Thursday, Jul 9, 2026

અમદાવાદમાં નવી અત્યાધુનિક RTO કચેરીનું લોકાર્પણ

2 Min Read

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં નવી અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી કચેરી દ્વારા નાગરિકોને ટેકનોલોજી આધારિત, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને આધુનિક ટેકનોલોજી આધારિત સેવાઓ પૂરી પાડવા માટે સતત કાર્યરત છે. નવી RTO કચેરી શરૂ થતાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ સેવાઓ વધુ સરળ અને સુવિધાજનક બનશે.

તેમણે જણાવ્યું કે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના અમલથી લાયસન્સ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને માત્ર લાયકાત ધરાવતા અરજદારોને જ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે. સરકારની તમામ સેવાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રે સંકલનથી કામગીરી કરવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો.

નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે નવી RTO કચેરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવામાં સહભાગી બને, કારણ કે જાહેર સંપત્તિનું જતન કરવું દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.

ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નિર્માણ પામેલી આ આધુનિક RTO કચેરી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં વાહન સંબંધિત નોન-ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ સેવાઓ, નવા વાહનની નોંધણી, પરમિટ, ફિટનેસ, બ્લેકલિસ્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, DL/ચલણ શાખા, RMA, AMC ટેક્સ તેમજ કેશ શાખા સહિતની વિવિધ સેવાઓ માટે અલગ-અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સુવિધાઓના કારણે નાગરિકોને તમામ સેવાઓ એક જ સ્થળે સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ થશે.

આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યો જીતેન્દ્રભાઈ પટેલ (ભગત), અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, હર્ષદભાઈ પટેલ, ડૉ. હસમુખભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ હારીત શુક્લ, વાહન વ્યવહાર કમિશનર ડૉ. રાજેન્દ્રકુમાર સહિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article