ગુજરાતમાં નકલી દવા અને ભેળસેળનો ધંધો કરનારાઓ માટે હવે મુશ્કેલી વધી શકે છે.જનઆરોગ્ય સાથે ચેડાં સામે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)એ ઓગસ્ટ દરમિયાન કડક કાર્યવાહી કરી છે. આજે સામે આવેલી વિગતો મુજબ ગંભીર ક્ષતિઓ બદલ 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઓગસ્ટ-2026ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. FDCAએ રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ બે દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપ્યા, જ્યારે આઠ ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત કર્યા છે. ઉપરાંત 11 દવાઓના બનાવટ પરવાના રદ કરાયા છે અને લેબોરેટરી તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાઓના ઉત્પાદકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
નકલી ‘Nicardia Retard 10’ના કેસમાં પણ તપાસ આગળ વધારવામાં આવી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરીને સપ્લાય ચેઇન સુધી તપાસ લંબાવવામાં આવી હતી. વડોદરાના વાઘોડિયામાં ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ખાદ્ય સુરક્ષાના મોરચે પણ મોટી કાર્યવાહી થઈ છે. ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં 2,238થી વધુ ખાદ્ય વ્યવસાય એકમોની તપાસ કરવામાં આવી અને 2,591 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન તેલ, ઘી, દૂધ અને મરચાં પાઉડર સહિત 42,988 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત થયો, જેની અંદાજિત કિંમત રૂ.93.47 લાખ છે.
તંત્રએ તહેવારો દરમિયાન દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદી ખાદ્યચીજોની ગુણવત્તા પર સતત દેખરેખ રાખવાના પણ નિર્દેશ આપ્યા છે.





