અમદાવાદમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી અને મિલાવટી ઘીનું વેચાણ કરતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને અધિકારીઓએ આશરે 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 31.81 લાખથી વધુ થાય છે. AMCની આ કાર્યવાહીએ મિલાવટખોરોમાં ખળભળાટ મચાવી દીધો છે.
ફૂડ વિભાગના અધિકારીઓએ બાતમીના આધારે CTM નજીક આવેલા લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો. અહીં “રિધમ કાઉ ઘી” અને “વચનામૃત કાઉ ઘી”ના સુપર સ્ટોકિસ્ટ તરીકે કાર્યરત વેપારી પાસેથી અંદાજે 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા ઘીની કિંમત રૂ. 21.31 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર એકમને સીલ કરી ઘીના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ બંને બ્રાન્ડનું ઉત્પાદન દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામ નજીક આવેલી “સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ” નામની એકમમાં કરવામાં આવતું હતું. ફેક્ટરી શહેરની હદ બહાર આવતી હોવાથી આગળની કાર્યવાહી માટે સમગ્ર કેસ રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપવામાં આવ્યો છે.
વટવા અને દૂધેશ્વરમાં પણ દરોડા
મુખ્ય સ્ટોકિસ્ટની પૂછપરછ બાદ AMCની ટીમે વટવામાં આવેલી “વીરકૃપા ટ્રેડિંગ” અને દૂધેશ્વરની “ત્રિશાલા એજન્સી” પર પણ કાર્યવાહી કરી હતી. બંને સ્થળોએથી વધુ 1,600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો, જેની કિંમત રૂ. 10.49 લાખ જેટલી થાય છે.
લેબ રિપોર્ટ બાદ થશે કડક કાર્યવાહી
ત્રણેય સ્થળોએથી લેવામાં આવેલા નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર વેપારીઓ સામે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006’ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. AMCએ સ્પષ્ટ કર્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.