જૂનાગઢ શહેર નજીક આવેલા રબારી નેસ વિસ્તારમાં 24 જૂનના રોજ 7થી 8 માસના નર સિંહબાળના મોતની ઘટનામાં વન વિભાગે તપાસ વધુ તેજ બનાવી છે. આરોપીની ધરપકડ બાદ હવે વન વિભાગે તેને સાથે રાખીને ઘટનાસ્થળે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ અને આરોપીના નિવેદનોની ચકાસણી કરવામાં આવી હતી.
આરોપીએ ઘટનાની સમગ્ર હકીકત વર્ણવી
વન વિભાગના જણાવ્યા અનુસાર, રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ઘટનાની સમગ્ર હકીકત વર્ણવી હતી, જે સ્થળ પરથી મળેલા પુરાવાઓ સાથે સુસંગત હોવાનું સામે આવ્યું છે. તપાસ ટીમે વધુ પુરાવા એકત્રિત કરવા માટે સ્થળ પર સઘન કાર્યવાહી હાથ ધરી હતી. હવે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
કુતિયાણા વિસ્તારમાંથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
ઉલ્લેખનીય છે કે 24 જૂનના રોજ રબારી નેસ વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી. વન વિભાગે ટેકનિકલ વિશ્લેષણ, માનવબાતમી અને અન્ય પુરાવાઓના આધારે પોરબંદર જિલ્લાના કુતિયાણા વિસ્તારમાંથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. આ માટે વન વિભાગની ત્રણ અલગ-અલગ ટીમોએ મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
વન વિભાગ વધુ પુરાવા એકત્ર કરી રહ્યા છે
પૂછપરછ દરમિયાન આરોપીએ સિંહબાળની હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું વન વિભાગે જણાવ્યું છે. સાથે જ આરોપીની માનસિકતા વિકૃત અને ક્રૂર હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ ભૂતકાળમાં શ્વાન અને સાપને મારી નાખ્યાનો પણ ખુલાસો કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ગુના પાછળનો અસલી હેતુ શું હતો. સમગ્ર કેસમાં વન વિભાગ વધુ પુરાવા એકત્રિત કરી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.