Home Blog Page 75

ઝારખંડના રાજહરા સ્ટેશન પાસે માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક ટ્રેનો પ્રભાવિત

0

ઝારખંડના પલામૂ જિલ્લામાં આવેલા રાજહરા રેલવે સ્ટેશન નજીક ગુરુવારે એક મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. કોલસાથી ભરેલી એક માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી જતા અપ લાઇન પર રેલવે ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો.

રાહત અને બચાવ કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવેના હાજીપુર ઝોનને પણ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે.

અનેક ટ્રેનો રદ અને રૂટ ડાયવર્ટ થવાની શક્યતા
અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ટ્રેનોને ડાયવર્ટ કરવા કે કેટલીક ટ્રેનો રદ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

ટોરીથી મુગલસરાય જઈ રહી હતી માલગાડી
મળતી માહિતી મુજબ, કોલસાથી ભરેલી માલગાડી ટોરીથી મુગલસરાય તરફ જઈ રહી હતી. તે દરમિયાન રાજહરા રેલવે સ્ટેશન નજીક માલગાડીના આઠથી દસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાના કારણે સમગ્ર રેલવે વ્યવહાર પર ગંભીર અસર પડી છે. માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરતા અનેક ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે. અનેક માલગાડીઓ અને મુસાફર ટ્રેનોને અલગ-અલગ રેલવે સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે.

મહત્વના ઔદ્યોગિક રેલવે રૂટ પર અસર
રાજહરા રેલવે સ્ટેશન ધનબાદ રેલવે ડિવિઝન હેઠળ આવે છે અને આ વિસ્તાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. માલગાડી અકસ્માતને કારણે આ રૂટ પર ટ્રેનોની અવરજવર અટકી ગઈ છે. રાજહરા રેલવે સ્ટેશન પરથી દરરોજ આશરે 100થી 110 મુસાફર અને માલગાડીઓ પસાર થાય છે, જેમાં લગભગ ત્રણ ડઝન જેટલી પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે. આ અકસ્માતના કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

માલવીય નગર અગ્નિકાંડ: 21 મોત બાદ ચોંકાવનારા ખુલાસા, 30 પાસપોર્ટ અને ડઝનો ફોન મળ્યા

0

રાજધાની દિલ્હીના માલવીય નગર સ્થિત એક ગેસ્ટ હાઉસમાં એક દિવસ અગાઉ લાગેલી ભીષણ આગની તપાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની અનેક ગંભીર ખામીઓ સામે આવી છે. આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા. ગુરુવારે સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ મોટાભાગના લોકોના મોત આગમાં દાઝવાથી નહીં પરંતુ ગૂંગળામણ અને ધુમાડાના કારણે થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના બાદ પોલીસે ગેસ્ટ હાઉસના દરેક રૂમની તલાશી લીધી હતી અને ત્યાંથી આશરે 50થી 60 મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. તલાશી દરમિયાન લગભગ 30 પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ પણ ગેસ્ટ હાઉસના રૂમ લાંબા સમય સુધી અત્યંત ગરમ રહ્યા હતા, જે આગની તીવ્રતા અને ઈમારતની અંદર ગરમી તથા ધુમાડાની ગંભીર અસર દર્શાવે છે.

તપાસકર્તાઓએ અત્યાર સુધીમાં પાંચ મૃતકોની ઓળખ કરી લીધી છે, જ્યારે બાકીના મૃતકોની ઓળખ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતકોના શરીર પર ગંભીર દાઝવાના નિશાન જોવા મળ્યા નહોતા. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે મોટાભાગના લોકોના મોત ગૂંગળામણ અને ઝેરી ધુમાડાના સંપર્કમાં આવવાથી થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેસ્ટ હાઉસમાં રોકાયેલા મોટાભાગના વિદેશી નાગરિકો મેડિકલ વિઝા પર ભારતમાં આવ્યા હતા. દર મહિને આશરે 80 જેટલા વિદેશી નાગરિકો આ ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા. નિયમો અનુસાર વિદેશી મહેમાનો માટે C-ફોર્મ નિયમિત રીતે ભરવામાં આવતું હતું અને તેને ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO)માં જમા કરાવવામાં આવતું હતું. ત્યારબાદ તેમની વિગતો દિલ્હી પોલીસની સિસ્ટમમાં પણ નોંધવામાં આવતી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓને ઈમારતની સુરક્ષા વ્યવસ્થામાં અનેક ગંભીર ખામીઓ પણ મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈમારતની બારીઓ અને કાચની પેનલો સંપૂર્ણપણે સીલ કરેલી હતી, જેના કારણે ધુમાડો બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો.

તપાસકર્તાઓએ વધુમાં જાણવા મળ્યું કે ઈમારતના બેઝમેન્ટનો પ્રવેશદ્વાર બંધ હતો. બેઝમેન્ટનો દરવાજો ખોલવામાં આશરે 10 મિનિટનો સમય લાગ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઝમેન્ટનો દરવાજો અંદરથી બંધ હતો અને બાદમાં ત્યાંથી 6થી 7 લોકોને જીવતા બચાવવામાં આવ્યા હતા.

આ પ્રાથમિક તપાસમાં સામે આવેલી ગંભીર બેદરકારી અને સુરક્ષા ખામીઓએ અગ્નિકાંડને વધુ ભયાનક બનાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

100 તોલા સોનું અને કરોડોની ભેટો છતાં દુઃખદ અંત, વકીલ યુવતીના આપઘાતથી ખળભળાટ

0

વકીલ કવિતા નાગાર્જૂનના લગ્નના ખાલી 3 મહિનાની અંદર થયેલા મોતને લઈ વિવાદ ઊભો થઈ ગયો છે. મૃતકના પિતા દક્ષિણમૂર્તિએ જબલપુર જિલ્લા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીનું મોત પ્રાકૃતિક નહીં પણ દહેજ પ્રતાડના અને કાવતરાથી કરેલી હત્યાનું પરિણામ છે. ફરિયાદમાં પતિ મેજર ઓમ નાગાર્જૂન, સસરા અને અન્ય સાસરિયા પક્ષના સભ્યો પર ગંભીર આરોપ લગાવ્યા છે. પિતાનું કહેવું છે કે પોલીસને ફરિયાદ આપવા છતાં FIR નોંધી નથી. જે બાદ તેમને કોર્ટમાં આવવું પડ્યું.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર લગ્નના સમયે સાસરિયા પક્ષની માગ પર લગભગ 100 તોલા સોનું, 3 કરોડ રૂૂપિયા રોકડા, 20 લાખ રૂૂપિયાનો હીરાનો હાર, એક XUV-700 કાર અને લગભગ 12 લાખ રૂૂપિયાનો ઘરેલૂ સામાન આપવામાં આવ્યો હતો. તેમ છતાં પણ દહેજની માગ પૂરી જ ન થઈ. આરોપ છે કે સેનામાંથી કર્નલના પદથી નિવૃત સસરાએ હોસ્પિટલ ખોલવા માટે 50 લાખ રૂૂપિયાની માગ કરી, જેને પણ અમે પૂરી કરી. તેમ છતાં કવિતાને સતત હેરાન કરતા અને લગ્ન બાદ વધારાના 2 કરોડ રૂૂપિયાની માગ કરવા લાગ્યા. પરિવારનો આરોપ છે કે દહેજની સાથે સાથે તેની શારીરિક બનાવટને લઈ પણ તેને અપમાન કરતા હતા.

મૃતકના પિતાએ ફરિયાદમાં દાવો કર્યો કે કવિતાના માથા પર બે ગંભીર ઈજાના નિશાન હતા અને તેમાંથી એક ઈજા તો પ્રાણઘાતક હતી. તેમણે આરોપ લગાવ્યો કે ઘટનાના દિવસે મેજર ઓમ નાગાર્જૂન કવિતાને જબલપુરની જેએકે આરઆરસી મેસમાંથી સવારના લગભગ 10 વાગે લઈને નીકળ્યા હતા. પણ થોડી જ મિનિટોના અંતરે આવેલી સૈન્ય હોસ્પિટલમાં પહોંચવામાં તેમને લગભગ 3 કલાક જેવો સમય લાગ્યો. પરિવારે આરોપ લગાવ્યો છે કે આ દરમ્યાન કવિતા સાથે મારપીટ કરવામાં આવી હતી અને બાદમાં તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચાડી કાર્ડિયક અરેસ્ટ ગણાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારે કાર્ડિયક અરેસ્ટની થ્યોરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે 25 એપ્રિલ 2025ના રોજ ચેન્નાઈની રાજીવ ગાંધી નેશનલ મેડિકલ હોસ્પિટલમાં કવિતાના વિસ્તૃત સ્વાસ્થ્ય પરિક્ષણ કરાવ્યું હતું, જેમાં હૃદય સંબંધિત કોઈ સમસ્યા જોવા મળી નથી. આવા સમયે લગભગ દોઢ મહિના બાદ અચાનક કાર્ડિયક અરેસ્ટથી મોત થવાનો દાવો શંકાસ્પદ લાગ્યો. પિતાએ કોર્ટ પાસે આ કેસમાં નિષ્પક્ષ તપાસની માગ કરી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક સજાની માગ કરી છે. વળી મામલામાં લગાવેલા તમામ આરોપ પરિવારમાં વર્ણવેલા તથ્યો પર આધારિત છે, જેની પુષ્ટિ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ થઈ શકશે.

ખાનગીકરણ સામે GSRTC કર્મચારીઓનો મોરચો: 18થી 25 જૂન સુધી યોજશે વિરોધ કાર્યક્રમ

ગુજરાત એસટી મજદૂર મહાસંઘે કર્મચારીઓના પડતર પ્રશ્નો અને એસટીના ખાનગીકરણને લઈને આંદોલનનું એલાન કર્યું છે. એસટી નિગમની મુખ્ય તથા વિભાગીય કચેરીઓ અને બસ ડેપોની બહાર એસટી કર્મીઓ હાથના બાવડે કાળી પટ્ટી બાંધી ધરણાં પર બેસીને દેખાવો કરશે. તારીખ 18થી 25 જૂન સુધી એમ એક સપ્તાહ સુધી તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી છે.

એસટી નિગમની મનસૂફી સામે કર્મચારીઓએ હવે બાંયો ચડાવી છે. કરોડો ચૂકવીને ખાનગી એજન્સી પાસેથી બસ ભાડે લેવા તેમજ આઉટસોર્સિંગથી ચાર હજાર ડ્રાઈવર, કંડક્ટરની ભરતી કરવાના નિગમના નિર્ણયથી તેઓ રોષે ભરાયા છે. તેમજ વર્ષોથી પડતર પ્રશ્નો જેવા કે સાતમું પગાર પંચ લાગુ કરવા, દોઢ વર્ષથી બાકી ચડત મોંઘવારી અરિયર્સ ચૂકવવા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા વગેરે મુદ્દે આંદોલન છેડવાની તૈયારી કરી દીધી છે.

આંદોલનનું આખું શેડ્યૂલ
જેમાં 18મી, 19મી અને 20મી જૂને કર્મચારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવશે. જ્યારે 22મી અને 23મી જૂને વિવિધ બસ ડેપો, વર્કશોપ, વિભાગીય કચેરીઓ બહાર કર્મીઓ સૂત્રોચ્ચાર કરીને ઘંટનાદ સાથે રામધૂન બોલાવશે. બાદમાં 24મી જૂને તેઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી તેમજ નિગમના વડાને ટેગ કરી સોશિયલ મીડિયા પર પણ આંદોલન ચલાવશે. આખરે 25મી જૂને નિગમની તમામ વિભાગીય કચેરીઓ સામે સવારે 11 વાગ્યાથી ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શન કરશે.

સોના-ચાંદીમાં તેજીનો ઝળહળતો ઝટકો: MCX પર ભાવ ઉછળ્યા, જાણો આજના નવા દર

0

ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બંને ધાતુઓમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. નબળા પડતા યુએસ ડોલર અને ક્રૂડ ઓઇલના ભાવ વચ્ચે, રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત સ્વર્ગ ગણાતા સોના અને ચાંદી તરફ વળ્યા છે. આ અસર સ્થાનિક બજારમાં સ્પષ્ટ જોવા મળી હતી, જ્યાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

MCX પર સોનું અને ચાંદી વધુ મોંઘા થયા
ગુરુવારે, ઓગસ્ટ 2026 ડિલિવરી માટે સોનું MCX પર 840 રૂપિયા વધીને 1,59,366 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું. જુલાઈ 2026 ડિલિવરી માટે ચાંદી 753 રૂપિયા વધીને 2,63,711 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. જોકે પાછલા ટ્રેડિંગ સત્રમાં સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા, પરંતુ રોકાણકારો દ્વારા વધતી ખરીદીને કારણે આજે બજાર ખુલતાની સાથે જ તેઓએ ફરીથી મજબૂતી મેળવી લીધી.

સોના અને ચાંદીના ભાવ કેમ વધ્યા?
નબળો પડતા યુએસ ડોલરે રોકાણકારો માટે સોના અને ચાંદીને વધુ આકર્ષક બનાવી છે. વધુમાં, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે બજારની પ્રવૃત્તિમાં વધારો થયો છે. અમેરિકામાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામની વધતી જતી આશાઓએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. વધુમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન સામેના યુદ્ધ અંગે યુએસ કોંગ્રેસમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોએ વૈશ્વિક બજારોમાં નવી ચર્ચા જગાવી છે.

વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ 0.7 ટકા વધીને $4,461 પ્રતિ ઔંસ પર પહોંચ્યો. દરમિયાન, યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.5 ટકા વધીને $4,487 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા હતા. ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમમાં પણ મજબૂતી જોવા મળી.

બ્રિટનમાં સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટના: તાલીમ અભ્યાસ દરમિયાન રોયલ નેવીના 3 સભ્યોના મોત

બ્રિટનમાં સૈન્ય તાલીમ અભ્યાસ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રોયલ નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર ત્રણ ક્રૂ સભ્યોના મોત થયા છે. આ દુર્ઘટના ડેવોન કાઉન્ટીમાં બની હતી. રોયલ નેવીના જણાવ્યા અનુસાર બુધવારે સવારે લગભગ 4 વાગ્યા પહેલા હેલિકોપ્ટર ડેવોનના સોર્ટન વિસ્તાર નજીક એક ખેતરમાં તૂટી પડ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને સૈન્ય અધિકારીઓએ તરત જ તપાસ શરૂૂ કરી હતી.

ગ્વિન જેન્ક્ધિસએ નિવેદન જાહેર કરીને આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે રોયલ નેવીનું મર્લિન Mk4 હેલિકોપ્ટર ડેવોન નજીક અકસ્માતગ્રસ્ત થયું હતું, જેમાં ત્રણ ક્રૂ સભ્યોના જીવ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે દુર્ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને તપાસના તારણો સામે આવ્યા બાદ માહિતી જાહેર કરવામાં આવશે.

મર્લિન Mk4 હેલિકોપ્ટર રોયલ નેવીના સૌથી વિશ્વસનીય અને શક્તિશાળી હેલિકોપ્ટરોમાંનું એક માનવામાં આવે છે. તેને સંચાલિત કરવા માટે સામાન્ય રીતે ચાર ક્રૂ સભ્યોની જરૂૂર પડે છે અને તે લગભગ 24 સૈનિકોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ મુખ્યત્વે દરિયામાં દુશ્મનની સબમરીન સામે કામગીરી, સર્ચ એન્ડ રેસ્ક્યૂ મિશન, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સૈન્ય સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. આ કારણે તેને બ્રિટિશ નૌસેનાની મહત્વપૂર્ણ સંપત્તિ માનવામાં આવે છે.

મુખ્યમંત્રીના મતવિસ્તારમાં જળકાંડ! દૂષિત પાણી પીવાથી 1000થી વધુ લોકો બીમાર

0

થોડા સમય પહેલાં ઈન્દોરમાં થયેલા જળકાંડ જેવી સ્થિતિ ગુજરાતના મુખ્યમંત્રીના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયામાં સર્જાઈ છે. પીવાના દૂષિત પાણીના કારણે ગોતા અને થલતેજ વિસ્તારમાં 500થી 600 જેટલા લોકો ઝાડા-ઉલટી સહિતની બીમારીઓનો ભોગ બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ચારેક દિવસથી સ્થાનિક રહેવાસીઓ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરી રહ્યા હતા. પરંતુ તંત્રએ ફરિયાદને ગંભીરતાથી ન લેતા સ્થિતિ વકરી હતી. બે દિવસથી કેટલાક લોકોને તો 108 એમ્બ્યુલન્સ બોલાવીને દવાખાનાઓમાં સારવાર માટે મોકલવાની ફરજ પડી છે.

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા નવનિયુક્ત મેયરના વોર્ડ થલતેજ અને ગોતામાં પીવાના દૂષિત પાણીથી રોગચાળો ફેલાયો છે. બહાર આવતી ફરિયાદો અનુસાર ગોતા વોર્ડના આકાંક્ષા ફ્લેટમાં 700થી વધુ લોકો ચારેક દિવસમાં બીમાર પડ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો છે. જ્યારે વંદે માતરમ્ ફ્લેટના 100થી વધુ લોકો બીમારીમાં સપડાયા છે. જ્યારે આવી રીતે જ થલતેજ વોર્ડના નવરત્ન એવન્યુ એપાર્ટમેન્ટમાં 200 જેટલા અને વિનાયક બંગલોઝમાં 50થી વધુ લોકો ઝાડા-ઉલટી સહિતની બીમારીનો ભોગ બન્યા છે.

રોગચાળો બેકાબૂ બનતા લોકોનો આક્રોશ સામે આવ્યો હતો. જેના પગલે મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ઈજનેર વિભાગની ટીમો પણ આવી પહોંચી હતી. પીવાના દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, સ્થિતિ આ હદે વકરી ત્યાં સુધી નવા ચૂંટાયેલા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો કે મ્યુનિસિપલના અધિકારીઓમાંથી કોઈ સ્થળ પર ડોકાયું નહોતું. જેને લઈને લોકોમાં તીવ્ર રોષ વ્યાપ્યો હતો.

અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘ગત શુક્રવારથી આ પ્રશ્ન પેદા થયો છે. પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતી હતી. તેમજ પાણી ડહોળું પણ હતું. પહેલાં તો સોસાયટીઓએ પોતાની ટાંકીઓ સાફ કરાવી, પરંતુ પ્રશ્ન ઉકેલાયો નહીં. માટે મ્યુનિસિપલ તંત્રને જાણ કરી હતી. પરંતુ મ્યુનિસિપલના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી. જેના કારણે રોગચાળો બેકાબૂ બન્યો હતો.’

મ્યુનિસિપલના ઈજનેર વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, જનતાનગર ફાટક પાસે પીવાના પાણીની લાઈનમાં લિકેજ થયું હતું. જેનું સમારકામ હાથ ધરાતા નીચે ગટરની લાઈન પણ તૂટેલી જોવા મળી હતી. પરિણામે પહેલાં ડ્રેનેજ લાઈન રીપેર કરાઈ હતી. સમારકામના આ સમયગાળા દરમિયાન પીવાના પાણીની લાઈનમાં ડ્રેનેજનું પાણી ભળી ગયું હતું. સમારકામનું આટલું સાદુ ગણિત સમજવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલના ઈજનેરોના કારણે રોગચાળો વકર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલના શાસનમાં ભાજપના શાસકો નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરતા વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે, ‘હજી 30થી 40 લોકો ખાનગી દવાખાનાઓમાં સારવાર હેઠળ છે. બાળકો, બહેનો, વડીલો સહિતના લોકો ઝાડા-ઉલટી સહિતની બીમારીનો ભોગ બન્યા છે. ભાજપના શાસકો પીવાનું શુદ્ધ પાણી નહીં પૂરું પાડી શકતા લોકોએ પૈસા ખર્ચી પાણીના કેરબા મંગાવવા પડે છે.’

ભીષણ ગરમીમાં પાણી માટે હાહાકાર: નોઇડાના સેક્ટર-122માં ઊંડું બનતું જળસંકટ

0

ભીષણ ગરમી વચ્ચે સેક્ટર-122ના રહેવાસીઓ માટે પાણી સૌથી મોટી સમસ્યા બની રહી છે. હાલત એવી છે કે લગભગ દર બીજા-ત્રીજા દિવસે જળપુરવઠો પ્રભાવિત થવાની સૂચના જાહેર કરવામાં આવે છે. ક્યારેક તકનીકી ખામી તો ક્યારેક વીજ પુરવઠો ખોરવાવાના કારણે પાણીની સપ્લાય બંધ રહે છે, જેના કારણે હજારો લોકોની દૈનિક જીવનશૈલી પર અસર પડી રહી છે.

RWAના મહાસચિવ નિતિન ચૌહાણે જણાવ્યું કે ઘણી વખત પાણી ખૂબ ઓછા દબાણ સાથે આવે છે, જ્યારે અનેક પ્રસંગોએ માત્ર અડધા કલાક માટે જ પાણીની સપ્લાય આપવામાં આવે છે. ઉનાળાની આ કડક ગરમીમાં આટલી ઓછી અવધિનો જળપુરવઠો મળતા લોકોને પીવાના પાણીથી લઈને ઘરેલુ જરૂરિયાતો સુધી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક પરિવારોને પાણીનો સંગ્રહ કરવાની સાથે ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવાની ફરજ પડી રહી છે.

રહેવાસીઓનું કહેવું છે કે જળપુરવઠો ખોરવાયાની સૂચનાઓ હવે સામાન્ય બાબત બની ગઈ છે. જ્યારે પણ પાણીની સપ્લાયનો સમય વધારવા અથવા વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ કરવામાં આવે છે, ત્યારે કોઈ કાયમી ઉકેલ સામે આવતો નથી. જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.

RWAએ નોઇડા ઓથોરિટી અને સંબંધિત અધિકારીઓને માંગ કરી છે કે આ સમસ્યાને ગંભીરતાથી લઈને જળપુરવઠા વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે. લોકોનું કહેવું છે કે ભીષણ ગરમીમાં પાણી જેવી મૂળભૂત સુવિધાનો અભાવ તેમની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો કરી રહ્યો છે અને જો જલ્દી ઉકેલ નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

બિહારના મુઝફ્ફરપુરની હોસ્પિટલમાં ભીષણ આગ લાગતાં 10 દર્દીઓના મોતની આશંકા

0

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગે ચાર દર્દીઓનો ભોગ લીધો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે દર્દીઓ અને સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આગ બાદ હોસ્પિટલના ICU સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમાડો ફેલાઈ જતાં ચાર દર્દીઓના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે 12 જેટલા ફાયર ટેન્ડરોને કામે લગાડવામાં આવ્યા હતા.

બચાવ કામગીરી દરમિયાન આશરે 15થી 20 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રત કુમાર સેન, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે આ અત્યંત દુઃખદ ઘટના છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

ફાયર બ્રિગેડના અધિકારી રામ નિવાસ પાંડેએ જણાવ્યું હતું કે સવારે 3:55 વાગ્યે આગ લાગ્યાની જાણ મળતાં જ ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને તમામ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ અને ધુમાડાના કારણે હોસ્પિટલમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની ઝડપી કામગીરીને કારણે અનેક લોકોના જીવ બચાવી શકાયા હતા.

આ ઘટનાને લઈને બિહાર સરકાર પણ સક્રિય બની છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાની સૂચના અધિકારીઓને આપી છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના દિલ્હીના માલવિયા નગરમાં આવેલી એક હોટલમાં લાગેલી ભીષણ આગના એક દિવસ બાદ બની છે, જેમાં 21 લોકોના મોત થયા હતા. સતત આવી રહેલી આગની ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.

કિવ પર રશિયાનો વિનાશક હુમલો: 18 લોકોના મોત, 100થી વધુ ઘાયલ, ભારે નુકસાન

લાંબા સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુધ્ધમાં અચાનક રશિયાની આક્રમકતાથી માહોલ વધુ ગંભીર બન્યો છે. રશિયાએ ડ્રોન અને મિસાઇલો દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિતના વિસ્તારો પર હુમલો કરતા ઓછામાં ઓછા 18થી વધુ નાગરીકો માર્યા ગયા છે. જયારે 100 થી વધુ લોકો ઘવાયા છે. હુમલામાં વ્યાપક નુકસાન પણ થયું છે. યુક્રેને અમેરિકા અને યુરોપના દેશોને મદદની અપીલ કરી છે. તસવીરોમાં યુક્રેનમાં સર્જાયેલી ખાનાખરાબી નજરે પડે છે.