Thursday, Jun 4, 2026

ખાનગીકરણ સામે GSRTC કર્મચારીઓનો મોરચો: 18થી 25 જૂન સુધી યોજશે વિરોધ કાર્યક્રમ

1 Min Read

ગુજરાત એસટી મજદૂર મહાસંઘે કર્મચારીઓના પડતર પ્રશ્નો અને એસટીના ખાનગીકરણને લઈને આંદોલનનું એલાન કર્યું છે. એસટી નિગમની મુખ્ય તથા વિભાગીય કચેરીઓ અને બસ ડેપોની બહાર એસટી કર્મીઓ હાથના બાવડે કાળી પટ્ટી બાંધી ધરણાં પર બેસીને દેખાવો કરશે. તારીખ 18થી 25 જૂન સુધી એમ એક સપ્તાહ સુધી તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી છે.

એસટી નિગમની મનસૂફી સામે કર્મચારીઓએ હવે બાંયો ચડાવી છે. કરોડો ચૂકવીને ખાનગી એજન્સી પાસેથી બસ ભાડે લેવા તેમજ આઉટસોર્સિંગથી ચાર હજાર ડ્રાઈવર, કંડક્ટરની ભરતી કરવાના નિગમના નિર્ણયથી તેઓ રોષે ભરાયા છે. તેમજ વર્ષોથી પડતર પ્રશ્નો જેવા કે સાતમું પગાર પંચ લાગુ કરવા, દોઢ વર્ષથી બાકી ચડત મોંઘવારી અરિયર્સ ચૂકવવા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા વગેરે મુદ્દે આંદોલન છેડવાની તૈયારી કરી દીધી છે.

આંદોલનનું આખું શેડ્યૂલ
જેમાં 18મી, 19મી અને 20મી જૂને કર્મચારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવશે. જ્યારે 22મી અને 23મી જૂને વિવિધ બસ ડેપો, વર્કશોપ, વિભાગીય કચેરીઓ બહાર કર્મીઓ સૂત્રોચ્ચાર કરીને ઘંટનાદ સાથે રામધૂન બોલાવશે. બાદમાં 24મી જૂને તેઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી તેમજ નિગમના વડાને ટેગ કરી સોશિયલ મીડિયા પર પણ આંદોલન ચલાવશે. આખરે 25મી જૂને નિગમની તમામ વિભાગીય કચેરીઓ સામે સવારે 11 વાગ્યાથી ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શન કરશે.

Share This Article