વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના અત્યાધુનિક પ્લાન્ટની મુલાકાત લેશે. હજીરા ખાતે તેઓ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ તૈયાર થઈ રહેલા સંરક્ષણ અને ગ્રીન એનર્જી ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે.
L&Tના ચેરમેન અને ટોચના અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે આશરે 6:15 વાગ્યે તેઓ દમણ માટે રવાના થશે, જ્યાં રૂ. 3000 કરોડથી વધુના વિકાસકાર્યોને લીલી ઝંડી આપવામાં આવશે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ માટે રૂ. 18,778 કરોડનો વિકાસ ઉત્સવ
‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે વડાપ્રધાનની આ મુલાકાત ઐતિહાસિક માનવામાં આવી રહી છે. સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના સાત જિલ્લાઓ માટે અંદાજે રૂ. 18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવશે. તેમાં રૂ. 13,926 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે રૂ. 4,852 કરોડના પાંચ નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક, શહેરી અને જાહેર સુવિધાઓને નવી ગતિ મળશે.
L&T પ્રિસિઝન એન્જિનિયરિંગમાં ‘જોરાવર લાઈટ ટેન્ક’નું શક્તિપ્રદર્શન
હજીરા સ્થિત L&Tના પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ્સ યુનિટમાં વડાપ્રધાન ‘જોરાવર લાઈટ ટેન્ક’નું નિરીક્ષણ કરશે. સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવેલી આ લાઈટ ટેન્ક ખાસ કરીને લદ્દાખ અને LAC જેવા ઊંચાઈવાળા દુર્ગમ વિસ્તારોમાં કામગીરી માટે તૈયાર કરવામાં આવી છે. પ્રખ્યાત ડોગરા યોદ્ધા જનરલ જોરાવરસિંહના નામ પરથી ઓળખાતી આ ટેન્કનું વજન માત્ર 25 ટન છે, જેના કારણે તેને સરળતાથી એરલિફ્ટ કરી શકાય છે. ભારતીય સેનાની ક્ષમતામાં વધારો કરનારી આ ટેન્ક ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનનું મહત્વપૂર્ણ પ્રતીક માનવામાં આવે છે.
અત્યાધુનિક ‘કે9 વજ્ર’ હોવિત્ઝર ગન ફેસિલિટીની મુલાકાત
વડાપ્રધાન હજીરામાં આવેલી ‘કે9 વજ્ર’ હોવિત્ઝર ગન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની પણ મુલાકાત લેશે. ભારતીય સેનામાં ઉપયોગમાં લેવાતી આ 155 મીમી, 52 કેલિબરની સ્વ-સંચાલિત તોપ તેની સચોટતા અને લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા માટે જાણીતી છે. અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ ઝડપથી કામગીરી કરવાની તેની વિશેષતા તેને ભારતીય સેનાનું મહત્વપૂર્ણ હથિયાર બનાવે છે. ગુજરાતની ધરતી પર તેનું ઉત્પાદન થવું રાજ્ય માટે ગૌરવની બાબત માનવામાં આવે છે.