Home Blog Page 32

શ્રધ્ધા અને પવિત્ર નીતિ હોય તો સફળતા ચોક્કસ મળે, ‘ગુજરાત ગાર્ડિયન’ 14 વર્ષ પાર કરી ગયું

અનેક વિટંબણાઓ આવી અને પસાર થઈ ગઈ પરંતુ ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારે ક્યારે પણ ટૂંકો રસ્તે જવાનો વિચાર સુધ્ધા કર્યો નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગુજરાત ગાર્ડિયન’ના પ્રારંભ વખતે શ્રધ્ધા અને નીતિ જાળવી રાખવાની કરેલી ટકોર ‘ગુજરાત ગાર્ડિયન’ અક્ષરશઃ પુરવાર કરી રહ્યું છે

અનેક લોભ, લાલચ અને જરૂરિયાત છતાં ‘ગુજરાત ગાર્ડિયન’ના કમિટેડ પત્રકારો સહિત કર્મચારીઓની મુશ્કેલ સમયમાં હાથમાં હાથ મુકીને ટકી રહેવાના વિશ્વાસથી ‘ગુજરાત ગાર્ડિયન’ને સતત દોડતુ અને વિકસતુ રાખ્યું

સુરત, દ.ગુજરાત અને સમગ્ર ગુજરાતના રાજકીય, સામાિજક આગેવાનો, વેપાર, ઉદ્યોગ જગતે કટોકટીના સમય આપેલા અમૂલ્ય સહકારએ ‘ગુજરાત ગાર્ડિયન’ને ટકાવી દીધુ અને આગળ વધવાની પ્રેરણા પણ આપી

આજકાલ કરતાં કરતાં ‘ગુજરાત ગાર્ડિયન’ના 14 વર્ષ પૂર્ણ થઈ ગયાં જાણે આખો હિમાલય પાર કરી ગયા જેવો અહેસાસ થઈ રહ્યો છે. ‘ગુજરાત ગાર્ડિયન’ની યાત્રાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો અને ‘ગુજરાત ગાર્ડિયન’ની યાત્રા પણ વડાપ્રધાન મોદીના રાજકીય કાળ જેવી રહી હતી. લોકોએ અનેક વખત એવું માની લીધું હતું કે, હવે નરેન્દ્ર મોદી સરકાર લાંબું નહીં ટકે, પરંતુ મોદી સરકારને ઊની આંચ આવી નથી. બલ્કે પ્રતિષ્ઠાભરી બંગાળની ચૂંટણીમાં મમતા દીદીને હરાવીને બંગાળ કબજે કરવા ઉપરાંત મમતા દીદીની TMCને વેરવિખેર કરીને અનેક ટુકડામાં વહેંચી નાંખી. મમતા જ્યાં બેસીને વાઘણની માફક ત્રાડ નાંખતાં હતાં એ TMCનું કાર્યાલય પણ છીનવી લીધું!

ખબર નથી, પરંતુ વડાપ્રધાન મોદીનો કોઈ રાજકીય ગ્રહ ચોક્કસ મજબૂત છે. અનેક રાજકીય ઉતાર-ચઢાવ અને ક્યારેક પોતીકા પણ સામે આવીને ઊભા થઈ ગયા હોવા છતાં નરેન્દ્ર મોદીને ઊની આંચ આવી નથી. લોકસભા ગૃહમાં અને ચૂંટણીના મેદાનમાં ‌વિપક્ષો અને પ્રચાર માધ્યમોએ નરેન્દ્ર મોદી ઉપર અનેક હુમલા કર્યા હતા અને કરી રહ્યા છે. કેટલીક વખત તો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં નરેન્દ્ર મોદી અડીખમ રહીને બહાર આવ્યા હતા અને ‌વિરોધીઓ ક્યાં ખોવાઈ ગયા એ તેમને પણ ખબર નહીં હોય.

ખેર, નરેન્દ્ર મોદીનો રાજકીય ઈતિહાસ લાંબી ચર્ચાનો ‌વિષય છે, પરંતુ ‘ગુજરાત ગા‌ર્ડિયન’નો પ્રારંભ કરાવતી વખતે નરેન્દ્ર મોદીએ કહેલા શબ્દો માનો કે આપેલી િશખામણ ‘ગુજરાત ગાા‌ર્ડિયન’એ અક્ષરશઃ ‌નિભાવી બતાવી છે. કપરાકાળના ‌દિવસોમાં પણ ક્યારેય ટૂંકા રસ્તે જવાનો પ્રયાસ તો ઠીક ‌વિચાર સુધ્ધાં કર્યો નથી. ‘ગુજરાત ગા‌ર્ડિયન’નો એક તબક્કો એવો હતો કે, સંસ્થાને તાળાં મારી દેવા પડે એવી ‌‌સ્થિ‌તિ હતી, પરંતુ મનના કોઈ ખૂણામાં પણ ટૂંકા રસ્તે જવાનો ‌વિચાર સુધ્ધાં કર્યો નથી અને આજકાલ કરતાં કરતાં આજે ૧૫મું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને ‘ગુજરાત ગા‌ર્ડિયન’ ફરી અડીખમ રહીને આગળની યાત્રા કરી રહ્યું છે. ‘ગુજરાત ગા‌ર્ડિયન’ની ‌વિતેલા વર્ષોની સફરથી સુરત શહેર અને દ‌‌િક્ષણ ગુજરાતના લોકો ઉપરાંત ગાંધીનગરથી ‌દિલ્હી સુધીના બધા જ લોકો ખૂબ જ નજીકથી પ‌રિ‌ચિત છે અને એટલે જ આજે ‘ગુજરાત ગા‌ર્ડિયન’ માથું ઊંચું રાખીને ગૌરવભેર આગળ વધી રહ્યું છે.

સુરતના રાજકીય, સામા‌જિક, વ્યાપારી, ઉદ્યોગ આલમ અને જાહેર જીવન સાથે સંકળાયેલા પ્રત્યેક લોકો હરહંમેશ ‘ગુજરાત ગા‌ર્ડિયન’ની સાથે ઊભા રહ્યા છે. જાહેર સમારંભો કે વ્ય‌ક્તિગત સમારંભોમાં ‘ગુજરાત ગા‌ર્ડિયન’ને આગલી હરોળમાં સ્થાન આપવામાં આવે આનાથી મોટું ગૌરવ કયું હોઈ શકે? હમણા ‘ગુજરાત ગા‌ર્ડિયન’ના ૧૫ વર્ષની યાત્રા સંદર્ભે કરવામાં આવેલી ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પા‌ટિલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના પૂર્વ પો.ક‌મિ. રાકેશ અસ્થાના, સુરતના સાંસદ ગો‌વિંદ ધોળ‌કિયા, મુકેશ દલાલ, સુરત શહેર ‌જિલ્લા ઉપરાંત દ‌‌િક્ષણ ગુજરાતના લગભગ તમામ ધારાસભ્યો ‌વિ‌વિધ રાજકીય પક્ષોના અગ્રણી અને સમગ્ર ઉદ્યોગ આલમના લોકોએ આપેલી હાજરી ‘ગુજરાત ગા‌ર્ડિયન’ માટે ગૌરવ સમાન હતી. વળી માત્ર એક વર્ષે નહીં, દરેક વર્ષે આ બધાની હાજરીએ ‘ગુજરાત ગા‌ર્ડિયન’ના ઉત્સાહમાં હંમેશાં વધારો કર્યો છે. વેપાર, ઉદ્યોગ માટે આ‌ર્થિક બાબત સૌથી અગત્યની છે, પરંતુ ખાસ કરીને પ્રચાર માધ્યમો માટે લોક સમૂહનું સમર્થન નહીં હોય તો પ્રકાશન ગમે તેટલું સુંદર હોય તોપણ નકામું છે. સાથે પ્રચાર માધ્યમો માટે ‘‌વિશ્વાસ’ એ સૌથી મહત્ત્વનું પાસું છે. પ્રચાર માધ્યમ ઉપર લોકોનો ‌વિશ્વાસ હોવો એ અ‌નિવાર્ય છે. ‘ગુજરાત ગા‌ર્ડિયન’એ હંમેશાં ‌વિશ્વાસ અને સમાચારોનું સાતત્ય જાળવી રાખવાના પ્રયાસો કર્યા છે.

એક-એક ન્યૂઝને સાત વખત ચકાસ્યા પછી જ પ્રિન્ટિંગમાં મોકલવાનો સમગ્ર ‘ગુજરાત ગા‌ર્ડિયન’ પ‌રિવારનો હંમેશા આગ્રહ રહ્યો છે. વ્ય‌‌ક્તિગત ચા‌રિત્ર્ય ઉપર ‌કિચડ ઉડાડતા અહેવાલો હંમેશા બાજુમાં મૂકી દેવાએ ‘ગુજરાત ગા‌ર્ડિયન’ની પરંપરા રહી છે. આ જ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગુજરાત ગા‌ર્ડિયન’નો પ્રારંભ કરાવતી વખતે કહી હતી. જે વાત ‘ગુજરાત ગા‌ર્ડિયને’‌એ શિલાલેખ સમાન જાળવી રાખી છે.

બદલાયેલા પ્રચાર માધ્યમો સાથે ‘ગુજરાત ગા‌ર્ડિયન’ પણ બદલાયું છે. નવી પેઢીની ‌ડિમાન્ડ પ્રમાણે ‘ગુજરાત ગા‌ર્ડિયન’એ ‌ડિ‌‌જિટલ માધ્યમમાં પ્રવેશ કર્યો છે. મોબાઈલથી શરૂ કરીને ટી.વી. સ્ક્રીન ઉપર ‘ગુજરાત ગા‌ર્ડિયન’ જોવા મળી રહ્યું છે. ‌ડિ‌જિટલ માધ્યમને કારણે ‌વિદેશમાં રહેતા વાચકોને ખૂબ મોટી રાહત મળી છે અને હવે ગણતરીની સેકન્ડોમાં ‌વિશ્વના અનેક દેશોમાં વસતા ગુજરાતી પ‌રિવારોને સમયસર, બલ્કે સમય કરતાં પહેલાં ‘ગુજરાત ગા‌ર્ડિયન’ મળી જાય છે અને ઈચ્છે ત્યારે વાંચી શકે છે. આ ઉપરાંત ઈન્સ્ટ્રાગ્રામ, ટ્વીટર, એક્સ, વેબ, મેઈલ, અને યુટ્યુબ ઉપર ‘ગુજરાત ગા‌ર્ડિયન’ વાંચી શકાય છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે.

ખેર, ‘ગુજરાત ગા‌ર્ડિયન’ની દોઢ દાયકાની સફરમાં ક‌મિટેડ કર્મચારીઓ, પત્રકારોનો અદ્દભુત સહયોગ હરહંમેશ રહ્યો છે. મોટા પગારના આંકડામાં મોટી રકમની બાદબાકી કરવા છતાં ‘ગુજરાત ગા‌ર્ડિયન’ના વફાદાર કર્મચારીઓએ ક્યારેય પણ બીજો ‌વિચાર કર્યો નથી. ટૂંકા પગારને કારણે મોંઘવારીમાં મન ભટકી જાય એ સ્વાભા‌વિક છે. કારણ કે, વર્તમાન ટૂંકી આવકમાં ઘર-પ‌રિવાર ચલાવવું બાળકોના ‌શિક્ષણનો ખર્ચ અને માતા-‌પિતાનું ગુજરાન કરવું માત્ર અઘરું નહીં, બલ્કે અસહ્ય છે અને તેમ છતાં વફાદારી જાળવી રાખવી એ પણ એટલી જ અઘરી છે.

ખેર, સમયની સાથે ‘ગુજરાત ગા‌ર્ડિયન’ પણ કરવટ બદલી રહ્યું હોવાથી ‘ગુજરાત ગા‌ર્ડિયન’ પ‌રિવારમાં પણ નવી આશા સાથે ઉમંગ અને આનંદ છવાયેલો છે અને આવનારાં વર્ષોમાં નવી ઊંચાઈએ પહોંચવા સાથે ‌વિસ્તરણનાં સપનાં સેવી રહ્યાં છે અને આ સપનાઓ ચોક્કસ સાકાર થશે. એવી દૃઢ આશા છે અને જ્યારે કુદરત, માતાજીનો માથે હાથ હોય ત્યારે કોણ રોકી શકે.

શ્રદ્ધા, સંસ્કૃતિ અને સમર્પણનો સંગમ: અષાઢી બીજે યોજાતો ‘જગન્નાથ મહાપર્વ

અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે યોજાતી જગન્નાથ રથયાત્રા એ ભારતીય સંસ્કૃતિની સામાજિક સમરસતા, અખંડ આસ્થા અને સામૂહિક ભક્તિનું સર્વોચ્ચ પ્રતિક છે. આ વર્ષે ૧૪૯મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. સામાન્ય દિવસોમાં ભક્તો ભગવાનના દર્શને મંદિર જાય છે, પરંતુ વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે જગતનો નાથ સ્વયં પોતાના ગર્ભગૃહમાંથી બહાર નીકળીને પ્રજાના સુખ-દુઃખ જાણવા અને તમામ વર્ગના ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. આ મંગલમય અવસરે સમગ્ર વાતાવરણ ‘જય જગન્નાથ’ના નારાઓ, ભજન મંડળીઓના સૂર અને ભક્તિભાવથી ગુંજી ઉઠે છે. પરંતુ આ મહાપર્વ પાછળ પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક તથ્યો જોડાયેલા છે.

રથયાત્રાનો ઇતિહાસ અને પૌરાણિક માન્યતાઓ

રથયાત્રાનો ઉલ્લેખ બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે. પુરીમાં આ પરંપરા સદીઓ જૂની છે, જ્યારે અમદાવાદમાં આ પરંપરાનો પ્રારંભ ૨ જુલાઈ ૧૮૭૮ના રોજ મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યો હતો, જે આજે ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ચૂકી છે.તેની પાછળ બે પ્રચલિત માન્યતાઓ અને કથાઓ જોડાયેલી છે.

સુરત શહેરમાં રથયાત્રાની પરંપરાનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. સુરતમાં ભક્તિભાવપૂર્વક રથયાત્રાની શરૂઆત વર્ષ ૧૯૮૦થી અમરોલી સ્થિત ઐતિહાસિક લંકા વિજય હનુમાનજી મંદિરની રથયાત્રા સમગ્ર શહેરમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર અને સૌથી જૂની રથયાત્રા પૈકીની એક માનવામાં આવે છે. સુરતમાં વસતા ઓડિશાવાસીઓ અને સ્થાનિક મંદિરો દ્વારા પણ પરંપરાગત શૈલીમાં રથયાત્રા કાઢવામાં આવે છે, જે સુરતની સાંસ્કૃતિક વિવિધતા અને એકતાનું પ્રતિક છે. આ ઉપરાંત, દર વર્ષે અષાઢી બીજના પવિત્ર દિવસે ઈસ્કોન મંદિર દ્વારા રેલવે સ્ટેશનથી શરૂ થઈને જહાંગીરપુરા ઇસ્કોન છેલ્લા મંદિર સુધી જાય છે.

  • બહેન સુભદ્રાની નગર જોવાની ઈચ્છા: પ્રચલિત કથા અનુસાર, એકવાર ભગવાન શ્રીકૃષ્ણના બહેન સુભદ્રાજીએ દ્વારકા નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અને મોટાભાઈ બલરામે બહેન સુભદ્રાને રથમાં બેસાડીને આખું નગર ફેરવ્યું હતું. આ ઘટનાની યાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ત્રણેય ભાઈ-બહેનની રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થઈ.
  • ગુંડિચા દેવી (માસીનું ઘર) ની કથા: અન્ય કથા મુજબ, ભગવાન જગન્નાથના પરમ ભક્ત રાજા ઇન્દ્રદ્યુમ્ન અને તેમની રાણી ગુંડિચાના આગ્રહથી ભગવાને વચન આપ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર તેમના ઘરે (મોસાળ/માસીના ઘરે) આવશે. આ વચન પૂરું કરવા માટે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથમાં સવાર થઈને માસીના ઘરે એટલે કે ગુંડિચા મંદિર જાય છે.

રથયાત્રા પૂર્વેની તૈયારીઓ અને ધાર્મિક વિધિઓ

રથયાત્રા એ માત્ર એક દિવસનો ઉત્સવ નથી, તેની પાછળ મહિનાઓની શાસ્ત્રોક્ત વિધિઓ જોડાયેલી છે:

  • અક્ષય તૃતીયા(રથ નિર્માણ): વૈશાખ સુદ ત્રીજના દિવસે નવા રથ બનાવવાનું અથવા ચકાસણી કરવાનું કામ શરૂ થાય છે. લીમડા અને પવિત્ર લાકડામાંથી બનેલા આ રથો પર સુંદર કોતરણી કરવામાં આવે છે.
  • જળયાત્રા અને સ્નાનયાત્રા (જેઠ પૂનમ): જેઠ મહિનાની પૂનમે નદીના પવિત્ર જળના ૧૦૮ કળશથી ભગવાનને દિવ્ય સ્નાન કરાવવામાં આવે છે.
  • ભગવાનનો એકાંતવાસ(અણસર ઓઝર): વધારે સ્નાન કરવાને કારણે પ્રભુ બીમાર પડે છે અને ૧૫ દિવસ માટે ગર્ભગૃહના કપાટ બંધ થાય છે. રાજવૈદ્ય દ્વારા ભગવાનની સારવાર કરવામાં આવે છે અને તેમને માત્ર આયુર્વેદિક ઉકાળા તથા વિશેષ પથ્ય ભોગ ધરાવવામાં આવે છે. આ વિધિ દર્શાવે છે કે, ભગવાન પણ માનવ સહજ લીલાઓ કરીને ભક્તોની અત્યંત નજીક હોવાનો અહેસાસ કરાવે છે.
  • નેત્રોત્સવ વિધિ: એકાંતવાસ અને ઉપચાર પછી, અષાઢ સુદ એકમના દિવસે ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈને પુનઃ પ્રગટ થાય છે. આ પવિત્ર અવસરે ‘નેત્રોત્સવ વિધિ’ કરવામાં આવે છે. જેમાં પરંપરાગત સેવાધારીઓ દ્વારા પ્રભુની મૂર્તિઓની આંખોને નવો રંગ આપી આખરી ઓપ આપવામાં આવે છે. ત્યારબાદ ભક્તો માટે પ્રભુના જે પ્રથમ દર્શન ખુલે છે, તેને ‘નવયૌવન દર્શન’ કહેવામાં આવે છે. પોતાના આરાધ્ય દેવને પુનઃ સ્વસ્થ અને તેજોમય સ્વરૂપમાં જોઈને ભક્તો ભાવવિભોર બની જાય છે અને રથયાત્રાનો ઉત્સાહ બમણો થઈ જાય છે.

નગરચર્યાની ખાસિયત અને ધાર્મિક રીતિ-રિવાજો

ભગવાન જગન્નાથ એટલે ‘જગતના નાથ’. સામાન્ય રીતે ભક્તો ભગવાનના દર્શને મંદિરે જાય છે, પણ આ દિવસે ગર્ભગૃહમાંથી ભગવાન પોતે બહાર આવીને નગરમાં ફરે છે. આ નગરચર્યાની કેટલીક વિશિષ્ટ પરંપરાઓ છે:

  • પહંડી વિધિ: ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને ગર્ભગૃહમાંથી લયબદ્ધ રીતે ઝુલાવતા ઝુલાવતા રથ સુધી લાવવામાં આવે છે, જેને ‘પહંડી’ કહેવાય છે.
  • છેરા પહંરા વિધિ: ઓડિશાના ગજપતિ રાજા(પુરીના રાજા) સોનાની સાવરણીથી રથના માર્ગ અને રથના પ્લેટફોર્મને સાફ કરે છે. આ વિધિ દર્શાવે છે કે ભગવાનની સામે રાજા પણ એક સામાન્ય સેવક જ છે.
  • પહિંદ વિધિ (ગુજરાત સંદર્ભે): સુરત ઈસ્કોન દ્વારા રેલ્વે સ્ટેશનથી અને અમરોલી ખાતેથી નીકળતી ભવ્ય રથયાત્રાઓમાં સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અથવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્ય કે કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરી, સુગંધિત જળનો છંટકાવ કરીને આ પવિત્ર ‘પહીંદ વિધિ’ સંપન્ન કરે છે.

રથયાત્રાનો ક્રમ અને દિવસનું વર્ણન

અષાઢી બીજના દિવસે વહેલી સવારે ચાર વાગ્યે મંગલા આરતી થાય છે. ભગવાનને મગ અને ખિચડાનો ભોગ ધરાવાય છે. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ ‘પહિંદ વિધિ’ થાય છે, જેમાં રાજા અથવા રાજ્યના વડા સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે છે.યાત્રાનો લશ્કરી ક્રમ:

  • આગળનો ભાગ: સૌથી આગળ સુશોભિત ગજરાજો માર્ગ મોકળો કરે છે.
  • મધ્ય ભાગ: સાહસ અને શારીરિક શક્તિના કરતબો બતાવતા અખાડાના બલવાનો અને હરિનામ સંકીર્તન કરતી ભજન મંડળીઓ વાતાવરણને ગજવી મૂકે છે.
  • પાછળનો ભાગ: મુખ્ય આકર્ષણ એવા ત્રણેય ભવ્ય રથો શ્રદ્ધાળુઓ દ્વારા ખેંચવામાં આવે છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, શ્રદ્ધાપૂર્વક રથનું દોરડું ખેંચવાથી મનુષ્યના જન્મોજન્મોના પાપો નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પરંપરાગત પ્રસાદનું મહત્વ

રથયાત્રામાં મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ અઢળક પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ અનુસાર ચોમાસાની શરૂઆતમાં આ ત્રણેય વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. અંકુરિત મગ શક્તિ આપે છે અને જાંબુ ચોમાસાના રોગો સામે રક્ષણ આપે છે. પ્રભુનો આ પ્રસાદ લેવા ભક્તોમાં ભારે ધસારો જોવા મળે છે.

  • નવ દિવસનું વર્ણન: રથયાત્રા પોતાના ગંતવ્ય સ્થાન એટલે કે ભગવાનના મોસાળ પહોંચે છે. માસીનું ઘર: ભગવાન અહીં ૭ થી ૯ દિવસ રોકાય છે. અહીં તેમની ભારે આગતા-સ્વાગતા થાય છે અને વિવિધ પકવાનો ધરાવાય છે.
  • કોમી એકતાનું પ્રતીક: સરસપુરમાં કોઈપણ જાતના ભેદભાવ વગર લાખો ભક્તો માટે રસોડા શરૂ થાય છે, જ્યાં આખું નગર સેવા આપે છે.• હેરા પંચમી: પાંચમા દિવસે લક્ષ્મીજી રિસાઈને ભગવાનને મનાવવા મોસાળ આવે છે, જે એક અત્યંત રસપ્રદ વિધિ છે.

નવ દિવસનું વર્ણન: રથયાત્રા પોતાના ગંતવ્ય સ્થાન એટલે કે ભગવાનના મોસાળ પહોંચે છે.

  • માસીનું ઘર: ભગવાન અહીં ૭ થી ૯ દિવસ રોકાય છે. અહીં તેમની ભારે આગતા-સ્વાગતા થાય છે અને વિવિધ પકવાનો ધરાવાય છે.
  • કોમી એકતાનું પ્રતીક: સરસપુરમાં કોઈપણ જાતના ભેદભાવ વગર લાખો ભક્તો માટે રસોડા શરૂ થાય છે, જ્યાં આખું નગર સેવા આપે છે.
  • હેરા પંચમી: પાંચમા દિવસે લક્ષ્મીજી રિસાઈને ભગવાનને મનાવવા મોસાળ આવે છે, જે એક અત્યંત રસપ્રદ વિધિ છે.

મોસાળથી પરત ફરવાની યાત્રાને ‘બહુડા યાત્રા’ (ઉલટી રથયાત્રા) કહેવાય છે. મંદિરે પાછા ફર્યા પછી પ્રભુના અદભુત સ્વરૂપો જોવા મળે છે:

  • સુના બેશે (સોનાના શણગાર): રથો જ્યારે મુખ્ય મંદિરની બહાર આવીને ઊભા રહે છે, ત્યારે ભગવાનને અસલી સોનાના આભૂષણો પહેરાવવામાં આવે છે. આ દિવ્ય અલૌકિક સ્વરૂપ જોવા લાખો લોકો ઉમટી પડે છે.
  • અધર પના: રથ પર જ પ્રભુને માટીના મોટા ઘડામાં ખાસ શરબત ધરાવીને તે ઘડા ત્યાં જ ફોડી નાખવામાં આવે છે, જેથી અદ્રશ્ય જીવો તૃપ્ત થાય.
  • નીલાદ્રી વિજે: અંતે, ભાઈ-બહેન રથ પરથી ઉતરીને પુનઃ ગર્ભગૃહમાં સ્થાપિત થાય છે અને ઉત્સવ સંપન્ન થાય છે.રથનો મહિમા અને તેમની વિશેષતારથયાત્રામાં ત્રણેય ભાઈ-બહેન માટે અલગ-અલગ રથ હોય છે, જેમના નામ અને રંગ શાસ્ત્રોમાં પૂર્વનિર્ધારિત છે:
  • નંદીઘોષ (ભગવાન જગન્નાથનો રથ): પીળા અને લાલ રંગના કાપડથી સજ્જ આ રથ સૌથી મોટો હોય છે. તેના ગરુડધ્વજ અને ૧૬ પૈડાં હોય છે.
  • તાલધ્વજ (બલભદ્રજીનો રથ): લીલા અને લાલ રંગના કાપડથી સજ્જ આ રથમાં ૧૪ પૈડાં હોય છે અને તેની પર મુસળનું ચિહ્ન હોય છે.
  • દેવદલન અથવા પદ્મધ્વજ (બહેન સુભદ્રાનો રથ): કાળા અને લાલ રંગના કાપડવાળા આ રથમાં ૧૨ પૈડાં હોય છે.સ્કંદ પુરાણ અનુસાર, ‘રથસ્થં વામનં દૃષ્ટ્વા પુનર્જન્મ ન વિદ્યતે’ અર્થાત્ રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથના માત્ર દર્શન કરવાથી મનુષ્ય પુનર્જન્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

રથયાત્રા ભારતીય સંસ્કૃતિની ભવ્યતા, અખાડાની કલા, ભક્તિનો નાદ, કોમી એકતા અને વસુધૈવ કુટુંબકમની ભાવનાનું જીવંત પ્રતિક છે. રાત્રે જ્યારે નાથ પોતાના ભક્તોને હેત વરસીને નિજ મંદિરે પરત ફરે છે, ત્યારે સૌ કોઈ આવતા વર્ષની પ્રતીક્ષા સાથે ભાવુક હૈયે વિદાય લે છે. ‘જય જગન્નાથ’ ના નારા સાથે વાતાવરણ મહિનાઓ સુધી ગુંજતું રહે છે.

સોનમ વાંગચુકના આમરણાંત ઉપવાસનો 18મો દિવસ, તબિયત ગંભીર બનતા દિલ્હી હાઈકોર્ટ સક્રિય

0

સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્લા 18 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ છે. સતત ઉપવાસને કારણે તેમની તબિયત ગંભીર રીતે લથડી ગઈ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે. તબીબોનું કહેવું છે કે જો તેમને તાત્કાલિક ખોરાક અને સારવાર નહીં મળે તો તેમની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે આ મામલાને ગંભીર ગણાવી કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. કેસની તાકીદને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ ગુરુવારે જ સુનાવણી કરશે. નોંધનીય છે કે બુધવારે થયેલી સુનાવણી દરમિયાન સરકાર તરફથી કોઈ વકીલ હાજર રહ્યા નહોતા.

સરકારને સારવાર સુનિશ્ચિત કરવા કોર્ટમાં અરજી
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે કેન્દ્ર અને દિલ્હી સરકારને સોનમ વાંગચુકને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે નિર્દેશ આપવામાં આવે. જરૂર પડે તો તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને જીવન બચાવવા જરૂરી હોય તો તબીબી સલાહ મુજબ પરાણે ખોરાક આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવે.

સોનમ વાંગચુકના સમર્થનમાં અનેક જાણીતી હસ્તીઓ
સોનમ વાંગચુકના સમર્થનમાં દેશભરમાંથી અનેક જાણીતી હસ્તીઓ આગળ આવી છે. અભિનેતા નસીરુદ્દીન શાહ, અભિનેત્રી રત્ના પાઠક શાહ સહિત એક હજારથી વધુ લોકોએ ખુલ્લો પત્ર લખીને તેમના આંદોલનને સમર્થન આપ્યું છે. સાથે જ તેમણે સોનમ વાંગચુકને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ પણ કરી છે.

બીજી તરફ અભિનેત્રી ઝીનત અમાને કેન્દ્ર સરકારને સોનમ વાંગચુક સાથે તાત્કાલિક વાતચીત શરૂ કરવાની અપીલ કરી છે જેથી આ મામલે ઉકેલ આવી શકે.

28 જૂનથી જંતર-મંતર પર ઉપવાસ
સોનમ વાંગચુક 28 જૂનથી દિલ્હીના જંતર-મંતર પર અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર બેઠા છે. તેઓ NEET UG-2026 પેપર લીક કેસમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

ઉપવાસ શરૂ થયા બાદથી તેમનું અંદાજે 8.5 કિલોગ્રામ વજન ઘટી ગયું છે. માહિતી મુજબ તેઓ સ્નાયુઓની નબળાઈ અને ભારે શારીરિક તકલીફનો સામનો કરી રહ્યા છે.

જ્યારે તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરવામાં આવી ત્યારે સોનમ વાંગચુકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, “મને ઉપવાસ સમાપ્ત કરવાનું ન કહો, સરકારને પૂછો કે તેઓ વાતચીત કેમ નથી કરી રહ્યા?”

નોઇડાના મમૂરા ગામમાં ભીષણ આગ, બે લોકોના મોત; બચાવ કામગીરી યથાવત

0

નોઇડા: ઉત્તર પ્રદેશના નોઇડાના મમૂરા ગામમાં બુધવારે એક રહેણાંક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં બે લોકોના મોત થયા છે. ફેઝ-3 પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનામાં પ્રાથમિક તપાસ મુજબ ઇલેક્ટ્રિક સ્કૂટીની બેટરી ચાર્જિંગ દરમિયાન થયેલા સ્પાર્કના કારણે આગ ભભૂકી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસ પાર્ક કરાયેલા અનેક પેટ્રોલ વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.

ઘટના સમયે ચાર માળની (G+4) ઇમારતમાં અંદાજે 50 પરિવારો રહેતા હતા. આગ અને ગાઢ ધુમાડો ફેલાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

ફાયર વિભાગે સાત ફાયર ટેન્ડર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ઇમારતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ધુમાડાના કારણે બે લોકોની તબિયત ગંભીર રીતે બગડતાં તેમને એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ એક મહિલા અને એક પુરુષને મૃત જાહેર કર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, મમૂરાની ગલી નંબર-2માં આવેલી ઇમારતમાં ચાર્જિંગ પર મુકાયેલા ઇલેક્ટ્રિક વાહનની બેટરીમાંથી નીકળેલી ચિંગારીના કારણે નજીકમાં ઉભેલા પેટ્રોલ વાહનોમાં આગ લાગી હતી. ત્યારબાદ આગે સમગ્ર ઇમારતને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. હાલ પોલીસ અને ફાયર વિભાગ ઘટનાના ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યા છે તેમજ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક સંજ્ઞાન લીધું છે. તેમણે અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં વધુ ઝડપ લાવવા તેમજ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે.

મુખ્યમંત્રીએ પ્રશાસનને તમામ સ્તરે સતર્ક રહેવા અને રાહત કામગીરી પર સતત નજર રાખવા પણ સૂચના આપી છે. સાથે જ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરીને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું રાહત પેકેજ: 3 મહિનાનો GST જરૂરી

સુરત: થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદને કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. આ નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પેકેજની જાહેરાત કરતા જણાવ્યું કે સરકાર વેપારીઓને સીધી આર્થિક મદદ તેમજ ધંધો ફરી શરૂ કરવા માટે લોન પર વ્યાજ સહાય આપશે.

સરકારે જણાવ્યું છે કે જે વેપારીઓએ નિયમિત રીતે GST રિટર્ન ભર્યું હશે તેઓ આ સહાય માટે પાત્ર રહેશે. પેકેજ મુજબ લારી અને રેકડી ધારકોને ₹7,500, નાના કેબિન ધારકોને ₹25,000, 50 ફૂટથી મોટી દુકાન ધરાવતા વેપારીઓને ₹50,000 અને પાકી દુકાન ધરાવતા વેપારીઓને ₹1 લાખ સુધીની સીધી સહાય આપવામાં આવશે.

સરકારે વેપારીઓને ફરીથી ધંધો શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ લોન યોજનાની પણ જાહેરાત કરી છે. આગામી ત્રણ વર્ષ સુધી સરકાર લોન પર 7 ટકા વ્યાજ સહાય આપશે. જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર ₹7 લાખ સુધી હશે તેમને ₹20 લાખ સુધીની લોન, ₹7.5 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹25 લાખ સુધીની લોન, જ્યારે તેનાથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹30 લાખ સુધીની લોન આપવામાં આવશે. સાથે જ અલગ-અલગ શ્રેણી મુજબ વ્યાજ સહાય પણ આપવામાં આવશે.

આ ઉપરાંત જેમના ઘર, દુકાન અથવા વેપારના સ્થળે વરસાદી પાણી ભરાયા હતા, તેમને એક વર્ષ માટે વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. આ લાભ મેળવવા માટે વેપારીઓએ પાણી ભરાયા હોવાના ફોટા અથવા વીડિયો પુરાવા તરીકે રજૂ કરવાના રહેશે. આ અંગેની વિગતવાર માર્ગદર્શિકા જિલ્લા કલેક્ટર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશડોલની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે વરસાદના કારણે રોજગાર ગુમાવનારા અથવા નોકરી-ધંધે જઈ શક્યા ન હતા એવા 36 હજારથી વધુ લોકોને આર્થિક સહાય આપવામાં આવી છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરવખરી સહાય અને કેશડોલનું વિતરણ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સાથે જ શહેરમાં આરોગ્ય સેવાઓને પુનઃસ્થાપિત કરવા માટે ડોર-ટુ-ડોર હેલ્થ ચેકઅપ, મેડિકલ કેમ્પો અને વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી 9 હજારથી વધુ સ્વચ્છતા કર્મચારીઓ સતત મેદાનમાં રહી કામગીરી કરી રહ્યા છે.

સરકારના અંદાજ મુજબ આ સમગ્ર રાહત પેકેજના અમલીકરણથી આગામી ત્રણ વર્ષ દરમિયાન રાજ્યની તિજોરી પર અંદાજે ₹550 કરોડનો વધારાનો નાણાકીય ભાર પડશે. છતાં સરકારનું કહેવું છે કે પૂરગ્રસ્ત વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ઝડપથી સામાન્ય જીવન તરફ પરત લાવવા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે.

સુરતની બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલ મળતા બુધવારે બપોરે ભારે ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને બંને મહત્વપૂર્ણ કચેરીઓમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘટનાની વિગતો મુજબ, બારડોલીની આ કચેરીઓને કોઈ અજ્ઞાત ઈમેલ પ્રાપ્ત થયો હતો, જેમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ધમકીભર્યા મેઈલ અંગેની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સતર્કતાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ તેમજ ત્યાં હાજર નાગરિકોને તાત્કાલિક અસરથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી.

પોલીસ દ્વારા ઘટનાસ્થળે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ધમકીને પગલે આસપાસના વિસ્તારમાં પણ ભારે તણાવ અને દોડધામની સ્થિતિ સર્જાઈ હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં આ પ્રકારની ધમકી અફવા હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં, પરંતુ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાને બદલે સુરક્ષા એજન્સીઓ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી રહી છે. આ મામલે સાયબર સેલની મદદથી મેઈલ મોકલનાર વ્યક્તિનું લોકેશન અને ઓળખ શોધવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, જેથી આ કૃત્ય પાછળ કોનો હાથ છે તેનો પર્દાફાશ કરી શકાય. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આગામી 12 કલાક ભારે, IMDએ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી

0

હવામાન વિભાગે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આ રાજ્યોમાં આગામી 12 કલાકમાં વાવાઝોડાનો અનુભવ થશે. ઉત્તર બંગાળની ખાડી પર સંભવિત નીચા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે આગામી સાત દિવસમાં પૂર્વી અને ઉત્તરપૂર્વીય ભારત, પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની ધારણા છે.

15 જુલાઈએ ઓડિશામાં પણ અલગ અલગ ભારે વરસાદની આગાહી છે. આગામી છ થી સાત દિવસમાં ઉત્તરપશ્ચિમ ભારત, પશ્ચિમ-મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પ્રમાણમાં ઓછો રહેશે.

આ 22 રાજ્યોમાં ચેતવણી
હવામાન વિભાગે 15 થી 17 જુલાઈ સુધી જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દરમિયાન, 15 જુલાઈથી 20 જુલાઈ સુધી દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને પંજાબ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વધુમાં, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

આજે દિલ્હી-એનસીઆરમાં હવામાન કેવું રહેશે?
દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ (15 થી 19 જુલાઈ): હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હી-એનસીઆરમાં 15 જુલાઈથી 19 જુલાઈ સુધી આખા અઠવાડિયા દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેશે. 15 જુલાઈએ વાદળછાયું રહેશે પરંતુ વરસાદ પડશે નહીં.

મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. 16 જુલાઈના રોજ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ આ દિવસે પણ વરસાદ નહીં પડે. 17 જુલાઈથી 19 જુલાઈ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની આગાહી નથી.

આજે ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે?
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ (15 જુલાઈ): પીલીભીત, લખીમપુર, સીતાપુર, બહરાઈચ, હરદોઈ, શાહજહાંપુર, બારાબંકી, લખનૌ, ફતેહપુર, રાયબરેલી, કાનપુર, ઇટાવા, જાલૌન, બાંદા, આગ્રા, ઓરૈયા અને હમીરપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.

પ્રયાગરાજમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજધાની લખનૌમાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

બિહારમાં આજે હવામાન કેવું રહેશે?
બિહારમાં ભારે વરસાદ (15 જુલાઈ)
: આજે અરરિયા અને કિશનગંજમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. સમસ્તીપુર, વૈશાલી, દરભંગા, મધુબની, સીતામઢી, વૈશાલી, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, સારણ, જમુઈ, બાંકા, ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા, સહરસા અને બેગુસરાઈમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

રાજધાની પટના, નાલંદા અને ગયામાં સ્વચ્છ આકાશની અપેક્ષા રહેશે. આજે પટનામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

આજે મધ્યપ્રદેશમાં કેવું રહેશે હવામાન?
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ (15 જુલાઈ)
: છિંદવાડા, સિવની, બાલાઘાટ, મંડલા, ડિંડોરી, કટની, શહડોલ, સતના, રીવા, સિંગરૌલી, સીધી, ધાર, ઝાબુઆ, અલીરાજપુર, ઈન્દોર, ઉજ્જૈન અને મંદસૌરમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે. ધૂળની ડમરીઓ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

દરમિયાન, ભોપાલ, વિદિશા, રાયસેન, દમોહ, સાગર, અશોકનગર, ખંડવા, હરદા, બેતુલ, ખરગોન, બુરહાનપુર, કટની, પન્ના, છતરપુર, જબલપુર અને ટીકમગઢમાં આકાશ સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. રાજધાની ભોપાલમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

હિમાચલ પ્રદેશમાં આજે હવામાન કેવું રહેશે?
હિમાચલ પ્રદેશમાં ચેતવણી (15 જુલાઈ)
: આખા અઠવાડિયા માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. શિમલા, સુંદરનગર, ભુંતર, કાંગડા, જોટ અને મુરારી દેવી, બિલાસપુર, નેરી, શિમલા, કુફરી, હમીરપુર અને તાબોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 37 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે.

ઉત્તરાખંડમાં આજે હવામાન કેવું રહેશે?
ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી (15 જુલાઈ)
: ઉત્તરાખંડના નૈનિતાલ, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ અને ચંપાવતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

દરમિયાન ટિહરી ગઢવાલ, પૌરી ગઢવાલ, અલ્મોરા અને ઉધમ સિંહ નગરમાં આકાશ સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. આજે દેહરાદૂનનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

યૌન ગુનાઓના કેસોમાં સુપ્રીમ કોર્ટ સખ્ત, પટણા હાઈકોર્ટના ચુકાદા પર ઉઠાવ્યા સવાલ

0

દેશની સર્વોચ્ચ અદાલતે યૌન ગુનાઓના કેસોમાં સંવેદનશીલતા જાળવવા અંગે એક મહત્વપૂર્ણ નીતિગત અને વહીવટી નિર્દેશ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પટણા હાઈકોર્ટના તાજેતરના એક ચુકાદા પર ગંભીર નારાજગી વ્યક્ત કરી છે, જેમાં મહિલાની સાથે બળજબરીથી કરવામાં આવેલા કૃત્યને ‘બળાત્કારના પ્રયાસ’ (Attempt to Rape) તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

આ મામલાને ગંભીરતાથી લેતાં દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે યૌન ગુનાઓ સંબંધિત કેસોની નોંધણી અને સુનાવણી દરમિયાન અદાલતો તથા પોલીસ તંત્રે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી સંવેદનશીલતા માર્ગદર્શિકા (Handbook)નું કડક પાલન કરવું પડશે.

સુપ્રીમ કોર્ટે પટણા હાઈકોર્ટના કયા નિર્ણય પર કડક વલણ અપનાવ્યું?
પટણા હાઈકોર્ટે પોતાના તાજેતરના એક ચુકાદામાં કહ્યું હતું કે મહિલાના કપડાં ઉતારવા અને તેની છાતી પર હાથ મૂકવાની ઘટના ‘બળાત્કારના પ્રયાસ’ને સાબિત કરવા માટે પૂરતી નથી.

હાઈકોર્ટના જસ્ટિસ પૂર્ણેન્દુ સિંહે આરોપીની સજાને બળાત્કારના પ્રયાસની ગંભીર કલમમાંથી ઘટાડીને માત્ર મહિલાની લાજ ભંગ (IPC કલમ 354) હેઠળનો ગુનો ગણાવ્યો હતો, જેમાં ઓછી સજાની જોગવાઈ છે. વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આવા પ્રકારના વિરોધાભાસી ચુકાદાઓ વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું કે ન્યાયાધીશોનું પણ કર્તવ્ય છે કે તેઓ કાયદા અને અગાઉના ચુકાદાઓનો યોગ્ય અભ્યાસ કરે. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું કે આ કેસમાં ન્યાયિક સ્ટાફ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યો નથી.

આ સમગ્ર મામલો શું હતો અને હાઈકોર્ટે શું દલીલ આપી હતી?
આ કેસ વર્ષ 2008ની એક ઘટનાથી સંબંધિત છે. અમરપુરમાં એક મહિલા પોતાના પિતા સાથે ફોટો સ્ટુડિયોમાં ગઈ હતી. આરોપ મુજબ સ્ટુડિયોના માલિકે મહિલાના પિતાને બહાર રોકીને દરવાજો બંધ કરી દીધો અને અંદર મહિલાની સાથે યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો. નીચલી અદાલતે આરોપીને બળાત્કારના પ્રયાસ અને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. ત્યારબાદ આરોપીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે રેકોર્ડ પર પેનેટ્રેશન (પ્રવેશ) અંગે કોઈ પુરાવો કે મેડિકલ સાક્ષ્ય ઉપલબ્ધ નથી, તેથી બળાત્કારના પ્રયાસની કલમ લાગુ પડી શકે નહીં.

અદાલતે કહ્યું હતું કે આરોપીએ મહિલાની સાથે ગુનાહિત બળનો ઉપયોગ કર્યો હોવાથી આ કેસ માત્ર IPC કલમ 354 હેઠળ મહિલાની લાજ ભંગ કરવાનો બને છે.

અદાલતો અને પોલીસ માટે સુપ્રીમ કોર્ટના નવા નિર્દેશો
આવી વિસંગતતાઓ દૂર કરવા અને ભવિષ્યમાં આવા ચુકાદાઓ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે સમગ્ર ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે.

હેન્ડબુકનું પાલન ફરજિયાત:
દેશની તમામ અદાલતો યૌન ગુનાઓના કેસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તૈયાર કરાયેલી હેન્ડબુકમાં દર્શાવેલી શબ્દાવલી અને માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન કરશે.

પોલીસ સ્ટેશનો માટે સૂચના:
તમામ રાજ્યોને પોતાના પોલીસ સ્ટેશનોને આદેશ આપવા કહેવામાં આવ્યું છે કે FIR નોંધતી વખતે અને ચાર્જશીટ દાખલ કરતી વખતે હેન્ડબુકના નિયમોનું કડક પાલન કરવામાં આવે.

નેશનલ જ્યુડિશિયલ એકેડમીની રિપોર્ટ ઓનલાઈન મૂકવાનો આદેશ:
સુપ્રીમ કોર્ટે નેશનલ જ્યુડિશિયલ એકેડમી (NJA) દ્વારા તૈયાર કરાયેલી ન્યાયિક સંવેદનશીલતા સંબંધિત રિપોર્ટને સુપ્રીમ કોર્ટ તેમજ તમામ હાઈકોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે, જેથી ન્યાયિક અધિકારીઓમાં જાગૃતિ વધે.

આ રિપોર્ટ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા વર્ષ 2025માં આપવામાં આવેલા સમાન પ્રકારના આદેશ બાદ સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન (Suo Motu) લઈને તૈયાર કરાવી હતી.

ચુકાદાનો મુખ્ય સંદેશ શું છે?
સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી સ્પષ્ટ થઈ ગયું છે કે યૌન ગુનાઓના કેસોમાં ન્યાયિક અને પોલીસ સંવેદનશીલતા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. અદાલતના આ નવા નિર્દેશો દેશભરની અદાલતોમાં મહિલાઓ સંબંધિત સંવેદનશીલ કેસોની સુનાવણી તેમજ પોલીસ તપાસની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા, જવાબદારી અને સંવેદનશીલતા લાવવા માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

ફારસની ખાડીમાં ભારતના 7 જહાજ ફસાયા, સરકારની રાહ જોતા ક્રૂ મેમ્બર્સ

0

હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં ભારતીય ધ્વજ વાળા સાત જહાજ ફસાયેલા છે. જેમાં 148 ભારતીય નાવિક સવાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં સૈન્ય તણાવ વધતા પહેલા હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં સાત ભારતીય ધ્વજ વાળા જહાજો હાજર હતા.

એક સરકારી અધિકારીએ મંગળવારે આ વિશે જાણકારી આપતા કહ્યું કે મધ્ય પૂર્વમાં સંઘર્ષના પ્રારંભિક તબક્કાની જેમ, આ જહાજો તણાવ ઓછો થાય તે પહેલાં ફારસની ખાડી છોડવાની સંભાવના નથી. તેમણે પીટીઆઈ ભાષાને જણાવ્યું હતું કે ભારતીય ધ્વજ વાળા પાંચ જહાજો આ ક્ષેત્રમાં કમર્શિયલ પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફારસની ખાડીમાં ભારતીય ધ્વજવાળા સાત જહાજોમાં લગભગ 148 નાવિકો સવાર છે. હાલની પરિસ્થિતિને જોતા હાલ આ વિસ્તારમાંથી બહાર આવવાની તેમની કોઈ યોજના નથી.

ઈરાન હુમલામાં ભારતનો એક ક્રૂ મેમ્બર ગુમ
અધિકારીએ જણાવ્યું હતું કે 14 જુલાઈની વહેલી સવારે વેપારી જહાજ એમટી અલ બહિયાહ અને એમટી મોમ્બાસા બી પર એવા સમયે હુમલો થયો છે જ્યારે બે દિવસ પહેલા સાયપ્રસના ધ્વજ વાળા કન્ટેનર જહાજ જીએફએસ ગેલેક્સી પર ઇરાની હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બર ગુમ થયો હતો. તેમણે જણાવ્યું કે એમટી અલ બહિયાહમાં કુલ 23 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાં 12 ભારતીયો, છ ફિલિપિનો, ત્રણ રશિયન, એક ઇજિપ્ત અને એક શ્રીલંકાના નાગરિક હતા.

પશ્ચિમ એશિયા તણાવ પર ભારતનું કડક વલણ, ઈરાની રાજનયિકને સમન્સ પાઠવ્યા
એમટી મોમ્બાસા બીમાં પણ 23 ક્રૂ મેમ્બર્સ હતા, જેમાં 17 ભારતીયો, ત્રણ યુક્રેનિયન અને ત્રણ જ્યોર્જિયન હતા. અધિકારીએ જણાવ્યું હતું કે એમટી અલ બહિયાહ વિમાનમાં સવાર ભારતીય ક્રૂ મેમ્બરના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેણે જૂનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારના ભવિષ્ય પર પણ સવાલો ઉભા કર્યા છે.

ભારતીય મૂળના ડૉક્ટરે ભરી અવકાશ તરફ ઉડાન, 8 મહિનાના મિશનથી રચશે ઇતિહાસ

0

ભારતીય મૂળના જાંબાઝ અને સાહસિક અંતરિક્ષ યાત્રી અનિલ મેનન પોતાની પ્રથમ અવકાશ યાત્રા માટે રવાના થઈ ચૂક્યા છે.તેઓ રશિયાના શક્તિશાળી ‘સોયુઝ એમએસ-29’ (Soyuz MS-29) સ્પેસક્રાફ્ટ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફ આગળ વધી એક રિસર્ચ વર્ક પૂરું કરીને પરત આવશે. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બાદ, અનિલ મેનન સ્પેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને નવો ઈતિહાસ બનાવ્યો છે.

અવકાશમાં નવો અધ્યાય શરૂ
અવકાશના અનંત આકાશમાં વધુ એક ભારતીય નામ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યું છે. અવકાશમાં ભારતનું નામ રોશન કરનાર ડૉ. અનિલ મેનન મૂળ કેરળના પલક્કડ જિલ્લાના ઓટ્ટાપાલમના છે. મંગળવારની એ ઐતિહાસિક રાતના રોજ કઝાકિસ્તાનના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક બેકોનુર કોસ્મોડ્રોમ પરથી રાત્રે 8:17 વાગ્યે આ મહાકાય રોકેટે અંતરિક્ષ તરફ કૂચ કરી હતી. મિશનમાં ડૉ. અનિલ મેનનની સાથે રશિયાના દિગ્ગજ એસ્ટ્રોનોટ્સ પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકિના પણ જોડાયા છે.એસ્ટ્રોનોટ્સ સ્પેસ સ્ટેશન પર આશરે ૮ મહિના સુધી રહીને અત્યંત જટિલ સાયન્સ પ્રયોગો કરશે અને વર્ષ 2027માં પૃથ્વી પર પરત ફરશે.

જાણો કોણ છે અનિલ મેનન
અનિલ મેનન ઓટ્ટાપાલમના શંકરન મેનન અને યુક્રેનની એલિઝાબેથ સમોયલેનકોના પુત્ર છે. અંતરિક્ષ સુધી પહોંચતા પહેલાં તેમણે ડૉક્ટર, મિકેનિકલ એન્જિનિયર, અમેરિકન સ્પેસ ફોર્સના ફ્લાઇટ સર્જન અને પાઇલટ તરીકે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તમામ અનુભવોના આધારે તેમણે નાસાની પ્રતિષ્ઠિત અંતરિક્ષયાત્રીની ટીમમાં સ્થાન મેળવી વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું. મેનનની પ્રથમ અંતરિક્ષ યાત્રા માત્ર એક મિશન નહીં, પરંતુ લાંબા ગાળાના હ્યુમન સ્પેસ કેમ્પેઇન દરમિયાન ઊભા થતા મેડિકલ ચેલેંજીસ પર મહત્વપૂર્ણ સંશોધન માટે અત્યંત નિર્ણાયક અને પરિણામલક્ષી સાબિત થશે.

વિજ્ઞાન, સંશોધન અને હ્યુમન ફ્યુચર માટે
આ મિશન એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે ખાસ કરીને સંશોધનથી લો અર્થ ઓર્બિટ (Low Earth Orbit) થી પણ આગળ જતાં માનવ અંતરિક્ષ મિશનોનું આયોજન વધુ સુરક્ષિત અને અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. લૉન્ચિંગ પહેલાં ડૉ. અનિલ મેનન ભાવુક થયા હતા. પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઉત્સાહભરી પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે તેઓ આ મહત્ત્વાકાંક્ષી મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. નાસા, પોતાના પરિવાર, મિત્રો અને દરેક શુભેચ્છકનો સતત મળેલા સાથ, વિશ્વાસ અને પ્રોત્સાહન બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સિદ્ધિ પલક્કડ જિલ્લાના લોકો માટે ગર્વની ક્ષણ બની છે. તેમની અંતરિક્ષ યાત્રાએ જિલ્લાની ગૌરવશાળી પરંપરામાં એક વધુ સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે.