વકીલ કવિતા નાગાર્જૂનના લગ્નના ખાલી 3 મહિનાની અંદર થયેલા મોતને લઈ વિવાદ ઊભો થઈ ગયો છે. મૃતકના પિતા દક્ષિણમૂર્તિએ જબલપુર જિલ્લા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીનું મોત પ્રાકૃતિક નહીં પણ દહેજ પ્રતાડના અને કાવતરાથી કરેલી હત્યાનું પરિણામ છે. ફરિયાદમાં પતિ મેજર ઓમ નાગાર્જૂન, સસરા અને અન્ય સાસરિયા પક્ષના સભ્યો પર ગંભીર આરોપ લગાવ્યા છે. પિતાનું કહેવું છે કે પોલીસને ફરિયાદ આપવા છતાં FIR નોંધી નથી. જે બાદ તેમને કોર્ટમાં આવવું પડ્યું.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર લગ્નના સમયે સાસરિયા પક્ષની માગ પર લગભગ 100 તોલા સોનું, 3 કરોડ રૂૂપિયા રોકડા, 20 લાખ રૂૂપિયાનો હીરાનો હાર, એક XUV-700 કાર અને લગભગ 12 લાખ રૂૂપિયાનો ઘરેલૂ સામાન આપવામાં આવ્યો હતો. તેમ છતાં પણ દહેજની માગ પૂરી જ ન થઈ. આરોપ છે કે સેનામાંથી કર્નલના પદથી નિવૃત સસરાએ હોસ્પિટલ ખોલવા માટે 50 લાખ રૂૂપિયાની માગ કરી, જેને પણ અમે પૂરી કરી. તેમ છતાં કવિતાને સતત હેરાન કરતા અને લગ્ન બાદ વધારાના 2 કરોડ રૂૂપિયાની માગ કરવા લાગ્યા. પરિવારનો આરોપ છે કે દહેજની સાથે સાથે તેની શારીરિક બનાવટને લઈ પણ તેને અપમાન કરતા હતા.
મૃતકના પિતાએ ફરિયાદમાં દાવો કર્યો કે કવિતાના માથા પર બે ગંભીર ઈજાના નિશાન હતા અને તેમાંથી એક ઈજા તો પ્રાણઘાતક હતી. તેમણે આરોપ લગાવ્યો કે ઘટનાના દિવસે મેજર ઓમ નાગાર્જૂન કવિતાને જબલપુરની જેએકે આરઆરસી મેસમાંથી સવારના લગભગ 10 વાગે લઈને નીકળ્યા હતા. પણ થોડી જ મિનિટોના અંતરે આવેલી સૈન્ય હોસ્પિટલમાં પહોંચવામાં તેમને લગભગ 3 કલાક જેવો સમય લાગ્યો. પરિવારે આરોપ લગાવ્યો છે કે આ દરમ્યાન કવિતા સાથે મારપીટ કરવામાં આવી હતી અને બાદમાં તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચાડી કાર્ડિયક અરેસ્ટ ગણાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરિવારે કાર્ડિયક અરેસ્ટની થ્યોરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે 25 એપ્રિલ 2025ના રોજ ચેન્નાઈની રાજીવ ગાંધી નેશનલ મેડિકલ હોસ્પિટલમાં કવિતાના વિસ્તૃત સ્વાસ્થ્ય પરિક્ષણ કરાવ્યું હતું, જેમાં હૃદય સંબંધિત કોઈ સમસ્યા જોવા મળી નથી. આવા સમયે લગભગ દોઢ મહિના બાદ અચાનક કાર્ડિયક અરેસ્ટથી મોત થવાનો દાવો શંકાસ્પદ લાગ્યો. પિતાએ કોર્ટ પાસે આ કેસમાં નિષ્પક્ષ તપાસની માગ કરી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક સજાની માગ કરી છે. વળી મામલામાં લગાવેલા તમામ આરોપ પરિવારમાં વર્ણવેલા તથ્યો પર આધારિત છે, જેની પુષ્ટિ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ થઈ શકશે.