HomeSurat Cityનાના વરાછામાં પોલીસ કમિશનરના PA પર હુમલો, પંચથી નાકમાં ફ્રેક્ચર, આરોપી કાર...

નાના વરાછામાં પોલીસ કમિશનરના PA પર હુમલો, પંચથી નાકમાં ફ્રેક્ચર, આરોપી કાર મૂકી ફરાર

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

સુરતના નાના વરાછા ઢાળ વિસ્તારમાં ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર લક્ઝરી બસમાંથી ઉતરેલા યુવકો અને એક કારમાં આવેલા લોકો દ્વારા ઝપાઝપી કરી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પંચ (હાથમાં પહેરવાનું હથિયાર) વડે માર મારવામાં આવતા હેડ કોન્સ્ટેબલના નાકમાં ફ્રેક્ચર થયું છે. સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલાગામના વતની અને હાલ નાના વરાછા પટેલ ફળિયા પાછળ આવેલી ગિરનાર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય અક્ષયકુમાર છગનભાઈ આહીર પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવે છે. 5 ફેબ્રુઆરીની રાતે ફરજ પૂરી કરી તેઓ પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. રાત્રે આશરે 10 વાગ્યે નાના વરાછા ઢાળ પાસે આરોગ્ય કેન્દ્ર સામે રોડ પર ટ્રાવેલ્સની બસો અને અન્ય વાહનોના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી અક્ષયકુમાર કારમાંથી ઉતરીને ટ્રાફિક હટાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમયે ત્યાં ઉભેલી જય રામદેવ ટ્રાવેલ્સની બસ (નં. GJ-14-Y-9222) અને તેની પાસે ઊભેલી એક કાર (નં. GJ-16-BK-7191) ટ્રાફિકમાં અડચણરૂપ હોવાથી અક્ષયકુમારે ચાલકોને વાહન હટાવવાનું કહ્યું હતું. આ વાતથી ઉશ્કેરાઈ બસમાંથી ત્રણ વ્યક્તિ અને કારમાંથી ચાલક તથા તેની સાથેનો એક વ્યક્તિ નીચે ઉતર્યા હતા અને “અમને ગાડી હટાવવાનું કહેનાર તું કોણ છે?” કહી ઝઘડો શરૂ કર્યો હતો. અક્ષયકુમારે પોતાની પોલીસ ઓળખ આપી આઈકાર્ડ બતાવ્યું હતું.

આઈકાર્ડ બતાવ્યા બાદ પણ આરોપીઓએ “તું પોલીસ હોય તો શું થયું” કહી ઝપાઝપી કરી હતી. કારચાલકે અક્ષયકુમારનું ગળું પકડી હાથમાં રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે ચારથી પાંચ ઘા માર્યા હતા. લોકો ભેગા થતાં જ હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. લોહી વહી રહ્યું હોવાથી અક્ષયકુમારને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં નાકમાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું.

ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસે અક્ષયકુમારની ફરિયાદના આધારે કારચાલક સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. કારના નંબરના આધારે તપાસ કરતાં વાહન કતારગામ વિસ્તારના વ્યક્તિનું હોવાનું બહાર આવ્યું હતું. હુમલા બાદ કારચાલક પત્નીને ટ્રાવેલ્સમાં મૂકવા આવ્યો હતો અને ત્યારબાદ કાર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર સુધી પહોંચીને વાહન કબજે કર્યું છે. તપાસ દરમિયાન ખુલ્યું કે હુમલા બાદ કારચાલક એક પાનના ગલ્લે ઉભો રહી સિગરેટ પી રહ્યો હતો અને બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો. કારની તપાસ કરતાં અંદરથી ભાજપનો એક ખેસ પણ મળ્યો છે, જેથી કાર માલિક કોઈ રાજકીય કાર્યકર્તા હોવાની શક્યતા પણ તપાસ હેઠળ છે.

ઉપરાંત, કબજે લેવાયેલી કારનું બોનેટ નુકસાનગ્રસ્ત હોવાનું જણાતા ભાગતી વખતે કારનો અકસ્માત થયો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારના નંબર પરથી તપાસ કરતાં વાહન કતારગામ વિસ્તારમાં રહેતા દિવ્યેશ નામના યુવકનું હોવાનું બહાર આવ્યું છે. હાલ કાપોદ્રા પોલીસ આરોપીઓની શોધખોળ હાથ ધરી વધુ તપાસ કરી રહી છે.

Subscribe

Latest stories