Monday, Jun 15, 2026

સુરતમાં ફર્નિચર કોન્ટ્રાક્ટરનો શંકાસ્પદ મોત, પરિવાર અને મિત્રોમાં શોક

2 Min Read

સુરતના સિટી લાઇટ વિસ્તારમાંથી 40 વર્ષીય ફર્નિચર કોન્ટ્રાક્ટરનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે તેમના મિત્રોએ સમગ્ર ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ, સિટી લાઇટ સ્થિત નવમંગલ સોસાયટી પાસે 40 વર્ષીય મંગેશભાઈ સુતારનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મંગેશભાઈ મૂળ રાજસ્થાનના રહેવાસી હતા અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં કૈલાશનગર ચોકડી નજીક પરિવાર સાથે રહેતા હતા.

મંગેશભાઈ ફર્નિચરના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને પત્ની તથા બે સંતાનો સાથે પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના માતા-પિતા હાલમાં વતનમાં રહે છે. અચાનક થયેલા તેમના મોતના સમાચારથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના મિત્ર કલ્પેશ બાફનાએ જણાવ્યું કે, “અમારા ખાસ મિત્ર મંગેશભાઈનું ગત રોજ મોત થયું છે, પરંતુ તેમનું મોત કેવી રીતે થયું તે હજુ સુધી સ્પષ્ટ નથી. સિટી લાઇટની નવમંગલ સોસાયટી નીચે તેમનો મૃતદેહ મળ્યો હતો. સાંજે લગભગ 6 વાગ્યે અમને ફોન આવ્યો હતો કે મંગેશભાઈને કંઈક થયું છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે તેમનો મૃતદેહ પડ્યો હતો.”

કલ્પેશ બાફનાએ વધુમાં આક્ષેપ કર્યો કે જ્યાં મંગેશભાઈ કામ કરતા હતા તે સાઇટનો માલિક પણ ઘટનાસ્થળે હાજર નહોતો. તેમના જણાવ્યા મુજબ, મંગેશભાઈને એવી કોઈ વ્યક્તિગત કે આર્થિક સમસ્યા નહોતી કે તેઓ કોઈ ખોટું પગલું ભરે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “સામે પક્ષના કેટલાક લોકો ઘણા સમયથી તેમને હેરાન કરતા હતા, જેના કારણે તેઓ પરેશાન રહેતા હતા. અમે તેમને કહ્યું હતું કે આ મામલે યોગ્ય નિરાકરણ લાવીશું, પરંતુ મંગેશભાઈએ કહ્યું હતું કે સામે પક્ષ રાજકીય પ્રભાવ ધરાવે છે અને વારંવાર ધમકીઓ આપે છે, જેથી તેઓ કોઈ મોટું પગલું ભરી શકે છે.” હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને મોત પાછળનું સાચું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

Share This Article