Thursday, Jun 11, 2026

કૈલાશ માનસરોવર યાત્રા પર ચીનનો પ્રતિબંધ, ભારતીય શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં

2 Min Read

હિન્દુઓની આસ્થાના કેન્દ્ર ગણાતા કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ચીન સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જૂન-જુલાઈ દરમિયાન ભારતીય નાગરિકોને યાત્રા માટે પરમિટ આપવાની પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકાતા હજારો શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ નિર્ણયના કારણે તિબેટ-ચીન સરહદ પર અનેક ભારતીય યાત્રાળુઓ અટવાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં માત્ર બિન-નિવાસી ભારતીયો (NRI)ને જ યાત્રાની મંજૂરી આપવામાં આવી રહી છે.

3,000થી વધુ ભારતીયોની પરમિટ અટવાઈ
ચીન સરકાર દ્વારા વિઝા અને પરમિટ મંજૂરીમાં વિલંબ થવાને કારણે 3,000થી વધુ ભારતીય યાત્રાળુઓની પરમિટ પ્રક્રિયા અટવાઈ હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસો અગાઉ ચીને યાત્રાળુઓ માટે કોમન કિચનનો નિયમ પણ લાગુ કર્યો હતો, જેના કારણે ધાર્મિક પરંપરા અને પ્રાદેશિક ખાણીપીણીની રીતોને જાળવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી.

તિબેટ સરહદ પર યાત્રાળુઓનો ભારે જમાવડો
પરમિટ અને વિઝા ન મળવાને કારણે તિબેટ સરહદ પર યાત્રાળુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવેલા અનેક શ્રદ્ધાળુઓને પવિત્ર યાત્રા કર્યા વિના જ નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે.

સામાન્ય ભારતીયો માટે યાત્રાના દરવાજા બંધ
નવી વ્યવસ્થા મુજબ માત્ર ચોક્કસ પ્રકારના પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈ યાત્રાળુઓને જ કૈલાશ માનસરોવર યાત્રાની મંજૂરી આપવામાં આવશે. સામાન્ય ભારતીય નાગરિકો માટે હાલ યાત્રાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારના પ્રતિસાદની રાહ
આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી તરફ ગુજરાત સહિત દેશભરના ટૂર ઓપરેટરોએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરીને સમસ્યાના ઉકેલ માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. ચીનના આ નિર્ણયથી કૈલાશ માનસરોવર યાત્રા માટે તૈયાર બેઠેલા હજારો શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા ફેલાઈ છે.

Share This Article