Home Blog Page 51

Ayodhya: રામ મંદિર દાન ચોરી કેસની તાત્કાલિક સુનાવણીનો હાઇકોર્ટનો ઇનકાર

0

અયોધ્યામાં શ્રી રામ મંદિર દાન ચોરી કેસનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું કે આ કેસમાં કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી. આ અંગે અલ્હાબાદ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઇ અને સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે.

કેગ દ્વારા ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી
આ અરજીમાં કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા દાનનું ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે. અરજદાર એડવોકેટ મોહિત અશોકે જણાવ્યું હતું કે તેઓ આ મહત્વપૂર્ણ મામલાની વહેલી સુનાવણી માટે કોર્ટને વિનંતી કરશે.

અયોધ્યાના શ્રી રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ મહદઅંશે તપાસ પૂર્ણ કરી છે. તેમજ એસઆઇટીની ટીમ અયોધ્યાથી લખનઉ પહોંચી છે. આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર એસઆઇટીએ 140 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી
આ અંગે મળતી માહિતી મુજબ રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી છે. જેમાં બેંક કર્મચારી અને ટ્રસ્ટ જોડે સંકળાયેલા 30 લોકો શંકાના ઘેરામાં છે. તેમજ 2000 કલાકના સીસીટીવીની તપાસ કરવામાં આવી અને ફૂટેજ કબજે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 140 પાનાનો તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

લીંબાયત પોલીસની સતર્કતાથી ગંભીર ગુનો ટળ્યો, ભાઈને મારવા નીકળેલો શખ્સ ઝડપાયો

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને ગુનેગારો તથા અસામાજિક તત્વો ઉપર લગામ લગાવવા પોલીસ સક્રિય રહીને કાર્યવાહી કરી રહી છે.દરમ્યાન પોલીસની સતર્કતાને લીધે એક ગંભીર ઘટના બનતા રહી ગઈ હતી. પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે તીક્ષણ ચપ્પુ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે ચપ્પુ સાથે પકડાયેલો ઈસમ પોતાના ભાઈને જ મારવા માટે ચપ્પુ લઈને નીકળ્યો હતો

ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન અને સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી. ચાવોડની દેખરેખ હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંજયનગર સર્કલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે એક શંકાસ્પદ ઈસમને પકડી તેની તપાસ કરવામાં આવ્યું હતું.

તપાસ દરમ્યાન તેની પાસેથી તીક્ષ્ણ ચપ્પુ મળી આવ્યો હતો.પોલીસે આરોપી ચેતન સંજય પાટીલની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચપ્પુ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં ચોંકાવનારી માહિતી મળી હતી. આરોપી સંજય પાટીલ અને તેના ભાઈ વચ્ચે માર્કેટમાં કામ બાબત ઝગડો ચાલો રહ્યો હતો આ ઝગડાની અદાવત રાખી તે પોતાના ભાઈને જ મારવા માટે ચપ્પુ લઈને નીકળ્યો હતો જોકે પોલીસની સતર્કતાથી આરોપી કોઈ ગંભીર અપરાધને અંજામ આપે તે પહેલાતેને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદથી મળી રાહત તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી, ઉકળાટ અને ભારે બફારા વચ્ચે આજે આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ શહેર અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં સુરતીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદના આગમન સાથે જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માત્ર બે કલાકમાં જ લગભગ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે અરેઠ વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

સુરત શહેરમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી છે. પાલ વિસ્તારમાં પણ BRTS બસ કાદવ અને ધસેલા રસ્તામાં ફસાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની તેમજ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. સતત આવી રહેલી ઘટનાઓને કારણે રસ્તાની કામગીરી અને તંત્રની તૈયારીઓ સામે સવાલો ઊભા થયા છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

શહેરમાં ઉધના ઝોનમાં સૌથી વધુ વરસાદ
સુરત શહેરમાં વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહાનગરપાલિકાના આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં 15 મીમી, રાંદેર અને કતારગામ ઝોનમાં 4-4 મીમી, વરાછા ઝોનમાં 7 મીમી, લિંબાયત ઝોનમાં 12 મીમી અને અઠવા ઝોનમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉધના ઝોનમાં સૌથી વધુ 22 મીમી વરસાદ નોંધાયો હતો.

વરસાદ સાથે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
વરસાદ શરૂ થતાં જ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ફરી એકવાર પોલ ખુલી ગઈ હતી. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉધના, લિંબાયત, પાલ અને ઉમરા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી. અનેક સ્થળોએ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ખેડૂતોમાં ખુશીની લહેર
છેલ્લા એક સપ્તાહથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. વરસાદના આગમન સાથે જ ખેતીની તૈયારીઓમાં વ્યસ્ત ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. જિલ્લાના મહુવા તાલુકામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ છૂટાછવાયા વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું.

કરોડોની કામગીરી છતાં યથાવત સમસ્યાઓ
સુરત મહાનગરપાલિકા દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોવા છતાં વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવતી રહે છે. આ વખતે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રને દોડધામ કરવી પડી હતી. વરસાદના કારણે નોકરી-ધંધા માટે નીકળેલા લોકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે લાંબા સમય બાદ પડેલા વરસાદને કારણે ગરમી અને બફારાથી રાહત મળતાં લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

બ્રિટનના વડાપ્રધાન કિયર સ્ટાર્મરે આપ્યું રાજીનામું, કહ્યું- દેશહિતમાં લીધો નિર્ણય

0

બ્રિટનના વડાપ્રધાન કિયર સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પદ છોડ્યા બાદ તેમણે જણાવ્યું કે આ નિર્ણય દેશહિતમાં લેવામાં આવ્યો છે. સ્ટાર્મરે કહ્યું, “મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય બ્રિટનની ભલાઈ માટે લેવામાં આવ્યો છે.”

બ્રિટનના વડાપ્રધાન કિયર સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પદ છોડ્યા બાદ તેમણે જણાવ્યું કે આ નિર્ણય દેશના હિતમાં લેવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં સ્ટાર્મર એવા છઠ્ઠા વડાપ્રધાન બન્યા છે, જેમણે કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ પદ છોડી દીધું છે.

સ્ટાર્મર પહેલાં પણ પાંચ વડાપ્રધાનોએ પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં રાજીનામું આપી દીધું હતું. કન્ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટી વચ્ચેની રાજકીય સ્પર્ધા ધરાવતા બ્રિટનમાં હવે આગામી વડાપ્રધાન તરીકે લેબર પાર્ટીના નેતા એન્ડી બર્નહેમનું નામ ચર્ચામાં છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે અન્ય સંભવિત ઉમેદવારો કોણ હશે તે અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. રસપ્રદ વાત એ છે કે રાજીનામા પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે બ્રિટનના વડાપ્રધાન ટૂંક સમયમાં પોતાનું પદ છોડવાના છે.

સ્ટાર્મર પહેલાં કયા બ્રિટિશ વડાપ્રધાનોએ આપ્યું હતું રાજીનામું?

  • લિઝ ટ્રસ (Liz Truss)
  • બોરિસ જોન્સન (Boris Johnson)
  • થેરેસા મે (Theresa May)
  • ડેવિડ કેમેરોન (David Cameron)
  • ગોર્ડન બ્રાઉન (Gordon Brown)

વન વિભાગના RFO સામે છેડતીનો કેસ, ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડી

0

વાપી ખાતે વન વિભાગની કચેરીમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સામે સહકર્મી મહિલા કર્મચારીએ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, વાપીના આરજીઇએસ હાઈસ્કૂલ (RGES High School) નજીક આવેલી વન વિભાગની કચેરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા દિનેશ ડામોર સામે કચેરીમાં કાર્યરત મહિલા કર્મચારીએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે દિનેશ ડામોર લાંબા સમયથી તેમની સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરતો હતો. જોકે, કચેરીના વાતાવરણ અને અન્ય કારણોસર તે અત્યાર સુધી આ બાબત સહન કરતી આવી હતી.

શુક્રવારે આરોપીએ મહિલાનો હાથ પકડી છેડતી કરતા આખરે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શનિવારે આરોપીને વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી પક્ષ તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર (APP) મુકેશ પાટણવાડિયાએ દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી દિનેશ ડામોરને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

તામિલનાડુની સી-ફૂડ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીકેજ, 7 મહિલા કર્મચારીઓનાં મોત

0

તામિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં આવેલી એક સી-ફૂડ એક્સપોર્ટ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીક થવાને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 7 મહિલા કર્મચારીઓનાં મોત થયા છે, જ્યારે 67થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોમાંથી 9 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

આ દુર્ઘટના સેન્ટ પીટર્સ પોલ સી-ફૂડ્સ એક્સપોર્ટ્સ યુનિટમાં બની હતી. ગેસ લીકેજ થતાં જ ફેક્ટરી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.

સ્થળાંતરિત મહિલા કામદારો સૌથી વધુ અસરગ્રસ્ત
અધિકારીઓના જણાવ્યા મુજબ, અસરગ્રસ્તોમાં મોટાભાગના લોકો ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્થળાંતરિત કામદારો છે, જેમાં મહિલાઓની સંખ્યા વધુ છે. અમોનિયા ગેસના સંપર્કમાં આવતા અનેક કામદારોને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, ઊબકા અને ઊલટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

ઘાયલોમાં મોટાભાગની યુવતીઓ 24થી 25 વર્ષની વયજૂથની હોવાનું જણાવવામાં આવ્યું છે. તબીબોનું માનવું છે કે તેમની ઉંમર ઓછી હોવાથી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે.

67થી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા
જિલ્લા કલેક્ટર એસ. કવિતાએ જણાવ્યું હતું કે 46 દર્દીઓને વેલ્સ હોસ્પિટલમાં અને 21 દર્દીઓને વેન્કટેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર હાલતમાં રહેલા 9 દર્દીઓને વધુ સારી સારવાર માટે ચેન્નઈની સરકારી સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મેજર વાલ્વમાંથી ગેસ લીક થવાનો પ્રાથમિક અંદાજ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીના એક મેજર વાલ્વમાંથી અમોનિયા ગેસ લીક થયો હતો. ઘટનાના ચોક્કસ કારણોની તપાસ માટે ડીન ડૉ. શાંતારામની અધ્યક્ષતામાં વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે. સાથે જ સંબંધિત અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ગેસ લીકેજ પાછળના વાસ્તવિક કારણો સ્પષ્ટ થઈ શકશે.

ભારતની મુલાકાતે આવશે જેમીસન ગ્રીર, ભારત-અમેરિકા ટ્રેડ ડીલને મળશે નવી ગતિ

0

ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત અંતરિમ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થવા જઈ રહી છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.

બેઠકનો મુખ્ય ઉદ્દેશ
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચેના વેપારી સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને અંતરિમ વેપાર કરાર અંગે ચાલી રહેલી ચર્ચાઓને આગળ વધારવાનો રહેશે. આ કરાર અંગેનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફેબ્રુઆરીમાં થયેલી ચર્ચા દરમિયાન લેવામાં આવ્યો હતો.

ભારત-અમેરિકા વેપાર કરાર પર થશે ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રીર અને ગોયલ ભારત-અમેરિકા સંયુક્ત નિવેદનમાં સમાવાયેલા મુખ્ય વેપારી મુદ્દાઓની સમીક્ષા કરશે. ઉપરાંત, બંને પક્ષો અંતરિમ વેપાર કરારના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરશે, જેથી તેને શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકી શકાય.

તાજેતરમાં યોજાયેલા જી-7 શિખર સંમેલન દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર કરારને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવાની પોતાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે મોદીને મજબૂત અને કુશળ વાટાઘાટકાર ગણાવી તેમની વાટાઘાટ કરવાની ક્ષમતાની પ્રશંસા કરી હતી.

આગામી મહિના સુધીમાં અમલમાં આવી શકે છે કરારનો પ્રથમ તબક્કો
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 5 જૂને સંકેત આપ્યો હતો કે ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારનો પ્રથમ તબક્કો આગામી મહિનાના મધ્ય સુધીમાં અમલમાં મૂકવામાં આવી શકે છે. જો આવું થાય છે તો બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને નવી ગતિ મળવાની શક્યતા છે. આ કરાર ભારતીય નિકાસકારો માટે નવા અવસરો ઊભા કરશે, જ્યારે અમેરિકન કંપનીઓને પણ ભારતીય બજારમાં વધુ સારી પહોંચ મળી શકે છે.

ભારત બાદ ઉઝબેકિસ્તાન જશે ગ્રીર
ભારતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ જેમીસન ગ્રીર ઉઝબેકિસ્તાનની મુલાકાતે જશે. ત્યાં તેઓ અમેરિકા અને ઉઝબેકિસ્તાન વચ્ચે ન્યાયસંગત અને સંતુલિત વેપારી સંબંધોને લઈને ચર્ચા કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ પ્રાદેશિક વેપાર સહયોગને પ્રોત્સાહન આપવાનો અને આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે.

શા માટે મહત્વપૂર્ણ છે આ કરાર?
ભારત અને અમેરિકા વિશ્વની બે અગ્રણી અર્થવ્યવસ્થાઓ છે. આવી સ્થિતિમાં પ્રસ્તાવિત અંતરિમ વેપાર કરાર માત્ર બંને દેશોના આર્થિક સંબંધોને જ મજબૂત નહીં બનાવે, પરંતુ વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં પણ મહત્વપૂર્ણ અસર પેદા કરી શકે છે. આવનારા અઠવાડિયાઓમાં યોજાનારી ચર્ચાઓ આ કરારની દિશા અને તેના ભવિષ્યને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ખુશખબર! અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી મોટી ભવિષ્યવાણી

0

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીને કારણે ઘણી જગ્યાએ વરસાદ થયો છે પરંતુ હજુ સુધી ચોમાસાનું સત્તાવાર આગમન થયું નથી. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખુશીના સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 જૂનથી વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ છે. 23 જૂનથી ચોમાસું આગળ વધવાનું છે.

શું કહ્યું અંબાલાલ પટેલે
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. 25 જૂન સુધી મુંબઈ-મહારાષ્ટ્ર થઈ ચોમાસું દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં પહોંચી જશે. મુંબઈના વિસ્તારમાં બેથી ચાર ઈંચ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 26 જૂનથી 28 જૂન સુધીમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે.

અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે 29 જૂનથી 5 જુલાઈ સુધીમાં અતિભારે વરસાદની સંભાવના છે. મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 જૂનથી 5 જુલાઈ સુધીમાં પૂર આવવાની સંભાવના છે. ભરૂચ અને વડોદરા જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ શકે છે. તો 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે.

ઉત્તર ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થશે. ઘણા ભાગોમાં 3થી 4 ઈંચ વરસાદ પડી શકે છે. 6-7 જુલાઈએ આદ્યા નક્ષત્રમાં ખાડા-ખાબોચિયા ભરાશે. 7 જુલાઈ બાદ નદી-નાળા છલકાવાની સંભાવના છે. 17 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. આ સાથે અંબાલાલે જણાવ્યું કે જુલાઈ મહિનામાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: દેશમાં દોડશે વધુ 7 બુલેટ ટ્રેન, જાણો રૂટ

0

ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે મોટી ક્રાન્તિ લાવવાના હેતુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત વધુ 7 નવા રૂટને લીલી ઝંડી આપી દીધી છે. હાલમાં મુંબઈ-અમદાવાદ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકારે દેશનાં મોટાં આર્થિક, ઔદ્યોગિક, ટેક્રોલોજિકલ અને પ્રવાસન હબ્સને સાંકળવા માટે આ દીર્ઘકાલીન નેશનલ વિઝન તૈયાર કર્યું છે. આ પ્રસ્તાવિત યોજના હેઠળ દેશનાં પ્રખ્યાત શહેરો વચ્ચે હાઈ-સ્પીડ ટ્રેનો દોડાવવામાં આવશે. એમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેન્ગલોર, હૈદરાબાદ-ચેન્નઈ, ચેન્નઈ-બેન્ગલોર, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી રૂટનો સમાવેશ થાય છે.

નવા રૂટ અને મુસાફરીના અંદાજિત સમયની ઝલક

મુંબઈથી પુણે૪૮ મિનિટ
બેન્ગલોરથી ચેન્નઈ૭૩ મિનિટ
દિલ્હીથી વારાણસી ૩ કલાક ૧૫ મિનિટ
બેન્ગલોરથી હૈદરાબાદબે કલાક ૧૦ મિનિટ
પુણેથી હૈદરાબાદ બે કલાક ૮ મિનિટ
દિલ્હીથી લખનઉબે કલાક
દિલ્હીથી સિલિગુડી9 કલાક

અહેવાલ અનુસાર આ પ્રસ્તાવિત હાઈ-સ્પીડ રેલ (HSR) નેટવર્ક માટે હજી બાંધકામની કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર થઈ નથી; પરંતુ ટૂંક સમયમાં જ દરેક કોરિડોર માટે ફીઝિબિલિટી સ્ટડી, જમીન-સંપાદન, મંજૂરીઓ અને ફન્ડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નવી લાઇનો શરૂ થવાથી બે મોટાં શહેરો વચ્ચેનું અંતર કલાકોને બદલે મિનિટોમાં સીમિત થઈ જશે. આ મહત્ત્વાકાંક્ષી HSR પ્રોજેક્ટ આગામી સમયમાં દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે અને કરોડો પ્રવાસીઓનો કીમતી સમય બચાવશે.

ગુજરાતના દરિયાકાંઠે સક્રિય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, NIA તપાસમાં ચોંકાવનારા ખુલાસા

ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા એક દાયકામાં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવા છતાં તેની પાછળનું સંપૂર્ણ નેટવર્ક લાંબા સમય સુધી રહસ્યમય રહ્યું હતું. જોકે, વર્ષ 2020માં જામનગર જિલ્લાના સલાયા નજીકથી ઝડપાયેલા રૂ. 500 કરોડના હેરોઈન કેસની તપાસ દરમિયાન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠા મારફતે ચાલતું આ ડ્રગ્સ નેટવર્ક માત્ર દેશ સુધી સીમિત નહોતું, પરંતુ તેના તાર ઈટાલી, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈરાન, યુએઈ અને થાઈલેન્ડ જેવા દેશો સુધી જોડાયેલા હતા.

સલાયા હેરોઈન કેસમાં ખુલ્યું નાર્કો-ટેરર કનેક્શન
વર્ષ 2020માં સલાયા દરિયાકાંઠેથી રૂ. 500 કરોડનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે આ ડ્રગ્સનો જથ્થો પંજાબમાં નશાખોરી માટે મોકલવામાં આવી રહ્યો હતો. પરંતુ NIAની વિસ્તૃત તપાસમાં ખુલ્યું કે આ સમગ્ર કાવતરું માત્ર ડ્રગ્સ હેરાફેરી પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે નાર્કો-ટેરરિઝમનો એક ભાગ હતું.

તપાસ અનુસાર, ગુજરાતના દરિયાકાંઠેથી દેશમાં ઘુસાડવામાં આવતું ડ્રગ્સ દિલ્હી, પંજાબ અને ચંદીગઢ સહિતના વિસ્તારોમાં પહોંચાડવામાં આવતું હતું, જ્યારે તેનું આંતરરાષ્ટ્રીય સંચાલન પાકિસ્તાન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, યુએઈ, ઈરાન અને થાઈલેન્ડ સુધી ફેલાયેલું હતું. ડ્રગ્સના વેપારમાંથી થતી કરોડોની આવકનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

ભારતના સૂત્રધાર તરીકે અંકુશ કપૂરનું નામ સામે આવ્યું
NIAની તપાસમાં નાર્કો-ટેરર નેટવર્કના ભારતસ્થિત મુખ્ય સંચાલક તરીકે અંકુશ કપૂર નામના શખ્સની ભૂમિકા સામે આવી છે. ડ્રગ્સના જથ્થાને ઉતારવાથી લઈને તેના સંગ્રહ અને વિતરણ સુધીનું સમગ્ર નેટવર્ક તે સંભાળતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. તાજેતરમાં NIA દ્વારા અમૃતસરમાં આવેલી તેની મિલકતો પણ એટેચ કરવામાં આવી છે.

પાકિસ્તાનથી સંચાલિત થતી હતી દરિયાઈ દાણચોરી
આ કેસમાં અત્યાર સુધી કુલ 29 આરોપીઓ સામે NIA દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તપાસ મુજબ, સમગ્ર સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ સિમરનજીત હોવાનું સામે આવ્યું છે. જ્યારે ‘ભાઈજાન’ તરીકે ઓળખાતો તારિક નામનો શખ્સ પાકિસ્તાનમાંથી દરિયાઈ માર્ગે ભારતમાં હેરોઈનની દાણચોરીનું સંકલન અને સંચાલન કરતો હતો.ઓસ્ટ્રેલિયામાં રહેતા તનવીર બેદી સામે પણ ડ્રગ્સ હેરાફેરી, હવાલા નેટવર્ક અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.

NIAની તપાસ હજુ પણ ચાલુ
ગુજરાત ATS દ્વારા સલાયાથી ઝડપાયેલા હેરોઈન કેસમાં પ્રાથમિક કાર્યવાહી બાદ આંતરરાષ્ટ્રીય કડી સામે આવતા કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. એજન્સીએ તબક્કાવાર તપાસ કરીને અત્યાર સુધી 26થી વધુ આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, આ સમગ્ર કેસમાં હજુ પણ 8 આરોપીઓ ફરાર હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે. NIAની તાજેતરની આઠમી પૂરક ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાની પાછળ નાર્કો-ટેરરનું સુનિયોજિત કાવતરું કાર્યરત હતું.