Wednesday, May 13, 2026

વીર નર્મદ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ અને સ્ટાફને પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ

2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પર્સનલ વાહનોનો ઉપયોગ મર્યાદિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે જાહેર પરિવહન, કાર-પૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. યુનિવર્સિટીના જણાવ્યા મુજબ આ વ્યવસ્થાથી પરિવહન ખર્ચ અને ઈંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે.

વડાપ્રધાનની “રાષ્ટ્ર પ્રથમ, સુવિધા કરતાં કર્તવ્ય મહાન” અપીલને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આ પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક ભવનો, વહીવટી કર્મચારીઓ અને સંલગ્ન કોલેજોના આચાર્યોને સાત મહત્વના મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે. પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને વ્યક્તિગત વાહનોના બદલે જાહેર પરિવહન અને કાર-પૂલિંગનો વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સમય અને સંસાધનોની બચત માટે યુનિવર્સિટીએ વહીવટી તથા સંશોધન પરામર્શમાં ટેકનોલોજીના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો છે. જ્યાં શક્ય હોય ત્યાં રૂબરૂ બેઠકના બદલે ઓનલાઈન અથવા વર્ચ્યુઅલ મિટિંગ્સ યોજવા માટે સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટીના મતે આ પગલાથી વહીવટી પ્રક્રિયાઓમાં ઝડપ આવશે તેમજ મુસાફરીમાં થતા સમય અને ખર્ચની પણ બચત થશે.

પરિપત્રમાં “વોકલ ફોર લોકલ”ના મંત્રને આત્મસાત કરવાની પણ અપીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને કેમ્પસ તેમજ વ્યક્તિગત જીવનમાં વિદેશી ચીજવસ્તુઓના સ્થાને સ્થાનિક બનાવટની વસ્તુઓની ખરીદી કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના મતે આ પહેલથી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પણ વેગ મળશે.

Share This Article