Home Blog Page 74

કે. અન્નામલાઈના રાજીનામાથી તમિલનાડુ ભાજપમાં રાજકીય ગરમાવો

0

તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કે. અન્નામલાઈના પાર્ટી છોડવાના નિર્ણયથી ભાજપ હચમચી ગયો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ તેમના રાજીનામા અંગે અંતિમ નિર્ણય લેવા માટે થોડો સમય માંગ્યો છે, અને હાલમાં તેમને રહેવા માટે મનાવવાના પ્રયાસો ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈએ મંગળવારે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ, બપોરે, તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એક અલગ મુલાકાત કરી. એ નોંધનીય છે કે બી.એલ. સંતોષને રાજકારણમાં અન્નામલાઈના માર્ગદર્શક માનવામાં આવે છે.

પક્ષના ટોચના નેતાઓ સાથેની તેમની મુલાકાત દરમિયાન, અન્નામલાઈએ અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભાજપ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી. જોકે, તેમણે એ વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો હતો કે, જો ભવિષ્યમાં ક્યારેય જરૂૂર પડશે, તો તેઓ પક્ષ સાથે કામ કરવા તૈયાર રહેશે.

આ ઘટનાક્રમથી પરિચિત પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે જેમ અન્નામલાઈ દિલ્હી એરપોર્ટથી ચેન્નાઈ જવા રવાના થવાના હતા, તેમ કેન્દ્રીય નેતૃત્વએ તેમને વધુ ચર્ચા માટે પાછા બોલાવ્યા. ભાજપ હાઇકમાન્ડ ઇચ્છે છે કે અન્નામલાઈ પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાના તેમના નિર્ણય પર પુનર્વિચાર કરે. જો ભાજપ – સંગઠનમાં કડક શિસ્ત માટે જાણીતી પાર્ટી – તેમને જાળવી રાખવામાં સફળ થાય છે, તો તે પક્ષના ઇતિહાસમાં એક અસામાન્ય ઘટના હશે.

સ્ત્રોતો સૂચવે છે કે અન્નામલાઈ તમિલનાડુમાં એક નવી રાજકીય પાર્ટી શરૂૂ કરવાનું વિચારી રહ્યા છે. રાજ્યની વર્તમાન રાજકીય ગતિશીલતાને જોતાં, તેઓ આવા પગલામાં નોંધપાત્ર સંભાવના જુએ છે. તાજેતરમાં પૂર્ણ થયેલી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં, રાજ્યના બે મુખ્ય દ્રવિડ પક્ષો – ડીએમકે અને એઆઈએડીએમકે – ને કારમી હારનો સામનો કરવો પડ્યો.

બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી: અમદાવાદ શહેરમાં 291 શકમંદોની અટકાયત

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરુદ્ધ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે એક અત્યંત મોટું અને સપાટો બોલાવતું ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. ગઈકાલે (2 જૂન) મોડી રાત્રે શરૂ થયેલી આ મેગા ડ્રાઈવમાં કાયદા અમલીકરણ એજન્સીઓને એક બહુ મોટી સફળતા મળી છે. સમગ્ર ઓપરેશન દરમિયાન બાંગ્લાદેશી હોવાની શંકાના આધારે કુલ 291 જેટલા શકમંદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આ તમામ શંકાસ્પદ વ્યક્તિઓની કડક પૂછપરછ અને દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી બાદ, તેમાંથી 131 લોકો મૂળ બાંગ્લાદેશી નાગરિક હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે બાકીના અન્ય 160 લોકોના શંકાસ્પદ રોકાણને લઈને હાલમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ અને તપાસનો દોર ચાલી રહ્યો છે.

ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડામાં પોલીસનો સયુંકત દરોડો
શહેરમાં કોઈ મોટી અસામાજિક કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ ન થાય અને ગેરકાયદેસર વસવાટ કરતા તત્વોને શોધી શકાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ અચાનક શરૂ કરાયેલા આ ઓપરેશનમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ સ્તરનો મોટો કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુખ્ય ગઢ ગણાતા વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. જેમાં મુખ્યત્વે ચંડોળા તળાવ આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારો, ગુલાબનગર તેમજ દાણીલીમડાના ખોડિયારનગરમાં વ્યાપક કોમ્બિંગ હાથ ધરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અચાનક આવી પહોંચેલી પોલીસ વેનને જોઈને આ વિસ્તારોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો.

સરકારી દસ્તાવેજો અને પુરાવાની બારીકાઈથી તપાસ શરૂ
ઓપરેશન દરમિયાન ઝડપાયેલા તમામ 291 શકમંદ વ્યક્તિઓને તાત્કાલિક અસરથી પોલીસ વાહનો દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના મુખ્ય કેમ્પસ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલમાં આ તમામ શકમંદો અને જેમના બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ ગઈ છે તેવા 131 નાગરિકોને ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડી અને કેમ્પસની કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે અટકાયત કરાયેલા લોકો ખરેખર બાંગ્લાદેશી નાગરિકો છે કે નહીં. દસ્તાવેજોની ચકાસણી અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ બંને શહેરોમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનારા લોકો સામે રાજ્યભરમાં વધુ તપાસ અભિયાન ચલાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ હાલમાં દરેક વ્યક્તિની ઓળખ, રહેઠાણ, રોજગાર અને દેશમાં પ્રવેશ અંગેની વિગતો એકત્રિત કરી રહી છે. તપાસ દરમિયાન જો કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ સમગ્ર ઓપરેશનનો મુખ્ય હેતુ રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી પર નિયંત્રણ લાવવાનો અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ અમદાવાદ અને રાજકોટ બંને સ્થળે તપાસની કાર્યવાહી ચાલુ છે.

દિલ્હીના હોટલ-રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 20થી વધુ લોકોનાં મોત, અનેક લોકો ગંભીર રીતે દાઝયા

0

દેશની રાજધાની દિલ્હીનો પોશ ગણાતો માલવીય નગર વિસ્તાર બુધવારની વહેલી સવારે એક અત્યંત ભયાનક અને હૃદયદ્રાવક અકસ્માતથી ધ્રુજી ઉઠ્યો છે. માલવીય નગરના હૌજ રાની વિસ્તારમાં આવેલી એક પ્રખ્યાત હોટલ-રેસ્ટોરન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને હોબાળો મચી ગયો હતો. આ રુંવાડા ઉભા કરી દેનારી દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં અંદાજે ૨૦ જેટલા લોકોનાં ગૂંગળામણ અને દાઝી જવાથી દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઝુલસી જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી વિગતો અનુસાર, આગ માલવીય નગરમાં આવેલી ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’ માં લાગી હતી, જે જોતજોતામાં ખૂબ જ વિકરાળ બની ગઈ હતી અને ઉપરના માળ તરફ ઝડપથી આગળ વધી હતી. આગ એટલી ઝડપથી ભભૂકી ઉઠી હતી કે અંદર હાજર લોકોને સંભાળવાની કે બહાર નીકળવાનો રસ્તો શોધવાની કોઈ તક મળી ન હતી. જોતજોતામાં આખી ઇમારત કાળા ધુમાડાના ગરકાવમાં આવી ગઈ હતી, જેના કારણે અંદર હાજર લોકોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. પોતાનો જીવ બચાવવા માટે ગભરાયેલા લોકો બારીઓ અને બાલ્કની તરફ દોડતા જોવા મળ્યા હતા.

દિલ્હી ફાયર સર્વિસ (DFS) ને સવારે અંદાજે ૯:૪૫ વાગ્યે આ અકસ્માત અંગેનો કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હી ફાયર વિભાગે તાત્કાલિક મુઝૈદી દાખવીને ૧૦ ફાયર ટેન્ડર, વોટર બાઉઝર અને ક્વિક રિસ્પોન્સ વ્હીકલ ઘટનાસ્થળે રવાના કર્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા અગ્નિશામકોએ ભારે જહેમત ઉઠાવીને બેઝમેન્ટ અને હોટલના અન્ય ખૂણાઓમાં ફસાયેલા અસંખ્ય લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

તમામ ઘાયલોને કેટ્સ (CATS) એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હજુ પણ કેટલાક લોકોની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. કલાકોની કડી મશક્કત બાદ દમકલ વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ હૃદયદ્રાવક અકસ્માતે ફરી એકવાર દિલ્હીની વ્યાપારી ઇમારતો, હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ફાયર સેફ્ટીના પુખ્તા પ્રબંધો અને નિયમોના ચુસ્ત પાલન સામે મોટા સવાલો ઉભા કરી દીધા છે. જો કે, આગ લાગવાનું સાચું કારણ શું હતું તેની સત્તાવાર તપાસ ચાલી રહી છે. પરંતુ પ્રાથમિક તપાસમાં આ અકસ્માત શોર્ટ સર્કિટના કારણે થયો હોવાનું મનાય રહ્યું છે. દિલ્હી પોલીસ અને ફાયર વિભાગે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ટેકનિકલ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે, જે એ બાબતની તપાસ કરી રહી છે કે સંબંધિત રેસ્ટોરન્ટ પાસે વહીવટી તંત્રનું જરૂરી ફાયર એનઓસી (NOC) અને સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હતા કે નહીં.

ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો 6 જૂને વિરોધ પ્રદર્શનમાં જોડાઈશ: સોનમ વાંગચુક

0

શિક્ષણ સુધારક અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિઓ અને તેના અમલીકરણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જાહેરાત કરી છે કે જો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન 5 જૂન સુધીમાં રાજીનામું નહીં આપે તો તેઓ 6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.

વાંગચુકે જણાવ્યું કે આ નિર્ણય કોઈ રાજકીય કારણસર નહીં પરંતુ દેશની શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ અને તેમાં જરૂરી સુધારાઓના અભાવને કારણે લેવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર જવાબદારી નક્કી થવી જોઈએ.

યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા સોશિયલ મીડિયા આધારિત આંદોલન ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. CJPના સ્થાપક અભિજીત દિપકે વાંગચુકના સમર્થનનું સ્વાગત કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેમના આંદોલન સાથે વાંગચુક જેવા વ્યક્તિત્વનું જોડાવું ગૌરવની બાબત છે.

વાંગચુકે એક વિડિયો સંદેશમાં જણાવ્યું કે તેમણે આંદોલનના આયોજકો સાથે ચર્ચા કરી હતી અને ખાતરી કરી હતી કે આ અભિયાન સંપૂર્ણપણે ભારતીય યુવાનોનો અવાજ છે અને તેના પર કોઈ બાહ્ય પ્રભાવ નથી. તેમના જણાવ્યા મુજબ, આંદોલન પાછળ દેશહિત અને શિક્ષણ ક્ષેત્રમાં સુધારાની ભાવના છે.

તેમણે કહ્યું કે હાલ ઘણા યુવાનો NEET પેપર લીક, CUET અને CBSE પરીક્ષાઓને લઈને ઉભી થયેલી વિવાદાસ્પદ પરિસ્થિતિઓના કારણે આંદોલન સાથે જોડાઈ રહ્યા છે. જોકે તેમની પોતાની ચિંતા માત્ર પરીક્ષાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત સાથે સંબંધિત છે.

સોનમ વાંગચુકે જણાવ્યું કે છેલ્લા ચાર દાયકાથી તેઓ શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને દૂરદરાજના વિસ્તારોમાં સરકારી શાળાઓની ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયાસ કરતા આવ્યા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અને 2047 સુધી વિકસિત ભારતના વિઝન પાછળ સરકારનો આશય સારો હોઈ શકે છે, પરંતુ તેનું વાસ્તવિક પરિણામ જમીન સ્તરે થતા અમલીકરણ પર આધાર રાખે છે.

તેમણે સરકારના આશયને 10માંથી 10 ગુણ આપતા કહ્યું કે જો અમલીકરણ અસરકારક નહીં હોય તો કોઈ પણ સારી નીતિનો લાભ સામાન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકશે નહીં. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ અને પ્રાથમિક શિક્ષણની સ્થિતિ સુધાર્યા વગર વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકશે નહીં.

પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને ગંભીર મુદ્દો ગણાવતા વાંગચુકે જણાવ્યું કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આવા મામલાઓમાં જવાબદારી નક્કી થવી જરૂરી છે. તેમણે ઉમેર્યું કે આત્મસન્માન ધરાવતી લોકશાહીમાં આવી નિષ્ફળતાઓ માટે જવાબદાર મંત્રીઓએ રાજીનામું આપવું જોઈએ.

વાંગચુકે આશા વ્યક્ત કરી કે આગામી દિવસોમાં સરકાર કોઈ યોગ્ય નિર્ણય લેશે. જોકે જો 5 જૂન સુધીમાં કોઈ ફેરફાર નહીં થાય તો તેઓ 6 જૂને દિલ્હીમાં યોજાનારા વિરોધ પ્રદર્શનમાં જોડાઈને પોતાની માંગ વધુ મજબૂત રીતે રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે CJP દ્વારા અગાઉથી જ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે શિક્ષણ વ્યવસ્થામાં ઉભી થયેલી ખામીઓ અને પરીક્ષા સંબંધિત વિવાદોને લઈને જવાબદારી નક્કી કરવી જરૂરી છે.

મહિલા ક્રિકેટમાં હરમનપ્રીત કૌરનો નવો રેકોર્ડ, સૌથી વધુ મેચ રમનારી ખેલાડી બની

0

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન હરમનપ્રીત કૌરએ એક નવો વિશ્વ કીર્તિમાન સ્થાપ્યો છે. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેઓ જ્યારે મેદાન પર ઉતર્યાં ત્યારે તેમણે 368મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સને પાછળ છોડી દીધી. સુઝી બેટ્સે અત્યાર સુધીમાં 367 મેચ રમી હતી.

હરમનપ્રીત કૌર હવે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને T20)માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી મહિલા ખેલાડી બની ગઈ છે. તેમણે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ, 164 વનડે અને 197 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

કરિયરની શરૂઆત
હરમનપ્રીત કૌરે વર્ષ 2009માં પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તે સમયે ઝુલન ગોસ્વામી ટીમની કપ્તાન હતી. ત્યારબાદ તેમણે 2014માં ટેસ્ટ ડેબ્યુ કર્યું. આજે તેઓ ભારતીય મહિલા ક્રિકેટના મુખ્ય સ્તંભ બની ગયા છે.

રનનો રેકોર્ડ
તેમણે 7 ટેસ્ટમાં 230 રન,164 વનડેમાં 4541 રન (7 શતક અને 24 અર્ધશતક) અને T20માં 4075 રન બનાવ્યા છે. તેઓ મિતાલી રાજને પણ પાછળ છોડીને ભારત માટે સૌથી વધુ મેચ રમનારી ખેલાડી બની ચૂક્યા છે.

T20 વિશ્વ કપ 2026 તરફ નજર
હરમનપ્રીતની કપ્તાની હેઠળ ભારતીય ટીમ હવે ICC T20 વિશ્વ કપ 2026માં ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારતનો પાકિસ્તાન સાથે મુકાબલો થવાની સંભાવના છે. હરમનપ્રીત T20 વિશ્વ કપના 39 મેચમાં 726 રન બનાવી ચૂક્યા છે. તેઓ પ્રથમ T20 વિશ્વ કપથી રમતી દુનિયાની માત્ર સાત મહિલા ખેલાડીઓમાં સામેલ છે.

આ રેકોર્ડ સાથે હરમનપ્રીત કૌરે એક વખત વધુ સાબિત કર્યું છે કે તેઓ મહિલા ક્રિકેટની સૌથી મહાન ખેલાડીઓમાંની એક છે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ હવે T20 વિશ્વ કપમાં તેમની કપ્તાની અને પ્રદર્શનની આશા રાખી રહ્યા છે.

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ 17 સંદિગ્ધ આતંકવાદીઓને ઠાર માર્યા

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં શટલ ટ્રેન પર ગયા અઠવાડિયે થયેલા બોમ્બ હુમલામાં સંડોવાયેલા 17 આતંકવાદીઓને પાકિસ્તાની સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. 24 મેના રોજ ક્વેટામાં એક સ્ટેશન નજીક શટલ ટ્રેન પર થયેલા શંકાસ્પદ આત્મઘાતી હુમલામાં ત્રણ સુરક્ષા કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની સૈન્યના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, આ ઘટના બાદ, સુરક્ષા દળોએ બલુચિસ્તાનના વિવિધ જિલ્લાઓમાં અનેક ગુપ્તચર-આધારિત કામગીરી (IBO) હાથ ધરી હતી, જેમાં ૧૭આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ISPR ના એક નિવેદન મુજબ, સુરક્ષા દળોએ મસ્તુંગ, નુશ્કી, ઝેહરી, ખુઝદાર અને કેચમાં કાર્યવાહી દરમિયાન અનેક આતંકવાદી ઠેકાણાઓને અસરકારક રીતે નિશાન બનાવ્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે ભીષણ ગોળીબારમાં ફિત્ના-અલ-હિન્દોસ્તાન સાથે જોડાયેલા 17 આતંકવાદીઓ માર્યા ગયા. ISPR એ એ પણ અહેવાલ આપ્યો છે કે સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી શષો, દારૂગોળો, મોટી માત્રામાં વિસ્ફોટકો અને ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (IED) જપ્ત કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ આ પ્રદેશમાં અસંખ્ય આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તલભ્ય એ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં બાકી રહેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે શોધ કામગીરી ચાલુ છે.

મે ૨૦૨૬ ના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં આતંકવાદી હુમલાઓમાં ટ્રેનો અને રેલ્વે માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. ક્વેટામાં ચમન ગેટ નજીક એક લશ્કરી ટ્રેન અને પેશાવર જતી જાફર એક્સપ્રેસને શક્તિશાળી વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવી હતી. આ હુમલાઓમાં ઘણા સુરક્ષા કર્મચારીઓ અને મુસાફરો માર્યા ગયા હતા, અને બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી.

આત્મઘાતી અને IED વિસ્ફોટોમાં ટ્રેનના એન્જિન અને અનેક કોચને ભારે નુકસાન થયું હતું, અને ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. હુમલા બાદ, પાકિસ્તાની સુરક્ષા દળોએ બલુચિસ્તાનના વિવિધ જિલ્લાઓમાં મોટા પાયે આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરીને પ્રતિક્રિયા આપી હતી. વધુમાં, રેલ્વે અધિકારીઓએ સાવચેતીનાં પગલાં લીધાં છે, જેમાં મુસાફરોની સલામતી સુનિ^તિ કરવા માટે ટ્રેન ટ્રાફિકને અસ્થાયી રૂપે બંધ કરવાનો અથવા ટેનોને ડાયવર્ટ કરવાનો સમાવેશ થાય છે.

મમતાનો શુભેન્દુ સરકાર સામે મોરચો: 177 બેઠકો પર ચૂંટણી ગેરરીતિના આક્ષેપ સાથે ધરણું

0

પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) 15 વર્ષ બાદ સત્તામાંથી બહાર થઈ છે. દોઢ દાયકાથી વધુ સમય બાદ TMCને સત્તામાંથી હટાવનાર ભાજપ આત્મવિશ્વાસથી ભરપૂર છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ આ કારમી હાર બાદ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કરી રહી છે. બંને પક્ષો વચ્ચે રાજકીય ઘર્ષણ વધતા આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું. TMCના આ હલ્લાબોલ વચ્ચે ભાજપે સોનારપુરમાં થયેલી મારામારી અને હિંસાની ઘટનાને લઈને તૃણમૂલને ઘેરી છે. ભાજપના નેતા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે તૃણમૂલના આવા રાજકીય હથકંડાઓથી ભાજપ પર કોઈ અસર નહીં થાય.

સીએમ મમતાએ પોતાના ધરણા દરમિયાન શું કહ્યું?

  • ભાજપે 294માંથી 177 વિધાનસભા બેઠકો પર મતગણતરી દરમિયાન ગેરરીતિ કરી છે.
  • પોલીસે ધરણાની મંજૂરી આપી નહોતી, છતાં લોકશાહી રીતે વિરોધ ચાલુ રહેશે.
  • વિરોધ અને ધરણાં ચાલુ રહેશે, ભલે તેને રોકવાના કેટલાય પ્રયાસો કરવામાં આવે.
  • મુશ્કેલ સમયમાં TMCના કાર્યકરોનો સાથ નહીં છોડું.
  • કાર્યકરોને ધમકાવવામાં આવી રહ્યા છે અને અનેક સ્થળોએ તેમને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે.
  • પોલીસ TMC કાર્યકરોને વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાથી રોકી રહી છે.
  • અમારી સરકાર હંમેશા માનવતાવાદી અભિગમ સાથે કામ કરતી રહી છે.
  • પુનર્વસન કર્યા વગર ફેરિયાઓને હટાવવાની નીતિ અમારી સરકારની ક્યારેય નહોતી.

કલ્યાણ બેનર્જીએ શું આક્ષેપો કર્યા?

કોલકાતામાં વિરોધ પ્રદર્શનકારીઓને સંબોધતા TMC નેતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે આગામી દિવસોમાં વધુ મોટા વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે. તેમણે કોલકાતા પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીઓને કહ્યું કે તેમનો પગાર જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવે છે અને તેમણે બંધારણ તથા કાયદા અનુસાર પોતાની ફરજો નિભાવવી જોઈએ.

કલ્યાણ બેનર્જીએ કહ્યું કે સુવેન્દુ અધિકારી શાંતિનિકેતનમાંથી પૈસા લાવીને પોલીસને પગાર આપતા નથી. તેમણે પોલીસ અધિકારીઓને યાદ અપાવ્યું કે સમય હંમેશા બદલાતો રહે છે, તેથી દરેકે પોતાની ફરજ નિષ્પક્ષ રીતે બજાવવી જોઈએ. તેમના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપનું રાજકારણ વધુ ગરમાયું છે.

કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે 29 મેના રોજ જ વહીવટી તંત્રને 2 જૂનના ધરણા અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ કોલકાતા પોલીસે છેલ્લી ક્ષણ સુધી કોઈ જવાબ આપ્યો નહોતો. તેમણે આરોપ લગાવ્યો કે મોડેથી મંજૂરી મળવાને કારણે પ્રદર્શન સ્થળે સાઉન્ડ સિસ્ટમ અને સ્પીકરો લગાવી શકાયા નહોતા. TMCએ આને વહીવટી તંત્રની જાણબૂઝીને કરાયેલી મોડાશ ગણાવી છે.

કાર્યકરો સામે હિંસા અને કાર્યવાહીનો આક્ષેપ
કલ્યાણ બેનર્જીએ વધુમાં આક્ષેપ કર્યો કે રાજ્યમાં પાર્ટીના કાર્યકરો અને સમર્થકો સામે સતત હિંસા અને કાર્યવાહી થઈ રહી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 25થી 30 કાર્યકરોની હત્યા થઈ ચૂકી છે, જ્યારે 5,000થી 8,000 સમર્થકોને પોતાના ઘરો છોડવા માટે મજબૂર થવું પડ્યું છે. TMCનો દાવો છે કે લગભગ 3,000 ઘરો પણ તોડી પાડવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં પણ પાર્ટીના કાર્યક્રમો યોજાવાના હોય છે ત્યાં અગાઉથી જ પોલીસ તૈનાત કરી દેવામાં આવે છે જેથી લોકો કાર્યક્રમોમાં ભાગ લઈ ન શકે. તેમના જણાવ્યા મુજબ પોલીસ લોકોના ઘરની બહાર ઊભી રહે છે અને જો મહિલાઓ અથવા પરિવારના સભ્યો બહાર નીકળે તો તેમને કસ્ટડીમાં લેવામાં આવે છે અથવા ધરપકડ કરવામાં આવે છે.

સોનારપુરમાં મારામારી સહિત અનેક ઘટનાઓને લઈને TMCમાં રોષ
આ પહેલાં TMCના નેતાઓએ પાર્ટીના આગેવાનો પર થયેલા હુમલાના વિરોધમાં પણ પ્રદર્શન કર્યું હતું. ભાજપના નેતા શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી સાથે સોનારપુરમાં મારામારીની ઘટના બની હતી. આ ઉપરાંત અન્ય અનેક નેતાઓ સાથે પણ આવી ઘટનાઓ બની હોવાનું TMCનો આરોપ છે.

ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ધરણું
મમતા બેનર્જીએ વિરોધ પ્રદર્શન દરમિયાન અન્ય મહત્વના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તૃણમૂલના આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય હેતુ પાર્ટીના નેતાઓ સામે થઈ રહેલા હુમલાઓ સામે અવાજ ઉઠાવવાનો છે.

પ્રદર્શન પહેલાં TMC પ્રમુખ મમતા બેનર્જીએ પાર્ટીના અન્ય નેતાઓ સાથે મળીને B. R.અંબેકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહેવાલો મુજબ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી હાથમાં બંધારણની પુસ્તક લઈને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

અમેરિકામાં સામૂહિક હત્યાકાંડ: 6 સંબંધીઓની હત્યા બાદ આરોપીએ કર્યું આત્મહત્યા

0

અમેરિકાના આયોવા રાજ્યમાં એક ભયાનક ઘરેલુ વિવાદે 6 જીવ લઈ લીધા છે. 52 વર્ષીય રયાન વિલિસ મેકફાર્લેન્ડ નામના વ્યક્તિએ પોતાના જ 6 સંબંધીઓની ગોળીબારી કરીને હત્યા કરી અને પછી પોતે જ સુસાઈડ કરી લીધું.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આયોવાના મસ્કેટાઈન વિસ્તારમાં બુધવારે બપોરે બની હતી. આરોપીએ અલગ-अલગ સ્થળોએ જઈને ગોળીબારી કરી હતી. પોલીસે બે ઘરો અને એક વ્યાપારિક સ્થળ પરથી 6 શવ બરામદ કર્યા, જે તમામ આરોપીના જ રિશ્તેદારો હતા.

એક ઘરમાંથી 4 શવ મળ્યા પોલીસને જ્યારે સૂચના મળી કે એક વ્યક્તિ બંદૂક લઈને ફરી રહ્યો છે, ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી. એક ઘરમાંથી 4 શવ મળ્યા. આરોપી ત્યાંથી ભાગી ચૂક્યો હતો.

વ્યાપારિક સ્થળ પરથી 2 શવ પોલીસે આરોપીને મિસિસિપી નદીના કિનારે એક રસ્તા પર ઘેરો નાખ્યો. આ દરમિયાન એક વ્યાપારિક સ્થળ પરથી 2 વ્યક્તિઓના શવ મળ્યા. પોલીસના ઘેરામાં આવતાં જ આરોપીએ પોતાને જ ગોળી મારી દીધી. તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું.

મસ્કેટાઈન પોલીસ ચીફ એન્થોની કીસએ જણાવ્યું કે આ હત્યાકાંડ અને સુસાઈડ ઘરેલુ વિવાદને કારણે થયું છે. તમામ 6 મૃતકો પર ગોળીના નિશાન મળ્યા છે. આરોપી દ્વારા વપરાયેલી બંદૂકને કબજે કરીને તપાસ માટે મોકલવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે લોકોને શાંત રહેવા અપીલ કરી છે.

દાઉદના સાથી સલીમ ડોલાના નેટવર્ક પર EDનો શિકંજો, ગુજરાત સહિત 20 સ્થળોએ દરોડા

0

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સલીમ ઇસ્માઇલ ડોલા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ મુંબઈ, સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત 20થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડીને ડ્રગ્સ તસ્કરી, મની લોન્ડરિંગ, હવાલા અને બેનામી સંપત્તિના વિશાળ નેટવર્કની તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી દેશવ્યાપી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા ડ્રગ્સ સિન્ડિકેટના અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર સલીમ ડોલા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ તસ્કરીના મોટા નેટવર્કનું સંચાલન કરતો હતો. આ નેટવર્ક મારફતે વિવિધ દેશોમાં પ્રતિબંધિત માદક પદાર્થોની હેરફેર કરવામાં આવતી હતી અને તેમાંથી હજારો કરોડ રૂપિયાની ગેરકાયદેસર કમાણી થતી હતી. તાજેતરમાં ભારત સરકારે તુર્કિયેથી સલીમ ડોલાનું પ્રત્યાર્પણ કરાવી તેને ભારત લાવ્યો હતો, ત્યારબાદ તપાસ એજન્સીઓએ તેની વિરુદ્ધ કાર્યવાહી વધુ તેજ બનાવી છે.

ઈડી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિતના શહેરોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ એવા લોકો અને સંસ્થાઓને નિશાન બનાવ્યા છે, જેઓ સલીમ ડોલાના ડ્રગ્સ નેટવર્ક સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.

તપાસનો ફોકસ ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયરો, કેમિકલ ટ્રેડરો, મધ્યસ્થીઓ, સિન્થેટિક ડ્રગ મેફેડ્રોન (MD)ના ઉત્પાદકો અને વિતરકો પર છે. ઉપરાંત હવાલા મારફતે નાણાંની હેરફેર કરનાર ઓપરેટરો અને બેનામી સંપત્તિ ધરાવતા લોકો પણ તપાસના ઘેરામાં આવ્યા છે.

PMLA હેઠળ ચાલી રહી છે તપાસ
આ સમગ્ર કેસમાં ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં સલીમ ડોલા અને તેના સાથીદારો વિરુદ્ધ નોંધાયેલી અનેક FIRના આધારે આ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ FIRમાં નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદેસર હેરફેરના ગંભીર આરોપો સામેલ છે.

ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે તપાસ દરમિયાન અત્યંત સુવ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ગુનાહિત નેટવર્કના પુરાવા મળ્યા છે. આ ગેંગ પ્રીકર્સર કેમિકલ્સની ખરીદી, ગુપ્ત રીતે મેફેડ્રોન (MD)નું ઉત્પાદન, વિવિધ રાજ્યોમાં ડ્રગ્સનું વિતરણ અને વિદેશોમાં તેની તસ્કરી જેવા કાર્યોમાં સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે.

હવાલા મારફતે કરોડોની કાળાધન હેરફેર
તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો એ થયો છે કે ડ્રગ્સના ગેરકાયદેસર વેપારમાંથી મળતી આવકને હવાલા ચેનલો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતી હતી. આ પ્રક્રિયા દ્વારા નાણાંના મૂળ સ્ત્રોતને છુપાવવામાં આવતો હતો અને કાળાધનને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

એજન્સીના જણાવ્યા અનુસાર આ નાણાંનો ઉપયોગ વિવિધ લોકોના નામે જમીનો, મકાનો, વ્યાવસાયિક મિલકતો અને અન્ય રોકાણોમાં કરવામાં આવ્યો હતો. ઘણી સંપત્તિઓ બેનામી નામે ખરીદવામાં આવી હોવાના સંકેતો પણ મળ્યા છે, જેને લઈને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાકીય સલાહકારોની ભૂમિકા પણ તપાસ હેઠળ
ઈડીની ટીમ હાલ સમગ્ર નેટવર્કની નાણાકીય લેવડદેવડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસનો વ્યાપ કેમિકલ ફેક્ટરીઓથી લઈને નાણાકીય વ્યવહારો સંભાળતા લોકો સુધી વિસ્તર્યો છે. તેમાં એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), નાણાકીય સલાહકારો અને અન્ય વ્યાવસાયિકોની ભૂમિકા પણ ચકાસવામાં આવી રહી છે.

અધિકારીઓ એ પણ શોધી રહ્યા છે કે હવાલા મારફતે મોકલાયેલા નાણાંનો ઉપયોગ ભારતમાં અને વિદેશોમાં કઈ રીતે સંપત્તિઓ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં દસ્તાવેજો, બેંક રેકોર્ડ, ડિજિટલ ડેટા અને અન્ય મહત્વના પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના મોટા ખુલાસાની શક્યતા
તપાસ એજન્સીઓનું માનવું છે કે આ કાર્યવાહી માત્ર એક વ્યક્તિ કે ગેંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેના તાર અનેક દેશો સુધી ફેલાયેલા હોઈ શકે છે. ઈડી દ્વારા એકત્રિત કરવામાં આવી રહેલા પુરાવાઓના આધારે આગામી દિવસોમાં વધુ ધરપકડો, સંપત્તિ જપ્તી અને નવા ખુલાસાઓ થવાની શક્યતા છે.

સલીમ ડોલા સામેની આ કાર્યવાહી દેશની સૌથી મોટી ડ્રગ્સ અને મની લોન્ડરિંગ તપાસોમાંની એક માનવામાં આવી રહી છે. જો તપાસમાં સામે આવેલા પ્રાથમિક તારણો સાચા સાબિત થાય, તો હજારો કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ અને હવાલા નેટવર્કનો મોટો ભાંડો ફૂટે તેવી સંભાવના છે.

પોરબંદરમાં ગમખ્વાર અકસ્માત: કાર-બાઈકની ટક્કરમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત

પોરબંદર નજીક આવેલા ગોરસર ટોલનાકા પાસે આજે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે. કાર અને બાઈક વચ્ચે થયેલી સામસામેની આ ભયાનક ટક્કરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં એક માસૂમ બાળકે પણ જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે ગોરસર ટોલ નાકા પાસેથી આ પરિવાર બાઈક પર પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ અને ભયાનક હતી કે બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ કાળમુખી કારની અડફેટે આવીને જીવ ગુમાવનાર લોકોમાં 34 વર્ષીય નઝીર જુમા સાટી, તેમની 30 વર્ષીય પત્ની રોઝીનાબેન નઝીર સાટી અને તેમના 3 વર્ષના માસૂમ પુત્ર શાહનવાઝ નઝીર સાટીનો સમાવેશ થાય છે. આ ત્રણેય સભ્યો એક જ બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે આ ગોઝારી ઘટના ઘટી હતી.

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને જોતા પોલીસનો કાફલો પણ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને જોતા પોલીસનો કાફલો પણ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માધવપુર CSC હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ આ મામલે પોલીસે સત્તાવાર ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલકની સઘન શોધખોળ હાથ ધરી છે.