Home Blog Page 45

ગામડાંના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ અને એલર્જી ઓછી કેમ હોય છે?

આજના સમયમાં શહેરોમાં બાળકોમાં એલર્જી, અસ્થમા, એક્ઝિમા અને ફૂડ એલર્જીના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ ગામડાંમાં ઉછરતા બાળકોમાં આ સમસ્યાઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. શું ખરેખર ગામડાની હવા જાદુઈ છે? કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે?

જવાબ છે – હા, તેની પાછળ મજબૂત વૈજ્ઞાનિક કારણો છે.

  1. પ્રકૃતિ સાથે વધુ સંપર્ક
    ગામડાંના બાળકો માટી, ખેતરો, પશુઓ અને વૃક્ષો વચ્ચે વધુ સમય વિતાવે છે. આ દરમિયાન તેમના શરીરનો સંપર્ક હજારો પ્રકારના નિર્દોષ જીવાણુઓ (Microbes) સાથે થાય છે.

આ જીવાણુઓ બાળકની રોગપ્રતિકારક શક્તિને યોગ્ય રીતે તાલીમ આપે છે જેથી શરીર નકામી વસ્તુઓ સામે અતિપ્રતિક્રિયા ન કરે.

  1. “હાઈજીન હાઇપોથિસિસ”
    વૈજ્ઞાનિકો મુજબ જો બાળકનું બાળપણ ખૂબ જ સ્વચ્છ અને જંતુમુક્ત વાતાવરણમાં પસાર થાય તો તેની રોગપ્રતિકારક શક્તિને પૂરતી તાલીમ મળતી નથી.

પરિણામે શરીર ધૂળ, પરાગકણ, પાલતુ પ્રાણીઓ અથવા સામાન્ય ખોરાક સામે પણ એલર્જીક પ્રતિક્રિયા આપવા લાગે છે.

આને Hygiene Hypothesis કહેવામાં આવે છે.

  1. આંતરડાના સારા બેક્ટેરિયા (Gut Microbiome)
    ગામડાંના બાળકોમાં આંતરડામાં વિવિધ પ્રકારના સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોય છે.

આ સારા બેક્ટેરિયા:

  • રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.
  • એલર્જીનું જોખમ ઘટાડે છે.
  • શરીરમાં સોજો (Inflammation) ઓછો કરે છે.
  1. પ્રોસેસ્ડ ખોરાક ઓછો
    ગામડાંમાં સામાન્ય રીતે તાજું અને ઘરનું બનાવેલું ભોજન વધુ લેવાય છે.

જ્યારે શહેરોમાં બાળકો વધુ પ્રમાણમાં:

  • પેકેટ ફૂડ
  • કોલ્ડ ડ્રિંક્સ
  • જંક ફૂડ
  • પ્રિઝર્વેટિવવાળા ખોરાક

લેતા હોવાથી આંતરડાના સારા બેક્ટેરિયા પર ખરાબ અસર થાય છે.

  1. વધુ શારીરિક પ્રવૃત્તિ
    ગામડાંના બાળકો બહાર રમે છે, દોડે છે અને કુદરત સાથે રહે છે.

આનાથી:

  • ફેફસાં વધુ મજબૂત બને છે.
  • વિટામિન D પૂરતું મળે છે.
  • સ્થૂળતા ઓછી રહે છે.
  • રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.
  1. હવાના પ્રદૂષણનું ઓછું પ્રમાણ
    શહેરોમાં વાહનો, ઉદ્યોગો અને ધૂળને કારણે હવાનું પ્રદૂષણ વધારે હોય છે.

આ પ્રદૂષણ:

  • અસ્થમા વધારી શકે છે.
  • એલર્જીક રાઇનાઇટિસનું જોખમ વધારે છે.
  • ફેફસાંને નુકસાન પહોંચાડે છે.

ગામડાંમાં સામાન્ય રીતે પ્રદૂષણ ઓછું હોવાથી બાળકોના શ્વસનતંત્ર પર ઓછો બોજ પડે છે.

શું ગામડાંના બધા બાળકોને એલર્જી થતી જ નથી?

ના.

ગામડાંના બાળકોમાં પણ એલર્જી થઈ શકે છે.

જો પરિવારમાં એલર્જીનો ઇતિહાસ હોય અથવા ધુમાડો, તમાકુ, બાયોમાસના ધુમાડા અથવા અન્ય પર્યાવરણીય કારણો હોય તો એલર્જી થઈ શકે છે.

શહેરમાં રહેતા બાળકો માટે શું કરી શકાય?

  • બાળકોને દરરોજ ખુલ્લી જગ્યાએ રમવા દો.
  • બિનજરૂરી એન્ટીબાયોટિક્સથી બચો.
  • સંતુલિત અને તાજો ખોરાક આપો.
  • ફળ, શાકભાજી અને ફાઇબરવાળો આહાર વધારો.
  • પાલતુ પ્રાણીઓ અથવા કુદરતથી બિનજરૂરી દૂર ન રાખો.
  • ધૂમ્રપાનથી બાળકોને સંપૂર્ણ દૂર રાખો.
  • જરૂરી તમામ રસી સમયસર અપાવો.

નિષ્કર્ષ
ગામડાંની માટી, કુદરતી વાતાવરણ, વિવિધ જીવાણુઓ સાથેનો સંપર્ક, શારીરિક પ્રવૃત્તિ અને ઓછું પ્રદૂષણ બાળકોની રોગપ્રતિકારક શક્તિના સ્વસ્થ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

એલર્જી સંપૂર્ણપણે ટાળી શકાતી નથી, કારણ કે તેમાં આનુવંશિકતા પણ મહત્વપૂર્ણ છે. પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે બાળપણમાં કુદરતી વાતાવરણ સાથેનો યોગ્ય સંપર્ક એલર્જી અને અસ્થમાનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

“બાળકોને સંપૂર્ણ જંતુમુક્ત દુનિયામાં નહીં, પરંતુ સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં ઉછેરવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધુ સંતુલિત બને છે.”

ડો તરેશ પટેલ
ચેસ્ટ એન્ડ એલર્જી સ્પેશિયાલિસ્ટ
ચેસ્ટ કેર હોસ્પિટલ સુરત

ચીનમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા

0

ચીનના શીનચુઆન પ્રાંતમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા અનેક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. યિબિન શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ઈમારતો ધ્રૂજી ઊઠતાં લોકો સુરક્ષાના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના કારણે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

સુરતના ઓલપાડમાં ₹1500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની પીંજરત સહકારી મંડળીમાં અંદાજે ₹1500 કરોડના જમીન કૌભાંડના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે મંડળીના પ્રમુખ અને વચેટિયાઓ દ્વારા 280 વીઘા કિંમતી જમીન ઓછી કિંમતે પડાવી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને શેર ટ્રાન્સફર ન કરનાર ખેડૂતોને ધમકીઓ આપવામાં આવી રહી છે.

પૂર્વ ધારાસભ્યના ભૂતપૂર્વ PA મુકેશ સોની સામે પણ ધમકી આપ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ખેડૂતોનો દાવો છે કે PMO અને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, જેના કારણે હવે હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

ચોમાસા પૂર્વે DEOની શાળાઓને ગાઇડલાઇન, જર્જરિત ક્લાસરૂમ તાત્કાલિક તોડી પાડવા આદેશ

સુરત જિલ્લામાં ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીએ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. દર વર્ષે વરસાદી મોસમમાં શાળાઓની દિવાલ ધરાશાયી થવી, વૃક્ષો પડવા, કરંટ લાગવા જેવી દુર્ઘટનાઓ બનતી હોવાને કારણે આ વર્ષે અગાઉથી જ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. DEO દ્વારા શાળાઓને જર્જરિત અને જોખમી ક્લાસરૂમો તાત્કાલિક ખાલી કરાવી તોડી પાડવા તેમજ તમામ ઇમારતોની સલામતીની ચકાસણી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

નવી ગાઇડલાઇન અનુસાર, અચાનક ભારે વરસાદ, પાણી ભરાવાની સ્થિતિ અથવા વાહનવ્યવહાર ખોરવાઈ જાય ત્યારે શાળા સંચાલન અને શિક્ષકોની જવાબદારી વધશે. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે તેમના વાલીઓ અથવા યોગ્ય વાહન વ્યવસ્થા દ્વારા ઘરે પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી શિક્ષકો અને આચાર્યોએ શાળા પરિસરમાં હાજર રહી તેમની દેખરેખ રાખવાની રહેશે. કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને એકલા છોડવા નહીં તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.

માળખાકીય સુવિધાઓ અને સ્વચ્છતા અંગે કડક સૂચનાઓ
શિક્ષણ વિભાગે શાળાઓને મેદાન, છત અને પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. ડ્રેનેજ લાઇન અથવા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ હોય તો તેને તાત્કાલિક દૂર કરવાની જવાબદારી શાળા સંચાલનની રહેશે. ઉપરાંત પીવાના પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ, સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા અને રોગચાળો અટકાવવા જરૂરી આરોગ્યલક્ષી પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી છે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કાર્યવાહી થશે
DEO કચેરીએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા વિવિધ શાળાઓમાં આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવશે. માર્ગદર્શિકાનું પાલન ન કરતી અથવા વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે બેદરકારી દાખવતી શાળાઓ સામે કાયદાકીય અને ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે.

આ વખતે પ્રોપર્ટી નહીં, સીધો તું જ ટાર્ગેટ થઈશ; રોહિત શેટ્ટીને ફરી 20 કરોડની ખંડણીની ધમકી

0

બોલીવૂડના જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર રોહિત શેટ્ટીને ફરી એકવાર લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળ્યાનો મામલો સામે આવ્યો છે. આ વખતે ગેંગ દ્વારા 20 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ધમકીભર્યો ઑડિયો મેસેજ મોકલીને રોહિત શેટ્ટીને ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, આ પહેલાં 1 ફેબ્રુઆરીના રોજ રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાનની બહાર ગોળીબારની ઘટના બની હતી. હવે ફરીથી મળેલી ધમકી બાદ તેમણે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી-એક્સ્ટોર્શન સેલે તપાસ શરૂ કરી દીધી છે.

ધમકીમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હોવાનું જણાવાય છે કે જો માંગવામાં આવેલી રકમ ચૂકવવામાં નહીં આવે તો આ વખતે તેમની મિલકત નહીં પરંતુ તેઓ પોતે નિશાન બનશે. ઑડિયો મેસેજમાં સીધી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. સાથે જ ખંડણી ચૂકવવા માટે સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસમાં આ ધમકી લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય શુભમ લોણકર તરફથી આપવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સમગ્ર મામલાની સત્યતા જાણવા માટે ધમકીભરી ઑડિયો ક્લિપને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. રિપોર્ટ મળ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કૅન્સરની સારવાર માટે ભારત આવી રહેલી ૧૩ વર્ષની બાળકીનું ફ્લાઇટમાં મોત

હૈદરાબાદમાં કેન્સરની સારવાર કરાવવા માટે ભારત આવી રહેલી ઇથિયોપિયાની ૧૩ વર્ષની એક માસૂમ બાળકીનું ચાલુ ફલાઇટમાં જ કરુણ મોત નીપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બાળકી છેલ્લાં ત્રણ વર્ષથી કેન્સર સામે જંગ લડી રહી હતી.

શનિવારે રાત્રે આશરે 1 વાગ્યે ઇથિયોપિયન એરલાઇન્સનું વિમાન રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું એ પહેલાં જ અધવચ્ચે ટ્રાન્ઝિટ દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્લેન લેન્ડ થતાં જ તેને તાત્કાલિક એરપોર્ટની મેડિકલ ફેસિલિટીમાં ખસેડાઈ હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આવી જ અન્ય એક તબીબી કટોકટીની ઘટનામાં અબુ ધાબીથી બેન્ગલોર આવી રહેલી ફલાઇટમાં ટેક-ઓફ પહેલાં કેરલમના ૫૧ વર્ષના પ્રવાસી યુસુફ કુન્હામ્મુનું મોત નીપજ્યું હતું. વિમાન ઊપડે એ પહેલાં જ તેમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ હતી. કેબિન ક્રૂએ તાત્કાલિક પેરામેડિક્સની મદદ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતાં જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

રામ મંદિર ચઢાવા ચોરીમાં મોટી એક્શન, આઠ આરોપીઓના ઘરે પોલીસની રેડ પડી

0

રામ મંદિર દાન ચોરી કેસમાં યુપી પોલીસની કાર્યવાહી તેજ બની છે. આજે ટીનુ યાદવ સહિત તમામ આઠ આરોપીઓના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસે દાન ચોરી કેસમાં આરોપીઓના ઘરેથી અંદાજે ₹79.85 લાખ પણ જપ્ત કર્યા છે.

રામ મંદિર દાન ચોરી કેસમાં ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓના ઘરે અયોધ્યા પોલીસ દરોડા પાડી રહી છે. આ સમયગાળા દરમિયાન, પોલીસ આરોપીના પરિવારના સભ્યોના નિવેદનો નોંધશે. તેઓ તેમના ઘરોમાંથી મળેલી મિલકતો અને દસ્તાવેજોની પણ તપાસ કરશે. યુપી પોલીસ આ કેસમાં ભૂલ માટે કોઈ જગ્યા છોડવા માંગતી નથી. અહેવાલ છે કે અયોધ્યા પોલીસ હાલમાં રામશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, રામશંકર મિશ્રા, સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ અને કમલેશ પાંડેના ઘરે હાજર છે.

ટ્રસ્ટમાં મોટા ફેરફારોની તૈયારીઓ
ટ્રસ્ટમાં ફેરફારો માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ સભ્યો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. 11 જુલાઈના રોજ અયોધ્યામાં યોજાનારી ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટમાં ફેરફારો સાથે ચંપત રાય અને ડૉ. અનિલ મિશ્રાના રાજીનામાને મંજૂરી આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટના સમગ્ર માળખામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આમાં સચિવ અને સીઈઓની નિમણૂકનો સમાવેશ થાય છે, અને પ્રસાદની ગણતરી, સંચાલન અને હિસાબની જવાબદારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ભૂતપૂર્વ બેંક અધિકારીઓ અને મેનેજમેન્ટ સ્નાતકો જેવા વ્યાવસાયિકોને સોંપવામાં આવશે.

SIT તપાસમાં અનેક ખામીઓ મળી આવી છે
અયોધ્યામાં રામ મંદિરમાં ભક્તો તરફથી પ્રસાદની કથિત ઉચાપતનો મામલો વધુ ઘેરો બની રહ્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની પ્રારંભિક તપાસમાં પ્રસાદના સંચાલનમાં ઘણી ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે, જેના કારણે રોકડ અને કિંમતી પ્રસાદની ગણતરીમાં સામેલ આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

અત્યાર સુધીની તપાસ મુજબ, ઓફરિંગ કેવી રીતે ઉપાડવામાં આવી અને કુલ રકમની ઉચાપત કેવી રીતે થઈ તેની તપાસ હજુ પણ ચાલુ છે. જો કે, તેના પ્રારંભિક અહેવાલમાં, SIT એ ઓફરિંગ સિસ્ટમમાં ઘણી મોટી ખામીઓ દર્શાવી છે.

ઉત્તરાખંડથી ઝારખંડ સુધી આફતનો વરસાદ, વાવાઝોડા-વીજળી પડવાથી 16નાં મોત

0

દેશભરમાં હવામાનના બે અલગ-અલગ રંગો જોવા મળી રહ્યા છે. એક તરફ ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓથી જનજીવન પ્રભાવિત બન્યું છે, તો બીજી તરફ અનેક રાજ્યો હજુ પણ ભારે ગરમી અને હીટવેવની ઝપેટમાં છે.

ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું, ઘરો અને દુકાનોમાં ઘૂસ્યો કાટમાળ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શુક્રવારે ભારે વરસાદ બાદ વાદળ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે અનેક ઘરો, દુકાનો અને માર્ગોમાં કાટમાળ ઘૂસી ગયો હતો. કેટલાક વાહનો પણ કાટમાળમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

વીજળી અને વાવાઝોડાથી અનેક રાજ્યોમાં મોત
મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં વીજળી પડતાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે દેવાસમાં ભારે પવન અને વરસાદ દરમિયાન મકાનની બાલ્કની તૂટી પડતાં બે મહિલાઓના કરુણ મોત નીપજ્યા હતા. ઝારખંડમાં વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે છત્તીસગઢમાં પણ બે લોકોએ જીવ ગુમાવ્યો છે.

દેશના 22 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું અત્યાર સુધીમાં દેશના 22 રાજ્યોમાં સક્રિય થઈ ચૂક્યું છે. 5 જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોમાં પણ ચોમાસું પહોંચવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશમાં ચોમાસું સામાન્ય સમય કરતાં લગભગ 8 દિવસ મોડું છે. સામાન્ય રીતે 20 જૂન સુધી રાજ્યમાં પ્રવેશતું ચોમાસું આ વખતે છેલ્લા 15 દિવસથી બિહાર સરહદ નજીક અટકેલું છે. આગામી બે દિવસમાં તે ઉત્તર પ્રદેશમાં પ્રવેશી શકે છે.

6 રાજ્યોમાં હીટવેવનો પ્રકોપ
મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો કહેર યથાવત છે. બુધવારે અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું.

દેશમાં સૌથી વધુ તાપમાન હરિયાણાના રોહતકમાં 43.4°C નોંધાયું હતું. જ્યારે ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં 43.2°C, બાંદા અને આગ્રામાં 43°C, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 42.1°C, મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 41.8°C અને અમદાવાદમાં 41.7°C તાપમાન નોંધાયું હતું.

અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સિક્કિમ, ગોવા, તેલંગાણા અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આંધ્ર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત છત્તીસગઢ, કેરળ, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બિહાર સહિત અનેક રાજ્યોમાં તેજ પવનની આગાહી
બિહારમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાઈ શકે છે. મધ્ય પ્રદેશ, ઓડિશા, પૂર્વ રાજસ્થાન અને તમિલનાડુ સહિતના વિસ્તારોમાં પણ તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજસ્થાનમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.

મધ્ય પ્રદેશમાં 43 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
મધ્ય પ્રદેશમાં ચોમાસું પ્રવેશ્યા બાદ તેની ગતિ ધીમી પડી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ચોમાસું આગળ વધ્યું નથી અને આગામી 2થી 3 દિવસ સુધી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.

શુક્રવારે સિઓનીમાં 50 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે શાજાપુરના શુજાલપુર, અકોડિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ઉજ્જૈનમાં 38 મીમી વરસાદ નોંધાયો હતો.

ઉત્તર પ્રદેશમાં આગામી 72 કલાકમાં ચોમાસાની એન્ટ્રી
ઉત્તર પ્રદેશના લગભગ 30 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 72 કલાકમાં ચોમાસું રાજ્યમાં સત્તાવાર રીતે દસ્તક આપી શકે છે. જોકે હાલ લખીમપુર-ખીરી સહિતના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે અને ત્યાં 43.2°C તાપમાન નોંધાયું છે.

જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો, આરોપી સાથે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, કોર્ટમાં થશે રજૂઆત

0

જૂનાગઢ શહેર નજીક આવેલા રબારી નેસ વિસ્તારમાં 24 જૂનના રોજ 7થી 8 માસના નર સિંહબાળના મોતની ઘટનામાં વન વિભાગે તપાસ વધુ તેજ બનાવી છે. આરોપીની ધરપકડ બાદ હવે વન વિભાગે તેને સાથે રાખીને ઘટનાસ્થળે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ અને આરોપીના નિવેદનોની ચકાસણી કરવામાં આવી હતી.

આરોપીએ ઘટનાની સમગ્ર હકીકત વર્ણવી
વન વિભાગના જણાવ્યા અનુસાર, રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ઘટનાની સમગ્ર હકીકત વર્ણવી હતી, જે સ્થળ પરથી મળેલા પુરાવાઓ સાથે સુસંગત હોવાનું સામે આવ્યું છે. તપાસ ટીમે વધુ પુરાવા એકત્રિત કરવા માટે સ્થળ પર સઘન કાર્યવાહી હાથ ધરી હતી. હવે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.

કુતિયાણા વિસ્તારમાંથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
ઉલ્લેખનીય છે કે 24 જૂનના રોજ રબારી નેસ વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી. વન વિભાગે ટેકનિકલ વિશ્લેષણ, માનવબાતમી અને અન્ય પુરાવાઓના આધારે પોરબંદર જિલ્લાના કુતિયાણા વિસ્તારમાંથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. આ માટે વન વિભાગની ત્રણ અલગ-અલગ ટીમોએ મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

વન વિભાગ વધુ પુરાવા એકત્ર કરી રહ્યા છે
પૂછપરછ દરમિયાન આરોપીએ સિંહબાળની હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું વન વિભાગે જણાવ્યું છે. સાથે જ આરોપીની માનસિકતા વિકૃત અને ક્રૂર હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ ભૂતકાળમાં શ્વાન અને સાપને મારી નાખ્યાનો પણ ખુલાસો કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ગુના પાછળનો અસલી હેતુ શું હતો. સમગ્ર કેસમાં વન વિભાગ વધુ પુરાવા એકત્રિત કરી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

શાળા કે યાતના કેમ્પ? માસૂમ બાળકો સાથેની ક્રૂરતાથી ઉઠ્યો રોષ

0

મહારાષ્ટ્રમાં બાળકો સાથે કથિત દુર્વ્યવહારની બે અલગ-અલગ ઘટનાઓએ તેમની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા વધારી છે. પહેલી ઘટના રાયગઢ જિલ્લાના પનવેલ તાલુકાના નંદગાંવ ગામની છે, જ્યાં એક વાયરલ વીડિયોમાં એક આંગણવાડી કાર્યકર એક નાની બાળકીને છાતીમાં જોરથી લાત મારી રહી છે. બીજી ઘટના છત્રપતિ સંભાજીનગરમાં એક પ્રિસ્કુલની છે, જ્યાં ૨૩ મહિનાના બાળક પર કથિત હુમલા અંગેની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં, પનવેલ તાલુકાના નંદગાંવ ગામમાં એક આંગણવાડીમાં કામ કરતી એક મહિલા કથિત રીતે એક નાની છોકરીને છાતીમાં લાત મારતી જોવા મળે છે. છોકરી તે જ સ્થાનિક આંગણવાડીમાં ભણે છે તેવો અહેવાલ આપવામાં આવ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા બાદ લોકોએ આ ઘટનાની આકરી ટીકા કરી છે. ઘણા યુઝર્સે મહિલાના કથિત વર્તનની નિંદા કરી છે અને આ મામલે કાર્યવાહીની માગ કરી છે.

એક અલગ ઘટનામાં, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક પ્રિસ્કુલમાં ૨૩ મહિનાના બાળક પર વારંવાર હુમલો કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહેવાલ મુજબ, આ ઘટના ૨૨ જૂન, ૨૦૨૬ ના રોજ સિડકા N-1 વિસ્તારમાં સ્થિત ફર્સ્ટક્રાય ઇન્ટેલિટોટ્સ પ્રિસ્કુલમાં બની હતી. બાળકના ૨૯ વર્ષીય પિતા, જે એક વકીલ છે, તેને સવારે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ પ્રિસ્કુલમાં છોડી ગયા હતા. આ ઘટના બાદ, બાળકના ચહેરા, નાક, હોઠ, છાતી અને પીઠ પર અનેક ઈજાના નિશાન મળી આવ્યા હતા. ત્યારબાદ, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી.

ફરિયાદ મુજબ, સવારે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ, એક મહિલા ક્લાસ સહાયક એક બાળકને ક્લાસરૂમમાંથી બહાર લઈ ગઈ હતી. એવો આરોપ છે કે બહાર નીકળતી વખતે, તેણે ક્લાસરૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો, જેના કારણે ઘણા નાના બાળકોને કોઈ શિક્ષક કે જવાબદાર સ્ટાફ સભ્યની દેખરેખ વિના રૂમમાં એકલા છોડી દીધા. અહેવાલ મુજબ, કોઈ પુખ્ત વયના લોકો હાજર ન હોવાનું જાણીને બાળકો ગભરાઈ ગયા અને રડવા લાગ્યા. થોડા સમય માટે કોઈ સ્ટાફ સભ્ય આસપાસ ન હોવાથી ક્લાસરૂમમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ. ફૂટેજ જોયા પછી, બાળકના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેના આધારે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.