અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, SIT નહિ SEBI કરશે તપાસ

Share this story

ગૌતમ અદાણી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી રહી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સેબીની તપાસને યોગ્ય ઠેરવી છે. કોર્ટે કહ્યું કે સેબીને આ મામલાની તપાસ માટે ૩ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કોર્ટે નવેમ્બર-૨૦૨૩માં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, જેના પર આજે નિર્ણય સંભળાવવામાં આવ્યો છે.

અદાણી-હિંડનબર્ગ કેસ પર ચુકાદો આપતી વખતે, CJI DY ચંદ્રચુડની ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે સેબીની તપાસમાં કોઈ ગેરરીતિઓ બહાર આવી નથી. ૨૪ કેસોની તપાસ પૂછવામાં આવી હતી, ૨ પર તપાસ બાકી છે જે સેબીને ત્રણ મહિનામાં કરવા માટે કહેવામાં આવ્યું છે.

હિંડનબર્ગ રિપોર્ટમાં એવા આક્ષેપો થયા હતા કે ગૌતમ અદાણી અને તેમના અદાણી જૂથે ખોટી રીતે અદાણીના શેરમાં નાણાંનું રોકાણ કર્યું હતું. તેના દ્વારા શેરના ભાવમાં હેરાફેરી કરીને શેરધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે માંગ કરી હતી કે અદાણી કંપનીઓના શેરમાં રોકાણની તપાસ સાથે એ પણ જોવામાં આવે કે કોને શું ફાયદો થયો.

કોર્ટમાં સુનાવણી કરતી વખતે કહેવામાં આવ્યું છે કે, સુપ્રિમ કોર્ટની સેબીના રેગ્યુલેટરી ફિલ્ડમાં ડેલિગેટેડ કાયદા બનાવવાની સત્તા મર્યાદિત છે. ન્યાયિક સમીક્ષાનો અવકાશ એ જોવાનો છે કે શું મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું છે. વધુ સુનાવણી કરતાં કોર્ટે કહ્યું હતું કે, અમારી પાસે સેબીને તેના નિયમોને રદ કરવા માટે નિર્દેશ આપવાનો કોઈ માન્ય આધાર નથી અને હાલના નિયમો વિવાદાસ્પદ સુધારા દ્વારા કડક કરવામાં આવ્યા છે. બાકીની ૨ તપાસ સેબી દ્વારા ૩ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ભારત સરકાર અને સેબી શોર્ટ સેલિંગ પર હિંડનબર્ગ રિપોર્ટ દ્વારા કાયદાનું કોઈ ઉલ્લંઘન થયું છે કે કેમ તેની તપાસ કરશે અને જો તેમ હોય તો કાયદા મુજબ પગલાં ભરશે.