ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા એક દાયકામાં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવા છતાં તેની પાછળનું સંપૂર્ણ નેટવર્ક લાંબા સમય સુધી રહસ્યમય રહ્યું હતું. જોકે, વર્ષ 2020માં જામનગર જિલ્લાના સલાયા નજીકથી ઝડપાયેલા રૂ. 500 કરોડના હેરોઈન કેસની તપાસ દરમિયાન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠા મારફતે ચાલતું આ ડ્રગ્સ નેટવર્ક માત્ર દેશ સુધી સીમિત નહોતું, પરંતુ તેના તાર ઈટાલી, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈરાન, યુએઈ અને થાઈલેન્ડ જેવા દેશો સુધી જોડાયેલા હતા.
સલાયા હેરોઈન કેસમાં ખુલ્યું નાર્કો-ટેરર કનેક્શન
વર્ષ 2020માં સલાયા દરિયાકાંઠેથી રૂ. 500 કરોડનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે આ ડ્રગ્સનો જથ્થો પંજાબમાં નશાખોરી માટે મોકલવામાં આવી રહ્યો હતો. પરંતુ NIAની વિસ્તૃત તપાસમાં ખુલ્યું કે આ સમગ્ર કાવતરું માત્ર ડ્રગ્સ હેરાફેરી પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે નાર્કો-ટેરરિઝમનો એક ભાગ હતું.
તપાસ અનુસાર, ગુજરાતના દરિયાકાંઠેથી દેશમાં ઘુસાડવામાં આવતું ડ્રગ્સ દિલ્હી, પંજાબ અને ચંદીગઢ સહિતના વિસ્તારોમાં પહોંચાડવામાં આવતું હતું, જ્યારે તેનું આંતરરાષ્ટ્રીય સંચાલન પાકિસ્તાન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, યુએઈ, ઈરાન અને થાઈલેન્ડ સુધી ફેલાયેલું હતું. ડ્રગ્સના વેપારમાંથી થતી કરોડોની આવકનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.
ભારતના સૂત્રધાર તરીકે અંકુશ કપૂરનું નામ સામે આવ્યું
NIAની તપાસમાં નાર્કો-ટેરર નેટવર્કના ભારતસ્થિત મુખ્ય સંચાલક તરીકે અંકુશ કપૂર નામના શખ્સની ભૂમિકા સામે આવી છે. ડ્રગ્સના જથ્થાને ઉતારવાથી લઈને તેના સંગ્રહ અને વિતરણ સુધીનું સમગ્ર નેટવર્ક તે સંભાળતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. તાજેતરમાં NIA દ્વારા અમૃતસરમાં આવેલી તેની મિલકતો પણ એટેચ કરવામાં આવી છે.
પાકિસ્તાનથી સંચાલિત થતી હતી દરિયાઈ દાણચોરી
આ કેસમાં અત્યાર સુધી કુલ 29 આરોપીઓ સામે NIA દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તપાસ મુજબ, સમગ્ર સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ સિમરનજીત હોવાનું સામે આવ્યું છે. જ્યારે ‘ભાઈજાન’ તરીકે ઓળખાતો તારિક નામનો શખ્સ પાકિસ્તાનમાંથી દરિયાઈ માર્ગે ભારતમાં હેરોઈનની દાણચોરીનું સંકલન અને સંચાલન કરતો હતો.ઓસ્ટ્રેલિયામાં રહેતા તનવીર બેદી સામે પણ ડ્રગ્સ હેરાફેરી, હવાલા નેટવર્ક અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.
NIAની તપાસ હજુ પણ ચાલુ
ગુજરાત ATS દ્વારા સલાયાથી ઝડપાયેલા હેરોઈન કેસમાં પ્રાથમિક કાર્યવાહી બાદ આંતરરાષ્ટ્રીય કડી સામે આવતા કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. એજન્સીએ તબક્કાવાર તપાસ કરીને અત્યાર સુધી 26થી વધુ આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, આ સમગ્ર કેસમાં હજુ પણ 8 આરોપીઓ ફરાર હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે. NIAની તાજેતરની આઠમી પૂરક ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાની પાછળ નાર્કો-ટેરરનું સુનિયોજિત કાવતરું કાર્યરત હતું.