નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીના ઠેકાણાનું નામોનિશાન મીટાવી દીધું હતું. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું હતું અને પંજાબમાં કટોકટી જાહેર કરી હતી.
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર વિશે વિગતો આપી. તેમણે જણાવ્યું હતું કે 6-7 મેની રાત્રે 1:05 થી1:30 સુધી ચાલેલા ઓપરેશનમાં કુલ નવ આતંકવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તેનો જડબાતોબ જવાબ આપવામાં આવશે. ભારત સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યાં છે જ્યાંથી ભારત પર હુમલાની યોજના ઘડવામાં આવતી હતી. બીજી તરફ, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ એરસ્ટ્રાઈકને “કાયરતાપૂર્ણ” કહ્યો છે.