રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ પોતાની વિવિધ માંગણીઓ સાથે રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની બેઠકમાં આવતીકાલથી 20 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં ધરણા, વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષક સંઘો દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજીને સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયનો વિરોધ કરવામાં આવશે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે શિક્ષણ સેવામાં કાર્યરત તમામ શિક્ષકો માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જેમની નિવૃત્તિને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે TET પરીક્ષા પાસ કરવી પડશે. જો તેઓ પરીક્ષા પાસ નહીં કરે તો તેમને રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ સ્વીકારવી પડશે. જોકે નિવૃત્તિમાં પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી હોય એવા શિક્ષકોને રાહત આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો છે. સંઘના પ્રતિનિધિઓની બેઠકમાં નિર્ણયને અયોગ્ય ગણાવી રાજ્યવ્યાપી આંદોલન કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. શિક્ષક નેતાઓનું કહેવું છે કે 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોની નિમણૂક તે સમયના નિયમો મુજબ થઈ હતી અને તે સમયે TET પરીક્ષાનું કોઈ અસ્તિત્વ નહોતું.
શિક્ષક સંઘના જણાવ્યા મુજબ રાજ્યના અંદાજે એક લાખ જેટલા શિક્ષકો પર હવે TET પાસ કરવાનો દબાણ ઉભો થયો છે. આ શિક્ષકો વર્ષોથી સેવા આપી રહ્યા છે અને હવે 25થી 27 વર્ષ બાદ નવી શરત લાદવામાં આવી રહી હોવાનું તેઓ માને છે.
આંદોલનના ભાગરૂપે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં 17 જૂનથી 20 જૂન સુધી કલેક્ટર કચેરીઓ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધીશોને આવેદનપત્ર પાઠવીને 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવશે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ખોડુભાઈ પઢિયારે જણાવ્યું હતું કે શિક્ષકોની ભરતી વર્ષ 1997-98થી રાજ્ય સરકારના નિયમો મુજબ થઈ છે. તે સમયે TET જેવી કોઈ પરીક્ષા અમલમાં નહોતી. 2010 બાદ TETની શરૂઆત થઈ હતી, તેથી જૂના શિક્ષકો પર હવે આ શરત લાદવી યોગ્ય નથી.
શિક્ષક સંઘે અન્ય માંગણીઓ પણ સરકાર સમક્ષ મૂકી છે. તેમાં 1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, ધોરણ 6થી 8ના શિક્ષકો માટે અલગ ગ્રેડ પે નક્કી કરવો તેમજ HTAT આચાર્યોને આપવામાં આવેલા વધારાના વહીવટી ચાર્જ અંગે યોગ્ય નિર્ણય લેવાની માંગનો સમાવેશ થાય છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન યોજાશે અને પોતાની માંગણીઓ અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવશે.