રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ૨૨ જાન્યુઆરીએ યૂપીમાં તમામ સ્કૂલ-કોલેજમાં રજા

Share this story

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં બહુપ્રતિક્ષિત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મોટી જાહેરાત કરી છે.  સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને ૨૨ જાન્યુઆરીએ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપી છે. આ ખાસ અવસરને ‘રાષ્ટ્રીય તહેવાર‘ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે ૨૨ જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવી જોઈએ.

મંગળવારે અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ શ્રી રામલલા અને હનુમાન ગઢીના દર્શન અને પૂજા કર્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મકરસંક્રાંતિ પછી શરૂ થનારી પ્રાણ પ્રતિષ્ઠાની વૈદિક વિધિની માહિતી લેતા મુખ્યમંત્રીએ અધિકારીઓને સમારોહની સુરક્ષા અને અન્ય વ્યવસ્થામાં તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જરૂરી તમામ સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી કમિશ્નરે સભાગૃહમાં સ્થાનિક જનપ્રતિનિધિઓની હાજરીમાં સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી ૧૪ જાન્યુઆરીએ અયોધ્યામાં સ્વચ્છતા અભિયાનની શરુઆત કરશે. આજે અયોધ્યા પહોંચેલા મુખ્યમંત્રી યોગીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની તૈયારીઓ જોઈ હતી અને ત્યાં સાફ સફાઈમાં જરાં પણ કચાશ ન રહે તેનું ધ્યાન રાખવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત વીવીઆઈપી વિશ્રામ સ્થળ પહેલા જ નક્કી કરી લીધું છે. અયોધ્યા ધામ આવતા શ્રદ્ધાળુઓ/પર્યટકોને નવ્ય, દિવ્ય, ભવ્ય અયોધ્યાની મહિમાથી પરિચિત કરાવતા ટૂરિસ્ટ ગાઈડ તૈનાતા કરવા માટે પણ કહેવાયું છે.

૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં દેશ દુનિયાના તમામ મહેમાનો અયોધ્યા આવશે. જેને જોતા અયોધ્યા જિલ્લા પ્રશાસન જિલ્લાની તમામ હોટલોમાં મહેમાનોને રોકાવાની વ્યવસ્થા કરશે. બીજી તરફ અયોધ્યાથી અડીને આવેલા લખનઉની હોટલ સંચાલકો પણ મહેમાનોના સ્વાગત માટે તૈયારીમાં લાગી ગયા છે.