Home Blog Page 62

કૈલાશ માનસરોવર યાત્રા પર ચીનનો પ્રતિબંધ, ભારતીય શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં

0

હિન્દુઓની આસ્થાના કેન્દ્ર ગણાતા કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ચીન સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જૂન-જુલાઈ દરમિયાન ભારતીય નાગરિકોને યાત્રા માટે પરમિટ આપવાની પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકાતા હજારો શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ નિર્ણયના કારણે તિબેટ-ચીન સરહદ પર અનેક ભારતીય યાત્રાળુઓ અટવાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં માત્ર બિન-નિવાસી ભારતીયો (NRI)ને જ યાત્રાની મંજૂરી આપવામાં આવી રહી છે.

3,000થી વધુ ભારતીયોની પરમિટ અટવાઈ
ચીન સરકાર દ્વારા વિઝા અને પરમિટ મંજૂરીમાં વિલંબ થવાને કારણે 3,000થી વધુ ભારતીય યાત્રાળુઓની પરમિટ પ્રક્રિયા અટવાઈ હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસો અગાઉ ચીને યાત્રાળુઓ માટે કોમન કિચનનો નિયમ પણ લાગુ કર્યો હતો, જેના કારણે ધાર્મિક પરંપરા અને પ્રાદેશિક ખાણીપીણીની રીતોને જાળવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી.

તિબેટ સરહદ પર યાત્રાળુઓનો ભારે જમાવડો
પરમિટ અને વિઝા ન મળવાને કારણે તિબેટ સરહદ પર યાત્રાળુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવેલા અનેક શ્રદ્ધાળુઓને પવિત્ર યાત્રા કર્યા વિના જ નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે.

સામાન્ય ભારતીયો માટે યાત્રાના દરવાજા બંધ
નવી વ્યવસ્થા મુજબ માત્ર ચોક્કસ પ્રકારના પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈ યાત્રાળુઓને જ કૈલાશ માનસરોવર યાત્રાની મંજૂરી આપવામાં આવશે. સામાન્ય ભારતીય નાગરિકો માટે હાલ યાત્રાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારના પ્રતિસાદની રાહ
આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી તરફ ગુજરાત સહિત દેશભરના ટૂર ઓપરેટરોએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરીને સમસ્યાના ઉકેલ માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. ચીનના આ નિર્ણયથી કૈલાશ માનસરોવર યાત્રા માટે તૈયાર બેઠેલા હજારો શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા ફેલાઈ છે.

મુંબઈ ડિવિઝનની રેલવે લીગલ પેનલમાં સુરતનો દબદબો, અશ્વિન જોગડિયા સહિત 10 વકીલોની નિમણૂંક

પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ થાય છે.

ભારતીય રેલવે, મુંબઈ ડિવિઝનના જનરલ મેનેજરની યાદીમાં જણાવ્યા મુજબ મુંબઈ ડિવિઝનની જિલ્લા અને ગૌણ અદાલતો સમક્ષ રેલવેના મુકદ્દમા (લિટિગેશન)નું કામકાજ સંભાળવા માટે, રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત અને સમયાંતરે સુધારવામાં આવતી સામાન્ય શરતો અને નિયમોને આધીન, ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા આગામી આદેશો સુધી રેલવે એડવોકેટ્સ તરીકે પેનલ પર એડવોકેટ્સના નામોને મંજૂરી આપી છે. જેમાં મુંબઈ, થાણે, પાલઘર, વસઈ સહિતની કોર્ટમાં 32 વકીલોની પસંદગી કરવામાં આવી છે.

સુરતમાં 10 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરત ડિવિઝનમાં અશ્વિન જોગડીયા, હાર્દિક શાહ, રવીન્દ્રન ટી. એસ. પંચાલ દિવ્યાકુમારી, મયુર બી. પટેલ, હીના શિંદે, ધ્રુમિકા લાંગલિયા, બિંદી દેસાઈ, માનવી પટેલ અને દિવ્યા અગ્રવાલની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ ડિવિઝન માં આવતા નંદુરબારમાં 6, વલસાડ માં 5, નવસારી માં 2 અને વ્યારામાં 1 એકવોકેટ રુષિ ત્રિવેદીને રેલવેના કેસો ચલાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. અને આ રુષિ ત્રિવેદી સુરતના વકીલ હોવાનું જાણવા મળે છે.

નોંધનીય છે કે સુરતમાંથી નિમણૂક પામેલા અશ્વિન જોગડિયા અને હાર્દિક શાહ જીએસટીના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકિટ્યુટર પણ છે. જ્યારે રવીન્દ્રન ટીએસ પણ NCBના ખાસ સરકારી વકીલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે હવે આ વકીલોની કામગીરી અને અનુભવ જોઈને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈને સુરતના વકીલ આલમમાં ખુશીનો માહોલ છે.

મણિપુરમાં ફરી ભડકી હિંસા: 6 નાગા લોકોની હત્યાથી વધ્યો તણાવ, જાણો સંઘર્ષનો સંપૂર્ણ ઇતિહાસ

0

મણિપુરમાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો છતાં લોહિયાળ સંઘર્ષ થંભવાનું નામ લઈ રહ્યો નથી. તાજેતરમાં થયેલી 6 લોકોની નિર્મમ હત્યાએ રાજ્યમાં પહેલેથી જ સળગી રહેલી આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ ઘટનાની જાણ થતાં જ જવાહરલાલ નહેરુ આયુર્વિજ્ઞાન સંસ્થાન (JNIMS) બહાર સેંકડો લોકો એકત્ર થઈ ગયા હતા. તણાવ વધતા સુરક્ષા દળોએ લોકોને વિખેરવા માટે આંસુ ગેસના શેલ છોડ્યા હતા. આ લોકો તે 6 નાગા વ્યક્તિઓના મૃતદેહ લેવા માટે ભેગા થયા હતા, જેમનું 13 મે 2026ના રોજ લેઇલોન વૈફેઈ ગામમાંથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું.

મણિપુરમાં ચાલી રહેલી હિંસા કોઈ અચાનક ભડકેલી ઘટના નથી, પરંતુ તે દાયકાઓ જૂના જાતીય અવિશ્વાસ, ભૌગોલિક વિભાજન અને સંસાધનો માટેની લડાઈનું પરિણામ છે. રાજ્યમાં આવી ઘટનાઓનો લાંબો ઇતિહાસ રહ્યો છે. મે 2023માં શરૂ થયેલો આ હિંસક સમયગાળો 2026માં પણ ચાલુ છે. ચાલો જાણીએ કે મણિપુરના સંઘર્ષનો ઇતિહાસ શું છે? કયા આંદોલનો થયા? અને તેના પરિણામો શું રહ્યા?

મણિપુરનો ભૂગોળ અને વસ્તીનું ગણિત શું છે?
મણિપુરમાં રાજ્યના મધ્ય ભાગમાં આવેલો સમતળ વિસ્તાર (ઇમ્ફાલ ખીણ) કુલ વિસ્તારનો માત્ર 10 ટકા ભાગ છે. પરંતુ અહીં રાજ્યની લગભગ 60 ટકા વસ્તી રહે છે. આ વસ્તીમાં મુખ્યત્વે મૈતેઈ સમુદાયના લોકોનો સમાવેશ થાય છે, જે મોટાભાગે હિન્દુ છે. બીજી તરફ ખીણને ચારેય બાજુથી ઘેરતા પહાડી વિસ્તારો રાજ્યના 90 ટકા ભાગમાં ફેલાયેલા છે. અહીં રાજ્યની લગભગ 40 ટકા વસ્તી રહે છે, જેમાં કુકી અને નાગા જનજાતિઓનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે ખ્રિસ્તી છે. ભૂગોળ અને વસ્તીનું આ વિભાજન જ વિવાદનું મુખ્ય કારણ છે.

મણિપુરમાં સંઘર્ષનો ઇતિહાસ
મણિપુરની પહાડીઓ અને ખીણોમાં 35થી વધુ સમુદાયો વસે છે. અહીં નાગા, કુકી અને મૈતેઈ જેવા સમુદાયો તેમજ વિવિધ બળવાખોર જૂથો વચ્ચે સંઘર્ષનો ખૂબ જ જૂનો ઇતિહાસ રહ્યો છે. રાજ્યમાં અશાંતિનો સમયગાળો 1950ના દાયકાના અંતમાં શરૂ થયો હતો.

નાગા બળવાખોર સંગઠન NSCN-IM લાંબા સમયથી નાગા વસ્તીવાળા વિસ્તારોને એકીકૃત કરવાની માંગ કરી રહ્યું છે. આ સંગઠને 1997માં ભારત સરકાર સાથે યુદ્ધવિરામ કરાર કર્યો હતો. બીજી તરફ, કુકી સમુદાય પણ અંગ્રેજોના સમયથી પોતાના હક્કો અને જમીન માટે સંઘર્ષ કરી રહ્યો છે.

મૈતેઈ અસંતોષની જડ જૂની છે
મૈતેઈ સમુદાયની અંદર પણ અસંતોષની જડ ખૂબ જૂની છે. આઝાદી પછી જ્યારે મણિપુરના રાજા બોધચંદ્ર અને ભારત સરકાર વચ્ચે વિલય કરાર થયો, ત્યારે મૈતેઈ સમુદાયે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. 1964માં યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF)ની રચના થઈ હતી, જેણે ભારતથી અલગ થવાની માંગ કરી હતી. ત્યારબાદ PLA અને PREPAK જેવા અનેક બળવાખોર સંગઠનો ઉભા થયા. આ સંગઠનોના બે મુખ્ય ઉદ્દેશો હતા—ભારતથી આઝાદી અને નાગા બળવાખોર સંગઠનોનો સામનો કરવો. બીજી તરફ, કુકી-જોમી સંગઠનોનો ઉદય નાગા હુમલાઓના જવાબમાં થયો હતો. આરોપો અનુસાર, 1993માં NSCN-IM દ્વારા કુકી સમુદાય પર હુમલા કરવામાં આવ્યા હતા, જેના કારણે હજારો લોકો બેઘર બન્યા હતા. ત્યારબાદ કુકી-જોમી જનજાતિઓએ પોતાના સશસ્ત્ર સંગઠનો ઉભા કર્યા.

આ જ સમયગાળા દરમિયાન મૈતેઈ અને મૈતેઈ પંગલ (મુસ્લિમ) સમુદાય વચ્ચે પણ હિંસક અથડામણો થઈ હતી. ત્યારબાદ પીપલ્સ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ નામનું સંગઠન બન્યું હતું, જે હવે સક્રિય નથી. આ રીતે મણિપુર લાંબા સમયથી અલગ-અલગ જૂથો વચ્ચેની હિંસા અને અથડામણોનો સામનો કરી રહ્યું છે.

બળવા વચ્ચે લાગુ થયો AFSPA કાયદો
મણિપુરમાં અલગતાવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે ભારત સરકારે 1958માં સશસ્ત્ર દળ વિશેષ અધિકાર અધિનિયમ (AFSPA) લાગુ કર્યો હતો. શરૂઆતમાં તે નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક વિસ્તારોમાં જ લાગુ કરાયો હતો, પરંતુ બાદમાં બગડતી પરિસ્થિતિને જોતા સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો. 1980ના દાયકામાં પરિસ્થિતિ વધુ ખરાબ બનતા મણિપુરને “અશાંત વિસ્તાર” જાહેર કરવામાં આવ્યો હતો.

2008માં શાંતિ માટે મહત્વપૂર્ણ કરાર
શાંતિ સ્થાપવા માટે 2008માં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કુકી-જોમી બળવાખોર સંગઠનો વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો હતો, જેને “સસ્પેન્શન ઓફ ઓપરેશન” (SOO) તરીકે ઓળખવામાં આવે છે. આ કરાર બાદ શાંતિ વાટાઘાટોનો માર્ગ ખુલ્યો હતો. કાયદો અને વ્યવસ્થામાં સુધારો થતા રાજ્યના અનેક વિસ્તારોમાંથી AFSPA હટાવવામાં આવ્યો હતો. જોકે, ખીણ વિસ્તારમાં સક્રિય બળવાખોર સંગઠનોએ ક્યારેય સરકાર સાથે શાંતિ વાટાઘાટોમાં ભાગ લીધો નથી અને તેઓ આજે પણ સક્રિય છે.

રાજ્યનો સૌથી વધુ ઉગ્રવાદગ્રસ્ત જિલ્લો
કુકી-જોમી બળવાખોર સંગઠનોનો ઇતિહાસ પણ સમય સાથે બદલાતો ગયો છે. શરૂઆતમાં આ આંદોલન અન્ય જૂથોના હુમલાઓથી બચવા માટે શરૂ થયું હતું, પરંતુ ધીમે-ધીમે તે અલગ “કુકીલેન્ડ”ની માંગમાં પરિવર્તિત થયું.

મણિપુરનો ચુરાચાંદપુર જિલ્લો ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત માનવામાં આવે છે. અહીં આજે પણ 20થી વધુ ઉગ્રવાદી સંગઠનો સક્રિય છે. જેમાં કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન, કુકી રિવોલ્યુશનરી આર્મી, જોમી રી-યુનિફિકેશન ઓર્ગેનાઇઝેશન, જોમી રિવોલ્યુશનરી આર્મી, કુકી નેશનલ ફ્રન્ટ, કુકી નેશનલ લિબરેશન ફ્રન્ટ, યુનાઇટેડ કુકી લિબરેશન ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી જેવા સંગઠનોનો સમાવેશ થાય છે.

ખીણ વિસ્તારમાં સક્રિય રહેલા બળવાખોર સંગઠનો
ખીણના બળવાખોર સંગઠનોમાં UNLF લાંબા સમય સુધી સૌથી શક્તિશાળી સંગઠન રહ્યું છે. આ સંગઠન સુરક્ષા દળો પર ઘાતકી હુમલા અને IED વિસ્ફોટ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે. સમય જતાં KCP અને KYKL જેવા અન્ય શક્તિશાળી સંગઠનો પણ સામે આવ્યા. હાલમાં આ સંગઠનો મ્યાનમાર સરહદ નજીક આવેલા કેમ્પોમાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંગઠનો નબળા પડ્યા છે અને UNLF હાલમાં પોતાના સૌથી ખરાબ સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે.

હિંસા અંગે સંસદમાં શું કહ્યું હતું અમિત શાહે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે હાઈકોર્ટના એક નિર્ણયને કારણે મણિપુરના બે સમુદાયો વચ્ચે અનામત સંબંધિત વિવાદ ઊભો થયો હતો, જેના કારણે જાતીય હિંસા શરૂ થઈ હતી.

તેમણે કહ્યું હતું કે આ ન તો દંગા છે અને ન તો આતંકવાદ, પરંતુ હાઈકોર્ટના નિર્ણયની વ્યાખ્યાને લઈને બે સમુદાયો વચ્ચે સર્જાયેલી જાતીય હિંસા છે. તેમણે કહ્યું કે હિંસા થવી જ ન જોઈએ અને તેને કોઈ રાજકીય પક્ષ સાથે જોડવી યોગ્ય નથી.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે 1993માં પણ મણિપુરમાં જાતીય હિંસા થઈ હતી અને 1993થી 1998 દરમિયાન નાગા-કુકી સંઘર્ષમાં આશરે 750 લોકોના મોત થયા હતા. ત્યારબાદ પણ એક દાયકા સુધી છૂટક હિંસક ઘટનાઓ ચાલુ રહી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર માને છે કે આવી સ્થિતિ ક્યારેય સર્જાવી ન જોઈએ, પરંતુ એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણયના કારણે આ હિંસા ભડકી હતી, જેને તાત્કાલિક નિયંત્રણમાં લાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે હિંસામાં મૃત્યુ પામેલા 260 લોકોમાંથી 80 ટકા લોકોના મોત પ્રથમ એક મહિનાની અંદર થયા હતા, જ્યારે બાકીના મૃત્યુ ત્યારબાદના મહિનાઓમાં થયા હતા.

ચીનના દક્ષિણ પશ્ચિમ ગુઆંગશીમાં ભયાનક વિસ્ફોટથી 7 લોકોના મોત, 17 ઘાયલ

0

ચીનના દક્ષિણ પશ્ચિમ ગુઆંગશી વિસ્તારમાં એક શક્તિશાળી વિસ્ફોટની ઘટના સામે આવી છે, જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનું વાતાવરણ સર્જ્યું છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. ઘટનામાં 17 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ
ઘટનાની જાણ થતાં જ કટોકટી સેવાઓ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવકર્મીઓ દ્વારા કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લેવામાં આવ્યો હતો.

પ્રારંભિક તબક્કે એવી અટકળો ચાલી રહી હતી કે ગેસ પાઇપલાઇનમાં લીકેજ અથવા ટેકનિકલ ખામીને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે. જોકે, સ્થાનિક સત્તાવાળાઓએ પ્રાથમિક તપાસ બાદ સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ઘટનાનો ગેસ પાઇપલાઇન સાથે કોઈ સંબંધ નથી.

વિસ્ફોટના કારણની તપાસ શરૂ
અધિકારીઓએ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે. હાલ વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ આ ભયાનક દુર્ઘટના પાછળના સાચા કારણનો ખુલાસો થઈ શકશે. સ્થાનિક પ્રશાસન સમગ્ર મામલે નજીકથી નજર રાખી રહ્યું છે અને વધુ માહિતી મળતા જાહેર કરવામાં આવશે.

ઓમાનના દરિયાકાંઠે ત્રીજી મોટી ઘટના: ભારતીય ક્રૂવાળા જહાજ પર હુમલો, 3 ભારતીયોના મોત

ઓમાનના દરિયાકાંઠે ગુરુવારે ભારતીય ક્રૂવાળા વેપારી જહાજ MT જલવીર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. હુમલા બાદ જહાજમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ છે. જોકે, હુમલો કોણે કર્યો અને તેની પાછળનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

ઘટના બાદ ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તે સ્થાનિક ઓમાની અધિકારીઓના સતત સંપર્કમાં છે અને સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. હાલ જહાજને થયેલા નુકસાન અને સંભવિત જાનહાનિ અંગેની વિગતોની રાહ જોવાઈ રહી છે.

‘સેત્તેબેલ્લો’ હુમલામાં ત્રણ ભારતીયોના મોતની પુષ્ટિ
આ ઘટના પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક બુધવારે ઓઈલ ટેન્કર MT સેત્તેબેલ્લો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોતની પુષ્ટિ થઈ હતી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ગુમ થયેલા ત્રણ ભારતીયોમાંથી બેના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે બાદમાં ત્રીજા વ્યક્તિના મોતની પણ પુષ્ટિ થઈ હતી.

અમેરિકી સેનાએ દાવો કર્યો હતો કે MT સેત્તેબેલ્લો ઈરાની તેલ લઈ જઈ રહ્યું હતું અને વારંવાર ચેતવણી આપવામાં છતાં જહાજે સૂચનાઓનું પાલન ન કરતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

એક અઠવાડિયામાં ભારતીય ક્રૂવાળા જહાજો પર સતત હુમલાઓ
આ અઠવાડિયામાં ભારતીય ક્રૂવાળા જહાજો સાથે જોડાયેલી આ બીજી ગંભીર ઘટના છે. આ પહેલાં સોમવારે અમેરિકાએ ‘ધ મેરિવક્સ’ નામના ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હતો. તે જહાજમાં 24 ભારતીય નાવિકો સવાર હતા, જેમને ઓમાનની સેનાએ સફળતાપૂર્વક બચાવી લીધા હતા. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઓમાનના દરિયાકાંઠે જહાજો સાથે જોડાયેલી આ ત્રીજી મોટી ઘટના બનતા આંતરરાષ્ટ્રીય શિપિંગ ક્ષેત્રમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

ભારતીય દૂતાવાસ હાઈ એલર્ટ પર
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસ સંપૂર્ણ સતર્ક બન્યું છે. દૂતાવાસે સોશિયલ મીડિયા મારફતે માહિતી આપી હતી કે શિનસ પોર્ટ નજીક બનેલી ઘટનાની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે. હાલમાં હુમલાની પ્રકૃતિ, જહાજને થયેલા નુકસાન અને ક્રૂ મેમ્બર્સની સ્થિતિ અંગે વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

ભારતે અમેરિકી અધિકારી સમક્ષ નોંધાવ્યો વિરોધ
ગુરુવારે અગાઉ સામે આવેલી માહિતી મુજબ, પાલાઉના ધ્વજવાળા ઓઈલ ટેન્કર MT સેત્તેબેલ્લો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા. હુમલા બાદ 21 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ક્રૂ મેમ્બર્સ ગુમ થયા હતા અને બાદમાં તેમના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’અફેર્સ જેસન મીક્સને તલબ કરીને સખત વિરોધ નોંધાવ્યો હતો અને ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

હોર્મુઝમાં ત્રણ ભારતીયોના મોતની પુષ્ટિ

  • કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે એમટી સેટ્ટેબેલો ઓઈલ ટેન્કર પર બનેલી ઘટના અત્યંત દુઃખદ છે. તેમણે જણાવ્યું કે અગાઉ જે ત્રણ ભારતીય નાવિકોને ગુમ માનવામાં આવી રહ્યા હતા, હવે તેમના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. તેમાંથી બેના મૃતદેહ પણ મળી ચૂક્યા છે.
  • સોનોવાલે કહ્યું કે આ માત્ર અસરગ્રસ્ત પરિવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય દરિયાઈ સમુદાય માટે મોટી ક્ષતિ છે. તેમણે કહ્યું કે મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં મૃતકોના પરિવારોની સાથે ઊભી છે અને તેમને દરેક જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.
  • તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે બચાવવામાં આવેલા ભારતીય નાવિકોને જલદીથી જલદી ભારત પાછા લાવવામાં આવે. સાથે જ જે નાવિકોના મોત થયા છે, તેમના પાર્થિવ દેહ પણ જલદી ભારત પહોંચાડવામાં આવે જેથી પરિવારો અંતિમ સંસ્કાર કરી શકે.
  • આ દુર્ઘટનામાં આદિત્ય શર્મા, શિવાનંદ ચૌરસિયા અને પટનાલા સુરેશના મોત થયા છે. અગાઉ પટનાલા સુરેશ ગુમ હોવાનું જણાવાયું હતું, પરંતુ હવે તેમના પણ મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. આ ઘટનાથી સમગ્ર દેશમાં શોકની લહેર છે.

અમેરિકા-ઈરાન તણાવથી વૈશ્વિક ચિંતા વધી: હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ભારત સહિત અનેક દેશો પર અસરની આશંકા

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધતા સમગ્ર મધ્ય પૂર્વમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યા બાદ ઈરાને પણ વળતો પ્રહાર કરીને કડક જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષની વચ્ચે ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંથી એક એવા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઓઈલ સપ્લાયનો મહત્વનો માર્ગ બંધ
અમેરિકાના દબાણ અને ધમકીઓ વચ્ચે ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા કોઈપણ જહાજ પર હુમલો થઈ શકે છે. પરિણામે તેલ ટેન્કર અને અન્ય વ્યાવસાયિક જહાજોની અવરજવર પર ગંભીર અસર પડી છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક જળમાર્ગોમાંનો એક છે, જે ઓમાનની ખાડી અને અરબ સાગરને જોડે છે. વૈશ્વિક સ્તરે આશરે 20 ટકા તેલ અને ગેસનું પરિવહન આ જળમાર્ગ મારફતે થાય છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવૈત, કતાર અને યુએઈ જેવા ખાડી દેશોમાંથી નિકાસ થતું ક્રૂડ ઓઈલ પણ મુખ્યત્વે આ માર્ગ દ્વારા જ વિશ્વના વિવિધ દેશોમાં પહોંચે છે.

ઓઈલ સપ્લાયનો ચેકપોઈન્ટ બંધ
ઈરાને સામી ધમકી આપતા કહ્યું કે, જે કોઈ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થશે એના પર હુમલો કરી દેવાશે. તેલ ટેન્કર અને કમર્શિયલ વ્હીકલ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરી શકશે નહીં. હોર્મુઝ સ્ટ્રેટ ફરીવાર બંધ થઈ જતા ભારતની ચિંતા વધી ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાનો સૌથી વધુ મહત્ત્વ ધરાવતો જળમાર્ગ છે. સૌથી વધારે વ્યસ્ત રહેતો માર્ગ છે, જે ઓમાનની ખાડીને અરબ સાગર સાથે જોડે છે. ઓઈલ ચેકપોઈન્ટ તરીકે ઓળખાતા જળમાર્ગમાંથી દુનિયાના 20 ટકા જહાજ પસાર થાય છે. આ વોટરરૂટ હવે બંધ થઈ જતા ભારત સહિત અન્ય દેશની ચિંતા પણ રાતોરાત વધી છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવૈત, કતાર અને દુબઈ જેવા મહત્ત્વના ખાડી દેશમાં પ્રોસેસ થતું ક્રૂડ પર આ જ જળમાર્ગ થકી બીજા દેશમાં જાય છે. તેથી આ દેશની ચિંતા પણ વધી છે.

ક્રૂડના ભાવમાં વધારો થવાના એંધાણ
હવે ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે લાંબા સમય સુધી આ જળમાર્ગ બંધ રહ્યો તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ગેસની કિંમતમાં તથા ક્રૂડની કિંમતમાં ફરીવાર મોટો વધારો જોવા મળશે. ભારતમાં આવતું 50 ટકા ક્રૂડ અને 70 ટકા ગેસ આ જ જળમાર્ગમાંથી થકી ભારત પહોંચે છે. પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી સાથે જોડતો આ જળમાર્ગ સંપૂર્ણ રીતે ઈરાનના કબજામાં છે, જે ભારતની ક્રૂડ તથા ગેસની સપ્લાયને સીધી રીતે અસર કરે છે. ભારત મિત્ર દેશની યાદીમાં આવે છે તેથી ભારતીય જહાજને અહીંયાથી પસાર થવાની પૂરી રીતે મંજૂરી છે. યુદ્ધની સ્થિતિ હોવા છતા ભારતીય જહાજને અહીંયાથી પસાર થવા દેવામાં આવે છે અને કોઈ હુમલો કરાશે પણ નહીં.

ઈરાનની ચાંપતી નજર રહેશે
ઈરાનો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા એશિયાના બાકીના દેશની ચિંતામાં એકાએક વધારો થયો છે. આ પાછળનું કારણ એ છે કે,ઘણા જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની તૈયારીઓમાં હતા, એવામાં અમેરિકાએ હુમલો કરી દેતા અને ઈરાને એનો જવાબ આપતા ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. હવે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ અટવાયેલા જહાજની મુશ્કેલી વધી ગઈ છે. દિવસ કરતા રાત પસાર કરવી વસમી પડી રહી છે. ઈરાનના ગાર્ડ દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા બાજુ આગળ વધતા જહાજને લઈને ઈરાને ચાંપતી નજર રાખી છે.

અમદાવાદ: AI-171 ક્રેશ કેસમાં અમેરિકન વકીલોનો દાવો, દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી હોઈ શકે

0

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી એર ઈન્ડિયાની AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ ભયાનક અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર થયું નથી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિનો જીવ બચ્યો હતો, જ્યારે કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

દુર્ઘટનાના એક મહિનાની અંદર જ અમેરિકાની બીઝલી એલન લો ફર્મના એવિએશન વકીલ માઈક એન્ડ્રુઝ આ કેસ સાથે જોડાયા હતા. તેઓ હાલમાં આશરે 160 પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એન્ડ્રુઝે જણાવ્યું હતું કે તેમની કાનૂની ટીમનું મુખ્ય ધ્યાન એ જાણવા પર કેન્દ્રિત છે કે આખરે કઈ ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત સર્જાયો.

RAT ડિવાઇસ સમય પહેલાં સક્રિય થયું હોવાની આશંકા
એન્ડ્રુઝના જણાવ્યા અનુસાર, ઉપલબ્ધ વીડિયો અને ફોટોગ્રાફિક પુરાવાઓના અભ્યાસ દરમિયાન એવું જણાય છે કે વિમાન રનવે પરથી ટેકઓફ કરે તે પહેલાં જ તેનું ઓક્સિલરી પાવર યુનિટ એટલે કે RAT (Ram Air Turbine) ડિવાઇસ બહાર આવી ગયું હતું અને કાર્યરત હતું. તેમના મતે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે તે ફ્યુઅલ સ્વિચ ટ્રાન્ઝિશન પહેલાંની ઘટના છે.

તેમણે જણાવ્યું કે ફ્યુઅલ સિસ્ટમમાં કોઈ સમસ્યા સર્જાય તે પહેલાં RAT બહાર આવી જવું પ્રારંભિક તપાસમાં દર્શાવાયેલી ટાઈમલાઈનથી અલગ છે. તેથી તેમની ટીમ ટેકઓફ પહેલાં દેખાયેલા તમામ અસામાન્ય સંકેતોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ટેકનિકલ ખામીની શક્યતા વધુ મજબૂત બની
માઈક એન્ડ્રુઝે જણાવ્યું કે શરૂઆતથી જ તેમનું માનવું રહ્યું છે કે RAT સમય પહેલાં કેમ સક્રિય થયું તે જાણી શકાશે તો અકસ્માતનું સાચું કારણ પણ સામે આવી શકશે. તેમણે ઉમેર્યું કે આજે તેમની આ ધારણા પહેલા કરતાં વધુ મજબૂત બની છે કે વિમાનમાં સર્જાયેલી કોઈ ગંભીર ટેકનિકલ ખામી આ દુર્ઘટનાનું મૂળ કારણ હોઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે એવી માહિતી પણ સામે આવી છે કે ટેક્સિંગ દરમિયાન વિમાનનું ટ્રાન્સપોન્ડર થોડા સમય માટે બંધ થઈ ગયું હતું અને પછી ફરી કાર્યરત બન્યું હતું. જોકે, તે કામચલાઉ ખામી હતી કે પછી સિસ્ટમ ફેલ થઈને ફરી રીસેટ કરવામાં આવી હતી, તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

લેન્ડિંગ ગિયર અને ફ્યુઅલ સિસ્ટમ અંગે પણ સવાલો
એન્ડ્રુઝે જણાવ્યું કે ઉપલબ્ધ પુરાવાઓમાં એવું પણ જોવા મળે છે કે વિમાનનું લેન્ડિંગ ગિયર ઉપર જવાનું શરૂ થયું હતું, પરંતુ પછી તે પ્રક્રિયા અધવચ્ચે અટકી ગઈ હતી. તેમના મતે આ પણ એક મહત્વપૂર્ણ સંકેત છે.

ત્યારબાદ ફ્યુઅલ સિસ્ટમમાં સર્જાયેલી સમસ્યાઓને પણ અકસ્માત સાથે જોડીને જોવામાં આવી રહી છે. તેમની ટીમ આ તમામ લક્ષણો વચ્ચેની સંભવિત કડી શોધવાનો પ્રયાસ કરી રહી છે જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય.

AAIBના રિપોર્ટની આતુરતાથી રાહ
સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે તમામની નજર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જાહેર થનારા ટેકનિકલ રિપોર્ટ પર છે. એન્ડ્રુઝે જણાવ્યું કે નિયમો અનુસાર અકસ્માતના એક વર્ષની અંદર વચગાળાનો અથવા અંતિમ રિપોર્ટ જાહેર થવો જોઈએ.

તેમણે આશા વ્યક્ત કરી કે આ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમના મતે આ રિપોર્ટમાં એવા મહત્વપૂર્ણ ટેકનિકલ અને કાનૂની મુદ્દાઓ હશે, જે જવાબદારી નક્કી કરવામાં અને કેસની આગળની કાનૂની પ્રક્રિયા માટે માર્ગદર્શક સાબિત થશે.

માહિતી અને સંકલન અંગે પણ ઉઠ્યા સવાલો
આ કેસ સાથે સંકળાયેલા કેટલાક અન્ય વકીલોએ માહિતીની ઉપલબ્ધતા અને સંસ્થાકીય સહયોગને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આવા ગંભીર અકસ્માતોમાં એરલાઇન્સ સામાન્ય રીતે પીડિત પરિવારો માટે એક સંપર્ક અધિકારીની નિમણૂક કરે છે, પરંતુ આ કેસમાં સગા-સંબંધીઓની મૂંઝવણ અને માહિતી મેળવવાની મુશ્કેલીઓને ઓછી કરવા માટે વધુ અસરકારક વ્યવસ્થા થઈ શકી હોત.

મુઝફ્ફરાબાદમાં પાક આર્મીનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ, ભયાનક વિસ્ફોટમાં 20 જવાનોના મોત

પાકિસ્તાન આર્મી એવિએશનને એક મોટો અને દુઃખદ ફટકો પડ્યો છે. મુઝફ્ફરાબાદ નજીક પાકિસ્તાની સેનાનું રશિયન નિર્મિત MI-17 હેલિકોપ્ટર ટેકઓફ દરમિયાન ભયાનક અકસ્માતનો ભોગ બન્યું હોવાનું સામે આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરે ઉડાન ભરતાની સાથે જ હવામાં સંતુલન ગુમાવ્યું હતું અને થોડી જ ક્ષણોમાં જમીન પર પટકાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે જમીન સાથે અથડાતાં જ હેલિકોપ્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને સમગ્ર હેલિકોપ્ટર આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું હતું.

પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામીની આશંકા
પાકિસ્તાની સેનાના સત્તાવાર મીડિયા વિભાગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. સેનાના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં હેલિકોપ્ટર ક્રેશનું કારણ ગંભીર ટેકનિકલ ખામી હોવાનું જણાઈ રહ્યું છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 20 સૈનિકો સવાર હતા.

તમામ જવાનોના મોતની પુષ્ટિ
પાકિસ્તાની સેનાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર કોઈપણ વ્યક્તિનો જીવ બચાવી શકાયો નથી. હેલિકોપ્ટરમાં રહેલા તમામ 20 જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ દુર્ઘટનાએ સમગ્ર સૈન્ય તંત્રને શોકમાં મૂકી દીધું છે.

રાહત અને બચાવ કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં જ આર્મીની વિશેષ બચાવ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમોએ સળગતા કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ લશ્કરી નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યો છે.

ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના
આટલી મોટી સંખ્યામાં સૈનિકોના મોતને પગલે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયમાં ખળભળાટ મચી ગયો છે. દુર્ઘટના પાછળ કોઈ ષડયંત્ર, બેદરકારી અથવા અન્ય કારણ જવાબદાર છે કે કેમ તેની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરીને વિગતવાર અહેવાલ રજૂ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યાં અભિનંદન

0

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થયાનું મુખ્યમંત્રીએ કહ્યું,તો દેશની જનતાએ કહ્યું ‘મોદી હૈ તો મુમકીન હૈ’

ભારતના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીના જનકલ્યાણને સમર્પિત કાર્યકાળના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ નાગરિકો વતી તેમને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને પત્ર લખીને આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે, તેમજ દેશના સર્વાંગી વિકાસ, સુશાસન અને લોકકલ્યાણ માટે તેમના સતત યોગદાનની પ્રશંસા કરી છે.

વિકાસની સ્પીડ અને સ્કેલ જોઇને જન-જન બોલ્યા ‘મોદી હૈ તો મુમકીન હૈ’

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રીનો 12 વર્ષનો કાર્યકાળ વિશ્વભરમાં ભારત અને ભારતીયોનું ગૌરવ વધારનાર રહ્યો છે. તેમના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવાં કડક પગલાંઓ થકી ભારતે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ આપેલો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ નો કાર્યમંત્ર આજે રાષ્ટ્રીય સંકલ્પ બન્યો છે. વિકાસની અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ જોઇને આદે દેશમાં જન-જન બોલી રહ્યાં છે કે ‘મોદી હૈ તો મુમકીન હૈ’. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચ સાથે જન-જન સુધી પહોંચાડવામાં આવી છે. દેશમાં પહેલી વખત ‘ઇઝ ઑફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થઈ છે.

ગુજરાતને મળ્યું ડબલ એન્જિન સરકારનું બળ

મુખ્યમંત્રીશ્રીએ પત્રમાં ગુજરાતને વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વને જે લાભ મળ્યો છે, તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી તરીકેનું દાયિત્વ સંભાળતાની સાથે જ ગુજરાતને ડબલ એન્જિન સરકારનું બળ મળ્યું છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતને આ 12 વર્ષો દરમિયાન અનેક ઐતિહાસિક ભેટ આપી છે. વડાપ્રધાન બન્યાના માત્ર 17 જ દિવસમાં નર્મદા યોજના આડેના અવરોધો દૂર કરી ગેટ મૂકવાની પરવાનગી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, ગિફ્ટ સિટી, કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, મોઢેરા સોલાર વિલેજ, સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વગેરે જેવી ભેટ થકી ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે.

લોથલ મેરિટાઇમ હેરિટેડ કોમ્પ્લેક્સ, સોમનાથ સ્વાભિમાન પર્વ, દ્વારકા, સોમના, અંબાજી કોરિડોર, પાવાગઢ મહાકાળી ધામનો પુનઃવિકાસ અને વડનગર આર્કિયોલોજીકલ મ્યુઝિયમ થકી ગુજરાતમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ નો મંત્ર ચરિતાર્થ થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ પત્રમાં જણાવ્યું છે કે, દેશ આજે જ્યારે ‘વિકસિત ભારત @2047’ના મહાસંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાત પણ “વિકસિત ગુજરાત”ના લક્ષ્યને સાકાર કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનવાનો સંકલ્પ સિદ્ધ કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીએ સહુ ગુજરાતીઓ વતી 12 વર્ષના સફળ સુશાસન માટે વડાપ્રધાનશ્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા.

Gujarat weather forecast: ક્યાં પહોંચ્યુ ચોમાસુ? જાણો કયા રાજ્યોમાં થશે વરસાદની એન્ટ્રી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ આગાહી બાદ રાજ્યમાં હવે સત્તાવાર રીતે ચોમાસુ જામવાની શરૂઆત થઈ રહી છે. આ સમાચારની સાથે સાથે લોકોને વરસાદ ગરમીમાંથી પણ રાહત આપશે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન
હવામાન વિભાગની માહિતી મુજબ આજથી એટલે કે, 10 થી 16 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અહીંના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેર કરી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. સ્થાનિક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ વરસાદ ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તારીખ 14 થી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર મળ્યા છે. રાજ્યમાં ચોમાસાના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. વરસાદના એંધાણની સાથે જ ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદનું આગમન થવાની પૂરી સંભાવના છે.

વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં રાહત જોવા મળી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે આશા જાગી છે કે, પાકને પાણીની જરૂરિયાત પૂરી થશે. આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાઈ શકે છે. ચોમાસુ જામતા વાતાવરણમાં સકારાત્મક બદલાવ આવશે. તમામ લોકો હવે મેઘરાજાના વધામણાં કરવાની તૈયારીમાં છે.