Thursday, Jun 4, 2026

ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો 6 જૂને વિરોધ પ્રદર્શનમાં જોડાઈશ: સોનમ વાંગચુક

3 Min Read

શિક્ષણ સુધારક અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિઓ અને તેના અમલીકરણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જાહેરાત કરી છે કે જો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન 5 જૂન સુધીમાં રાજીનામું નહીં આપે તો તેઓ 6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.

વાંગચુકે જણાવ્યું કે આ નિર્ણય કોઈ રાજકીય કારણસર નહીં પરંતુ દેશની શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ અને તેમાં જરૂરી સુધારાઓના અભાવને કારણે લેવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર જવાબદારી નક્કી થવી જોઈએ.

યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા સોશિયલ મીડિયા આધારિત આંદોલન ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. CJPના સ્થાપક અભિજીત દિપકે વાંગચુકના સમર્થનનું સ્વાગત કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેમના આંદોલન સાથે વાંગચુક જેવા વ્યક્તિત્વનું જોડાવું ગૌરવની બાબત છે.

વાંગચુકે એક વિડિયો સંદેશમાં જણાવ્યું કે તેમણે આંદોલનના આયોજકો સાથે ચર્ચા કરી હતી અને ખાતરી કરી હતી કે આ અભિયાન સંપૂર્ણપણે ભારતીય યુવાનોનો અવાજ છે અને તેના પર કોઈ બાહ્ય પ્રભાવ નથી. તેમના જણાવ્યા મુજબ, આંદોલન પાછળ દેશહિત અને શિક્ષણ ક્ષેત્રમાં સુધારાની ભાવના છે.

તેમણે કહ્યું કે હાલ ઘણા યુવાનો NEET પેપર લીક, CUET અને CBSE પરીક્ષાઓને લઈને ઉભી થયેલી વિવાદાસ્પદ પરિસ્થિતિઓના કારણે આંદોલન સાથે જોડાઈ રહ્યા છે. જોકે તેમની પોતાની ચિંતા માત્ર પરીક્ષાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત સાથે સંબંધિત છે.

સોનમ વાંગચુકે જણાવ્યું કે છેલ્લા ચાર દાયકાથી તેઓ શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને દૂરદરાજના વિસ્તારોમાં સરકારી શાળાઓની ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયાસ કરતા આવ્યા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અને 2047 સુધી વિકસિત ભારતના વિઝન પાછળ સરકારનો આશય સારો હોઈ શકે છે, પરંતુ તેનું વાસ્તવિક પરિણામ જમીન સ્તરે થતા અમલીકરણ પર આધાર રાખે છે.

તેમણે સરકારના આશયને 10માંથી 10 ગુણ આપતા કહ્યું કે જો અમલીકરણ અસરકારક નહીં હોય તો કોઈ પણ સારી નીતિનો લાભ સામાન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકશે નહીં. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ અને પ્રાથમિક શિક્ષણની સ્થિતિ સુધાર્યા વગર વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકશે નહીં.

પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને ગંભીર મુદ્દો ગણાવતા વાંગચુકે જણાવ્યું કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આવા મામલાઓમાં જવાબદારી નક્કી થવી જરૂરી છે. તેમણે ઉમેર્યું કે આત્મસન્માન ધરાવતી લોકશાહીમાં આવી નિષ્ફળતાઓ માટે જવાબદાર મંત્રીઓએ રાજીનામું આપવું જોઈએ.

વાંગચુકે આશા વ્યક્ત કરી કે આગામી દિવસોમાં સરકાર કોઈ યોગ્ય નિર્ણય લેશે. જોકે જો 5 જૂન સુધીમાં કોઈ ફેરફાર નહીં થાય તો તેઓ 6 જૂને દિલ્હીમાં યોજાનારા વિરોધ પ્રદર્શનમાં જોડાઈને પોતાની માંગ વધુ મજબૂત રીતે રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે CJP દ્વારા અગાઉથી જ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે શિક્ષણ વ્યવસ્થામાં ઉભી થયેલી ખામીઓ અને પરીક્ષા સંબંધિત વિવાદોને લઈને જવાબદારી નક્કી કરવી જરૂરી છે.

Share This Article