અમદાવાદ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. જેમાં ૮૨ વર્ષીય વૃદ્ધાનું મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ટીબીની દર્દી વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
દેશમાં કોરોના વાયરસના સબ વેરિયન્ટ N.૧ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને ગઈકાલે સબ વેરિયન્ટના વધુ ચાલીસ કેસો નોંધાતા હતા, આ સાથે જ સમગ્ર દેશમાં નવા વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને ૧૦૯ થઈ ગઈ છે, જેમાં ગુજરાતમાંથી ૩૬, કર્ણાટકમાંથી ૩૪, ગોવામાંથી ૧૪, મહારાષ્ટ્રમાંથી ૯, કેરળમાંથી ૬, રાજસ્થાન અને તમિલનાડુમાંથી ૪ અને તેલંગાણામાંથી બે કેસ મળી આવ્યા હતા. મોટાભાગના દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. નીતિ આયોગના સભ્ય ડૉ વી કે પૉલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સબ વેરિયન્ટની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તેમણે રાજ્યોને પરીક્ષણ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે દેશમાં માત્ર એક જ દિવસમાં કોવિડ-૧૯ના ૫૨૯ નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૦૯૩ થઈ ગઈ છે, ઉપરાંત આ રોગથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪.૪ કરોડ થઈ ગઈ છે અને દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર ૯૮.૮૧ ટકા છે જ્યારે મૃત્યુ દર ૧.૧૯ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-