Tuesday, Jul 7, 2026

સુરતમાં વરસાદ બન્યો કાળ! કરંટ લાગતા બે મિત્રોના કરુણ મોત

2 Min Read

સુરત શહેરમાં વરસાદ દરમિયાન બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. વરસાદમાં નાહીને ઘરે પરત ફરેલા એક યુવકનું કરંટ લાગવાથી મોત થયું હતું. તેને બચાવવા દોડેલા તેના મિત્રને પણ કરંટ લાગતા બંનેના કરુણ મોત નિપજ્યા હતા.

કેવી રીતે બની દુર્ઘટના?
ગઈકાલે સાંજે સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે દરમિયાન રાંદેરગામની સુઝાતખાન સ્ટ્રીટમાં રહેતો 28 વર્ષીય યુવક વરસાદમાં ભીનો થઈ ઘરે પરત ફરી રહ્યો હતો. ભીના કપડાં સાથે ઘરની લોખંડની સીડી ચઢી રહ્યો હતો ત્યારે અચાનક કરંટની ચપેટમાં આવી ગયો અને બૂમાબૂમ કરવા લાગ્યો. યુવકની ચીસો સાંભળીને પડોશમાં રહેતો તેનો મિત્ર તેને બચાવવા દોડી આવ્યો. જોકે ભીના શરીરના કારણે તેને પણ કરંટ લાગ્યો અને બંને મિત્રો ત્યાં જ ઢળી પડ્યા.

સ્થાનિક લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવી બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના ડૉક્ટરોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી બંને પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેઓ જે મકાનમાં ભાડે રહેતા હતા ત્યાં લાંબા સમયથી સમગ્ર પરિસરમાં કરંટ આવતો હતો. આ અંગે મકાન માલિકને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

પરિવારજનોએ જણાવ્યું કે મકાન માલિક માત્ર ભાડું વસૂલવામાં જ રસ રાખતા હતા. હવે તેઓ આકાશી વીજળી પડવાનું કારણ બતાવી રહ્યા છે, પરંતુ જો ખરેખર વીજળી પડી હોત તો શરીર બળી જવું જોઈએ. પરિવારજનોએ આ દુર્ઘટના માટે મકાન માલિકની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.

પોલીસે શરૂ કરી તપાસ
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે સાંજે વીજળીના કડાકા-ભડાકા થતાં કદાચ આકાશી વીજળીના કારણે આ ઘટના બની હોઈ શકે. જોકે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

સુરતમાં ભારે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેરમાં કુલ 5.39 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સાંજે 4થી 6 વાગ્યાની વચ્ચે જ 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પણ શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

Share This Article