Monday, May 25, 2026

સુરતમાં રખડતા શ્વાનોનો આતંક: 3 કૂતરાઓએ માસૂમ બાળક પર કર્યો જીવલેણ હુમલો

1 Min Read

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રિંગ રોડ વિસ્તારમાં આવેલી બેગમવાડીની તિરૂપતિ માર્કેટમાં એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

મળતી માહિતી મુજબ, બાળક માર્કેટના પાર્કિંગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક ત્રણ શ્વાનોએ તેના પર હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકને નીચે પાડી દીધું અને અંદાજે 40-50 સેકન્ડ સુધી બચકાં ભરતા રહ્યા હતા. હુમલા દરમિયાન બાળકને રસ્તા પર ઢસડવામાં પણ આવ્યું હતું.

બાળકની ચીસો સાંભળીને આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. લોકોએ લાકડીઓ અને પથ્થરો વડે શ્વાનોને ભગાડી બાળકને બચાવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તિરૂપતિ માર્કેટ અને આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી રખડતા કૂતરાઓનો ત્રાસ છે. આ મુદ્દે અગાઉ પણ સુરત મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. સીસીટીવી વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે મનપા દ્વારા માત્ર દાવા કરવામાં આવે છે, પરંતુ જમીન પર સ્થિતિ સુધરતી નથી.

Share This Article