વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરત આગમનને લઈને આયોજિત કાર્યક્રમમાં શહેરે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનો અનોખો સંદેશ આપ્યો છે. સ્વચ્છતા અને નવીન પ્રયોગો માટે જાણીતા સુરતે આ સમગ્ર કાર્યક્રમને ઇકો-ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ થીમ પર આધારિત બનાવી પ્લાસ્ટિક તથા થર્મોકોલ મુક્ત આયોજનનું સફળ મોડેલ રજૂ કર્યું છે.
વડાપ્રધાનના ‘મિશન લાઇફ’ અને પર્યાવરણ સંવર્ધનના વિઝનને ધ્યાનમાં રાખી કાર્યક્રમમાં ગ્રીન પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંપૂર્ણ બહિષ્કાર કરીને કાપડ, માટી અને વાંસ જેવા પર્યાવરણમિત્ર વિકલ્પોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિકની બોટલો, પાણીના પાઉચ તેમજ ફ્લેક્સ બેનરોના ઉપયોગને સંપૂર્ણપણે ટાળવામાં આવ્યો છે.
હાથ બનાવટના ભારતના નકશાનું વિશાળ વોલપીસ
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સુરતના યુવા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલું વિશાળ ‘ગ્રીન બેકડ્રોપ’ બન્યું છે. કાપડ, વાંસ અને આભલાની કલાત્મક કારીગરીથી તૈયાર કરાયેલા આ બેકડ્રોપમાં ભારતના નકશાને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ કૃતિ માત્ર પર્યાવરણ જાગૃતિનો સંદેશ જ નથી આપતી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને સર્જનાત્મકતાનું પણ પ્રતીક બની છે.
લોકોને પીવાના પાણી માટે માટલાની વ્યવસ્થા કરાઈ
પર્યાવરણમિત્ર આયોજનના ભાગરૂપે કાર્યક્રમ સ્થળ, આસપાસના વિસ્તારો અને પાર્કિંગ ઝોનમાં પીવાના પાણી માટે અંદાજે 150 પરંપરાગત માટીના માટલાં મૂકવામાં આવ્યા છે. દરેક માટલાની ક્ષમતા આશરે 20 લીટર છે. આ પહેલ દ્વારા એક તરફ લોકોને ગરમીથી રાહત મળશે તો બીજી તરફ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવી પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળશે.
ચિત્રકારોએ કેનવાસ ઉપર તૈયાર કરેલા
કાર્યક્રમમાં સ્થાનિક ચિત્રકારો અને કલાકારોએ કેનવાસ પર પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને ટકાઉ વિકાસને કેન્દ્રમાં રાખી અનેક સર્જનાત્મક કૃતિઓ તૈયાર કરી છે. આ કૃતિઓ મુલાકાતીઓને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર બનવાનો સંદેશ આપે છે અને કુદરતના સંવર્ધન માટે પ્રેરિત કરે છે.
આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ નાગરિકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણમિત્ર જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. સ્વચ્છતામાં દેશભરમાં આગવું સ્થાન ધરાવતા સુરતે હવે ‘ઝીરો પ્લાસ્ટિક’ મોડેલ દ્વારા ગ્રીન અને ક્લીન ઇન્ડિયાના નિર્માણ માટે એક નવી દિશા દર્શાવી છે.