Thursday, Jun 11, 2026

ઓમાનના દરિયાકાંઠે ત્રીજી મોટી ઘટના: ભારતીય ક્રૂવાળા જહાજ પર હુમલો, 3 ભારતીયોના મોત

4 Min Read

ઓમાનના દરિયાકાંઠે ગુરુવારે ભારતીય ક્રૂવાળા વેપારી જહાજ MT જલવીર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. હુમલા બાદ જહાજમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ છે. જોકે, હુમલો કોણે કર્યો અને તેની પાછળનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

ઘટના બાદ ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તે સ્થાનિક ઓમાની અધિકારીઓના સતત સંપર્કમાં છે અને સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. હાલ જહાજને થયેલા નુકસાન અને સંભવિત જાનહાનિ અંગેની વિગતોની રાહ જોવાઈ રહી છે.

‘સેત્તેબેલ્લો’ હુમલામાં ત્રણ ભારતીયોના મોતની પુષ્ટિ
આ ઘટના પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક બુધવારે ઓઈલ ટેન્કર MT સેત્તેબેલ્લો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોતની પુષ્ટિ થઈ હતી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ગુમ થયેલા ત્રણ ભારતીયોમાંથી બેના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે બાદમાં ત્રીજા વ્યક્તિના મોતની પણ પુષ્ટિ થઈ હતી.

અમેરિકી સેનાએ દાવો કર્યો હતો કે MT સેત્તેબેલ્લો ઈરાની તેલ લઈ જઈ રહ્યું હતું અને વારંવાર ચેતવણી આપવામાં છતાં જહાજે સૂચનાઓનું પાલન ન કરતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

એક અઠવાડિયામાં ભારતીય ક્રૂવાળા જહાજો પર સતત હુમલાઓ
આ અઠવાડિયામાં ભારતીય ક્રૂવાળા જહાજો સાથે જોડાયેલી આ બીજી ગંભીર ઘટના છે. આ પહેલાં સોમવારે અમેરિકાએ ‘ધ મેરિવક્સ’ નામના ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હતો. તે જહાજમાં 24 ભારતીય નાવિકો સવાર હતા, જેમને ઓમાનની સેનાએ સફળતાપૂર્વક બચાવી લીધા હતા. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઓમાનના દરિયાકાંઠે જહાજો સાથે જોડાયેલી આ ત્રીજી મોટી ઘટના બનતા આંતરરાષ્ટ્રીય શિપિંગ ક્ષેત્રમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

ભારતીય દૂતાવાસ હાઈ એલર્ટ પર
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસ સંપૂર્ણ સતર્ક બન્યું છે. દૂતાવાસે સોશિયલ મીડિયા મારફતે માહિતી આપી હતી કે શિનસ પોર્ટ નજીક બનેલી ઘટનાની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે. હાલમાં હુમલાની પ્રકૃતિ, જહાજને થયેલા નુકસાન અને ક્રૂ મેમ્બર્સની સ્થિતિ અંગે વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

ભારતે અમેરિકી અધિકારી સમક્ષ નોંધાવ્યો વિરોધ
ગુરુવારે અગાઉ સામે આવેલી માહિતી મુજબ, પાલાઉના ધ્વજવાળા ઓઈલ ટેન્કર MT સેત્તેબેલ્લો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા. હુમલા બાદ 21 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ક્રૂ મેમ્બર્સ ગુમ થયા હતા અને બાદમાં તેમના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’અફેર્સ જેસન મીક્સને તલબ કરીને સખત વિરોધ નોંધાવ્યો હતો અને ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

હોર્મુઝમાં ત્રણ ભારતીયોના મોતની પુષ્ટિ

  • કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે એમટી સેટ્ટેબેલો ઓઈલ ટેન્કર પર બનેલી ઘટના અત્યંત દુઃખદ છે. તેમણે જણાવ્યું કે અગાઉ જે ત્રણ ભારતીય નાવિકોને ગુમ માનવામાં આવી રહ્યા હતા, હવે તેમના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. તેમાંથી બેના મૃતદેહ પણ મળી ચૂક્યા છે.
  • સોનોવાલે કહ્યું કે આ માત્ર અસરગ્રસ્ત પરિવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય દરિયાઈ સમુદાય માટે મોટી ક્ષતિ છે. તેમણે કહ્યું કે મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં મૃતકોના પરિવારોની સાથે ઊભી છે અને તેમને દરેક જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.
  • તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે બચાવવામાં આવેલા ભારતીય નાવિકોને જલદીથી જલદી ભારત પાછા લાવવામાં આવે. સાથે જ જે નાવિકોના મોત થયા છે, તેમના પાર્થિવ દેહ પણ જલદી ભારત પહોંચાડવામાં આવે જેથી પરિવારો અંતિમ સંસ્કાર કરી શકે.
  • આ દુર્ઘટનામાં આદિત્ય શર્મા, શિવાનંદ ચૌરસિયા અને પટનાલા સુરેશના મોત થયા છે. અગાઉ પટનાલા સુરેશ ગુમ હોવાનું જણાવાયું હતું, પરંતુ હવે તેમના પણ મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. આ ઘટનાથી સમગ્ર દેશમાં શોકની લહેર છે.
Share This Article