અમદાવાદમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી રત્નાકર 3 બિલ્ડીંગના ત્રીજા માળે આગ ફાટી નીકળી હતી. આગને લીધે ભારે અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિકોએ બનાવની જાણ કરતા જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ બનાવ સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો.
ફ્લેટમાં આગ લાગતા ત્રણ રુમો બળી ગયા
મળતી વિગતો મુજબ, સેટેલાઈટ વિસ્તારમાં આવેલી રત્નાકર ૩ બિલ્ડીંગના બી વિંગમાં ત્રીજા માળે આગ ભભૂકતા ફલેટના ૩ રૂમ બળી ગયા છે. જેમાં રુમમાં રાખેલા સામાન અને ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું. રુમમાં રાખેલી ઈલેક્ટ્રીક ચીજવસ્તુઓને ભારે નુકસાન થયુ છે. અચાનક આગ લાગતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી
ત્રીજા માળે લાગેલી આગ પર ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો છે. ઉપરાંત આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થયાનો અહેવાલ સામે આવ્યો નથી. જયારે ફલેટમાં એક જ વ્યક્તિ હાજર હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ગઈ કાલે અમદાવાદમાં એસ.જી હાઈવે પર આવેલી સોલિટેર બિલ્ડીંગના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી.