શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં આજે એક મોટો વહીવટી ફેરફાર થયો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. તેમના સ્થાને કૃષ્ણ મોહનને કાર્યવાહક મહાસચિવ બનાવવામાં આવ્યા છે. હવે કૃષ્ણ મોહન કાર્યવાહક મહાસચિવ તરીકે ટ્રસ્ટના વહીવટી અને સંગઠનાત્મક કાર્યોનું સંચાલન કરશે.
જાણો કોણ છે કૃષ્ણ મોહન?
કૃષ્ણ મોહન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ પદાધિકારી અને ભારતીય વન સેવા (IFS)ના ભૂતપૂર્વ અધિકારી રહી ચૂક્યા છે. 73 વર્ષીય કૃષ્ણ મોહન મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના વતની છે. વહીવટી અનુભવ અને સંગઠનાત્મક કાર્યોમાં તેમની લાંબી સફરને ધ્યાનમાં રાખીને તેમને રામ મંદિર ટ્રસ્ટની આ નવી જવાબદારી સોંપવામાં આવી છે.
સંઘમાં ક્ષેત્ર પ્રભારીની નિભાવી રહ્યા છે ભૂમિકા
કૃષ્ણ મોહન હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વી ઉત્તર પ્રદેશ ક્ષેત્રના ‘ક્ષેત્ર સંઘ ચાલક’ (ક્ષેત્ર પ્રભારી) છે. સંઘમાં લાંબા સમય સુધી વિવિધ જવાબદારીઓ નિભાવવાને કારણે તેઓ સંગઠન અને વ્યવસ્થાપનનો વ્યાપક અનુભવ ધરાવે છે. આ જ અનુભવ હવે રામ મંદિર ટ્રસ્ટના સંચાલનમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
ગયા વર્ષે બન્યા હતા ટ્રસ્ટના સભ્ય
કૃષ્ણ મોહનને વર્ષ 2025માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમણે ટ્રસ્ટમાં કામેશ્વર ચૌપાલનું સ્થાન લીધું હતું. ટ્રસ્ટમાં જોડાયા ત્યારથી જ તેઓ મંદિર નિર્માણ, વહીવટી વ્યવસ્થાઓ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.
2012માં IFS માંથી થયા હતા નિવૃત્ત
કૃષ્ણ મોહને પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ લખનૌ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમણે પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત ભારત સરકારના પરમાણુ ઊર્જા વિભાગથી કરી હતી, જ્યાં તેમણે થોડા વર્ષો સુધી સેવાઓ આપી. ત્યારબાદ તેમણે ભારતીય વન સેવા (IFS) માં મહત્વની જવાબદારીઓ સંભાળી. વર્ષ 2012માં ભારતીય વન સેવામાંથી નિવૃત્ત થયા પછી કૃષ્ણ મોહન સંપૂર્ણપણે સામાજિક અને સંગઠનાત્મક કાર્યોમાં સક્રિય થઈ ગયા હતા.
હવે સંભાળશે ટ્રસ્ટનું સંચાલન
ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા બાદ, હવે ટ્રસ્ટના દૈનિક વહીવટ, વિવિધ પ્રોજેક્ટ્સના સંકલન (કો-ઓર્ડિનેશન), બેઠકોનું સંચાલન અને મંદિર મેનેજમેન્ટ સાથે જોડાયેલા મહત્વના કાર્યોની જવાબદારી કૃષ્ણ મોહન પાસે રહેશે. આ સાથે જ રામ મંદિરમાં આવતી ભેટ-સોગાદો અને દાનમાં પારદર્શિતા લાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. મંદિરમાં અપાતા દાનની કડક દેખરેખ રાખવાની જવાબદારી પણ તેમની જ રહેશે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યા અને મંદિર પરિસરના વિકાસ કાર્યોને જોતાં તેમની આ ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.