Home Blog Page 33

યૌન ગુનાઓના કેસોમાં સુપ્રીમ કોર્ટ સખ્ત, પટણા હાઈકોર્ટના ચુકાદા પર ઉઠાવ્યા સવાલ

0

દેશની સર્વોચ્ચ અદાલતે યૌન ગુનાઓના કેસોમાં સંવેદનશીલતા જાળવવા અંગે એક મહત્વપૂર્ણ નીતિગત અને વહીવટી નિર્દેશ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પટણા હાઈકોર્ટના તાજેતરના એક ચુકાદા પર ગંભીર નારાજગી વ્યક્ત કરી છે, જેમાં મહિલાની સાથે બળજબરીથી કરવામાં આવેલા કૃત્યને ‘બળાત્કારના પ્રયાસ’ (Attempt to Rape) તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

આ મામલાને ગંભીરતાથી લેતાં દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે યૌન ગુનાઓ સંબંધિત કેસોની નોંધણી અને સુનાવણી દરમિયાન અદાલતો તથા પોલીસ તંત્રે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી સંવેદનશીલતા માર્ગદર્શિકા (Handbook)નું કડક પાલન કરવું પડશે.

સુપ્રીમ કોર્ટે પટણા હાઈકોર્ટના કયા નિર્ણય પર કડક વલણ અપનાવ્યું?
પટણા હાઈકોર્ટે પોતાના તાજેતરના એક ચુકાદામાં કહ્યું હતું કે મહિલાના કપડાં ઉતારવા અને તેની છાતી પર હાથ મૂકવાની ઘટના ‘બળાત્કારના પ્રયાસ’ને સાબિત કરવા માટે પૂરતી નથી.

હાઈકોર્ટના જસ્ટિસ પૂર્ણેન્દુ સિંહે આરોપીની સજાને બળાત્કારના પ્રયાસની ગંભીર કલમમાંથી ઘટાડીને માત્ર મહિલાની લાજ ભંગ (IPC કલમ 354) હેઠળનો ગુનો ગણાવ્યો હતો, જેમાં ઓછી સજાની જોગવાઈ છે. વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આવા પ્રકારના વિરોધાભાસી ચુકાદાઓ વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું કે ન્યાયાધીશોનું પણ કર્તવ્ય છે કે તેઓ કાયદા અને અગાઉના ચુકાદાઓનો યોગ્ય અભ્યાસ કરે. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું કે આ કેસમાં ન્યાયિક સ્ટાફ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યો નથી.

આ સમગ્ર મામલો શું હતો અને હાઈકોર્ટે શું દલીલ આપી હતી?
આ કેસ વર્ષ 2008ની એક ઘટનાથી સંબંધિત છે. અમરપુરમાં એક મહિલા પોતાના પિતા સાથે ફોટો સ્ટુડિયોમાં ગઈ હતી. આરોપ મુજબ સ્ટુડિયોના માલિકે મહિલાના પિતાને બહાર રોકીને દરવાજો બંધ કરી દીધો અને અંદર મહિલાની સાથે યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો. નીચલી અદાલતે આરોપીને બળાત્કારના પ્રયાસ અને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. ત્યારબાદ આરોપીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે રેકોર્ડ પર પેનેટ્રેશન (પ્રવેશ) અંગે કોઈ પુરાવો કે મેડિકલ સાક્ષ્ય ઉપલબ્ધ નથી, તેથી બળાત્કારના પ્રયાસની કલમ લાગુ પડી શકે નહીં.

અદાલતે કહ્યું હતું કે આરોપીએ મહિલાની સાથે ગુનાહિત બળનો ઉપયોગ કર્યો હોવાથી આ કેસ માત્ર IPC કલમ 354 હેઠળ મહિલાની લાજ ભંગ કરવાનો બને છે.

અદાલતો અને પોલીસ માટે સુપ્રીમ કોર્ટના નવા નિર્દેશો
આવી વિસંગતતાઓ દૂર કરવા અને ભવિષ્યમાં આવા ચુકાદાઓ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે સમગ્ર ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે.

હેન્ડબુકનું પાલન ફરજિયાત:
દેશની તમામ અદાલતો યૌન ગુનાઓના કેસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તૈયાર કરાયેલી હેન્ડબુકમાં દર્શાવેલી શબ્દાવલી અને માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન કરશે.

પોલીસ સ્ટેશનો માટે સૂચના:
તમામ રાજ્યોને પોતાના પોલીસ સ્ટેશનોને આદેશ આપવા કહેવામાં આવ્યું છે કે FIR નોંધતી વખતે અને ચાર્જશીટ દાખલ કરતી વખતે હેન્ડબુકના નિયમોનું કડક પાલન કરવામાં આવે.

નેશનલ જ્યુડિશિયલ એકેડમીની રિપોર્ટ ઓનલાઈન મૂકવાનો આદેશ:
સુપ્રીમ કોર્ટે નેશનલ જ્યુડિશિયલ એકેડમી (NJA) દ્વારા તૈયાર કરાયેલી ન્યાયિક સંવેદનશીલતા સંબંધિત રિપોર્ટને સુપ્રીમ કોર્ટ તેમજ તમામ હાઈકોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે, જેથી ન્યાયિક અધિકારીઓમાં જાગૃતિ વધે.

આ રિપોર્ટ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા વર્ષ 2025માં આપવામાં આવેલા સમાન પ્રકારના આદેશ બાદ સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન (Suo Motu) લઈને તૈયાર કરાવી હતી.

ચુકાદાનો મુખ્ય સંદેશ શું છે?
સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી સ્પષ્ટ થઈ ગયું છે કે યૌન ગુનાઓના કેસોમાં ન્યાયિક અને પોલીસ સંવેદનશીલતા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. અદાલતના આ નવા નિર્દેશો દેશભરની અદાલતોમાં મહિલાઓ સંબંધિત સંવેદનશીલ કેસોની સુનાવણી તેમજ પોલીસ તપાસની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા, જવાબદારી અને સંવેદનશીલતા લાવવા માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

ફારસની ખાડીમાં ભારતના 7 જહાજ ફસાયા, સરકારની રાહ જોતા ક્રૂ મેમ્બર્સ

0

હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં ભારતીય ધ્વજ વાળા સાત જહાજ ફસાયેલા છે. જેમાં 148 ભારતીય નાવિક સવાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં સૈન્ય તણાવ વધતા પહેલા હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં સાત ભારતીય ધ્વજ વાળા જહાજો હાજર હતા.

એક સરકારી અધિકારીએ મંગળવારે આ વિશે જાણકારી આપતા કહ્યું કે મધ્ય પૂર્વમાં સંઘર્ષના પ્રારંભિક તબક્કાની જેમ, આ જહાજો તણાવ ઓછો થાય તે પહેલાં ફારસની ખાડી છોડવાની સંભાવના નથી. તેમણે પીટીઆઈ ભાષાને જણાવ્યું હતું કે ભારતીય ધ્વજ વાળા પાંચ જહાજો આ ક્ષેત્રમાં કમર્શિયલ પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફારસની ખાડીમાં ભારતીય ધ્વજવાળા સાત જહાજોમાં લગભગ 148 નાવિકો સવાર છે. હાલની પરિસ્થિતિને જોતા હાલ આ વિસ્તારમાંથી બહાર આવવાની તેમની કોઈ યોજના નથી.

ઈરાન હુમલામાં ભારતનો એક ક્રૂ મેમ્બર ગુમ
અધિકારીએ જણાવ્યું હતું કે 14 જુલાઈની વહેલી સવારે વેપારી જહાજ એમટી અલ બહિયાહ અને એમટી મોમ્બાસા બી પર એવા સમયે હુમલો થયો છે જ્યારે બે દિવસ પહેલા સાયપ્રસના ધ્વજ વાળા કન્ટેનર જહાજ જીએફએસ ગેલેક્સી પર ઇરાની હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બર ગુમ થયો હતો. તેમણે જણાવ્યું કે એમટી અલ બહિયાહમાં કુલ 23 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાં 12 ભારતીયો, છ ફિલિપિનો, ત્રણ રશિયન, એક ઇજિપ્ત અને એક શ્રીલંકાના નાગરિક હતા.

પશ્ચિમ એશિયા તણાવ પર ભારતનું કડક વલણ, ઈરાની રાજનયિકને સમન્સ પાઠવ્યા
એમટી મોમ્બાસા બીમાં પણ 23 ક્રૂ મેમ્બર્સ હતા, જેમાં 17 ભારતીયો, ત્રણ યુક્રેનિયન અને ત્રણ જ્યોર્જિયન હતા. અધિકારીએ જણાવ્યું હતું કે એમટી અલ બહિયાહ વિમાનમાં સવાર ભારતીય ક્રૂ મેમ્બરના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેણે જૂનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારના ભવિષ્ય પર પણ સવાલો ઉભા કર્યા છે.

ભારતીય મૂળના ડૉક્ટરે ભરી અવકાશ તરફ ઉડાન, 8 મહિનાના મિશનથી રચશે ઇતિહાસ

0

ભારતીય મૂળના જાંબાઝ અને સાહસિક અંતરિક્ષ યાત્રી અનિલ મેનન પોતાની પ્રથમ અવકાશ યાત્રા માટે રવાના થઈ ચૂક્યા છે.તેઓ રશિયાના શક્તિશાળી ‘સોયુઝ એમએસ-29’ (Soyuz MS-29) સ્પેસક્રાફ્ટ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફ આગળ વધી એક રિસર્ચ વર્ક પૂરું કરીને પરત આવશે. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બાદ, અનિલ મેનન સ્પેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને નવો ઈતિહાસ બનાવ્યો છે.

અવકાશમાં નવો અધ્યાય શરૂ
અવકાશના અનંત આકાશમાં વધુ એક ભારતીય નામ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યું છે. અવકાશમાં ભારતનું નામ રોશન કરનાર ડૉ. અનિલ મેનન મૂળ કેરળના પલક્કડ જિલ્લાના ઓટ્ટાપાલમના છે. મંગળવારની એ ઐતિહાસિક રાતના રોજ કઝાકિસ્તાનના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક બેકોનુર કોસ્મોડ્રોમ પરથી રાત્રે 8:17 વાગ્યે આ મહાકાય રોકેટે અંતરિક્ષ તરફ કૂચ કરી હતી. મિશનમાં ડૉ. અનિલ મેનનની સાથે રશિયાના દિગ્ગજ એસ્ટ્રોનોટ્સ પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકિના પણ જોડાયા છે.એસ્ટ્રોનોટ્સ સ્પેસ સ્ટેશન પર આશરે ૮ મહિના સુધી રહીને અત્યંત જટિલ સાયન્સ પ્રયોગો કરશે અને વર્ષ 2027માં પૃથ્વી પર પરત ફરશે.

જાણો કોણ છે અનિલ મેનન
અનિલ મેનન ઓટ્ટાપાલમના શંકરન મેનન અને યુક્રેનની એલિઝાબેથ સમોયલેનકોના પુત્ર છે. અંતરિક્ષ સુધી પહોંચતા પહેલાં તેમણે ડૉક્ટર, મિકેનિકલ એન્જિનિયર, અમેરિકન સ્પેસ ફોર્સના ફ્લાઇટ સર્જન અને પાઇલટ તરીકે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તમામ અનુભવોના આધારે તેમણે નાસાની પ્રતિષ્ઠિત અંતરિક્ષયાત્રીની ટીમમાં સ્થાન મેળવી વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું. મેનનની પ્રથમ અંતરિક્ષ યાત્રા માત્ર એક મિશન નહીં, પરંતુ લાંબા ગાળાના હ્યુમન સ્પેસ કેમ્પેઇન દરમિયાન ઊભા થતા મેડિકલ ચેલેંજીસ પર મહત્વપૂર્ણ સંશોધન માટે અત્યંત નિર્ણાયક અને પરિણામલક્ષી સાબિત થશે.

વિજ્ઞાન, સંશોધન અને હ્યુમન ફ્યુચર માટે
આ મિશન એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે ખાસ કરીને સંશોધનથી લો અર્થ ઓર્બિટ (Low Earth Orbit) થી પણ આગળ જતાં માનવ અંતરિક્ષ મિશનોનું આયોજન વધુ સુરક્ષિત અને અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. લૉન્ચિંગ પહેલાં ડૉ. અનિલ મેનન ભાવુક થયા હતા. પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઉત્સાહભરી પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે તેઓ આ મહત્ત્વાકાંક્ષી મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. નાસા, પોતાના પરિવાર, મિત્રો અને દરેક શુભેચ્છકનો સતત મળેલા સાથ, વિશ્વાસ અને પ્રોત્સાહન બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સિદ્ધિ પલક્કડ જિલ્લાના લોકો માટે ગર્વની ક્ષણ બની છે. તેમની અંતરિક્ષ યાત્રાએ જિલ્લાની ગૌરવશાળી પરંપરામાં એક વધુ સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે.

સુરતના સલાબતપુરામાં હત્યાના પ્રયાસ કેસમાં 5 આરોપીઓ ઝડપાયા

સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. સલાબતપુરા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે સંયુક્ત ઓપરેશન ચલાવી હત્યાના પ્રયાસ (એટેમ્પ્ટ ટુ મર્ડર) અને એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા અને તેમની શોધખોળ ચાલી રહી હતી. બાતમીના આધારે બંને ટીમોએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી તમામ પાંચ આરોપીઓને ઝડપી કાયદાની પકડમાં લીધા છે.

આરોપીઓ સામે નોંધાયેલા ગંભીર ગુનાઓને ધ્યાનમાં રાખીને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે, તેમ પોલીસે જણાવ્યું છે.

ધાર ભોજશાલા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, ASIને માળખાકીય ફેરફાર પર રોક

0

ધારની ઐતિહાસિક ભોજશાલા મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ભોજશાલા પરિસરમાં કોઈ પણ પ્રકારના માળખાકીય ફેરફાર (Structural Changes) કરવામાં નહીં આવે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ મોહનાની બેન્ચે સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે નમાજ માટે વચગાળાની વૈકલ્પિક વ્યવસ્થાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જ્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા લંડન મ્યુઝિયમમાંથી વાગ્દેવી (સરસ્વતી)ની મૂર્તિ પરત લાવવાના આદેશ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

મુસ્લિમ પક્ષની અરજી પર તમામ પક્ષોને નોટિસ
સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ધ્યાનમાં લઈ હિંદુ પક્ષ, રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર (DM) અને ASIને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભોજશાલા પરિસરમાં શુક્રવારની નમાજ પરનો પ્રતિબંધ હાલ યથાવત રહેશે. સાથે જ હાઈકોર્ટના ચુકાદા પર તાત્કાલિક સ્ટે આપવાનો ઈનકાર કરતા સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું કે દર શુક્રવારે બપોરે 1થી 3 વાગ્યા દરમિયાન ભોજશાલાની આસપાસ નમાજ માટે વૈકલ્પિક સ્થળ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ કેસની આગામી સુનાવણી હવે જુલાઈના ત્રીજા સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.

નમાજ માટે વૈકલ્પિક જગ્યાનો પ્રસ્તાવ
સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે શુક્રવારની નમાજ ફરી શરૂ કરવાની માંગણી કરી હતી. તેના જવાબમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે શું ભોજશાલાની આસપાસ નમાજ માટે કોઈ ખુલ્લી જગ્યા ઉપલબ્ધ કરાવી શકાય.

ચીફ જસ્ટિસે મુસ્લિમ પક્ષને પણ પૂછ્યું કે, “જ્યાં સુધી અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી શું આસપાસના વિસ્તારમાં નમાજ માટે વચગાળાની વ્યવસ્થા કરી શકાય?”

અગાઉ વસંત પંચમી દરમિયાન પણ અદાલતે બંને પક્ષોને ધાર્મિક વિધિઓ કરવાની મંજૂરી આપતી વચગાળાની વ્યવસ્થા કરી હતી. જોકે હવે હાઈકોર્ટનો અંતિમ ચુકાદો આવી ચૂક્યો હોવાથી પરિસ્થિતિ અલગ હોવાનું પણ કોર્ટે જણાવ્યું.

મુસ્લિમ પક્ષે 40 વર્ષ જૂની સ્થિતિ યથાવત રાખવાની માંગ કરી
મુસ્લિમ પક્ષના વકીલ હુઝેફા અહમદીએ દલીલ કરી કે છેલ્લા 40 વર્ષથી કોઈ અવરોધ વગર ચાલી રહેલી શુક્રવારની નમાજ પર હવે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયને ભોજશાલા પરિસરમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવ્યો છે અને અદાલત સમક્ષ માંગ કરી કે 40 વર્ષથી ચાલી આવતી સ્થિતિ (Status Quo) ફરીથી યથાવત રાખવામાં આવે. દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસે જણાવ્યું કે આ મામલે તમામ પક્ષોને નોટિસ આપવામાં આવશે અને આગામી સુનાવણી માટે તારીખ નક્કી કરવામાં આવશે.

હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા ગંભીર સવાલ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે આદેશ પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું જેમાં લંડનના મ્યુઝિયમમાંથી દેવી સરસ્વતીની મૂર્તિ પરત લાવવાની વાત કરવામાં આવી હતી. બેન્ચમાં સામેલ જસ્ટિસ જોયમાલા બાગચીએ પ્રશ્ન કર્યો કે, “કોઈ બંધારણીય અદાલત (Constitutional Court) આ પ્રકારનો આદેશ કેવી રીતે આપી શકે?” આ મુદ્દે પણ સર્વોચ્ચ અદાલતે ગંભીર નોંધ લઈ આગામી સુનાવણી દરમિયાન સમગ્ર મામલાની વધુ વિગતવાર ચર્ચા કરવાનો સંકેત આપ્યો છે.

બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર, 54 લોકોના મોત; 10 લાખથી વધુ લોકો ફસાયા

0

બાંગ્લાદેશમાં સર્જાયેલી કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે. દક્ષિણપૂર્વ બાંગ્લાદેશમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ૫૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આફતને કારણે કોક્સ બજાર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે.ઉલ્લેખનીય છે કે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર સૌથી વધારે નુકસાન રોહિગ્યા શરણાર્થી શિબિરોમાં થયું છે. જો કે અતિવૃષ્ટિના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે અનેક લોકો,જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાં કેટલાક લોકો કાટમાળ નીચે દટાઈ જવાથી મોતને ભેટ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યારે પણ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

દક્ષિણપૂર્વ બાંગ્લાદેશમાં વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા ૫૪ લોકોના દુઃખદ મોત થયા છે. અધિકારીઓનું કહેવું છે કે કોક્સ બજારનો દરિયાકાંઠાનો જિલ્લો આ કુદરતી આફતથી સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં ગયા અઠવાડિયે રોહિગ્યા શરણાર્થી શિબિરોમાં ભૂસ્ખલનમાં બાળકો સહિત અનેક લોકો માર્યા ગયા હતા.

બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયે સોમવારે, ૧૩ જુલાઈના રોજ દક્ષિણપૂર્વ વિસ્તારમાં સતત ભારે પૂર અને વિનાશક ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા ૫૪ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી હતી. આ કુદરતી આફતે સમગ્ર પ્રદેશમાં જનજીવન ખોરવી નાખ્યું છે અને ઘણા સમુદાયો સંપૂર્ણપણે કપાઈ ગયા છે.

તેઓએ અહેવાલ આપ્યો છે કે પૂરથી ઘણા વિસ્તારો ગંભીર રીતે પ્રભાવિત થયા છે, પરંતુ કોક્સ બજારનો દરિયાકાંઠાનો જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં ગયા અઠવાડિયે મુશળધાર વરસાદ પછી ભૂસ્ખલન થયું છે. રોહિગ્યા શરણાર્થી શિબિરોમાં કાદવ ભૂસ્ખલનને કારણે કાટમાળ નીચે દટાઈ જવાથી બાળકો સહિત ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પ્રદેશમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઘણા ગામડાઓ હજુ પણ કમર સુધી પાણીમાં ડૂબેલા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં, પૂરનું સ્તર એટલું વધી ગયું છે કે પાણી લોકોના ટીન-છાપવાળા ઘરોની છત સુધી પહોંચી ગયું છે, જેના કારણે લોકોને સલામત આશ્રયની શોધમાં ભાગી જવાની ફરજ પડી છે.

આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વિનાશક પૂરને કારણે ૧૦ લાખથી વધુ લોકો વિવિધ સ્થળોએ ફસાયેલા છે. પૂર પીડિતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે અને ફરિયાદ કરી છે કે વહીવટીતંત્ર તરફથી રાહત સહાય ખૂબ જ ધીમી ગતિએ પહોંચી રહી છે અને તેમની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ખૂબ જ અપૂરતી છે.

ગેંગસ્ટર શહજાદ ભટ્ટીના નેટવર્ક પર ATSનો મેગા એક્શન, 66 લોકોની પૂછપરછથી ખળભળાટ

0

પાકિસ્તાનમાં બેઠેલા કુખ્યાત ગેંગસ્ટર શહજાદ ભટ્ટીના નેટવર્કને લઈને મહારાષ્ટ્ર ATSએ તપાસ વધુ તેજ બનાવી છે. સોમવારે ATSએ પુણે જિલ્લામાં મોટું ઓપરેશન હાથ ધરી શહજાદ ભટ્ટીના સંપર્કમાં આવેલા 66 લોકોની પૂછપરછ શરૂ કરી છે. આ કાર્યવાહી પુણે શહેર પોલીસ, પુણે ગ્રામ્ય પોલીસ અને પિમ્પરી-ચિંચવડ પોલીસના સહયોગથી જિલ્લાના અનેક વિસ્તારોમાં એકસાથે કરવામાં આવી રહી છે.

ATSના સત્તાવાર નિવેદન મુજબ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ લોકો સોશિયલ મીડિયા મારફતે શહજાદ ભટ્ટીના સંપર્કમાં આવ્યા હતા. હવે તેમના સંપર્કો અને પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

ATS શું તપાસી રહી છે?
તપાસ દરમિયાન સંબંધિત લોકોના મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ, ચેટ, કોલ ડિટેલ્સ અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે ક્યાંક આ લોકોનો ઉપયોગ કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર કરવા, દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવા અથવા કોઈ સંગઠિત નેટવર્ક સાથે જોડવા માટે તો કરવામાં આવ્યો નથી ને? સાથે જ એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર નેટવર્ક કેટલું મોટું છે અને તેની પાછળ અન્ય કયા લોકો સક્રિય છે.

શહજાદ ભટ્ટી એકલો નથી, અન્ય શંકાસ્પદ નામો પણ સામે આવ્યા
આ કાર્યવાહી ATSના ગયા અઠવાડિયે શરૂ કરાયેલા રાજ્યવ્યાપી અભિયાનનો જ એક ભાગ છે. ગયા શુક્રવારે ATSની 14 યુનિટની 58 ટીમોએ રાજ્યભરના 102 સ્થળોએ દરોડા પાડી શહજાદ ભટ્ટીના સંપર્કમાં આવેલા લોકોની પૂછપરછ કરી હતી. તે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શહજાદ ભટ્ટી એકલો કાર્યરત નથી. તેની સાથે આબિદ જાટ ઉર્ફે આબિદ છલ, અજમલ ગુજર, હમ્માદ મેમણ, રાણા હુનૈન અને અશરફ બશીર આલમ જેવા અનેક શંકાસ્પદ લોકો પણ સક્રિય છે.

ATSનું માનવું છે કે આ ગેંગ સોશિયલ મીડિયા દ્વારા ભારતીય યુવાનો સુધી પહોંચીને તેમને ગેરમાર્ગે દોરવા, આર્થિક લાલચ આપવા અને પોતાના નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. પુણેમાં હાલ ચાલી રહેલી પૂછપરછ પણ આ જ તપાસમાં મળેલા નવા પુરાવાના આધારે કરવામાં આવી રહી છે.

યુવાનો માટે ATSની ખાસ અપીલ
ATSએ નાગરિકો, ખાસ કરીને યુવાનોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક કરતા પહેલાં સાવચેતી રાખે.

એજન્સીએ લોકોને અપીલ કરી છે કે લાલચ આપતા સંદેશાઓ, નોકરી કે પૈસાની ઓફરો અને શંકાસ્પદ ઓનલાઈન સંપર્કો પર વિશ્વાસ ન કરે તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી તાત્કાલિક પોલીસ અથવા સુરક્ષા એજન્સીઓને આપે. ATSનું કહેવું છે કે યુવાનોને નિશાન બનાવી દેશવિરોધી નેટવર્ક ઉભું કરવાની કોશિશોને સમયસર નિષ્ફળ બનાવવી દેશની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.

દિલ્હીમાં રૂ. 9.79 લાખની વિદેશી કરન્સી લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયા

0

દિલ્હીના પાંડવ નગર પોલીસ સ્ટેશને અંદાજે રૂ. 9.79 લાખની વિદેશી કરન્સીની લૂંટનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે આ સનસનીખેજ લૂંટને અંજામ આપનાર બે શાતિર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલી હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર અને લૂંટાયેલી રકમમાંથી 1,100 યુરો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ફોરેક્સ કંપનીને ફોન કરીને બોલાવ્યો ડિલિવરી એક્ઝિક્યુટિવ
પૂર્વ જિલ્લાના DCP રાજીવ કુમારે જણાવ્યું કે આ ઘટના 6 જુલાઈના રોજ બની હતી. નોઇડાની ટ્રિપ્સવે ફોરેક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને ‘મિસ્ટર સિંહ’ નામના વ્યક્તિએ ફોન કરીને ખૂબ જ તાત્કાલિક કામ હોવાનું કહી દિલ્હીના મધુ વિહાર સ્થિત સાઈ ચોક ખાતે 5,500 યુરોની ડિલિવરી પહોંચાડવાની વિનંતી કરી હતી.

મરચાંનો સ્પ્રે છાંટી વિદેશી કરન્સીથી ભરેલો બેગ લૂંટી ફરાર
કંપનીના ફિલ્ડ એક્ઝિક્યુટિવ હરે કૃષ્ણ જના (42) 5,500 યુરો, 35,000 થાઈ કરન્સી, 2,600 અમેરિકન ડોલર, 1,200 ચાઈનીઝ કરન્સી અને રૂ. 10,000 રોકડા સહિત કુલ અંદાજે રૂ. 9.79 લાખની વિદેશી કરન્સી લઈને જણાવાયેલા સરનામે પહોંચ્યા હતા. ત્યાં આરોપીઓએ વાતચીતના બહાને તેમને પોતાની કારમાં બેસાડ્યા અને અચાનક તેમની ઉપર મરચાંનો સ્પ્રે છાંટીને વિદેશી કરન્સીથી ભરેલો બેગ લૂંટી ફરાર થઈ ગયા. પીડિતની ફરિયાદના આધારે પાંડવ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

ફેક સિમ કાર્ડથી મેરઠ સુધી પહોંચી પોલીસ
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે જે સરનામે ડિલિવરી બોલાવવામાં આવી હતી તે વર્ષોથી બંધ હતું અને ત્યાં ‘મિસ્ટર સિંહ’ નામનો કોઈ વ્યક્તિ રહેતો નહોતો. જે નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો તે ખોટા દસ્તાવેજોના આધારે લેવામાં આવેલા સિમ કાર્ડ પર ચાલુ હતો. ટેક્નિકલ વિશ્લેષણ અને મોબાઇલ લોકેશનના આધારે પોલીસ ઉત્તર પ્રદેશના મેરઠના મુલ્તાન નગર સુધી પહોંચી હતી.

બંને આરોપીઓએ ગુનો કબૂલ્યો
સઘન તપાસ બાદ પોલીસે મુખ્ય આરોપી કાર્તિક ઉર્ફે કિટ્ટૂ (20) અને કંવલજીત ઉર્ફે ગોલ્ડી (23)ને ઝડપી પાડ્યા. કડક પૂછપરછ દરમિયાન બંનેએ લૂંટનો ગુનો કબૂલી લીધો.

કાર્તિક મેરઠમાં મોબાઇલની દુકાન ચલાવે છે, જ્યારે કંવલજીત મધર ડેરીના બૂથ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. બંને સામે અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નોંધાયેલો નથી. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલી હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર (UP14CU) અને 1,100 યુરો જપ્ત કર્યા છે. બંને હાલ પોલીસ રિમાન્ડ પર છે અને ગેંગના અન્ય સભ્યો તેમજ બાકીની વિદેશી કરન્સીની શોધખોળ માટે કાર્યવાહી ચાલુ છે.

ભક્તોના ચઢાવામાં ₹550 કરોડનું કૌભાંડ! વૈષ્ણોદેવી કેસમાં કોર્ટનો કડક આદેશ

0

જમ્મુ-કાશ્મીરના વિશ્વવિખ્યાત શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી ચાંદીમાં અંદાજે ₹550 કરોડથી વધુના નકલી ચાંદી અને મિલાવટના કૌભાંડ મામલે જમ્મુ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) મુનીશ કુમાર મન્હાસની અદાલતે ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારીને કેસના તમામ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડ સાથે આગામી સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી 29 જુલાઈ, 2026ના રોજ થશે.

શું છે ₹550 કરોડનું નકલી ચાંદી કૌભાંડ?
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રાઈન બોર્ડમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી અંદાજે 20 ટન ચાંદીને શુદ્ધતા તપાસ, ઓગાળવાની અને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવી હતી. લેબ ટેસ્ટના અહેવાલોમાં ચોંકાવનારો ખુલાસો થયો કે સમગ્ર જથ્થામાંથી માત્ર 5થી 6 ટકા ચાંદી જ અસલી હતી, જ્યારે બાકીની અંદાજે 94 ટકા ચાંદી નકલી અથવા અત્યંત હલકી ગુણવત્તાની હોવાનું બહાર આવ્યું.

તપાસમાં જાણવા મળ્યું કે ચાંદીમાં કેડમિયમ, લોખંડ અને અન્ય સસ્તા ધાતુઓની મોટા પાયે મિલાવટ કરવામાં આવી હતી. આ નકલી ચાંદીનું અંદાજિત મૂલ્ય ₹550 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે.

વરિષ્ઠ વકીલ દીપક શર્માએ નોંધાવી ફરિયાદ
આ મામલે વરિષ્ઠ વકીલ દીપક શર્માએ સૌપ્રથમ 9 મે, 2026ના રોજ IGP (ક્રાઈમ બ્રાન્ચ, જમ્મુ) અને SSP (આર્થિક ગુના શાખા) સમક્ષ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, સરકારી રેકોર્ડમાં હેરફેર અને કેડમિયમ યુક્ત સામગ્રીના ગેરકાયદે ઉપયોગ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા FIR નોંધવામાં ન આવતા અરજદારે આખરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતનો સહારો લીધો.

ક્રાઈમ બ્રાન્ચ જવાબદારીમાંથી બચી શકે નહીં
કોર્ટના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ફરિયાદને વહીવટી મંજૂરી માટે શ્રીનગર હેડક્વાર્ટર મોકલવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવતા વકીલ દીપક શર્માએ દલીલ કરી હતી કે માત્ર ફરિયાદને એક કચેરીથી બીજી કચેરી મોકલવી કાયદેસરની કાર્યવાહી ગણાવી શકાય નહીં. તેમણે જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચ (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) પોતે નોટિફાઇડ પોલીસ સ્ટેશન છે અને તેના એસપી સ્ટેશન હાઉસ ઓફિસર તરીકે કાર્ય કરે છે.

તેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 મુજબ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક FIR નોંધી તપાસ શરૂ કરવી ફરજિયાત છે અને પોતાની જવાબદારી અન્ય વિભાગ પર ઢોળી શકતી નથી.

મહત્વના પુરાવા નષ્ટ થવાનો ભય
કોર્ટમાં રજૂ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે ક્રાઈમ બ્રાન્ચના સ્ટેટસ રિપોર્ટમાં મહત્વના પુરાવાઓ સુરક્ષિત રાખવા માટે કોઈ અસરકારક પગલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આ કેસમાં ઇન્વેન્ટરી રજિસ્ટર, સ્ટોક રેકોર્ડ, CCTV ફૂટેજ, ટ્રાન્સપોર્ટેશન દસ્તાવેજો, શુદ્ધતા તપાસ રિપોર્ટ, ટંકશાળ સાથેનો પત્રવ્યવહાર તેમજ ચાંદી ઓગાળવાની પ્રક્રિયા સંબંધિત તમામ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ જપ્ત કરવાનું અત્યંત જરૂરી હોવાનું અરજદારે જણાવ્યું છે.

સપ્લાય ચેન અને અધિકારીઓની ભૂમિકાની તપાસની માંગ
ફરિયાદમાં કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે કે તપાસ દરમિયાન એ સ્પષ્ટ કરવામાં આવે કે નકલી ચાંદી ઝવેરીઓ અને વેપારીઓએ ભક્તોને વેચી હતી કે પછી મંદિરની અંદર સ્ટોરેજ, વજન, પરિવહન અથવા ઓગાળવાની પ્રક્રિયા દરમિયાન અસલી ચાંદીની ચોરી કરીને તેની જગ્યાએ નકલી ધાતુ મૂકવામાં આવી હતી.

આ ઉપરાંત કેડમિયમ યુક્ત સામગ્રી ક્યાંથી આવી, તેનું ઉત્પાદન, ખરીદી અને સપ્લાય ચેન, તેમજ શ્રાઈન બોર્ડના જવાબદાર અધિકારીઓ, કસ્ટોડિયન, ટ્રાન્સપોર્ટર્સ અને સપ્લાયર્સની ભૂમિકાની પણ વિગતવાર તપાસ કરીને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોર્ટે આ મુદ્દાની ગંભીરતા ધ્યાનમાં લઈને તપાસને વધુ તેજ કરવાની સૂચના આપી છે.

નાગાલેન્ડમાં સેનાના વાહન પર ભયાનક IED બ્લાસ્ટ, 1 જવાન શહીદ, 4 ઘાયલ

0

નાગાલેન્ડના ચુમૌકેદિમા જિલ્લામાં આવેલા સુખોવી વિસ્તાર નજીક અસમ રાઇફલ્સના સૈન્ય વાહનને નિશાન બનાવી શંકાસ્પદ IED (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ભયાનક હુમલામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે અન્ય ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

પેટ્રોલિંગ દરમિયાન થયો ઘાતકી હુમલો
પૂર્વોત્તર ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોને નિશાન બનાવવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. દીમાપુર જિલ્લાના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સુખોવી વિસ્તાર પાસે અસમ રાઇફલ્સનું પેટ્રોલિંગ વાહન પસાર થઈ રહ્યું હતું, ત્યારે રસ્તા કિનારે ગોઠવાયેલા શંકાસ્પદ IEDમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

વિસ્ફોટથી સૈન્ય વાહનને ભારે નુકસાન
પ્રાથમિક માહિતી મુજબ, ઉગ્રવાદીઓએ માર્ગ કિનારે વિસ્ફોટક ગોઠવ્યું હતું. ધડાકો એટલો પ્રચંડ હતો કે સૈન્ય વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના તરત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને નજીકની સૈન્ય ચોકીઓમાંથી વધારાની ટુકડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઘાયલ ચારેય જવાનોને તાત્કાલિક નજીકની મિલિટરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી
આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ ઉગ્રવાદી કે આતંકવાદી સંગઠને સ્વીકારી નથી. જોકે સ્થાનિક ગુપ્તચર એજન્સીઓ આ વિસ્તારમાં સક્રિય પ્રતિબંધિત સંગઠનોની સંડોવણીની આશંકા વ્યક્ત કરી રહી છે.

ડ્રોન અને સ્નિફર ડોગ્સથી સર્ચ ઓપરેશન શરૂ
હુમલાખોરોને ઝડપી પાડવા માટે સેના અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે સુખોવી તથા આસપાસના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આધુનિક ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદથી વિસ્તારમાં સઘન તપાસ ચાલી રહી છે, જેથી હુમલાખોરો સરહદ પાર ન કરી શકે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ સમગ્ર ચુમૌકેદિમા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને તમામ પ્રવેશ માર્ગો પર નાકાબંધી મજબૂત કરવામાં આવી છે.

એક સપ્તાહમાં સુરક્ષા દળો પર બીજો હુમલો
ઉલ્લેખનીય છે કે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં માત્ર એક સપ્તાહની અંદર અસમ રાઇફલ્સના કાફલા પર હુમલાની આ બીજી મોટી ઘટના છે. આ પહેલાં 6 જુલાઈએ મણિપુરના ઉખરુલ જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓએ ઘાતકી હુમલો કર્યો હતો. તે હુમલામાં અસમ રાઇફલ્સની 40મી બટાલિયનના બે બહાદુર જવાનો વોરંટ ઓફિસર બલવંત સિંહ અને રાઇફલમેન સીએમ સિહ શહીદ થયા હતા. મણિપુરની ઘટના બાદ હવે નાગાલેન્ડમાં થયેલા આ હુમલાએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધુ વધારી છે.

સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા થઈ શકે
વારંવાર થતા આવા હુમલાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી શકે છે. સરહદી વિસ્તારોમાં ઇન્ટેલિજન્સ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની સાથે IED શોધી કાઢવાની આધુનિક ટેક્નોલોજી વધારવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યમાં સુરક્ષા દળો પર આવા હુમલાઓ અટકાવી શકાય.