Monday, Jun 29, 2026

ચોમાસા પૂર્વે DEOની શાળાઓને ગાઇડલાઇન, જર્જરિત ક્લાસરૂમ તાત્કાલિક તોડી પાડવા આદેશ

2 Min Read

સુરત જિલ્લામાં ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીએ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. દર વર્ષે વરસાદી મોસમમાં શાળાઓની દિવાલ ધરાશાયી થવી, વૃક્ષો પડવા, કરંટ લાગવા જેવી દુર્ઘટનાઓ બનતી હોવાને કારણે આ વર્ષે અગાઉથી જ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. DEO દ્વારા શાળાઓને જર્જરિત અને જોખમી ક્લાસરૂમો તાત્કાલિક ખાલી કરાવી તોડી પાડવા તેમજ તમામ ઇમારતોની સલામતીની ચકાસણી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

નવી ગાઇડલાઇન અનુસાર, અચાનક ભારે વરસાદ, પાણી ભરાવાની સ્થિતિ અથવા વાહનવ્યવહાર ખોરવાઈ જાય ત્યારે શાળા સંચાલન અને શિક્ષકોની જવાબદારી વધશે. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે તેમના વાલીઓ અથવા યોગ્ય વાહન વ્યવસ્થા દ્વારા ઘરે પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી શિક્ષકો અને આચાર્યોએ શાળા પરિસરમાં હાજર રહી તેમની દેખરેખ રાખવાની રહેશે. કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને એકલા છોડવા નહીં તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.

માળખાકીય સુવિધાઓ અને સ્વચ્છતા અંગે કડક સૂચનાઓ
શિક્ષણ વિભાગે શાળાઓને મેદાન, છત અને પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. ડ્રેનેજ લાઇન અથવા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ હોય તો તેને તાત્કાલિક દૂર કરવાની જવાબદારી શાળા સંચાલનની રહેશે. ઉપરાંત પીવાના પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ, સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા અને રોગચાળો અટકાવવા જરૂરી આરોગ્યલક્ષી પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી છે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કાર્યવાહી થશે
DEO કચેરીએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા વિવિધ શાળાઓમાં આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવશે. માર્ગદર્શિકાનું પાલન ન કરતી અથવા વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે બેદરકારી દાખવતી શાળાઓ સામે કાયદાકીય અને ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે.

Share This Article