૨૦૦૦ની નોટ બદલવાની ડેડલાઈન ફરી લંબાશે? નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા

Share this story
  • RBIએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં ૨૦૦૦ની નોટ જમા કરવાનું કહ્યું છે પણ હવે પ્રશ્ન એ છે કે સરકાર ૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવવાની સમયમર્યાદા વધારશે ?

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે એ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. આરબીઆઈએ ૧૯મી મેના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. હાલમાં ૨૦૦૦ની નોટ લીગલ ટેન્ડર રહેશે પરંતુ આરબીઆઈએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં ૨૦૦૦ની નોટ જમા કરવાનું કહ્યું હતું.  એવામાં જો તમારી પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટો છે. તો તેને સમયમર્યાદા પહેલા બેંકોમાં જમા કરાવવી જરૂરી છે. કારણ કે સરકાર ૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવવાની સમયમર્યાદા વધારવા જઈ રહી નથી.

વાત એમ છે કે સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યું કે શું ૨૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે? જેના પર નાણા મંત્રાલયે જવાબ આપ્યો હતો.  સમયમર્યાદા લંબાવવા અંગેની સ્થિતિને સ્પષ્ટ કરતાં નાણા મંત્રાલયે કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવશે નહીં. એટલે કે જેમની પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટો છે તેમણે ૩૦ સપ્ટેમ્બર પહેલા જમા કરાવવી પડશે.

સંસદના ચોમાસુ સત્રમાં સુપ્રિયા સુલે સહિત અનેક સાંસદોએ આ અંગે પૂછ્યું હતું. સાંસદોના પ્રશ્નોના જવાબ આપતાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે હાલમાં સરકાર આવું કંઈ વિચારી રહી નથી. બેંકમાં પાછી જમા કરાવવામાં આવેલી રૂ. ૨૦૦૦ની નોટો બદલવા માટે અન્ય ચલણનો સ્ટોક પણ પૂરતો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-