દેશની સર્વોચ્ચ અદાલત પર વધી રહેલા કેસોના ભાર વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. લોકસભાએ સોમવારે સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા બિલ, 2026ને મંજૂરી આપી દીધી છે. આ બિલનો હેતુ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારીને ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનો છે.
આ બિલ દ્વારા સુપ્રીમ કોર્ટ (જજોની સંખ્યા) અધિનિયમ, 1956માં સુધારો કરવામાં આવશે. નવા પ્રાવધાન મુજબ મુખ્ય ન્યાયાધીશ (CJI) સિવાય સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા હાલની 33થી વધારીને 37 કરવામાં આવશે. આ ફેરફાર માટે અગાઉ મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વટહુકમ જાહેર કર્યો હતો, જેને હવે કાયદાકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બિલ રજૂ કરતા જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં વધતા પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જજોની સંખ્યા વધવાથી કેસોના ઝડપી નિકાલમાં મદદ મળશે અને ન્યાય વ્યવસ્થા વધુ અસરકારક બનશે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં મોટી સંખ્યામાં કેસો લાંબા સમયથી પેન્ડિંગ છે. 1 જાન્યુઆરી 2026 સુધીમાં અદાલતમાં 92 હજારથી વધુ કેસો બાકી હોવાનું જણાવાયું હતું. સરકારનું માનવું છે કે વધારાના જજોની નિમણૂકથી ખાસ કરીને જૂના કેસો અને બંધારણીય બેન્ચ સંબંધિત મામલાઓના ઝડપી ઉકેલમાં મદદ મળશે.