- રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજનો પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ડેડિયાપાડામાં ઉજવણીના કાર્યક્રમ દરમિયાન પૂજા વિધિ કરવામાં આવી રહી હતી. જેમાં હાજર રહેલા કૃષિમંત્રી આદિવાસી પરંપરાથી અજાણ હોય ધરતીને ધરાવવા માટે આપવામાં આવેલા દારૂને ચરણામૃત સમજીને ભૂલથી ઘૂંટ મારી લીધી હતી. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી પરંપરાની માહિતી ન હોવાથી આવું થયું છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આજે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. જેમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપરાંત મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આદિવાસી દિવસની ઉજવણીમાં ખાસ પરંપરા અનુસાર પૂજા વિધિનું આયોજન કરાયું હતું. આ દિવસે આદિવાસી સમાજ દ્વારા ધરતીમાતાને દેશી દારૂનો અભિષેક કરવાની વર્ષોથી પરંપરા ચાલી રહી છે.
આજે પૂજા વિધિ દરમિયાન પૂજારી દ્વારા હાજર કૃષિમંત્રી, નેતાઓ અને સ્થાનિક આગેવાનોને એક પાનમાં દેશી દારૂ આપ્યો હતો. જેને વિધિ અનુસાર ધરતી માતાને ધરાવવામાં આવે છે. અન્ય નેતાઓ અને આગેવાનો દ્વારા વિધિ અનુસાર દારુ ધરતીને ધરાવી દીધો હતો પરંતુ આ અંગે કૃષિમંત્રી રાઘવજી માહિતગાર ન હોય તેઓ પાનમાં આપવામાં આવેલા દારૂનો ઘૂંટ મારી લીધો હતો.
જોકે બાજુમાં ઉભેલા આગેવાને મંત્રીનું ધ્યાન દોર્યું હતું અને મંત્રીએ પાનમાં બાકી રહેલો દારૂ ધરતીને ધરાવ્યો હતો. આ અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આદિવાસી પરંપરાઓ વિશે મને વધુ જ્ઞાન નથી.આ પ્રકારની વિધિ અને રિવાજોથી હું અજાણ છું.
હું પહેલી વખત અહીં આવ્યો છું. અમારે ત્યાં આ રીતે હાથમાં ચરણામૃત આપતા હોય છે. એટલે મે ચરણામૃત સમજીને ચાખ્યું હતું. પરંતુ તેને ઘરતીમાં અર્પણ કરવાનું હતું. મને એ વાતનો ખ્યાલ ન હોવાથી આવું થયું છે.
આ પણ વાંચો :-