પનીર ખાઈ રહ્યા છો તો સાવધાન! જે પનીર તમે અસલી દૂધથી બનેલું માનીને ખાઈ રહ્યા હતા, તે હકીકતમાં સસ્તું વિકલ્પ એટલે કે એનાલોગ પનીર હોઈ શકે છે. ગ્રાહકોને જાણ કર્યા વિના આવા ઉત્પાદનો પીરસવાના મામલાઓ સામે આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં એનાલોગ (નોન-ડેરી) પનીરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
એનાલોગ પનીર દેખાવ અને સ્વાદમાં સામાન્ય પનીર જેવું જ હોય છે, પરંતુ તે દૂધના બદલે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને અન્ય કૃત્રિમ ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ગ્રાહકોને સાચી માહિતી આપ્યા વિના તેને અસલી પનીર તરીકે વેચવું ખાદ્ય સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે દ્વારા જારી કરાયેલા આદેશમાં હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ક્લાઉડ કિચન સહિતના ફૂડ બિઝનેસ ઓપરેટર્સને આવા પનીરના ઉપયોગથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
FDAની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક સ્થળોએ ગ્રાહકોને જાણ કર્યા વિના અસલી પનીરના નામે એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. અગાઉ પણ રાજ્યમાં લેવાયેલા કેટલાક સેમ્પલમાં ગુણવત્તા અને સલામતી સંબંધિત ખામીઓ સામે આવી હતી.
આ નિર્ણયનો મુખ્ય હેતુ ગ્રાહકોના આરોગ્યનું રક્ષણ કરવું અને ખાદ્ય પદાર્થોમાં પારદર્શિતા જાળવવાનો છે. હવે મહારાષ્ટ્રમાં પનીરના નામે વેચાતા વિકલ્પ ઉત્પાદનો પર કડક નજર રાખવામાં આવશે.