Home Blog Page 52

કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: દેશમાં દોડશે વધુ 7 બુલેટ ટ્રેન, જાણો રૂટ

0

ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે મોટી ક્રાન્તિ લાવવાના હેતુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત વધુ 7 નવા રૂટને લીલી ઝંડી આપી દીધી છે. હાલમાં મુંબઈ-અમદાવાદ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકારે દેશનાં મોટાં આર્થિક, ઔદ્યોગિક, ટેક્રોલોજિકલ અને પ્રવાસન હબ્સને સાંકળવા માટે આ દીર્ઘકાલીન નેશનલ વિઝન તૈયાર કર્યું છે. આ પ્રસ્તાવિત યોજના હેઠળ દેશનાં પ્રખ્યાત શહેરો વચ્ચે હાઈ-સ્પીડ ટ્રેનો દોડાવવામાં આવશે. એમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેન્ગલોર, હૈદરાબાદ-ચેન્નઈ, ચેન્નઈ-બેન્ગલોર, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી રૂટનો સમાવેશ થાય છે.

નવા રૂટ અને મુસાફરીના અંદાજિત સમયની ઝલક

મુંબઈથી પુણે૪૮ મિનિટ
બેન્ગલોરથી ચેન્નઈ૭૩ મિનિટ
દિલ્હીથી વારાણસી ૩ કલાક ૧૫ મિનિટ
બેન્ગલોરથી હૈદરાબાદબે કલાક ૧૦ મિનિટ
પુણેથી હૈદરાબાદ બે કલાક ૮ મિનિટ
દિલ્હીથી લખનઉબે કલાક
દિલ્હીથી સિલિગુડી9 કલાક

અહેવાલ અનુસાર આ પ્રસ્તાવિત હાઈ-સ્પીડ રેલ (HSR) નેટવર્ક માટે હજી બાંધકામની કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર થઈ નથી; પરંતુ ટૂંક સમયમાં જ દરેક કોરિડોર માટે ફીઝિબિલિટી સ્ટડી, જમીન-સંપાદન, મંજૂરીઓ અને ફન્ડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નવી લાઇનો શરૂ થવાથી બે મોટાં શહેરો વચ્ચેનું અંતર કલાકોને બદલે મિનિટોમાં સીમિત થઈ જશે. આ મહત્ત્વાકાંક્ષી HSR પ્રોજેક્ટ આગામી સમયમાં દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે અને કરોડો પ્રવાસીઓનો કીમતી સમય બચાવશે.

ગુજરાતના દરિયાકાંઠે સક્રિય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, NIA તપાસમાં ચોંકાવનારા ખુલાસા

ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા એક દાયકામાં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવા છતાં તેની પાછળનું સંપૂર્ણ નેટવર્ક લાંબા સમય સુધી રહસ્યમય રહ્યું હતું. જોકે, વર્ષ 2020માં જામનગર જિલ્લાના સલાયા નજીકથી ઝડપાયેલા રૂ. 500 કરોડના હેરોઈન કેસની તપાસ દરમિયાન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠા મારફતે ચાલતું આ ડ્રગ્સ નેટવર્ક માત્ર દેશ સુધી સીમિત નહોતું, પરંતુ તેના તાર ઈટાલી, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈરાન, યુએઈ અને થાઈલેન્ડ જેવા દેશો સુધી જોડાયેલા હતા.

સલાયા હેરોઈન કેસમાં ખુલ્યું નાર્કો-ટેરર કનેક્શન
વર્ષ 2020માં સલાયા દરિયાકાંઠેથી રૂ. 500 કરોડનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે આ ડ્રગ્સનો જથ્થો પંજાબમાં નશાખોરી માટે મોકલવામાં આવી રહ્યો હતો. પરંતુ NIAની વિસ્તૃત તપાસમાં ખુલ્યું કે આ સમગ્ર કાવતરું માત્ર ડ્રગ્સ હેરાફેરી પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે નાર્કો-ટેરરિઝમનો એક ભાગ હતું.

તપાસ અનુસાર, ગુજરાતના દરિયાકાંઠેથી દેશમાં ઘુસાડવામાં આવતું ડ્રગ્સ દિલ્હી, પંજાબ અને ચંદીગઢ સહિતના વિસ્તારોમાં પહોંચાડવામાં આવતું હતું, જ્યારે તેનું આંતરરાષ્ટ્રીય સંચાલન પાકિસ્તાન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, યુએઈ, ઈરાન અને થાઈલેન્ડ સુધી ફેલાયેલું હતું. ડ્રગ્સના વેપારમાંથી થતી કરોડોની આવકનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

ભારતના સૂત્રધાર તરીકે અંકુશ કપૂરનું નામ સામે આવ્યું
NIAની તપાસમાં નાર્કો-ટેરર નેટવર્કના ભારતસ્થિત મુખ્ય સંચાલક તરીકે અંકુશ કપૂર નામના શખ્સની ભૂમિકા સામે આવી છે. ડ્રગ્સના જથ્થાને ઉતારવાથી લઈને તેના સંગ્રહ અને વિતરણ સુધીનું સમગ્ર નેટવર્ક તે સંભાળતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. તાજેતરમાં NIA દ્વારા અમૃતસરમાં આવેલી તેની મિલકતો પણ એટેચ કરવામાં આવી છે.

પાકિસ્તાનથી સંચાલિત થતી હતી દરિયાઈ દાણચોરી
આ કેસમાં અત્યાર સુધી કુલ 29 આરોપીઓ સામે NIA દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તપાસ મુજબ, સમગ્ર સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ સિમરનજીત હોવાનું સામે આવ્યું છે. જ્યારે ‘ભાઈજાન’ તરીકે ઓળખાતો તારિક નામનો શખ્સ પાકિસ્તાનમાંથી દરિયાઈ માર્ગે ભારતમાં હેરોઈનની દાણચોરીનું સંકલન અને સંચાલન કરતો હતો.ઓસ્ટ્રેલિયામાં રહેતા તનવીર બેદી સામે પણ ડ્રગ્સ હેરાફેરી, હવાલા નેટવર્ક અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.

NIAની તપાસ હજુ પણ ચાલુ
ગુજરાત ATS દ્વારા સલાયાથી ઝડપાયેલા હેરોઈન કેસમાં પ્રાથમિક કાર્યવાહી બાદ આંતરરાષ્ટ્રીય કડી સામે આવતા કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. એજન્સીએ તબક્કાવાર તપાસ કરીને અત્યાર સુધી 26થી વધુ આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, આ સમગ્ર કેસમાં હજુ પણ 8 આરોપીઓ ફરાર હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે. NIAની તાજેતરની આઠમી પૂરક ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાની પાછળ નાર્કો-ટેરરનું સુનિયોજિત કાવતરું કાર્યરત હતું.

આજે 4 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, ઘણા રાજ્યોમાં હીટવેવની આગાહી

0

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. 23 જૂનની આસપાસ, ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધવાની ધારણા છે. તે છત્તીસગઢ પણ પહોંચી શકે છે. મહારાષ્ટ્ર અને આસપાસના રાજ્યોમાં ચોમાસું લગભગ 15 દિવસથી અટકી ગયું છે. અનુકૂળ પરિસ્થિતિઓને કારણે, 25 જૂન સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડશે. સિક્કિમ અને ઉત્તર બંગાળમાં પણ સોમવારે ભારે વરસાદ પડવાની ધારણા છે.

આગામી ચારથી પાંચ દિવસ સુધી વિદર્ભ, પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું ચાલુ રહેશે. આગામી ત્રણ દિવસ સુધી છત્તીસગઢ, આગામી બે દિવસ તેલંગાણા અને સોમવારે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગરમીનું મોજું રહેશે. આગામી બે દિવસ સુધી છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારે પવન ફૂંકાશે, વીજળી પડવાની શક્યતા છે. સોમવારે આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ કરા પડવાની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં હવામાન કેવું રહ્યું?
છેલ્લા 24 કલાકમાં, મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડ્યો હતો. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ઓડિશા અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વિદર્ભ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું યથાવત રહ્યું હતું અને આ અઠવાડિયામાં પણ તે ચાલુ રહેવાની ધારણા છે.

છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે
દક્ષિણપશ્ચિમ ચોમાસું 23 જૂનની આસપાસ મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધવાની ધારણા છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને બંગાળમાં રેડ એલર્ટ જારી કર્યું છે. અરુણાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે પવન અને વીજળી પડવાની શક્યતા છે. આ બધા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગરમી ક્યાં વધશે?
22 જૂન સુધીમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે. આ પછી આગામી ત્રણ દિવસમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 21 જૂન સુધી યથાવત રહેશે. આ પછી, તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે. 27 જૂન સુધી દેશના બાકીના ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની ધારણા નથી.

આ રાજ્યોમાં હીટવેવ એલર્ટ
ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વિદર્ભમાં પણ રાત્રિના હીટવેવ એલર્ટ અમલમાં છે. આસામ, પશ્ચિમ બંગાળ અને મેઘાલયમાં ભારે વરસાદ ચાલુ રહેશે. રાજસ્થાનમાં ધૂળના તોફાનની શક્યતા છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ભારે પવન અને વીજળી સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.

સુરતના પીપોદરા GIDCમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં ભીષણ આગ

સુરત જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી આગની ઘટના સામે આવી છે. ફેક્ટરીઓમાંથી નીકળતા પ્લાસ્ટિક વેસ્ટ અને સ્ક્રેપના વિશાળ જથ્થાને એકત્ર કરવામાં આવેલા ખુલ્લા પ્લોટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

પ્લાસ્ટિક અત્યંત જ્વલનશીલ હોવાથી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પવનની ગતિને કારણે આગની જ્વાળાઓ દૂર સુધી ફેલાતી જોવા મળી હતી. ઘટનાસ્થળેથી ઊઠતા ધુમાડાના ગોટેગોટા અને આગના ભયાનક દ્રશ્યો હાઇવે પરથી પણ સ્પષ્ટ દેખાતા હતા, જેના કારણે આસપાસના ઉદ્યોગકારો અને શ્રમિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

સરકારી અને ખાનગી ફાયર બ્રિગેડની ટીમો એક્શનમાં
આગની જાણ થતાં જ નજીકની ફેક્ટરીઓના સંચાલકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારી ફાયર બ્રિગેડની સાથે પીપોદરા વિસ્તારની અનેક મોટી કંપનીઓના પ્રાઇવેટ ફાયર સ્ટેશનોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા.

‘સુમિલોન ફાયર’ અને ‘રાજહંસ ફાયર’ સહિતની ટીમોએ અત્યાધુનિક ફાયર ટેન્ડર અને વોટર બ્રાઉઝરો સાથે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે સંયુક્ત કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઇટરો દ્વારા કેમિકલ ફોમ અને પાણીના સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

આસપાસની ફેક્ટરીઓને બચાવવા ખાસ તકેદારી
પીપોદરા GIDCમાં અનેક ઉદ્યોગો નજીક આવેલા હોવાથી આગ અન્ય ફેક્ટરીઓ કે ગોડાઉનો સુધી ન પહોંચે તે માટે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમોએ આગગ્રસ્ત પ્લોટની ચારેય તરફ ઘેરાબંધી કરીને કુલિંગ ઓપરેશન શરૂ કર્યું છે. આગ હાલમાં ખુલ્લા પ્લોટ સુધી મર્યાદિત રાખવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી નજીકની ઔદ્યોગિક એકમોને કોઈ નુકસાન ન પહોંચે.

પ્રાથમિક માહિતી મુજબ, આગ ખુલ્લા પ્લોટમાં લાગી હોવાથી અત્યાર સુધી કોઈ જાનહાનિ કે કોઈ શ્રમિક ફસાયા હોવાના અહેવાલ મળ્યા નથી. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ છે કે કોઈ માનવહાનિ નોંધાઈ નથી. જો કે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનનો સાચો આંકડો અને આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવી શકશે. હાલ ફાયર બ્રિગેડની ટીમો સતત કામગીરીમાં વ્યસ્ત છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

શહીદના વળતરના 21 લાખ લઈને વહુ ચાલી ગઈ? સસરાએ લગાવ્યા ગંભીર આરોપ

0

આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા બિહારના ફલાઈટ લેફિટનેન્ટ શુભમ કુમારના પરિવાર પર દુખાનો પહાડ તૂટી પડ્યો છે. દીકરો નથી રહ્યો, પણ વહુએ ટાઢા કલેજે વળતરના ૨૧ લાખ રૂપિયા લઈ લીધા અને ગાયબ થઈ ગઈ. મૃતક શુભમ શર્માના પિતા કહે છે કે જો સાચે જ પત્ની હોત તો શ્રાદ્ધકર્મ કરતી. સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે અમારી સામે લગ્ન નથી થયા, અમે તે બંનેના લગ્ન આવતા નવેમ્બરમાં નક્કી કર્યા હતા. તેમણે ચૂપચાપ કોર્ટ મેરેજ કરી લીધા હતા. તેની અમને કોઈ જાણકારી નથી.

શુભમના પિતા અમરેન્દ્ર શર્માનું કહેવું છે કે પરિવારે શુભમના લગ્ન નવેમ્બરમાં નક્કી કર્યા હતા. હિન્દુ રીતિ-રિવાજથી લગ્નની તૈયારી ચાલી રહી હતી, પણ હવે એક છોકરી શ્રેયા રાય ખુદને શુભમની પત્ની ગણાવી રહી છે, તેને ૨૧ લાખ રૂપિયાના વળતરનો ચેક પણ સોંપી દીધો. અમરેન્દ્ર શર્માનો આરોપ છે કે શ્રેયા રાય અને તેમના પરિવારે તેમને અને તેમના આખા પરિવારથી આ વાત છુપાવી અમદાવાદમાં કોર્ટ મેરેજ કરી લીધા. તેમણે કહ્યું કે, જો વાસ્તવમાં તેમના દીકરાએ લગ્ન કર્યા હતા અને શ્રેયા તેમની વહુ છે તો તેણે પરિવાર સાથે ઊભા રહેવું જોઈતું હતું.

શુભમના પિતાએ કહ્યું કે જો તે સાચે પત્ની છે અને ચેકની હકદાર છે તો તેને તેમના દીકરાના શ્રાદ્ધકર્મ અને અન્ય પારિવારિક દાયિત્વ પણ નિભાવવા જોઈતા હતા. પતિના મોત બાદ પરિવારનું દુખ વહેંચવું જોઈએ. પણ તે ચેક લઈને જતી રહી. શુભમના પિતાએ એવો પણ દાવો કર્યો કે રાજ્ય સરકાર તરફથી મળેલા ૨૧ લાખ રૂપિયાની મદદ વિશે પરિવારને કોઈ જાણકારી નથી. તેમનો આરોપ છે કે ગયામાં અધિકારીઓએ પરિવારની હાજરી વિના શ્રેયા રાયને ચેક સોંપી દીધો. તેમણે કહ્યું કે, જો તે પરિવારની વહુ હતી તો ચેક તેના ઘર પર પરિવાર સામે આપવો જોઈતો હતો. તેમણે આ સમગ્ર પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા પ્રશાસનિક અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવાની પણ માગ કરી છે.

અમરેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, શુભમે તેમને ખાલી એટલું જણાવ્યું હતું કે આ છોકરી આઝમગઢની રહેવાસી છે. તેમના પિતા સેનામાં જૂનિયર કમિશન્ડ અધિકારી રહી ચૂક્યા છે. પરિવારને ક્યારેય નથી જણાવ્યું કે બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. તેમણે કહ્યું કે, દીકરાના શહાદત બાદ સામે આવેલા આ વિવાદે પરિવારની મુશ્કેલી વધારી દીધી છે. આપને જણાવી દઈએ કે, ૧૩ જૂનના રોજ આસામના જોરહાટમાં ઈન્ડિયન એરફોર્સનું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં બિહારના જહાનાબાદના રહેવાસી ફલાઈટ લેફિટનેન્ટ શુભમ કુમાર શહીદ થઈ ગયા હતા. સરકાર તરફથી પીડિતની પત્નીને વળતર આપવામાં આવ્યું છે, આ વાતને લઈ હવે વિવાદ થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં હનુમાન મંદિર સામે સભામંડપની છત ધરાશાયી, 6 શ્રદ્ધાળુઓના મોત

0

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા યશવાડી દેવસ્થાન ખાતે શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હનુમાન મંદિરની સામે નિર્માણાધીન સભામંડપની છત અચાનક ધરાશાયી થતાં અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી 6 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 30થી 40 લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાના સમયે મંદિરમાં કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સભામંડપનું માળખું તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
આ દુર્ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં છત ધરાશાયી થતાની સાથે જ લોકોમાં નાસભાગ મચી જતી જોવા મળે છે. કાટમાળ, લોખંડના સળિયા અને પથ્થરો નીચે દબાઈ જતાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ
ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક પ્રશાસન અને રાહત-બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળમાંથી અત્યાર સુધી 6 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોમાંથી 10 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય ઘાયલોને પણ તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

નિર્માણાધીન સભામંડપની છત બની દુર્ઘટનાનું કારણ
રિપોર્ટ્સ મુજબ, હનુમાન મંદિરની બરાબર સામે સભામંડપના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જ નિર્માણાધીન સભામંડપની છત અચાનક તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રશાસને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને રાહત-બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

પાકિસ્તાનમાં ભયાનક રિમોટ-કંટ્રોલ્ડ ડબલ બ્લાસ્ટ, ઘાયલોને લઈ જતાં થયો બીજો ધડાકો, 7 ના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બન્નૂ જિલ્લામાં શનિવારે થયેલા બે સિલસિલાબંધ બોમ્બ વિસ્ફોટોએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. આતંકીઓએ પહેલા મુસાફરોથી ભરેલા વાહનને નિશાન બનાવ્યું અને ત્યારબાદ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે વધુ એક વિસ્ફોટ કર્યો. આ બંને હુમલાઓમાં કુલ 7 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના પ્રાથમિક તારણો અનુસાર બંને હુમલાઓ રિમોટ કન્ટ્રોલ બોમ્બ દ્વારા કરવામાં આવ્યા હતા. ઘટનાના પગલે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

મુસાફર વાહન પર પ્રથમ હુમલો
માહિતી મુજબ, બન્નૂ જિલ્લાના ફાંગ મૂસા ખેલ વિસ્તારમાં એક ખાનગી ડેટસન વાહન મુસાફરોને લઈને ડોમેલ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન રસ્તામાં રિમોટ કન્ટ્રોલથી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વાહનના ચીથરાં ઉડી ગયા હતા. આ હુમલામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક રહેવાસીઓ અને રાહત ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઘાયલોને લઈ જતી વખતે થયો બીજો બ્લાસ્ટ
પ્રથમ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ઘટનાસ્થળથી આશરે એક કિલોમીટર દૂર વધુ એક વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં પણ એક વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. બીજા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા અને વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. સતત બે હુમલાઓના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે હુમલાખોરોએ બચાવ કામગીરીને પણ નિશાન બનાવવાની પૂર્વયોજના બનાવી હતી.

સુરક્ષા દળો અને રેસ્ક્યૂ ટીમો એક્શનમાં
ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ 1122ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોના મૃતદેહોને અને ઘાયલોને ડોમેલ ગ્રામ્ય આરોગ્ય કેન્દ્ર તેમજ ખલીફા ગુલ નવાઝ ટીચિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સઘન તપાસ શરૂ કરી હતી. અધિકારીઓને આશંકા હતી કે વિસ્તારમાં અન્ય વિસ્ફોટક સામગ્રી પણ મૂકવામાં આવી હોઈ શકે છે. હાલ સુરક્ષા એજન્સીઓ હુમલા પાછળ જવાબદાર આતંકી તત્વોની ઓળખ અને તેમની ધરપકડ માટે પ્રયાસ કરી રહી છે.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને વ્યક્ત કર્યું દુઃખ
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ હુમલાની કડક નિંદા કરી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલોના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના પણ કરી હતી.

વડાપ્રધાન શહબાઝ શરીફે પણ ઘટનાને દુઃખદ ગણાવી હતી અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિકે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાના કૃત્યને કાયરતાપૂર્ણ અને અમાનવીય ગણાવ્યું હતું.

બન્નૂમાં સતત વધી રહ્યા છે આતંકી હુમલા
ઉલ્લેખનીય છે કે બન્નૂ જિલ્લો છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં પોલીસ, સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી અનેક હુમલાઓ કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે આતંકીઓએ એક પુલને વિસ્ફોટથી ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે જૂન મહિનામાં બે પોલીસકર્મીઓ અલગ-અલગ હુમલાઓમાં માર્યા ગયા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણોમાં પણ અનેક લોકોના મોત થયા છે.

વધતા આતંકવાદને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે. તાજેતરમાં યોજાયેલી એક જીરગામાં પણ સરકારે વિસ્તારમાંથી આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવા માટે અસરકારક પગલાં લેવાની માંગ ઉઠી હતી.

સુરતમાં રેમ્બો છરા સાથે આતંક મચાવનાર ગેંગ ઝડપાઈ, CCTVના આધારે 4 આરોપીઓની ધરપકડ

સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂની અદાવતને લઈને ખુલ્લેઆમ હથિયારો લહેરાવી દહેશત ફેલાવનારા ચાર શાતિર આરોપીઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. મુખ્ય સૂત્રધારના ઈશારે તેના સાગરીતો પૂર્વનિયોજિત ષડયંત્રના ભાગરૂપે રેમ્બો છરા, ચાકૂ અને અન્ય ઘાતક હથિયારો સાથે વિસ્તારમાં આતંક મચાવવા આવ્યા હતા. સમગ્ર ઘટના 16મી તારીખની રાત્રે બની હતી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

રેમ્બો છરા અને ચાકૂ સાથે યુવકોને આપી જાનથી મારી નાખવાની ધમકી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી બંટી ઉર્ફે દયાવાન અને કેટલાક યુવકો વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી. આ અદાવતનો બદલો લેવા માટે બંટીએ પોતાના સાગરીતોને હથિયારો સાથે મોકલ્યા હતા. તે સમયે ઋષિકેશ અને ભૂષણ વિસ્તારમાં ઉભા હતા ત્યારે બાજાજ પલ્સર બાઈક પર સવાર ત્રણ શખ્સો ત્યાં પહોંચ્યા હતા.

આરોપીઓએ પહોંચતાની સાથે જ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. વિરોધ થતાં જ તેઓએ પોતાની પાસે છુપાવી રાખેલા રેમ્બો છરા, ચાકૂ અને સરિયા બહાર કાઢીને લહેરાવવાનું શરૂ કર્યું અને વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. બદમાશોએ ધમકી આપતાં કહ્યું હતું કે, “અમને બંટીએ મોકલ્યા છે, જો ફરીથી તેનું નામ લેશો તો જાનથી મારી નાખીશું.” ત્યારબાદ તમામ આરોપીઓ હથિયારો લહેરાવતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસની ઝડપી કાર્યવાહી, ચારેય આરોપીઓ ઝડપાયા
ઘટના બાદ પીડિતોએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજ તથા અન્ય પુરાવાના આધારે કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઈક અને હથિયારો પણ જપ્ત કર્યા છે. સાથે જ મુખ્ય આરોપી બંટી ઉર્ફે દયાવાન પાટીલની પણ ધરપકડ કરવામાં આવી છે.

‘ઓપરેશન રેમ્બો-2’ હેઠળ પોલીસની મોટી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરત SOG દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ‘ઓપરેશન રેમ્બો-2’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ઘાતક હથિયારો રાખવા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર લિંબાયત, વેસુ, વરાછા, અડાજણ, રાંદેર અને કતારગામ જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન તેમની પાસેથી મોટી સંખ્યામાં ચાકૂ અને રેમ્બો નાઈફ મળી આવી છે. ધરપકડ કરાયેલા અનેક આરોપીઓ સામે અગાઉ હત્યા, લૂંટ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓના કેસ પણ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

5 વર્ષથી જામી પડેલા પોલીસકર્મીઓમાં બદલીના સંકેતથી ફફડાટ

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) મલિક દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં પાંચ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

નવી જવાબદારી સંભાળ્યા બાદ ડીજીપી મલિક રાજયના વરિષ્ઠ અને જુનિયર આઈપીએસ અધિકારીઓ, વિવિધ રેન્જના આઈજી, જિલ્લા પોલીસ વડાઓ તથા શહેર પોલીસ કમિશનરો સાથે નિયમિત વિડિયો કોન્ફરન્સ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સાથે જ પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ અને જવાબદાર બનાવવા માટે વિવિધ સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ જ દિશામાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓની વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષકો (SP) અને શહેર પોલીસ કમિશનર કચેરીઓ દ્વારા આ માહિતી તૈયાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. પોલીસ વિભાગના સૂત્રોનું માનવું છે કે યાદી તૈયાર થયા બાદ રાજ્યવ્યાપી ધોરણે સામૂહિક બદલીનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો આવું થાય તો અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના કાર્યસ્થળોમાં ફેરફાર થવાની શક્યતા છે. સુરત શહેરમાં પણ આ પ્રક્રિયાને લઈને કામગીરી શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ બંદોબસ્ત, ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ ડીજીપીના નિર્દેશ મુજબ પાંચ વર્ષથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા શાખામાં 624 બજાવતા કર્મચારીઓની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો રાજ્ય સરકાર અને પોલીસ મુખ્યાલય દ્વારા બદલીની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવશે તો સુરત સહિત રાજયના અનેક શહેરો અને જિલ્લાઓમાં પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ જોવા મળી શકે છે. હાલ આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, છતાં પોલીસ વિભાગમાં સંભવિત બદલીને લઈને ચર્ચાઓ તેજ બની છે.

પોલીસ કર્મચારીઓમાં આ સંભાવનાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક કર્મચારીઓ નવી જગ્યાએ કામ કરવાની તકને આવકારી રહ્યા છે, જ્યારે કેટલાક માટે લાંબા સમયથી કાર્યરત સ્થળ છોડવાની સ્થિતિને કારણે અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે. પોલીસ મથકોમાં હાલ “કભી ખુશી, કભી ગમ” જેવો માહોલ જોવા મળી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

દેશમાં મળ્યો સોનાનો ખજાનો! આ 4 સ્થળોથી નીકળશે હજારો કરોડનું સોનું

0

ભારતમાં સોના પ્રત્યે લોકોનો આકર્ષણ અને ક્રેઝ સદીઓ જૂનો છે. પરંતુ અત્યાર સુધી ભારતે પોતાની સોનાની મોટાભાગની જરૂરિયાતો પૂરી કરવા માટે વિદેશી આયાત પર નિર્ભર રહેવું પડતું હતું. આ દરમિયાન દેશના અર્થતંત્ર અને નાગરિકો માટે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાંથી એક અત્યંત પ્રોત્સાહક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં અંદાજે 50 ટન સોનાનો એક વિશાળ ભંડાર મળી આવ્યો છે. વન વિભાગ અને ખાણકામ ક્ષેત્રના નિષ્ણાતોના મતે આ શોધ ભારતનું ભાગ્ય બદલી શકે છે.

આંધ્રપ્રદેશ બનશે દેશનું સૌથી મોટું ગોલ્ડ ડબ
ભૂસ્તરશાસ્ત્રીઓ અને ખાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક શોધ બાદ આગામી કેટલાક વર્ષોમાં આંધ્રપ્રદેશ દેશમાં સોનાના સૌથી મોટા ઉત્પાદક અને સપ્લાયર રાજ્ય તરીકે ઉભરી આવશે. હાલમાં ભારતમાં કર્ણાટક સોનાના ઉત્પાદનમાં અગ્રેસર છે, પરંતુ કુર્નૂલના આ ભંડારના સંપૂર્ણ ઉત્ખનન બાદ આંધ્રપ્રદેશ મોખરે પહોંચી જશે. આ અનામત ભંડાર મળવાથી માત્ર સ્થાનિક સ્તરે રોજગારીની તકો જ નહીં વધે, પરંતુ વિદેશમાંથી મોંઘા ભાવે થતી સોનાની આયાત પર ભારતની નિર્ભરતા ઘણી હદ સુધી ઘટી જશે, જેનાથી દેશનું વિદેશી હૂંડિયામણ પણ બચશે.

અન્ય ચાર વિસ્તારોમાં પણ સોનાની ખાણની શોધ
આંધ્રપ્રદેશના ખાણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર મીનાએ એક પત્રકાર પરિષદ દરમિયાન આ ઐતિહાસિક સફળતાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે ગર્વપૂર્વક જણાવ્યું કે વિભાગે કુર્નૂલ જિલ્લાના માત્ર જોન્નાગીરી વિસ્તારમાં જ નહીં, પરંતુ રાજ્યના અન્ય ચાર સંભવિત વિસ્તારોમાં પણ સોનાની ખાણકામ માટેની સાઇટ્સની ઓળખ કરી લીધી છે. જીઓલોજિકલ સર્વેમાં જે અન્ય મહત્વના સ્થળો સામે આવ્યા છે તેમાં રામાગીરી, જાવાવકુલા અને ચિગુરુકુંતા બિસ્નાટ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ પણ આગામી સમયમાં સંશોધન અને ઉત્ખનનની કામગીરી હાથ ધરવામાં આવશે.

અર્થતંત્ર અને ઝવેરી બજાર પર સકારાત્મક અસર
અત્યાર સુધી ભારત વાર્ષિક સેંકડો ટન સોનું સ્વિટ્ઝર્લેન્ડ, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને અન્ય દેશોમાંથી આયાત કરે છે, જેને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ પર દબાણ રહે છે.

ભારતમાં જ આટલો મોટો સોનાનો સ્ત્રોત મળી આવતા લાંબા ગાળે સ્થાનિક બજારમાં સોનાના ભાવો સ્થિર રાખવામાં અને જ્વેલરી ઉદ્યોગને વેગ આપવામાં મોટી મદદ મળશે. સરકાર હવે આ સાઈટ્સ પર આધુનિક ટેકનોલોજીની મદદથી ઝડપથી ખાણકામ શરૂ કરવા માટેની યોજનાઓ ઘડી રહી છે, જેથી વહેલી તકે આ સોનાનો ઉપયોગ દેશના વિકાસમાં થઈ શકે.