અમેરિકા અને ઈરાન વચ્ચે હવે યુદ્ધનો અંત આવી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું એલાન કરતા શાંતિ સમજૂતી પર સહમતિ જાહેર કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે લાંબા સમયથી બંધ રહેલી હોર્મુઝ જળસંધિ (Hormuz Strait) પરની અમેરિકન નાકાબંધી હટાવી દેવામાં આવી છે અને તેને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી આ શાંતિ સમજૂતી ભારત માટે અનેક રીતે રાહતરૂપ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે તેનાથી ભારત અને ભારતીયોને શું ફાયદા થઈ શકે છે?
હોર્મુઝથી લઈને તેલ સુધી, યુદ્ધે વધારી હતી ચિંતા
ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે પ્રથમ વખત ઈરાન પર હુમલાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઈરાનના વળતા પ્રહારે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધારી દીધો હતો. આ યુદ્ધની અસર વિશ્વના અનેક દેશો પર પડી હતી. યુદ્ધ દરમિયાન ઈરાને હોર્મુઝ જળસંધિ બંધ કરી દીધી હતી, જે વિશ્વની કુલ તેલ જરૂરિયાતના આશરે 20 ટકા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. આ કારણે વૈશ્વિક કાચા તેલના ભાવમાં ભારે વધારો થયો હતો.
ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઉછાળાએ અનેક દેશોમાં મોંઘવારી વધારી દીધી હતી. અમેરિકા સહિત પાકિસ્તાન, બ્રિટન, બાંગ્લાદેશ અને ભારતમાં પણ તેલ-ગેસની તંગી જોવા મળી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો અને LPG સિલિન્ડર પણ મોંઘો બન્યો હતો. હવે જો હોર્મુઝ જળસંધિ ફરીથી ખુલે છે અને તેલ-ગેસનો પુરવઠો સામાન્ય બને છે, તો તે ભારત માટે મોટી રાહત બની શકે છે.
પ્રથમ ફાયદો: તેલ અને ગેસની તંગી ઓછી થશે
અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીની અસર કાચા તેલના ભાવ પર પણ જોવા મળી રહી છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 5 ટકા ઘટીને પ્રતિ બેરલ 83 ડોલર આસપાસ પહોંચ્યો છે. WTI ક્રૂડ પણ 5.5 ટકા ઘટીને 80 ડોલર પ્રતિ બેરલ થયો છે. જ્યારે મર્બન ક્રૂડમાં લગભગ 7 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તેનો ભાવ 77 ડોલર પ્રતિ બેરલ આસપાસ રહ્યો છે. ભારત પોતાની જરૂરિયાતનું આશરે 85 ટકા કાચું તેલ આયાત કરે છે. તેથી આ સમજૂતી દેશની ઓઈલ અને ગેસ સપ્લાયને સ્થિર બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
બીજો ફાયદો: પેટ્રોલ-ડીઝલ અને LPG થઈ શકે છે સસ્તા
હોર્મુઝ જળસંધિ ખુલવાથી અને તેલ-ગેસ સપ્લાય ચેઇન સુધરવાથી ભારતનો આયાત પુરવઠો વધશે. જેના કારણે તંગી દૂર થશે. કાચું તેલ સસ્તુ થવાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. LPG ગેસની સપ્લાયમાં પણ સુધારો આવશે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સિલિન્ડરના ભાવ ઘટાડે તેવી શક્યતા છે. તેનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળશે. ઉપરાંત પરિવહન ખર્ચ ઘટવાથી ખાદ્યપદાર્થો અને અન્ય જરૂરી વસ્તુઓની કિંમતો પર પણ સકારાત્મક અસર પડશે.
ત્રીજો ફાયદો: શેરબજારમાં વધશે તેજી
વૈશ્વિક તણાવ, યુદ્ધ અને ભૂરાજકીય સંકટોનો સીધો પ્રભાવ શેરબજાર પર પડે છે. ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ, રશિયા-યુક્રેન સંઘર્ષ અને અમેરિકા-ઈરાન તણાવ દરમિયાન ભારતીય શેરબજારે પણ ભારે દબાણ અનુભવ્યું હતું. પરંતુ ટ્રમ્પ દ્વારા શાંતિ સમજૂતીની જાહેરાત થયા બાદ સોમવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મજબૂત ઉછાળો નોંધાયો હતો. ખાસ કરીને તેલ અને ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં સારો વધારો જોવા મળ્યો હતો.
ચોથો ફાયદો: રૂપિયો મજબૂત બનશે
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ભારતીય રૂપિયાને પણ મોટો ફાયદો થશે. તાજેતરમાં વૈશ્વિક તણાવ વચ્ચે રૂપિયો ડોલર સામે સતત નબળો પડી રહ્યો હતો. તેલના ભાવ ઘટવાથી ભારતનું આયાત બિલ ઓછું થશે અને વેપાર ખાધમાં ઘટાડો આવશે. જેના કારણે રૂપિયાની સ્થિતિ મજબૂત બનવામાં મદદ મળશે.
પાંચમો ફાયદો: ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીયોને રાહત
મધ્ય પૂર્વના યુદ્ધની અસર માત્ર વેપાર અને આયાત-નિકાસ સુધી મર્યાદિત રહી નહોતી. ખાડી દેશોમાં કામ કરતા લાખો ભારતીયો માટે પણ આ સંકટ ચિંતાજનક બન્યું હતું. અહેવાલો અનુસાર લગભગ 90 લાખ ભારતીયો ખાડી દેશોમાં રોજગાર મેળવી રહ્યા છે. શાંતિ સમજૂતીથી તેમની સુરક્ષા અને રોજગાર અંગે ઉભી થયેલી અનિશ્ચિતતા ઘટશે. આ રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી ભારત માટે આર્થિક તેમજ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી સાબિત થઈ શકે છે.