Friday, Jun 5, 2026

બિહારના મુઝફ્ફરપુરની હોસ્પિટલમાં ભીષણ આગ લાગતાં 10 દર્દીઓના મોતની આશંકા

3 Min Read

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગે ચાર દર્દીઓનો ભોગ લીધો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે દર્દીઓ અને સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આગ બાદ હોસ્પિટલના ICU સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમાડો ફેલાઈ જતાં ચાર દર્દીઓના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે 12 જેટલા ફાયર ટેન્ડરોને કામે લગાડવામાં આવ્યા હતા.

બચાવ કામગીરી દરમિયાન આશરે 15થી 20 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રત કુમાર સેન, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે આ અત્યંત દુઃખદ ઘટના છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

ફાયર બ્રિગેડના અધિકારી રામ નિવાસ પાંડેએ જણાવ્યું હતું કે સવારે 3:55 વાગ્યે આગ લાગ્યાની જાણ મળતાં જ ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને તમામ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ અને ધુમાડાના કારણે હોસ્પિટલમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની ઝડપી કામગીરીને કારણે અનેક લોકોના જીવ બચાવી શકાયા હતા.

આ ઘટનાને લઈને બિહાર સરકાર પણ સક્રિય બની છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાની સૂચના અધિકારીઓને આપી છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના દિલ્હીના માલવિયા નગરમાં આવેલી એક હોટલમાં લાગેલી ભીષણ આગના એક દિવસ બાદ બની છે, જેમાં 21 લોકોના મોત થયા હતા. સતત આવી રહેલી આગની ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.

Share This Article