ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં વધુ એક રક્તરંજિત સામૂહિક હત્યાકાંડની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યમુનાનગર ઝોનના મેજા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કુકુરકટવા ગામમાં સોમવારે રાત્રે અજાણ્યા શખ્સોએ એક જ પરિવારના ત્રણ સભ્યોની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. મંગળવારે સવારે આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટનાની વિગતો જાણો
મૃતકોની ઓળખ 70 વર્ષીય શ્યામ લાલ ઉર્ફે કલ્લુ, તેમની પત્ની મંજુ દેવી અને શ્યામ લાલની ભાભી તરીકે થઈ છે. ત્રણેય સોમવારે રાત્રે પોતાના માટીના કાચા મકાનમાં સૂતા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.
મંગળવારે સવારે ઘરના પ્રવેશદ્વાર પાસે ત્રણેયના લોહીલુહાણ મૃતદેહો મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવીને પીડિતોના માથા ઈંટો અને પથ્થરોથી કચડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડીસીપી (યમુનાનગર) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.
હત્યા પાછળનું સંભવિત કારણ
પોલીસના જણાવ્યા મુજબ, પરિવાર અત્યંત ગરીબ હતો અને ઘરની પરિસ્થિતિ જોતા લૂંટફાટના કોઈ સંકેતો મળ્યા નથી. તપાસ દરમિયાન એક મહત્વની માહિતી સામે આવી છે કે પરિવારની એક યુવતી લગભગ એક મહિના પહેલા કોઈ વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી, જેને લઈને લાંબા સમયથી કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હતો.
પોલીસને આશંકા છે કે જૂની અદાવત અથવા પારિવારિક વિવાદના કારણે આ ત્રિપલ મર્ડરની ઘટના બની હોઈ શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને હત્યાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે.