પ્રિયા અને પ્રદીપ, જે હાલ રાષ્ટ્રવ્યાપી સાઇકલ યાત્રા પર છે, તેઓ સંદેશ આપતી આ યાત્રાના ભાગરૂપે સુરત પહોંચ્યા. તેમની યાત્રાનો મુખ્ય હેતુ છે. મહત્વપૂર્ણ બે સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવી.
પ્રિયા વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ માટે મેનસ્ટ્રુઅલ હાઈજીન મેનેજમેન્ટ વિષયક જાગૃતિ ફેલાવી રહી છે, જ્યારે પ્રદીપ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે અભિયાન ચલાવી રહ્યા છે અને લોકોમાં પર્યાવરણ મૈત્રી પ્રવૃત્તિઓ અપનાવવાનો સંદેશ આપી રહ્યા છે.
આ બંનેના ઉમદા પ્રયાસને સપોર્ટ કરવા માટે સુરતમાં ઓમેગા હોસ્પિટલના સહયોગથી એક સમૂહ સવારી (ગ્રુપ રાઈડ)નું આયોજન કરવામાં આવ્યું. આ એક કલાકની રાઈડ દરમિયાન, શહેરના સાઇકલિસ્ટ્સ અને જનતામાં આ અભિયાનનો સંદેશ પહોંચાડવામાં આવ્યો.
સુરત ખાતે યોજાયેલી આ ઇવેન્ટનું નેતૃત્વ બાઇસિકલ મેયર અનિલ માર્દિયા જૈન, અનુ અનિતા વૈદ અને ડો. અમી યાગ્નિકે કર્યું હતું અને તેઓએ સમગ્ર કાર્યક્રમના સંકલન અને પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
આ રાઈડમાં આશરે ૭૦ સાઇકલિસ્ટ્સ જોડાયા અને પ્રિયા તથા પ્રદીપના આ પ્રેરણાદાયક મિશનને દિલથી સમર્થન આપ્યું. સુરતની ધરતીએ વધુ એકવાર સાબિત કર્યું કે સમાજ માટે કરેલા ઉમદા પ્રયત્નોને હંમેશા ઉર્જાવાન સાથ મળે છે.