ઈઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે બીજી તરફ ઈઝરાઇલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના દેશમાં પરત લાવવા માટે ચલાવવામાં આવેલા ‘ઓપરેશન અજય’ હેઠળની છઠ્ઠી ફ્લાઇટ નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. જેમાં બે નેપાળી નાગરિકો સમેત કુલ ૧૪૩ મુસાફરો સલામત ભારત પહોંચ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતી વખતે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે-‘ઓપરેશન અજયા’ની છઠ્ઠી ફ્લાઇટ નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેએ એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું. જણાવી દઈએ કે આ પહેલા પણ નેપાળના ૧૮ નાગરિકો સાથે ૨૮૬ ભારતીયોને લઈને 5મી ફ્લાઈટ મંગળવારે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચી હતી.
ઑક્ટોબર ૭ ના રોજ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલના શહેરો પર હુમલો કર્યો ત્યારથી ઇઝરાઇલ પણ ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતીયોની વાપસી માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૨ ઓક્ટોબરે ‘ઓપરેશન અજય‘ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ લોકો ભારત પરત ફર્યા છે. દરમિયાન ઈઝરાઇલમાં માર્યા ગયેલા ૪ નેપાળી વિદ્યાર્થીઓના મૃતદેહ કાઠમંડુ લાવવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠન હમાસના હુમલામાં નેપાળના ૧૦ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. હજુ સુધી છ મૃતદેહોની ઓળખ થઈ નથી.
આ પણ વાંચો :-
• ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ