નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ બેંકિંગ વ્યવસ્થાને પણ મોટો ફટકો આપ્યો છે. રાસુવા જિલ્લામાં ભોટેકોશી નદીના પ્રચંડ પૂરમાં 9 કોમર્શિયલ બેંકોની શાખાઓ તણાઈ ગઈ છે, જ્યારે આશરે 26 બેંક કર્મચારીઓનો હજુ સંપર્ક થઈ શક્યો નથી. સંદેશાવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ જતા તેમના પરિવારજનોની ચિંતા પણ વધી છે.
નેપાળ બેંકર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ પૂરથી મચ્છાપુચ્છરે, નબિલ, સનિમા, લક્ષ્મી સનરાઇઝ, હિમાલયન, પ્રભુ, ગ્લોબલ IME, નેપાળ ઇન્વેસ્ટમેન્ટ મેગા અને NMB બેંકની શાખાઓને નુકસાન થયું છે. જોકે નબિલ બેંકના તમામ કર્મચારીઓ સાથે સંપર્ક સ્થાપિત થઈ ગયો છે. બાકીના કર્મચારીઓ અંગે ટેલિફોન અને વીજ પુરવઠો ધીમે-ધીમે પુનઃસ્થાપિત થતાં માહિતી મળવાની આશા છે.
આ તરફ ભોટેકોશી પૂરથી સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી મચી છે. તાજા અહેવાલ મુજબ 826 લોકો હજુ સંપર્કવિહોણા છે, જેમાં સુરક્ષા દળોના જવાનો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળી સેના, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો સહિત અનેક લોકોની શોધખોળ ચાલી રહી છે.
રાસુવાના તિમુરે વિસ્તારમાં અગાઉ 32 નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ સંપર્કવિહોણા હોવાની માહિતી સામે આવી હતી. ઉપરાંત, 20 મેગાવોટના લંગટાંગ ખોલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 60 લોકોનો પણ સંપર્ક થઈ શક્યો નહોતો.
સરકાર અને સુરક્ષા દળોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ, રાહત અને શોધખોળ કામગીરી તેજ કરી છે. ખરાબ હવામાન અને સંચાર વ્યવસ્થામાં ખલેલને કારણે રેસ્ક્યૂ ટીમોને હજુ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


