Home Blog Page 191

કાર્ડિયાક અરેસ્ટથી નેપાળી સિનેમાના દિગ્ગજ અભિનેતા સુનીલ થાપાનું નિધન

0

નેપાળી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સુનીલ થાપાનું 68 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. નેપાળી ફિલ્મોમાં ‘રાતે કાઈલા’ તરીકે જાણીતા આ કલાકારે પોતાની અભિનય ક્ષમતાથી હિન્દી, નેપાળી અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઊંડી છાપ છોડી છે.

હોસ્પિટલના અધ્યક્ષ રાજેન્દ્ર બહાદુર સિંહે પોસ્ટને જણાવ્યું હતું કે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સવારે 7:44 વાગ્યે કરવામાં આવેલા ECGમાં તેમના મૃત્યુની પુષ્ટિ થઈ હતી, જેમાં ડોકટરોને હૃદયરોગન હુમલો હોવાનું શંકા હતી. જ્યારે તેમને લાવવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન હતા. તાત્કાલિક ECG કરવામાં આવ્યું, જેમાં તેમના મૃત્યુની પુષ્ટિ થઈ, હોસ્પિટલના એક સૂત્રએ પોસ્ટને જણાવ્યું.

સુનીલ થાપાની ફિલ્મી સફર અત્યંત રસપ્રદ રહી છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દેવ આનંદે તેમને હિન્દી સિનેમામાં કામ કરવાની તક આપી હતી. તેમની ડેબ્યૂ ફિલ્મ ‘એક દુજે કે લિયે’ માં કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી જેવા કલાકારો હોવા છતાં તેમણે પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વર્ષ 2014માં આવેલી ‘મેરી કોમ’ ફિલ્મ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. એક ઈન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે ‘મેરી કોમ’માં ટ્રેનરનો જે રોલ તેમણે ભજવ્યો હતો, તે પહેલા અમિતાભ બચ્ચન અને ડેનીને ઓફર કરવામાં આવ્યો હતો. આ રોલ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

નેપાળી સિનેમામાં સુનીલ થાપાનું કદ ઘણું મોટું હતું. 1989માં આવેલી ફિલ્મ ‘ચિનો’ ને નેપાળી સિનેમાની ‘શોલે’ કહેવામાં આવે છે અને તેમાં સુનીલ થાપાએ ભજવેલું ‘રાતે કાઈલા’નું પાત્ર એટલું ખતરનાક હતું કે લોકો તેમને ‘ગબ્બર’ સાથે સરખાવવા લાગ્યા હતા. અભિનયની સાથે તેઓ નવી પેઢીને તૈયાર કરવામાં પણ માનતા હતા. તેઓ કાઠમાંડુમાં પોતાની ‘એવરેસ્ટ ફિલ્મ એકેડમી’ ચલાવતા હતા, જ્યાં તેઓ યુવા કલાકારોને માત્ર એક્ટિંગ જ નહીં પણ શિસ્ત અને સમયની કદર કરતા પણ શીખવતા હતા.

વરાછામાં નકલી ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયો

સુરત શહેરમાં ગ્લોબલ માર્કેટ વિસ્તારમાં વેપારીઓને ધમકી આપતો નકલી ઇન્કમટેક્સ અધિકારી બની ફરતો શખ્સ વરાછા પોલીસે ઝડપી લીધો છે. બ્લીસ હોટલ નજીકથી ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ વિજયસિંહ રાવતસિંહ ચૌહાણ તરીકે કરવામાં આવી છે. વરાછા પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી વેપારીઓને મોટી રાહત મળી છે.

પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત, વિશેષ પોલીસ કમિશનર સેક્ટર-1 વાંબાગ જામીર અને ડીસીપી ઝોન-1 આલોક કુમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગુનાઓ અટકાવવા તથા ફરાર અને અજાણ્યા આરોપીઓને ઝડપી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંતર્ગત વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર આર.બી. ગોજિયા અને એચ.બી. પટેલે સ્ટાફને વિસ્તારમાં સતર્ક રહી પેટ્રોલિંગ રાખવા જણાવ્યું હતું.

આ દરમિયાન ગ્લોબલ માર્કેટના વેપારીઓ તરફથી માહિતી મળી હતી કે એક શખ્સ ઇન્કમટેક્સ અધિકારી બની માર્કેટમાં ફરતો હોય છે અને વેપારીઓને ભયમાં મૂકતો હોય છે. આ માહિતીના આધારે સર્વેલન્સ પીએસઆઇ એ.જી. પરમારની ટીમને તપાસ માટે મોકલવામાં આવી હતી.

તપાસ દરમિયાન માહિતી મળી કે નકલી ઇન્કમટેક્સ અધિકારી થોડીવારમાં ગ્લોબલ માર્કેટ નજીક આવેલી બ્લીસ હોટલ ખાતે આવનાર છે. ત્યારબાદ સર્વેલન્સ ટીમ તથા પી.સી.આર સ્ટાફે હોટલ પાસે નજર રાખી હતી અને વેપારીઓ સાથે સંકલન કરી શખ્સની ઓળખ પુષ્ટિ કરી હતી.

ખાતરી થયા બાદ નકલી ઇન્કમટેક્સ અધિકારી બની ફરતો વિજયસિંહ રાવતસિંહ ચૌહાણને બ્લીસ હોટલ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા પી.સી.આર ટીમ દ્વારા કરવામાં આવી હતી.

વરાછા પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને તે અગાઉ પણ ક્યાં-ક્યાં વેપારીઓને ઠગવાનો પ્રયાસ કર્યો હતો તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

મેડિકલમાં પ્રવેશ માટેની NEET PGમાં -40 કટ-ઓફ પર સુપ્રીમ કોર્ટ સ્તબ્ધ, NBEMSને તાત્કાલિક નિર્દેશ

0

નીટ પીજી કટ-ઓફ ઘટાડીને -40 ગુણ કરવો યોગ્ય છે કે નહીં? તે અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. ન્યાયાધીશ પામિદિઘંટમ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે મેડિકલ પોસ્ટગ્રેજ્યુએટ કોર્સમાં એડમિઇશન માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. કોર્ટે અનામત શ્રેણીઓ માટે 0th પર્સન્ટાઇલ (-40 ગુણ) કટ-ઓફ પર નારાજગી વ્યક્ત કરતા પૂછ્યું, “આ ધોરણોનો મામલો છે. શું તેમની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે?”

આ કેસમાં રેગ્યુલર ડોકટરોની લાયકાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા, સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “આ પદ્ધતિ કેમ અપનાવવામાં આવી તે જોઈને અમને આશ્ચર્ય થયું છે. આ બધા નિયમિત ડોકટરો છે.” જવાબમાં, વકીલે સમજાવ્યું કે આ નિર્ણય અનુસ્નાતક બેઠકો ન ખાલી રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો હતો.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસએ 13 જાન્યુઆરીના રોજ NEET PG કાઉન્સેલિંગ માટે કટ-ઓફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. રિવાઈઝ્ડ ક્વોલિફાઈંગ ક્રાઈટેરિયા (સુધારેલા લાયકાત માપદંડ) NEET-PG 2025-26 માટે કાઉન્સેલિંગના ત્રીજા રાઉન્ડ પર લાગુ પડે છે. સૌથી આશ્ચર્યજનક ફેરફાર SC, ST અને OBC શ્રેણીઓ માટે છે, જ્યાં લાયકાત ટકાવારી 40મા પર્સેન્ટાઈલથી ઘટાડીને શૂન્ય પર્સેન્ટાઈલ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે 800 માંથી માઈનસ 40 મેળવનારાઓ પણ મેડિકલ પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ કરી શકે છે. આ સુધારેલા કટ-ઓફ સ્કોરે સહુ કોઈને ચોંકાવી દીધા છે.

વધુમાં, જનરલ અને EWS ઉમેદવારો માટે, ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ 50થી ઘટાડીને 7 મ પર્સેન્ટાઈલ કરવામાં આવી છે, જેનાથી કટ-ઓફ સ્કોર 276 થી ઘટાડીને 103 થઈ ગયો છે. જનરલ PwD ઉમેદવારો માટે, કટ-ઓફ 45માથી ઘટાડીને 5મા પર્સેન્ટાઈલ કરવામાં આવ્યો છે, જેનાથી સ્કોર 255 થી ઘટાડીને 90 કરવામાં આવ્યો છે.

NEET PG કટ-ઓફને માઈનસ 40 ગુણ સુધી ઘટાડવાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર હરિશરણ દેવગન, ન્યુરોસર્જન સૌરભ કુમાર, ડૉ. લક્ષ્ય મિત્તલ (પ્રમુખ, યુનાઇટેડ ડૉક્ટર્સ ફ્રન્ટ), અને ડૉ. આકાશ સોની (સભ્ય, વર્લ્ડ મેડિકલ એસોસિએશન) એ PIL દાખલ કરી હતી. શુક્રવારે અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે NEET PG 2025-26 માટે ક્વોલિફાઇંગ કટ-ઓફ ટકાવારીમાં ઘટાડા અંગે કેન્દ્ર અને NBEMS પાસેથી જવાબ માંગ્યો. કોર્ટે બોર્ડને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.

સુનાવણી દરમિયાન, કોર્ટે ટિપ્પણી કરી કે આ સ્ટેન્ડર્ડ (ધોરણો)નો મામલો છે, અને સવાલ એ છે કે શું તે ધોરણો સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. બેન્ચે સંકેત આપ્યો કે કોર્ટ તપાસ કરશે કે શું નિર્ણય ‘સંપૂર્ણપણે અયોગ્ય’ હતો કે નહીં.

આજથી T20 વર્લ્ડ કપ મહાસંગ્રામની શરૂઆત, આજે 3 મેચો રમાશે

0

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 શનિવાર, 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.

આ વર્ષે ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ ખેલાડીઓ કરતાં મેદાનની બહારની રાજનીતિ અને નાટક વધુ ચર્ચામાં રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન અને સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને ટાઇટલ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

જોકે, ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેના વિવાદોએ વાતાવરણ ગરમ કરી દીધું છે. સુરક્ષા ચિંતાઓ અને ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનના IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) કરાર પરના વિવાદને કારણે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ, પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

આ વર્લ્ડ કપના પહેલા દિવસે કુલ ત્રણ મેચ રમાશે. ઓપનિંગ મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે કોલંબોના સિંહાલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યે રમાશે. બંને ટીમો ગ્રુપ A માં છે. બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે બપોરે ૩:૦૦ વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડને ગ્રુપ C માં સ્થાન આપવામાં આવ્યું છે. આ પછી, સૌથી વધુ જોવાયેલી ગ્રુપ A મેચ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે ૭:૦૦ વાગ્યે રમાશે.

નકશામાં અમેરિકાએ PoK-અક્સાઈ ચીનને ભારતનું બતાવ્યું, પાકિસ્તાનમાં ખળભળાટ

0

અમેરિકા તરફથી પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકા અને ભારતે ટ્રેડ ડીલ માટેનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, પરંતુ આનાથી પાકિસ્તાનની ચિંતામાં મોટો વધારો થયો છે. સવાલ એ છે કે, અમેરિકાએ એવું તો શું કર્યું કે શહબાઝ શરીફ અને આસિમ મુનીરની ઊંઘ ઉડી ગઈ? હકીકતમાં, અમેરિકાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoK ને ભારતનો હિસ્સો માન્યો છે. ભારત હંમેશા માનતું આવ્યું છે કે, PoK ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. હવે અમેરિકાએ પણ ભારતની આ વાત પર મહોર મારી દીધી છે. અમેરિકાએ જે નકશો જાહેર કર્યો છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે પાકિસ્તાનનો કબજો ગેરકાયદેસર છે અને PoK ભારતનો જ ભાગ છે.

અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસ (USTR) એ ભારત-અમેરિકાના નવા વચગાળાના ટ્રેડ એગ્રીમેન્ટની માહિતી આપતી વખતે જે નકશાનો ઉપયોગ કર્યો છે, તેને જોઈને પાકિસ્તાની શાસકો ચોંકી ગયા છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા નકશામાં સમગ્ર કાશ્મીરને ભારતનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. આ નકશા મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પણ ભારતમાં સામેલ છે. આ નકશામાં ન તો કોઈ લાઇન ઓફ કંટ્રોલ (LoC) છે કે ન તો કોઈ વિવાદિત વિસ્તાર; બધું જ સ્પષ્ટપણે ભારતનું બતાવવામાં આવ્યું છે.

નકશામાં શું ખાસ છે?
હકીકતમાં, USTR એ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના વચગાળાના ફ્રેમવર્ક સાથે જોડાયેલી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં અમેરિકન ઉત્પાદનો (જેમ કે ડ્રાય ફ્રૂટ્સ, ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેન, લાલ જુવાર, ફળો વગેરે) માટે ભારતમાં નવા બજાર ખુલવાની વાત હતી. અમેરિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘ટ્રી નટ્સ અને ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેનથી લઈને લાલ જુવાર અને તાજા તથા પ્રોસેસ્ડ ફળો સુધી, અમેરિકા-ભારત સમજૂતી અમેરિકન ઉત્પાદનો માટે નવા માર્કેટ એક્સેસ આપશે.’ પરંતુ આ પોસ્ટ સાથે જોડાયેલા નકશાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં PoK ને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો છે.

અમેરિકાનો મોટો સંકેત
અમેરિકા તરફથી જાહેર કરવામાં આવેલો આ નકશો માત્ર એક તસવીર નથી, પરંતુ અમેરિકાની બદલાતી વિચારધારાનો મોટો સંકેત છે. ભારત હંમેશા કહેતું રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો આખો વિસ્તાર ભારતનો અભિન્ન અંગ છે. જેમાં PoK અને ગિલગિટ-બાલ્ટિસ્થાન પણ સામેલ છે. હવે અમેરિકાના સત્તાવાર એકાઉન્ટ પરથી આવો નકશો આવવાનો અર્થ એ છે કે, વોશિંગ્ટન ભારતની વાત સ્વીકારી રહ્યું છે. આ એવો સંકેત પણ છે કે, અમેરિકા હવે PoK ના મુદ્દે તટસ્થ નથી. આ બાબત તાજેતરમાં થયેલી ભારત-અમેરિકા ટ્રેડ ડીલની સાથે સામે આવી છે. બંને દેશોએ ટેરિફ ઘટાડવા અને ટ્રેડ ડીલના ફ્રેમવર્ક પર સહમતિ સાધી છે.

નેપાળના બૈતાડીમાં જાનૈયાની બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 લોકોના કરુણ મોત

0

દેશમાં વધુ એક બસ દુર્ઘટનાની ભીષણ ઘટના બની છે, જેમાં 13 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. હાલ પોલીસની ટીમ અને તંત્ર દ્વારા ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમજ મૃતકોના પરિજનોને જાણ કરવામાં આવી છે.

જાનૈયાની બસનો ભયંકર અકસ્માત
ભારતીય સરહદને અડીને આવેલા નેપાળના બૈતાડીમાં જાનૈયાનો લઈને જઈ રહેલી એક બસનો ભયંકર અકસ્માત થયો છે, જેમાં ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. આ દુર્ઘટનામાં અનેક જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાય રહ્યું છે. બસ અકસ્માતના પગલે રોડ પર ભયાનક ટ્રાફિક સર્જાયો છે, તેમજ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે.

સ્થાનિક લોકોએ તાત્કાલિક રેસ્ક્યૂ શરુ કર્યું
ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, બૈતાડીના પુરચુની નગરપાલિકાના સત ભવને ગામથી બજહાંગના સુનકુડા જઈ રહેલી એક બસ પુરચુનીના બડગાંવ મોડ પાસે પહોંચી ત્યારે કાબૂ બહાર જતી રહી હતી, જેના પગલે બસ 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જિલ્લા પોલીસ કાર્યાલય બૈતાડીના પોલીસ પ્રવક્તા, પોલીસ નિરીક્ષક બલદેવ બડુએ આ અકસ્માત વિશે જણાવ્યું હતું કે, ‘નેપાળ એપીએફ, પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ કર્યું શરુ કર્યું હતું.’

મૃતકોના નામ આવ્યા સામે
આ દુર્ઘટનામાં જેમનું મૃત્યુ થયું છે, તેમાં 40 વર્ષીય કેશવ રાજ જોશી, 13 વર્ષીય અશોક રાજ જોશી, 35 વર્ષીય બસંત રાજ જોશી, 41 વર્ષીય વિષ્ણુ દત્ત જોશી, 42 વર્ષીય નરેશ રાજ જોશી, 17 વર્ષીય બિશન દત્ત જોશી, 28 વર્ષીય દીપક જોશી અને 46 વર્ષીય કિશન જોશી, 60 વર્ષીય મોહન દેવ ભટ્ટ, 27 વર્ષીય કેશવ ભટ્ટ, 40 વર્ષીય બસંત રાજ રતલા, બજાંગ જય પૃથ્વી, 40 વર્ષીય પુષ્પા અવસ્થીનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનની શિયા મસ્જિદમાં જુમ્માની નમાજે બ્લાસ્ટ, આત્મઘાતી હુમલામાં 24નાં મોત, 101 ગંભીર

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જુમ્માની નમાઝ વખતે એક મસ્જિદમાં મોટો ધમાકો થયો છે, જેમાં 24 લોકોનાં મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકોને ઈજા પહોંચી છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે વિસ્ફોટના સ્થળે અફડાતફડીનું નિર્માણ થયું હતું. ઘટનાસ્થળે પોલીસ અને આર્મીની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે પીડિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટ કસર-એ-ખદીજતુલ કુબરા મસ્જિદમાં વિસ્ફોટ થયો છે, જે શહેરની સૌથી મોટી મસ્જિદ કહેવાય છે. ઘટનાના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા છે. વિસ્ફોટ પછી લોકો દોડધામ કરી મૂકી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદમાં ઈમરજન્સી લાગુ કરી છે.

પાટનગરના તારલાઈ વિસ્તારની મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે, જે શિયા સમુદાયના લોકો માટે જાણીતી છે. આ હુમલામાં આત્મઘાતીના ચિથરા ઉડી ગયા હતા. સ્યુસાઈડર બોમ્બરે નમાઝ વખતે પોતાને ઉડાવ્યો હતો.

પાકિસ્તાનમાં શિયા સમુદાયના બે કરોડ લોકો છે, જ્યારે કુલ વસ્તીની સંખ્યા લગભગ દસથી બાર ટકા છે. નવેમ્બર 2025 પછી ઈસ્લામાબાદમાં આ બીજો વિસ્ફોટ છે. અહીં એ જણાવવાનું કે 2025માં ઈસ્લામાબાદ કોર્ટની બહાર પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયા હતા, જ્યારે 36 લોકો ઘાયલ થયા હતા.

નાના વરાછામાં પોલીસ કમિશનરના PA પર હુમલો, પંચથી નાકમાં ફ્રેક્ચર, આરોપી કાર મૂકી ફરાર

સુરતના નાના વરાછા ઢાળ વિસ્તારમાં ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર લક્ઝરી બસમાંથી ઉતરેલા યુવકો અને એક કારમાં આવેલા લોકો દ્વારા ઝપાઝપી કરી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પંચ (હાથમાં પહેરવાનું હથિયાર) વડે માર મારવામાં આવતા હેડ કોન્સ્ટેબલના નાકમાં ફ્રેક્ચર થયું છે. સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલાગામના વતની અને હાલ નાના વરાછા પટેલ ફળિયા પાછળ આવેલી ગિરનાર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય અક્ષયકુમાર છગનભાઈ આહીર પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવે છે. 5 ફેબ્રુઆરીની રાતે ફરજ પૂરી કરી તેઓ પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. રાત્રે આશરે 10 વાગ્યે નાના વરાછા ઢાળ પાસે આરોગ્ય કેન્દ્ર સામે રોડ પર ટ્રાવેલ્સની બસો અને અન્ય વાહનોના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી અક્ષયકુમાર કારમાંથી ઉતરીને ટ્રાફિક હટાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમયે ત્યાં ઉભેલી જય રામદેવ ટ્રાવેલ્સની બસ (નં. GJ-14-Y-9222) અને તેની પાસે ઊભેલી એક કાર (નં. GJ-16-BK-7191) ટ્રાફિકમાં અડચણરૂપ હોવાથી અક્ષયકુમારે ચાલકોને વાહન હટાવવાનું કહ્યું હતું. આ વાતથી ઉશ્કેરાઈ બસમાંથી ત્રણ વ્યક્તિ અને કારમાંથી ચાલક તથા તેની સાથેનો એક વ્યક્તિ નીચે ઉતર્યા હતા અને “અમને ગાડી હટાવવાનું કહેનાર તું કોણ છે?” કહી ઝઘડો શરૂ કર્યો હતો. અક્ષયકુમારે પોતાની પોલીસ ઓળખ આપી આઈકાર્ડ બતાવ્યું હતું.

આઈકાર્ડ બતાવ્યા બાદ પણ આરોપીઓએ “તું પોલીસ હોય તો શું થયું” કહી ઝપાઝપી કરી હતી. કારચાલકે અક્ષયકુમારનું ગળું પકડી હાથમાં રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે ચારથી પાંચ ઘા માર્યા હતા. લોકો ભેગા થતાં જ હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. લોહી વહી રહ્યું હોવાથી અક્ષયકુમારને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં નાકમાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું.

ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસે અક્ષયકુમારની ફરિયાદના આધારે કારચાલક સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. કારના નંબરના આધારે તપાસ કરતાં વાહન કતારગામ વિસ્તારના વ્યક્તિનું હોવાનું બહાર આવ્યું હતું. હુમલા બાદ કારચાલક પત્નીને ટ્રાવેલ્સમાં મૂકવા આવ્યો હતો અને ત્યારબાદ કાર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર સુધી પહોંચીને વાહન કબજે કર્યું છે. તપાસ દરમિયાન ખુલ્યું કે હુમલા બાદ કારચાલક એક પાનના ગલ્લે ઉભો રહી સિગરેટ પી રહ્યો હતો અને બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો. કારની તપાસ કરતાં અંદરથી ભાજપનો એક ખેસ પણ મળ્યો છે, જેથી કાર માલિક કોઈ રાજકીય કાર્યકર્તા હોવાની શક્યતા પણ તપાસ હેઠળ છે.

ઉપરાંત, કબજે લેવાયેલી કારનું બોનેટ નુકસાનગ્રસ્ત હોવાનું જણાતા ભાગતી વખતે કારનો અકસ્માત થયો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારના નંબર પરથી તપાસ કરતાં વાહન કતારગામ વિસ્તારમાં રહેતા દિવ્યેશ નામના યુવકનું હોવાનું બહાર આવ્યું છે. હાલ કાપોદ્રા પોલીસ આરોપીઓની શોધખોળ હાથ ધરી વધુ તપાસ કરી રહી છે.

દેશભરમાં ઓલા, ઉબેર, રેપિડો બંધ, ડ્રાઈવરોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું

0

ઓલા, ઉબેર અને રેપિડો સાથે સંકળાયેલા ડ્રાઇવરોએ 7 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.’ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન’ તરીકે ઓળખાતી આ હડતાળમાં ડ્રાઇવરોએ તેમની મોબાઇલ એપ્લિકેશનો બંધ કરવી પડશે. આનાથી કેબ, ઓટો અને બાઇક ટેક્સી સેવાઓ પર ગંભીર અસર થવાની ધારણા છે.

જો તમે કાલે ઓલા, ઉબેર અથવા રેપિડો રાઈડ બુક કરાવવાનું વિચારી રહ્યા છો, તો સાવધાન રહેજો. આ કંપનીઓના ડ્રાઈવરોએ કાલે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. તેમણે તેને “ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન” ગણાવ્યું છે અને તેમની મોબાઈલ એપ્સ બંધ રાખશે. આનાથી કેબ, ઓટો અથવા બાઇક ટેક્સી શોધવામાં મુશ્કેલી પડી શકે છે.

હડતાળનું મુખ્ય કારણ
આ હડતાળ TGPWU (તેલંગાણા ગિગ વર્કર્સ યુનિયન) અને અન્ય સંગઠનો દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટપણે જણાવ્યું છે કે 7 ફેબ્રુઆરીએ સમગ્ર ભારતમાં ડ્રાઇવરો કામ બંધ કરશે. તેમનું કહેવું છે કે કોઈ નિશ્ચિત ભાડા કે નિયમો નથી; તેમનું ફક્ત શોષણ થઈ રહ્યું છે. યુનિયને નીતિન ગડકરી (માર્ગ પરિવહન મંત્રી) ને પત્ર લખીને તેમની ફરિયાદો રજૂ કરી છે. ડ્રાઇવરો કહે છે કે સરકારે કોઈ દર નક્કી કર્યા ન હોવાથી, કંપનીઓ પોતાની વિવેકબુદ્ધિથી વેતન કાપે છે. આનાથી ડ્રાઇવરો માટે ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે અને તેમની કમાણીની કોઈ ખાતરી નથી.

ડ્રાઇવરોની મુખ્ય માંગણીઓ
યુનિયન દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર તાત્કાલિક ઓટો, ટેક્સી અને બાઇક ટેક્સી માટે લઘુત્તમ ભાડું નક્કી કરે, અને આ નિર્ણય ડ્રાઇવરો સાથે પરામર્શ કર્યા પછી જ લેવો જોઈએ. તેમણે ખાનગી વાહનો (સફેદ નંબર પ્લેટવાળા) ના વાણિજ્યિક ઉપયોગ પર અથવા તેમને વાણિજ્યિક શ્રેણીમાં રૂપાંતરિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. વધુમાં, યુનિયન ઇચ્છે છે કે સરકાર આ કંપનીઓ પર નજીકથી નજર રાખે જેથી તેમની મનમાની રોકી શકાય અને ડ્રાઇવરોના શોષણને અટકાવી શકાય.

મુસાફરો પર શું અસર થશે?
શનિવારની હડતાળથી મુસાફરીમાં નોંધપાત્ર વિક્ષેપ પડી શકે છે. કેટલાક શહેરોમાં તેની અસર હળવી અને અન્યમાં ગંભીર હોઈ શકે છે, તેથી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે. પ્રથમ, ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ્લિકેશનો પર વાહન શોધવાનું ખૂબ મુશ્કેલ બનશે.

હડતાળ પહેલા પણ થઈ હતી
7 ફેબ્રુઆરીના રોજ થયેલી આ મોટી હડતાળ પહેલા પણ ડ્રાઇવરો અને ડિલિવરી પાર્ટનર્સે તેમની માંગણીઓ માટે ઘણી વખત કામ બંધ કરી દીધું છે. તાજેતરમાં 3 ફેબ્રુઆરી, 2026ના રોજ ગિગ કામદારોએ સલામતી, સારા વેતન અને ’10 -મિનિટ ડિલિવરી’સિસ્ટમ બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હડતાળના મુખ્ય કારણો
ડ્રાઇવરોના અસંતોષનું મુખ્ય કારણ ઓછી કમાણી છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, જ્યારે કંપનીઓ ડ્રાઇવરોના કમિશન ઘટાડી રહી છે. વધુમાં, તેઓ તેમની સલામતી અને નિયમો વિશે ચિંતિત છે. તેઓ “૧૦ મિનિટની ડિલિવરી” જેવા દબાણયુક્ત કામનો વિરોધ કરી રહ્યા છે અને ઇચ્છે છે કે સરકાર તેમના માટે લઘુત્તમ ભાડું નક્કી કરે.

કતારગામ ટીપી રિઝર્વેશન મુદ્દે રહેવાસીઓમાં ભય, ચાર વર્ષથી ન્યાયની લડત, હજારો રસ્તા પર ઉતર્યા

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓના રહેવાસીઓ છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરો અને મિલકતો તૂટી જશે તેવી આશંકામાં ભયના માહોલમાં જીવન જીવી રહ્યા છે. કતારગામની ટીપી સ્કીમ નં. 49, 50 અને 51 હેઠળ કેટલીક રહેણાંક મિલકતોને રિઝર્વેશનમાં મૂકવામાં આવતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો છે. રહેવાસીઓ રિઝર્વેશન દૂર કરવા માટે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેમને કોઈ ઠોસ ઉકેલ મળ્યો નથી.

કતારગામ ચિત્રકૂટ સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે 2002ના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે તમામ ચકાસણી બાદ તેમણે કાયદેસર રીતે મકાનો ખરીદ્યા હતા. હવે અચાનક જ તેમની મિલકતોને રિઝર્વેશન હેઠળ મૂકવામાં આવતાં લગભગ 60 સોસાયટીમાં રહેતા એક લાખથી વધુ લોકો પ્રભાવિત થવાના છે. તાજેતરમાં હજારો રહેવાસીઓએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ન્યાય માટે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

કતારગામના રહેવાસીઓએ જણાવ્યું કે મકાન તૈયાર થયા બાદ કોઈ નોટિસ આપ્યા વગર તેમના ઘરના સ્લેબ તોડી પાડવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. તેમણે કહ્યું કે સરકાર આવાસની વાત કરે છે, જ્યારે અમારી પાસે તમામ દસ્તાવેજ હોવા છતાં મકાન તોડી પાડવાની ધમકી આપવામાં આવી રહી છે, જેના કારણે પરિવાર માનસિક તણાવમાં જીવે છે.

ચિત્રકૂટ સોસાયટીના રહેવાસીઓએ પણ આરોપ લગાવ્યો કે ઝોનલ ઓફિસમાં સહી કરાવી લેવામાં આવે છે અને પછી પ્રક્રિયાનો બહાનો બતાવવામાં આવે છે. મુખ્ય મંત્રી તાજેતરમાં સુરત આવ્યા ત્યારે પણ આ મુદ્દો સ્થાનિક નેતાઓએ રજૂ ન કર્યો હોવાનો રહેવાસીઓનો આક્ષેપ છે.

વધુમાં જણાવ્યું કે તેઓ મ્યુનિસિપલ કૉર્પોરેશન, મેયર, ધારાસભ્યો, શહેરી વિકાસ મંત્રી તથા મુખ્ય મંત્રી સુધી રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. તેમણે કહ્યું કે 2004ના ડ્રાફ્ટ પ્લાન દરમિયાન અહીં કોઈ રિઝર્વેશન ન હતું અને મ્યુનિસિપલ કચેરીમાં તમામ ચકાસણી બાદ લોકોએ પ્લોટ અને મકાન ખરીદ્યા હતા.

કતારગામ વિસ્તારમાં ઘણા લોકોએ બેંક લોન લઈને મકાન લીધાં છે અને હજુ પણ હપ્તા ભરી રહ્યા છે. તમામ કાગળો હોવા છતાં જો મકાન રિઝર્વેશનમાં મૂકવામાં આવશે તો તેઓ ક્યાં જશે તે સૌથી મોટો પ્રશ્ન છે. અન્ય એક રહેવાસીએ જણાવ્યું કે તેમના ઘરના ભાગ પર પહેલેથી જ તોડફોડ કરવામાં આવી છે અને આગળ પણ તોડવાની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે પરિવાર સતત ડરમાં જીવે છે.

ચિત્રકૂટ સોસાયટીના રહેવાસીઓએ કહ્યું કે અન્ય શહેરોમાં જેમ કે જૂનાગઢ સહિતની મહાનગરપાલિકાઓમાં ટીપી સ્કીમમાં ખામીઓના કારણે વેરિયેશન કરવામાં આવ્યા છે. એ જ રીતે કતારગામની ટીપી સ્કીમમાં પણ સુધારો કરી તાત્કાલિક નોટિફિકેશન બહાર પાડવું જોઈએ. તેમણે દાવો કર્યો કે ઘણા મકાનો પર ઇમ્પેક્ટ ફી પણ ભરવામાં આવી છે, જેનો હેતુ લોકોને ઘર બચાવવાનો હતો, પરંતુ આજે તો મકાન તૂટી જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

આ મુદ્દો છેલ્લા ચાર વર્ષથી સુરતમાં સળગતો રહ્યો છે અને તેમાં ભ્રષ્ટાચારના આરોપો પણ સામે આવ્યા છે. વર્ષ 2023માં ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા મંત્રી નાનુભાઈ વાનાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી દાવો કર્યો હતો કે રહેણાંક મકાનો, કોમ્યુનિટી હોલ અને સોસાયટીના રોડને રિઝર્વેશન હેઠળ મૂકી જમીનના માલિકોને નબળી જગ્યાએ પ્લોટ આપીને સારી જગ્યાના પ્લોટ ફાળવવામાં આવ્યા, જે સમગ્ર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની આશંકા દર્શાવે છે.