નેપાળમાં વિનાશક પૂર બાદ સ્થિતિ હજુ ગંભીર છે અને હવે ઉપરવાસમાં બનેલું નવું તળાવ લોકોની ચિંતા વધારી રહ્યું છે. ચીન તરફથી મળેલી માહિતી અને નેપાળના આપત્તિ સત્તાધિકારીઓના વિશ્લેષણ મુજબ, રસુવાગઢી બોર્ડરથી આશરે 18 કિમી ઉપર લ્હેંદે ખોલાનો પ્રવાહ અટકતાં 0.11 ચોરસ કિમી વિસ્તારમાં તળાવ બની ગયું છે. આ કુદરતી બંધ તૂટે તો ભોટેકોશી નદીમાં ફરી અચાનક મોટું પૂર આવી શકે છે.
આ ખતરાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીકાંઠાથી દૂર રહેવા અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. તળાવમાં પાણી સતત વધી રહ્યું હોવાથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
દરમિયાન, 26 ઓગસ્ટે આવેલા ભયાનક ફ્લેશ ફ્લડમાં નેપાળમાં મૃત્યુઆંક 389 સુધી પહોંચી ગયો છે. તિબેટમાં થયેલા મોત સાથે કુલ આંકડો 392 થયો છે, જ્યારે બંને તરફ મળીને 1,468 લોકો ગુમ હોવાનું તાજા અહેવાલોમાં સામે આવ્યું છે. ભારતના 290 નાગરિકો સંપર્કવિહોણા હોવાનું જણાવાયું છે અને 84 ભારતીયોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
નેપાળમાં રેસ્ક્યુ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે, પરંતુ રસ્તા, પુલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા ભારે નુકસાનને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની છે.


