જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર ચર્ચા માટે સોમવારે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે બેસરન ઘાટીમાં 21 વર્ષ પછી આટલા મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે. યજમાન હોવાને કારણે પ્રવાસીઓને સુરક્ષિત પરત મોકલવા મારૂ પ્રથમ કર્તવ્ય હતું પરંતુ હું આમ ના કરી શક્યો. મારી પાસે માફી માંગવા માટે શબ્દ નથી.
વિશેષ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું, ‘સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવનારા લોકોએ સમજવું જોઈએ કે તે લોકોના જીવનને કેટલું મુશ્કેલ બનાવે છે. આપણે બંદૂકોથી આતંકવાદને નિયંત્રિત કરી શકીએ છીએ, પરંતુ તેને નાબૂદ કરી શકાતો નથી. આ જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે. આ એવો સમય નથી જ્યારે આપણે જમ્મુ-કાશ્મીર માટે કેન્દ્ર સરકાર પાસેથી પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરીએ. અમે આવી સસ્તી રાજનીતિ નથી કરતા. જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે કે તેઓ ખાતરી કરે કે વાતાવરણ સારું રહે અને મહેમાનોને કોઈ નુકસાન ન થાય.’
અબ્દુલ્લાએ કહ્યું, ‘આ પ્રસંગે હું જમ્મુ અને કાશ્મીર માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગીશ નહીં. હું કયા મોઢે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી શકું? આપણે હંમેશા રાજ્યનો દરજ્જો માંગીશું પણ જો હું આજે આવી માંગ કરીશ તો મારા પર લાનત છે.’વિધાનસભામાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ‘આ પ્રસંગે હુમલાની સખત નિંદા કરતા અમે ફક્ત એક જ વાત કહીએ છીએ કે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના તેમની સાથે છે.’