Home Blog Page 190

સુરતના નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

સુરતમાં ફરી ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગી છે. પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેકસ્ટાઈલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાતામાં આગ લાગતા અફરાતફરી મચી છે. ખાતામાં જથ્થાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા પાંચ ફાયર સ્ટેશનની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક પહેરી અંદર પ્રવેશ કરીને પાણીનો મારો ચલાવી રહ્યા છે.

ટેક્સટાઇલ માર્કેટમાં આગના પગલે ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. રવિવાર હોવાથી હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

ડિવિઝનલ ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢે જણાવ્યું કે, નિધિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં વાયરિંગની પ્લેટમાં આગ લાગી હતી. આ આગ પ્રસરતા વીજ મીટરોને પણ આગ લાગી ગઈ હતી અને તેના કારણે ખૂબ પ્રમાણમાં ધુમાડો નીકળ્યો હતો, જેના કારણે એવું લાગ્યું કે આખી બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ. તપાસ કરતા બેઝમેન્ટનું ફાયર ટ્રેસ કર્યું હતું અને જેના કારણે 20થી 25 ગાડીઓ ઘટનાસ્થળે બોલાવી હતી.

સવારે 7.30નો કોલ હતો અને આગને કાબૂમાં લેવામાં બે કલાકથી વધુનો સમય લાગ્યો હતો. હાલમાં આગ લાગવા પાછળનું કારણ અને કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું હતુ નથી. શોટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો લગાવેલા છે અને તે ચાલુ હાલતમાં છે.

31 વર્ષ જૂના કેસમાં અડધી રાતે પપ્પુ યાદવની ધરપકડ, ઘરે પહોંચ્યા 100 પોલીસકર્મીઓ

0

બિહારના પૂર્ણિયાથી લોકસભા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની પટના પોલીસે શુક્રવારે (6 ફેબ્રુઆરી 2026) રાત્રે આશરે 12 વાગ્યે ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી 31 વર્ષ જૂના એક કેસમાં પટનાની વિશેષ અદાલત દ્વારા જારી કરાયેલા અરેસ્ટ વોરન્ટ પર કરવામાં આવી છે, જેમાં પપ્પુ યાદવ સહિત ત્રણ આરોપીઓ સામે સખ્ત વલણ અપનાવવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર, પોલીસની ટીમ શુક્રવારે રાત્રે આશરે 12 વાગ્યે મંદિરીમાં આવેલા પપ્પુ યાદવના નિવાસસ્થાને પહોંચી હતી. ધરપકડની પ્રક્રિયા દરમિયાન લગભગ ત્રણ કલાક સુધી તણાવપૂર્ણ વાતાવરણ રહ્યું. આ દરમિયાન પપ્પુ યાદવની તબિયત અચાનક બગડી અને તેઓ બેહોશ થઈ ગયા, જેનાથી તેમના સમર્થકોમાં રોષ ફેલાયો અને કેટલાક સમય માટે માહોલ તણાવપૂર્ણ બની ગયો.

સ્થિતિ સામાન્ય થયા બાદ પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા અને પોતાની સાથે લઈ ગયા. ધરપકડ વખતે પપ્પુ યાદવે કહ્યું કે તેમને આ કેસ વિશે સ્પષ્ટ માહિતી નથી. તેમણે કહ્યું કે, “આ યોગ્ય નથી, મારી સાથે શું થશે એ કહેવું મુશ્કેલ છે.”

ધરપકડ બાદ તેમને રાત્રે તપાસ માટે ઇન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થાન (IGIMS) લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. પોલીસ અધિકારીઓ અનુસાર આજે (શનિવાર, 7 ફેબ્રુઆરી) તેમને સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પપ્પુ યાદવની ધરપકડ માટે તેમના નિવાસસ્થાને મોટાપાયે પોલીસદળ તહેનાત કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન સિટી એસપીના નેતૃત્વમાં 5 ડીએસપી, 6 પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અને આશરે 100 પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

પટનાના એસપી સિટી ભાનુ પ્રતાપ સિંઘે જણાવ્યું કે આ કેસ 1995નો છે, જેમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ ટ્રાયલ ચાલી રહી છે. તેમણે કહ્યું કે સંબંધિત કેસમાં સાંસદે અદાલતમાં હાજર રહેવાનું હતું, પરંતુ નિર્ધારિત તારીખે તેઓ હાજર થયા નહીં. આ જ કારણે અદાલતના આદેશ પર તેમની ધરપકડ કરવામાં આવી.

31 વર્ષ જૂનો કેસ શું છે?
વિવાદનું મૂળ 1995નો એક કેસ છે, જેમાં આરોપ છે કે પપ્પુ યાદવે પટનાના ગર્દનીબાગ વિસ્તારમાં આવેલું એક મકાન ભાડે લીધું હતું, પરંતુ તેમણે તે મકાન પર કબજો કરી લીધો. ફરિયાદી વિનોદ બિહારી લાલ અનુસાર, યાદવે મકાનને વ્યક્તિગત ઉપયોગ માટે લેવાનું કહ્યું હતું, પરંતુ પછી તે જ મકાનને રાજકીય કાર્યાલય તરીકે વાપર્યું. જ્યારે મકાનમાલિકને તેની ખબર પડી તો બંને પક્ષો વચ્ચે વિવાદ થયો અને તેમણે ગર્દનીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

આ કેસ ગર્દનીબાગ પોલીસ સ્ટેશનમાં નંબર 552/1995 હેઠળ નોંધાયો હતો, જેમાં પપ્પુ યાદવ પર છેતરપિંડ, ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ, આપરાધિક ધમકી અને આપરાધિક કાવતરું જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. લાંબા સમયથી આ કેસ સાંસદ-ધારાસભ્યન (MP-MLA) વિશેષ અદાલતમાં વિચારાધીન હતો અને ત્યાં તેની નિયમિત સુનાવણી ચાલી રહી હતી.

કોર્ટના રેકોર્ડ અનુસાર, યાદવને અનેક વખત સમન જારી કરીને અદાલતમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ નિર્ધારિત તારીખે હાજર થયા નહીં. અદાલતે આને ન્યાયિક પ્રક્રિયાની અવગણના ગણીને પહેલાં તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો અને ત્યારબાદ તેમની સામે ધરપકડ વોરન્ટ જારી કર્યું. કોર્ટના આદેશનું પાલન કરતા પટના પોલીસે શુક્રવારે અડધી રાતે તેમની ધરપકડ કરી.

લગ્નનું ખોટું વચન આપી યુવતીનું શોષણ, વીડિયો બનાવી ધમકી આપનાર ગેંગનો સુરતમાં પર્દાફાશ

0

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે લગ્નના ખોટા વચનો આપી દુષ્કર્મ, વીડિયો બનાવી બ્લેકમેઈલિંગ અને મિત્રો સાથે શારીરિક શોષણ કરાવ્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપી અશોકે પોતે પરિણીત હોવા છતાં કુંવારો હોવાનું કહી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ફરિયાદ અનુસાર, નવેમ્બર 2024માં પી.જી.માં કોઈ હાજર ન હોય ત્યારે અશોકે યુવતીને ત્યાં બોલાવી લગ્નની ખાતરી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતીની જાણ વગર મોબાઈલમાં અંગત વીડિયો પણ ઉતારી લીધો હતો. બાદમાં જ્યારે યુવતીને અશોકના લગ્ન વિશે ખબર પડી અને તેણે સંબંધ તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું.

બ્લેકમેઈલિંગના આધારે અશોકે યુવતીને પોતાના મિત્રો લાલા દરબાર, ભવદીપ અને સંબંધી રણજિત સાથે પણ સંબંધ બાંધવા મજબૂર કરી હતી. આ તમામ આરોપીઓએ અલગ-અલગ સમયે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. સાથે જ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીને ચૂપ રાખવામાં આવી હતી.

2 આરોપીની ધરપકડ, ફરારની શોધખોળ
ફરિયાદ મળતાં જ વરાછા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.બી. પટેલ એક્શનમાં આવ્યા હતા. પોલીસે તમામ 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વર્તમાન રિપોર્ટ મુજબ, પોલીસે આ પૈકીના 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો હાલમાં દરોડા પાડી રહી છે.

DCP આલોક કુમારે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રહેણાક સોસાયટીમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનારી યુવતીની ફરિયાદ અનુસાર, વર્ષ 2024થી અત્યારસુધી ચાર શખસોએ અલગ-અલગ સમયે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

‘મુખ્ય આરોપી અશોક પીડિતાના ઘરની નજીક જ રહેતો હતો’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે વરાછા પોલીસે તત્કાલ કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે અને મુખ્ય આરોપીઓ અશોક કાઠી દરબાર, લાલો, ભવદીપ રણજિત આહીર અને અર્જુન આહીર પૈકી બે આરોપી (રણજિત અને અર્જુન)ની ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી અશોક પીડિતાના ઘરની નજીક જ રહેતો હતો અને પ્રેમસંબંધનો ગેરફાયદો ઉઠાવી તેણે પોતાના મિત્રો સાથે મળી આ કૃત્ય આચર્યું હતું. હાલ પોલીસે બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

સુરત મનપાનું ₹11,301 કરોડનું બજેટ મંજૂર, કરવેરા વગર મહિલાઓ, સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગને મોટી રાહત

દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરના વિકાસને નવી ગતિ આપવા માટે સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટે રૂ.11,301 કરોડનું ઐતિહાસિક બજેટ મંજૂર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા રૂ.10,593 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિએ રૂ.708 કરોડનો વધારો કરીને કુલ બજેટ મંજૂર કર્યું છે. મહત્વની બાબત એ છે કે આ વર્ષે પણ કોઈપણ પ્રકારના મ્યુનિસિપલ કર અથવા દરોમાં વધારો કરવામાં આવ્યો નથી, જેથી મોંઘવારીના સમયમાં સુરતીઓને સીધી રાહત મળી છે.

બજેટમાં મહિલાઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. વિધવા મહિલાઓના નામે નોંધાયેલી મિલકતોને મિલકતવેરામાં સંપૂર્ણ મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારની સહાય મેળવતી વિધવા બહેનો લાભાર્થી કાર્ડ રજૂ કરીને આ છૂટ મેળવી શકશે. સાથે જ શહેરમાં મહિલા સ્વસહાય જૂથો અને સખી મંડળોને પ્રોત્સાહન આપવા માટે ‘સુરતી હાટ બજાર’ શરૂ કરાશે, જ્યાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ તરીકે સુરત BRTSમાં મુસાફરી સંપૂર્ણ મફત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સિનિયર સિટીઝન્સને સિવિક સેન્ટર પરથી પાસ કાઢીને આ સુવિધાનો લાભ મળશે. મહિલાઓ માટે પણ રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ સિટી બસ અને BRTSમાં મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. સાથે શહેરમાં 250 નવા પિંક ટોયલેટ બનાવવામાં આવશે.

શહેરના વિકાસ કાર્યો માટે બજેટમાં રૂ.656 કરોડનો વિશેષ વધારો કરવામાં આવ્યો છે. આ રકમથી નવા ફ્લાયઓવર, રસ્તાઓનું નવીનીકરણ, ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત બનાવવી અને સ્માર્ટ સિટી સંબંધિત પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સિંગણપોરથી કોઝવે સુધી આધુનિક પાથવે અને લેન્ડસ્કેપિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ધાર્મિક સંસ્થાઓ માટે પ્રથમ વખત રૂ.25 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ગ્રાન્ટથી ધાર્મિક સ્થળોએ પાણી, રસ્તા, પેવર બ્લોક અને સોલર પેનલ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. સાથે જ શહેરની અંદાજે 1160 રહેણાંક સોસાયટીઓને મળતી સફાઈ ગ્રાન્ટ વધારીને રૂ.1.5 પ્રતિ ચોરસ મીટર કરવામાં આવી છે.

નાગરિક સુવિધા વધારવા માટે શહેરના તમામ 30 વોર્ડમાં નવા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરાશે. આ ઉપરાંત સુરતના મહત્વના આકર્ષણ સરથાણા નેચર પાર્કનું આધુનિકીકરણ કરવામાં આવશે, જેથી તેને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય.

શિક્ષણ ક્ષેત્રે પણ મોટી ફાળવણી કરવામાં આવી છે. મનપાની 362 શાળાના કુલ 1,99,186 વિદ્યાર્થીઓને રૂ.15 કરોડના ખર્ચે રમતગમતના ગણવેશ આપવામાં આવશે. વધુ 20 શાળાઓમાં હાઇ-ટેક લેબ સ્થાપિત કરવામાં આવશે, જેના લાભ અંદાજે 15 હજાર વિદ્યાર્થીઓને મળશે. AR/VR આધારિત શિક્ષણ માટે રૂ.1.50 કરોડ અને શાળાઓમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા ફોટોકોપિયર માટે રૂ.2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આરોગ્ય સુવિધાઓ માટે સ્મીમેર હોસ્પિટલમાં અત્યાધુનિક બ્લડ સેન્ટર અને એફેરેસીસ યુનિટ માટે રૂ.2 કરોડ ફાળવવામાં આવ્યા છે. સેન્ટ્રલ લેબોરેટરીમાં મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક અને એડવાન્સ પેથોલોજી સુવિધાઓ માટે રૂ.2.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે પૂણા-સીમાડા અને સરથાણા વિસ્તારમાં નવા આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી છે.

શહેરના રમતગમત અને જાહેર સુવિધા ક્ષેત્રે મોટા વરાછા અને પાલ-હજીરા રોડ પર અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પૂલ બનાવાશે. સરથાણા વિસ્તારમાં જંકશન રિમોડેલિંગ અને ફૂટ ઓવરબ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, ચૂંટણી પૂર્વ વર્ષમાં રજૂ થયેલું આ બજેટ સુરતના વિકાસ સાથે મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયું હોવાનું સ્પષ્ટ થાય છે.

ઓનલાઈન ગેમિંગમાં ફસાઈ 16 વર્ષની સગીરા, દુષ્કર્મ બાદ અપહરણ કરનાર યુવક બંગાળથી ઝડપાયો

અમદાવાદમાંથી તાજેતરમાં એક ગેમિંગ જેહાદનો મામલો સામે આવ્યો છે, જેમાં એક 16 વર્ષીય હિંદુ સગીરાને એક પશ્ચિમ બંગાળના યુવકે ઓનલાઇન ગેમિંગના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે તેને મળવા માટે અમદાવાદ આવ્યો હતો. જ્યાંથી સગીરાના ઘરે પણ ગયો અને આરોપ છે કે ત્યાં તેણે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને લઈને પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થયો હતો, પરંતુ પોલીસને જાણ થઈ જતાં ખડગપુર રેલવે સ્ટેશને બંનેને પકડી લીધાં હતાં. ત્યારબાદ સગીરાને પરિવારને સોંપવામાં આવી અને આરોપી યુવકની ધરપકડ કરી લેવાઈ હતી.

પીડિતા 16 વર્ષની છે અને અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહે છે. હાલ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. આરોપીની ઓળખ આશિક ઉર્ફે અરમાન મોહમ્મદ અઝગર (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે, જે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને ત્યાં મજૂરીનું કામ કરે છે.

મીડિયા અહેવાલો અનુસાર, આરોપી અને સગીરા વચ્ચે આશરે દોઢ વર્ષ પહેલાં ઓનલાઈન મોબાઈલ ગેમ ‘ફ્રી ફાયર’ રમતી વખતે મિત્રતા થઈ હતી. ગેમ દરમિયાન જ બંનેએ એકબીજાના મોબાઈલ નંબર લીધા અને વોટ્સએપ પર નિયમિત ચેટિંગ શરૂ થઈ. દરમ્યાન અગાઉ પણ બે વખત આરોપી અમદાવાદ આવ્યો હતો અને સગીરાના ઘરે કોઈ ન હોય ત્યારે તેને મળી ગયો હતો તેવું પણ તપાસમાં જાણવા મળ્યું છે.

તાજેતરમાં અજગર 22 જાન્યુઆરી 2026ના રોજ પશ્ચિમ બંગાળથી અમદાવાદ આવ્યો હતો અને પીડિતાના ઘરે પહોંચ્યો હતો. આરોપ છે કે જ્યારે ઘરમાં કોઈ ન હતું ત્યારે તેણે સગીરા સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. ત્યારબાદ તેણે સગીરાને ફોસલાવી અને પશ્ચિમ બંગાળ તેની સાથે આવવા માટે કહ્યું. 23 તારીખે બંને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને બંગાળ જવા રવાના થઈ ગયાં હતાં.

બીજી તરફ પીડિતા ગાયબ થતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને કોઈ ભાળ ન મળતાં પરિવારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને મોબાઈલ લોકેશન, કોલ રેકોર્ડ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન શોધી કાઢ્યું. બંને ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ જઈ રહ્યાં હોવાનું જાણીને ખડગપુર રેલવે પોલીસને એલર્ટ કરવામાં આવી હતી.

ટ્રેન ખડગપુર પહોંચતાં જ રેલવે પોલીસે આરોપી અને પીડિતાને ઝડપી લીધાં હતાં. વેજલપુર પોલીસની ટીમ પણ ત્યાં પહોંચીને આરોપીની કસ્ટડી લઈને અમદાવાદ પરત લાવી અને પીડિતાને તેના પરિવારને સોંપી દીધી છે. વેજલપુર પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત પોક્સો એક્ટ અને એસસી/એસટી એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે. આરોપીનો મેડિકલ રિપોર્ટ બાકી છે, ત્યારબાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

એ.એમ. ડિવિઝનના એસીપી એ.બી.વાળંદે જણાવ્યું કે, “અમારા ટેકનિકલ સર્વેલન્સમાં આરોપી ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ તરફ જઈ રહ્યો હોવાનું જણાયું હતું. અમે તાત્કાલિક ખડગપુર રેલવે પોલીસને એલર્ટ કરી હતી. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે.”

પીએમ મોદી બે દિવસના પ્રવાસે મલેશિયા પહોંચ્યા, વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે કર્યું સ્વાગત

0

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મલેશિયા શનિવારે મલેશિયા પહોંચ્યા છે. તેવો કુઆલાલંપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા તેની બાદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે પીએમ મોદીને પોતાની કારમાં બેસાડીને સાથે જ એક કાર્યક્રમ માટે રવાના થયા હતા.

આ અંગે પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ભારત-મલેશિયા જનસબંધોની ઉજવણી કરી રહ્યું છે. હું અને વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ કુઆલાલંપુર માં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સાથે જઈ રહ્યા છીએ.

એક જ કારમાં કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા
પીએમ મોદીનું કુઆલાલંપુર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મલેશિયાના વડાપ્રધાને પીએમ મોદીને ગળે લગાવ્યા અને તેમના ખબરઅંતર પૂછ્યા. ત્યારબાદ બંને નેતાઓ એક જ કારમાં કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા હતા.

મલેશિયા પહોંચ્યા બાદ પીએમ મોદીએ એક્સ પર લખ્યું, “કુઆલાલંપુર પહોંચ્યો, મારા મિત્ર વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ દ્વારા એરપોર્ટ પર કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગતથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું તેમની સાથે વાતચીત કરવા અને ભારત અને મલેશિયા વચ્ચે મિત્રતાના બંધનને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું.”

સુરતના લિંબાયતમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી

0

સુરત શહેરના લિંબાયતની એક સ્કૂલમાં અભ્યાસ કરતા બે બાળકો રાત્રીના સમયે પોતના ઘરે રમતા હતા. ત્યારે પાડોશમાં રહેતો મહેન્દ્ર અશોકભાઈ શાહ (ઉ.વ.૫૨)એ એકલતાનો લાભલઈને સગીરાને કેરેટ ઉપર બેસાડીને તેણીની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ગભરાયેલી આ સગીરાએ તાત્કાલીક પોતાના ઘરે જઈને માતાને સમગ્ર હકીકત કહેતા તેઓ ચોંકી ઉઠયા હતા.

બનાવ અંગે પરિવારની સાથે વાત કરીને મહેન્દ્રની સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને મહેન્દ્રની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરી હતી, જ્યારે ભોગનનારી સગીરા તરફે એડવોકેટ મનોજ પવાર દ્વારા દલીલો કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ સંસ્કૃતના એક શ્લોકને ટાંકીને ચૂકાદો આપ્યો હતો કે, જ્યાં નારીઓની પૂજા અને સત્કાર થાય છે ત્યાં સદા ભગવાનની કૃપા રહે છે.

જ્યાં નારીઓના આદર, સત્કરા થતા નથી ત્યાં શુભકાર્યો પણ થતા નથી. સ્ત્રી અમૂલ્ય છે પરંતુ તે અલંકાર કે વસ્તુ નથી સ્ત્રી મનોરંજન કે ભોગવિલાસનું સાધન નથી. આરોપીએ બાળાના પાડોશી છે, અને તેમની જવાબદારી બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવું વાતાવરણ પુરુ પાડવાની છે. જો આરોપી દ્વારા આવું દુષ્કર્મ કરાઈ તો તેને છોડી દેવાઈ નહીં તેમ ટાંકીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા કરી હતી.

અમદાવાદના જમાલપુરમાં 8 વર્ષના બાળક પર યૌન દુષ્કર્મ, આરોપી નૌમાન શેખની ધરપકડ

અમદાવાદના જમાલપુરમાં એક 8 વર્ષના માસૂમ બાળક સાથે યુવકે તકનો લાભ લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. મસ્જિદમાં નમાજ કરવા માટે આવેલા યુવકે બાળકને ધાબે લઈ જઈને બાળક સાથે કુકર્મ કર્યું હતું. બનાવ અંગે બાળકે તેના વાલીને જાણ કરી હતી. વાલીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

જમાલપુરમાં આવેલી મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ માટે આવ્યો હતો. આ દરમિયાન કેટલાંક બાળકો પણ મસ્જિદમાં આવ્યાં હતાં. નૌમાને આ દરમિયાન એક 8 વર્ષના બાળક સાથે વાતચીત કરી હતી, જે બાદ બાળકને લાલચ આપીને મસ્જિદના ધાબે લઈ ગયો હતો. બાળકને ધાબે લઈ જઈને નૌમાને તકનો લાભ લઈને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એ બાદ બાળકને રવાના કરી દેતાં તે નીચે આવ્યું હતું. એ બાદ નૌમાન પણ નીચે આવ્યો હતો.

બાળકે આ અંગે તેના વાલીને જાણ કરી હતી. એ બાદ વાલીએ ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી નૌમાનની ધરપકડ કરી હતી. નૌમાન બાળકને લઈને જતો અને પરત આવતો CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યો છે. પોલીસે CCTV ફૂટેજ અને મેડિકલ રિપોર્ટના આધાર વધુ તપાસ હાથ ધરી છે.

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના PI સી.વી.ગોસાઈએ જણાવ્યું હતું કે આરોપી બાળકને નમાજ શીખવાડવાનું કહીને ધાબે લઈ ગયો હતો. આરોપી 20 મિનિટ સુધી બાળકને લઈને ધાબે રહ્યો હતો. બાળક હાલ સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ હાલ ગંભીર છે.

30 વર્ષની લડાઈ બાદ નિર્દોષ ઠરેલા પોલીસ કોન્સ્ટેબલનું બીજા જ દિવસે મોત

0

અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે 30 વર્ષની કાનૂની લડાઈ બાદ 20 રૂપિયાના લાંચ કેસમાં એક પોલીસ કોન્સ્ટેબલને નિર્દોષ જાહેર કર્યો હતો, પરંતુ ન્યાય મળ્યાના બીજા જ દિવસે તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે. 1996માં તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

1997માં અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 2002માં તેમની સામે ઔપચારિક આરોપો ઘડવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે ૨૦૦૩માં સાક્ષીઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું હતું અને 2004માં બાબુભાઈ પ્રજાપતિને દોષિત ઠેરવ્યા હતા. સેશન્સ કોર્ટે તેમને ભ્રષ્ટાચાર બદલ ચાર વર્ષની સખત કેદ અને ₹3,000 દંડની સજા ફટકારી હતી. બાબુભાઈ પ્રજાપતિએ તે જ વર્ષે ગુજરાત હાઈકોર્ટમાં આ નિર્ણયની અપીલ કરી હતી.

આ કેસ લગભગ બે દાયકા સુધી હાઈકોર્ટમાં પેન્ડિંગ રહ્યો. અંતે, 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ, ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ અને ફરિયાદ પક્ષના કેસમાં નબળાઈઓને ટાંકીને, કોર્ટે બાબુભાઈ પ્રજાપતિને નિર્દોષ જાહેર કર્યા. કોન્સ્ટેબલનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ નીતિન ગાંધીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપો સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી અને સાક્ષીઓના નિવેદનો અસંગત છે. કોર્ટે આ દલીલો સ્વીકારી, 30 વર્ષ જૂના કલંકને દૂર કર્યો.

ચુકાદો જાહેર થયા પછી, બાબુભાઈ પ્રજાપતિ તેમના વકીલની ઓફિસમાં ગયા. ત્યાં, વકીલે તેમને નિર્દોષ જાહેર થયા પછી રોકેલા સરકારી લાભો માટે અરજી કરવાની સલાહ આપી. આ સમય દરમિયાન, બાબુભાઈ પ્રજાપતિ ભાવુક થઈ ગયા. તેમણે તેમના વકીલને કહ્યું, “મારા જીવનનું કલંક દૂર થઈ ગયું છે. હવે ભગવાન, કૃપા કરીને મને તમારી પાસે પાછો લઈ લો.” આ નિવેદન વકીલની ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયું.

આજની દેશવ્યાપી હડતાળથી Ola, Uber, Rapido સેવા ઠપ, મુસાફરો પરેશાન

0

જો તમે આજે ઓલા, ઉબેર અથવા રેપિડો જેવી રાઇડ દ્વારા મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા હોય તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દેશભરના ગિગ ડ્રાઇવરો દ્વારા આજે હડતાળની જાહેરાત કરી છે, જેના કારણે દેશભરના શહેરોમાં કેબ અને બાઇક ટેક્સીની સેવા ઘટી ગઈ છે.

તેલંગાણા ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU)ના આહ્વાન પર ડ્રાઇવરો આજે (07 ફેબ્રુઆરી 2026) છ કલાક માટે એપ્લિકેશનમાંથી લોગ આઉટ રહેશે. આ વિરોધને ‘ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન’ નામ આપવામાં આવ્યું છે. યુનિયનના જણાવ્યાનુસાર, ડ્રાઇવરો લાંબા સમયથી ઘટતી આવક, વધતા ખર્ચ અને અસ્થિર કામકાજની પરિસ્થિતિઓથી પીડાઈ રહ્યા છે.

શું છે યુનિયનની મુખ્ય માંગ
યુનિયનની મુખ્ય માંગ સરકાર દ્વારા મિનિમમ બેઝ ભાડું નક્કી કરવાની છે. હાલ એગ્રીગેટર કંપનીઓ પોતાની મરજી પ્રમાણે ભાડા નક્કી કરે છે, જેના કારણે તેમની કમાણી સતત ઘટી રહી છે તેમ ડ્રાઈવરોએ અગાઉ જણાવ્યું હતું. મિનિમમ રેટ નક્કી કરવામાં આવે તો ડ્રાઇવરોને આવકની સુરક્ષા મળશે અને મુસાફરોને પણ લાભ મળશે.

સરકારની માર્ગદર્શિકાનો વિરોધ
આ ઉપરાંત, યુનિયનએ મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા 2025ની એ જોગવાઈનો વિરોધ કર્યો છે, જેમાં ખાનગી વાહનોને કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી લાઇસન્સ ધરાવતા કોમર્શિયલ ડ્રાઇવરો પર સ્પર્ધાનો ભાર વધી રહ્યો છે અને તેમની રોજગાર સુરક્ષાને જોખમ ઊભું થયું છે.

ડ્રાઈવરો શોષણ વચ્ચે કામ કરવા મજબૂર
યુનિયનનો આરોપ છે કે એપ-આધારિત કંપનીઓ નફો કમાવી રહી છે, જ્યારે લાખો ડ્રાઇવરો આર્થિક અસુરક્ષા અને શોષણ વચ્ચે કામ કરવા મજબૂર છે. તેમણે સરકારને અપીલ કરી છે કે ડ્રાઇવરો સાથે સંવાદ શરૂ કરીને વાજબી અને સુરક્ષિત નીતિઓ ઘડવામાં આવે. નોંધનીય છે કે આર્થિક સર્વે 2025-26માં પણ ગિગ વર્કર્સની આવકની અસ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, લગભગ 40 ટકા ગિગ વર્કર્સ દર મહિને 15,000 રુપિયા કરતાં ઓછી આવક મેળવે છે.