Saturday, Jul 11, 2026

કર્ણાટકના મંદિરમાં કરોડોની ચોરી, 32 કિલોની ચાંદીની મૂર્તિ ગાયબ!

2 Min Read

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના મુદ્દેબિહાલ તાલુકાના બસરાકોડ ગામમાં આવેલ પ્રસિદ્ધ શ્રી પાવડા બસવેશ્વર મંદિરમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. મંદિરના ગર્ભગૃહમાંથી 32 કિલો વજનની ચાંદીની મૂર્તિ સહિત 60 કિલોથી વધુ ચાંદીના આભૂષણોની ચોરી થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ચોરી ગયેલા તમામ ચાંદીના સામાનની બજાર કિંમત અંદાજે 1.20 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે.

મંદિર સમિતિના અધ્યક્ષ કરનંદપ્પા બિરદારની ફરિયાદ અનુસાર, સવારે લગભગ 4 વાગ્યે મંદિરના પુજારી સાધુ શંકરલિંગે મંદિરના દરવાજા ખુલ્લા અને તાળા તૂટેલા જોયા હતા. ત્યારબાદ ગર્ભગૃહમાં તપાસ કરતાં ચાંદીની મૂર્તિ પોતાના સ્થાન પરથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું છે કે મંદિરના પુજારી શરણૈયા સલિમતે 5 જુલાઈની રાત્રે લગભગ 9 વાગ્યે નિયમિત પૂજા પૂર્ણ કર્યા બાદ અંદર અને બહારના લોખંડના દરવાજા બંધ કરી તાળા માર્યા હતા. પોલીસના અનુમાન મુજબ ચોરી રાત્રે 9 વાગ્યાથી સવારે 4:30 વાગ્યાની વચ્ચે કરવામાં આવી હતી.

મંદિરના CCTV કેમેરા પણ મળ્યા બંધ
ચોંકાવનારી બાબત એ છે કે મંદિર પરિસરમાં સંતો અને સાધુઓ સૂતા હોવા છતાં ચોરોએ ઘટનાને અંજામ આપ્યો હતો. વધુમાં તપાસ દરમિયાન મંદિરના CCTV કેમેરા પણ બંધ હાલતમાં મળ્યા હતા, જેના કારણે પૂર્વયોજિત સડયંત્રની આશંકા વધુ મજબૂત બની છે.

પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ મુદ્દેબિહાલ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305(d) અને 331(4) હેઠળ FIR નોંધવામાં આવી છે.

પોલીસ અનુસાર, ફરિયાદ નોંધાવવામાં થોડો વિલંબ થયો હતો કારણ કે મંદિર સમિતિએ પોલીસ સુધી પહોંચતા પહેલાં ગામલોકો સાથે ચર્ચા કરી હતી. હાલ પોલીસ દ્વારા અજાણ્યા આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.

Share This Article