દરમિયાન, હર્ષ, અમન કુમાર અને કન્હૈયા કુમાર ઉર્ફે માનવની સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન, હર્ષ કનોડિયાની સિકંદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ભુજના માધાપરમાં 40 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, છાશ પીધા બાદ તબિયત બગડી

ભુજ નજીક આવેલા માધાપરના ઐશ્વર્યાનગર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન આયોજિત બટુકભોજનમાં છાશ પીવાથી આશરે 40 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભોજન લીધા બાદ બાળકોની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, માધાપરના ઐશ્વર્યાનગર વિસ્તારમાં આવેલા એક મંદિરમાં અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે સામૂહિક બટુકભોજન રાખવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારોના 40થી વધુ બાળકો પ્રસાદ ગ્રહણ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

ભોજન દરમિયાન પીરસવામાં આવેલી છાશ પીધા બાદ થોડા જ સમયમાં અનેક બાળકોને પેટમાં દુખાવો, ચક્કર આવવા તેમજ ઉલ્ટી-ઝાડાની ફરિયાદો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં બાળકોની તબિયત લથડતા વાલીઓ અને આયોજકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.

વાસી દહીંના કારણે ફૂડ પોઇઝનિંગની આશંકા
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છાશ બનાવવા માટે મોટી માત્રામાં દહીં બહારથી મંગાવવામાં આવ્યું હતું. ભારે ગરમી અને ભેજવાળા વાતાવરણના કારણે દહીં લાંબા સમય સુધી યોગ્ય ઠંડક વગર બહાર રાખવામાં આવ્યું હોવાની અથવા તે પહેલેથી જ વાસી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દહીંમાંથી તૈયાર કરાયેલી છાશ પીધા બાદ બાળકોમાં ફૂડ પોઇઝનિંગના લક્ષણો જોવા મળ્યા હોવાનું પ્રાથમિક તારણ છે.

તમામ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા
ઘટનાની ગંભીરતા જોતા અસરગ્રસ્ત બાળકોને ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક બાળરોગ નિષ્ણાતોની ટીમ તૈનાત કરીને સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલ સત્તાધીશોના જણાવ્યા મુજબ, સમયસર સારવાર મળી જતાં હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે અને તેઓ જોખમથી બહાર છે.

આરોગ્ય વિભાગે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ હરકતમાં આવી હતી. અધિકારીઓએ ઉપયોગમાં લેવાયેલા દહીં અને છાશના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરી તપાસ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ રિપોર્ટ બાદ ફૂડ પોઇઝનિંગના ચોક્કસ કારણો સામે આવશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુરતના ડીંડોલીમાં 19 વર્ષની વિદ્યાર્થિનીનો આપઘાત

સુરત શહેરમાં આપઘાત અને હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે ડીંડોલી વિસ્તારમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અઠવાલાઈન્સ સ્થિત પી.ટી. સાયન્સ કોલેજમાં MSc ITના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. લાંબા સમયથી માનસિક તણાવમાં રહેતી યુવતીના આપઘાતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

શ્રમજીવી પરિવારની દીકરીએ ભર્યું આ પગલું
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ડીંડોલી નવાગામ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી નગરમાં રાહુલ દેવરે પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ દેવરેની 19 વર્ષીય પુત્રી મોહિની પી.ટી. સાયન્સ કોલેજમાં MSc ITના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, મોહિની છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવનો સામનો કરી રહી હતી અને ઘરમાં પણ મોટાભાગે એકલી અને ગુમસુમ રહેતી હતી.

પિતાએ રૂમમાં જોયું તો પગ નીચેથી જમીન સરકી ગઈ
રવિવારે બપોરના સમયે પરિવારના સભ્યો પોતાના રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા. તે દરમિયાન મોહિનીએ પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેણે રૂમની બારી સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. થોડા સમય બાદ પિતા રાહુલ દેવરે રૂમ પાસે પહોંચ્યા ત્યારે પુત્રીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેઓ આઘાતમાં આવી ગયા હતા. આસપાસના લોકોની મદદથી યુવતીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

તબીબે મૃત જાહેર કરી, પોલીસે તપાસ શરૂ કરી
સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ મોહિનીને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલ તરફથી ઘટનાની જાણ ડીંડોલી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. ડીંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પટનામાં કોચિંગ વિવાદ ગરમાયો: રોશન આનંદને જામીન, ખાન સરની કોચિંગ અચાનક બંધ

0

પટનાના સૌથી મોટા એજ્યુકેશન હબ મુસલ્લહપુર હાટ અને કિસાન કોલ્ડ સ્ટોરેજ કેમ્પસમાં શરૂ થયેલા કોચિંગ વિવાદમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. સોમવારે કોર્ટમાં બંને પક્ષના વકીલો વચ્ચે થયેલી દલીલો બાદ ‘જ્ઞાનબિંદુ જીએસ એકેડમી’ના ડિરેક્ટર રોશન આનંદને જામીન મળી ગયા હતા. આ પછી તરત જ ખાન સરની ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ કોચિંગ સંસ્થાને અચાનક બંધ કરી દેવામાં આવી હતી. ક્લાસ માટે આવેલા સેંકડો વિદ્યાર્થીઓ કોચિંગ બંધ થતાં મુશ્કેલીમાં મુકાયા હતા.

કોચિંગ બંધ થતાં વિદ્યાર્થીઓ પરેશાન
જ્ઞાનબિંદુના ડિરેક્ટર રોશન આનંદને જામીન મળ્યાના સમાચાર વચ્ચે ખાન સરની કોચિંગ સંસ્થા ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ના મેનેજમેન્ટે અચાનક વિદ્યાર્થીઓને તેમના મોબાઈલ ફોન અને કોચિંગ એપ દ્વારા નોટિસ મોકલી હતી. નોટિસમાં વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી હતી કે હાલ પૂરતું કોચિંગ સેન્ટર બંધ રાખવામાં આવી રહ્યું છે. આ અચાનક લેવાયેલા નિર્ણયથી અજાણ વિદ્યાર્થીઓ જ્યારે કોચિંગ સેન્ટર પહોંચ્યા ત્યારે બંધ દરવાજા જોઈ તેઓ નિરાશ થઈ ગયા હતા.

કોચિંગની બહાર ઉભેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “સવારેથી ઘણા વિદ્યાર્થીઓ કોચિંગ માટે આવી રહ્યા છે. કદાચ એપ પર નોટિસ આવી હતી, પરંતુ ઘણા વિદ્યાર્થીઓએ તે જોઈ નહોતી. બંને શિક્ષકો પોતાની જગ્યાએ સારા છે, પરંતુ આવા વિવાદોમાં તેમને પડવું જોઈએ નહીં. આ સમગ્ર મામલાથી વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે અને અમારો અભ્યાસક્રમ પાછળ રહી રહ્યો છે. આ વિવાદ જલ્દીથી સમાપ્ત થવો જોઈએ. બંને સર પોતાની જગ્યાએ ખૂબ સારા છે, પરંતુ શિક્ષકોએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ. વિદ્યાર્થીઓ માત્ર એટલું જ ઇચ્છે છે કે બધું જલ્દી સામાન્ય બને અને કોચિંગ સમયસર શરૂ થાય.”

કોર્ટમાંથી રોશન આનંદને મળ્યા જામીન
કોર્ટમાં લાંબી કાનૂની દલીલો બાદ સોમવારે જ્ઞાનબિંદુ જીએસ એકેડમીના ડિરેક્ટર રોશન આનંદની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. સુનાવણી બાદ વકીલ રમાકાંત શર્માએ જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા કેસ ડાયરીની સમીક્ષા કર્યા બાદ એવું માનવામાં આવ્યું કે રોશન આનંદ પર માત્ર કાવતરું રચવાનો આરોપ છે અને તેઓ ઘટનાના સમયે સ્થળ પર હાજર નહોતા.

આ સાથે કોર્ટે બંને પક્ષોને કડક શબ્દોમાં સૂચના આપતાં જણાવ્યું હતું કે શિક્ષકોએ શિક્ષક જેવા જ વર્તન કરવું જોઈએ. સ્પર્ધા હંમેશા સ્વસ્થ હોવી જોઈએ અને તેમાં કોઈપણ પ્રકારના ગુનાહિત વર્તન માટે સ્થાન હોવું જોઈએ નહીં.