Saturday, Jun 13, 2026

ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી: ચારધામ યાત્રાથી પરત ફરેલી મહિલા કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ એલર્ટ

2 Min Read

ગુજરાતમાં 14 મહિના બાદ ફરી કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા ચારધામ યાત્રાથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સ્થાનિક સ્તરે ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે.

શરદી-ઉધરસ અને તાવ બાદ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ
મળતી માહિતી મુજબ, ચારધામ યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા બાદ મહિલાને શરદી, ઉધરસ અને સતત તાવ જેવા લક્ષણો દેખાયા હતા. તબિયત વધુ બગડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કરાયેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પરિવારના સભ્યોના રિપોર્ટ નેગેટિવ
મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મહિલાના સંપર્કમાં આવેલા પરિવારના તમામ સભ્યોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, તમામ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ગાંધીનગરમાં એક વર્ષ બાદ કોરોનાનો કેસ
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગાંધીનગરમાં છેલ્લો એક્ટિવ કોરોના કેસ એપ્રિલ 2025માં નોંધાયો હતો. ત્યારબાદ શહેરમાં કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નહોતો અને શહેર કોરોનામુક્ત બન્યું હતું. હવે 14 મહિના બાદ ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગે તકેદારી વધારી છે.

પ્રવાસીઓ માટે ખાસ સૂચનાઓ
આ ઘટનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે અન્ય રાજ્યો અથવા ધાર્મિક પ્રવાસ કરીને પરત ફરતા લોકોને સાવચેતી રાખવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવવાની સલાહ આપી છે.

મહામારી દરમિયાન રાજ્યમાં 11 હજારથી વધુ મોત
આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, કોરોના મહામારી દરમિયાન ગુજરાતમાં આશરે 11 હજાર લોકોના મોત થયા હતા અને 8 લાખથી વધુ લોકો સંક્રમિત થયા હતા. જોકે, તે સમયે સરકારના આંકડાઓ અંગે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના દાવા મુજબ, કોવિડની બીજી લહેર દરમિયાન રાજ્યમાં થયેલા વાસ્તવિક મોતનો આંકડો અઢીથી ત્રણ લાખની વચ્ચે હતો.

Share This Article